પ્રધાનમંત્રીનું કાર્યાલય

યુએનજીએનાં 74માં સત્ર દરમિયાન ક્લાઇમેટ એક્શન સમિટ 2019માં પ્રધાનમંત્રીનું વક્તવ્ય

Posted On: 23 SEP 2019 9:25PM by PIB Ahmedabad

હું વૈશ્વિક આબોહવા શિખર સંમેલનનું આયોજન કરવા બદલ સંયુક્ત રાષ્ટ્રનાં મહાસચિવનો આભાર માનું છું.

ગયા વર્ષે ચેમ્પિયન ઑફ ધ અર્થ એવોર્ડ મળ્યાં પછી સંયુક્ત રાષ્ટ્રમાં મારું પ્રથમ સંબોધન છે. વળી આ સુખદ સંયોગ પણ છે કે, ન્યૂયોર્કની મુલાકાતમાં મારી પ્રથમ સભા આબોહવાનાં વિષય સાથે સંબંધિત છે.

મહાનુભાવો,

જળવાયુ પરિવર્તનને લઈને દુનિયાનાં વિવિધ દેશોમાં અનેક પ્રકારનાં પ્રયાસો થઈ રહ્યાં છે. પણ આપણે એ વાત સ્વીકારવી જોઈએ કે, આ ગંભીર પડકારનો સામનો કરવા માટે આપણે અત્યારે જે કંઈ પણ પ્રયાસો કરી રહ્યાં છીએ, એ પર્યાપ્ત નથી.

આજે એક વિસ્તૃત અભિગમ અપનાવવાની જરૂર છે, જેમાં શિક્ષણ, મૂલ્યો અને જીવનશૈલીથી લઈને વિકાસલક્ષી વિચારસરણી પણ સામેલ હોય. આજે આપણા વર્તનવ્યવહારમાં પરિવર્તન લાવવા માટે એક વિશ્વવ્યાપક જનઆંદોલનની જરૂર છે.

અમારી પરંપરા અને વર્તમાન પ્રયાસો એમ બંનેનાં મહત્ત્વપૂર્ણ પાસાં છે – પ્રકૃતિ પ્રત્યે આદરભાવ, સંસાધનોનો વાજબી ઉપયોગ, આપણી જરૂરિયાતોમાં ઘટાડો અને આપણાં સાધનોની મર્યાદામાં રહીને જીવન જીવવું. અમારા માર્ગદર્શક સિદ્ધાંતોમાં લોભને સ્થાન આપવાની જરૂર નથી.

અને એટલે અત્યારે ભારતે આ સમસ્યાની ગંભીરતા વિશે વાત કરવાની સાથે એનું સમાધાન કરવાનો વ્યવહારિક અભિગમ અપનાવ્યો છે અને આ માટે એક યોજના તૈયાર કરી છે. અમારું માનવું છે કે, ઉપદેશો આપવા કરતાં વાસ્તવિક સ્તરે થોડી કામગીરી કરવી. આ વધારે ઉપયોગી છે.

ભારતમાં અમે બિનઅશ્મિભૂત ઇંધણનો હિસ્સો સતત વધારી રહ્યાં છીએ અને વર્ષ 2022 સુધીમાં અમે પુનઃપ્રાપ્ય ઊર્જાની ક્ષમતા વધારીને 175 ગીગાવોટ અને પછી 450 ગીગાવોટ સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે.

ભારતમાં અમે ઇ-પરિવહન દ્વારા અમારા પરિવહન ક્ષેત્રને પર્યાવરણને અનુકૂળ બનાવવાની યોજના પણ બનાવી છે.

ભારત પેટ્રોલ અને ડિઝલમાં જૈવઇંધણનાં મિશ્રણનો હિસ્સો નોંધપાત્ર રીતે વધારવા પણ કામ કરે છે.

અમે 150 મિલિયન કુટુંબોને સ્વચ્છ રાંધણ ગેસ પ્રદાન કરીએ છીએ.

અમે જળ સંરક્ષણ, વરસાદનાં પાણીનો સંચય અને જળ સંસાધનો વિકસાવવા માટે જલ જીવન અભિયાન શરૂ કર્યું છે. ભારત આગામી થોડાં વર્ષમાં આ અભિયાન પર અંદાજે 50 અબજ ડોલરનો ખર્ચ કરશે.

આંતરરાષ્ટ્રીય મંચ પર લગભગ 80 દેશો અમારા આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન અભિયાનમાં સામેલ થયા છે. ભારત અને સ્વીડને સંયુક્ત રીતે અન્ય દેશો સાથે ઉદ્યોગ પરિવર્તન ટ્રેકની અંદર લીડરશિપ ગ્રૂપ શરૂ કર્યું છે. આ પહેલ સરકારો અને ખાનગી ક્ષેત્રને એક મંચ પ્રદાન કરશે, જે ટેકનોલોજી ઇનોવેશનનાં ક્ષેત્રમાં સાથસહકાર સ્થાપિત કરવા માટે તકો ઊભી કરશે. એનાથી ઉદ્યોગ માટે કાર્બનનું ઓછું ઉત્સર્જન કરવા માટેનો માર્ગ વિકસાવવામાં મદદરૂપ થશે.

અમારા માળખાગત આપત્તિ વ્યવસ્થાપન તંત્રને મજબૂત બનાવવા ભારતે કુદરતી આપત્તિઓને અનુકૂળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેનું સંગઠન (Coalition for Disaster Resilient Infrastructure) શરૂ કર્યું છે. હું આ જોડાણમાં સામેલ થવા સભ્ય દેશોને આમંત્રણ આપું છું.

ચાલુ વર્ષે 15 ઓગસ્ટનાં રોજ ભારતનાં સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે અમે સિંગલ યુઝ પ્લાસ્ટિકનાં વપરાશને સંપૂર્ણપણે બંધ કરવા જન આંદોલન માટે અપીલ કરી હતી. મને આશા છે કે, એનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે સિંગલ યુઝ પ્લાસ્ટિકની નુકસાનકારક અસરો વિશે જાગૃતિ વધશે.

મહાનુભાવો,

મને એ જાહેરાત કરતાં ખુશી થાય છે કે, આવતીકાલે આપણે સંયુક્ત રાષ્ટ્રના ભવનની છત પર સૌર ઊર્જા માટેની પેનલનું ઉદ્ઘાટન કરીશું, જેનાં 1 મિલિયન ડોલરનો ખર્ચ ભારત દ્વારા પૂરો પાડવામાં આવ્યો છે.

હવે વાત કરવાનો સમય પૂરો થઈ ગયો છે, દુનિયાએ નક્કર કામગીરી કરવાની જરૂર છે.

ધન્યવાદ.

આપનો ખૂબ આભાર.

 

DK/J. Khunt/GP/RP



(Release ID: 1585986) Visitor Counter : 188