પર્યાવરણ અને વન મંત્રાલય

ભારતે વર્ષ 2030 સુધીમાં 50 લાખ હેક્ટર બિનઉપજાઉ જમીનને ફળદ્રુપ બનાવવાની કટિબદ્ધતા વ્યક્ત કરી


ભારત મરુથલીકરણ અટકાવવાનું નેતૃત્વ લેશે અને દુનિયાને સકારાત્મક દિશામાં દોરશેઃ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી

Posted On: 27 AUG 2019 3:28PM by PIB Ahmedabad

ભારત યુએન કન્વેન્શન ટૂ કોમ્બાટ ડિઝર્ટિફિકેશન (યુએનસીસીડી)ની 14માં સંમેલન (સીઓપી14)નું 2-13 સપ્ટેમ્બર, 2019 સુધી ઇન્ડિયા એક્ષ્પો સેન્ટર એન્ડ માર્ટ, ગ્રેટર નોઇડામાં આયોજન કરશે. નવી દિલ્હીમાં આ કોન્ફરન્સની જાહેરાત કરતાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવામાં પરિવર્તન મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે ફળદ્રુપ જમીનનું મરુથલીકરણ રોકવા માટેનાં ઉપાયો સૂચવ્યાં હતાં. શ્રી જાવડેકરે કહ્યું હતું કે, ફળદ્રુપ જમીનનું મરુથલીકરણ વૈશ્વિક સમસ્યા છે, જેનાથી 250 મિલિયન લોકો અને પૃથ્વીની એક તૃતિયાંશ જમીનને અસર થઈ છે. આ સમસ્યા સામે લડવા ભારત આગામી 10 વર્ષમાં આશરે 50 લાખ હેક્ટર નિર્જન કે વેરાન થયેલી જમીનને ફળદ્રુપ જમીનમાં પરિવર્તિત કરશે. એનાથી નવી દિલ્હીનાં જાહેરનામાની જોગવાઈનો અમલ થશે, જેનો કોન્ફરન્સને અંતે સ્વીકાર થશે અને દેહરાદૂનમાં સેન્ટર ફોર એક્સલન્સ સ્થાપિત કરવામાં આવશે.

પર્યાવરણ મંત્રીએ જમીનનાં ઉપયોગ અને જમીનનાં અસરકારક વ્યવસ્થાનની પર્યાવરણને અનુકૂળ રીત જાળવી રાખવાની સતત કટિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી. શ્રી જાવડેકરે કહ્યું હતું કે, પર્યાવરણનું રક્ષણ કરવું અને એનાં પર કોઈ નુકસાનકારક અસર ન થાય એ આપણી સહિયારી જવાબદારી અને ફરજ છે. યુએનસીસીડી સીઓપીનાં અધ્યક્ષ તરીકે આગામી 2 વર્ષ માટે ભારતની મુખ્ય ભૂમિકા પર વધારે વિસ્તૃત જાણકારી આપતાં તેમણે કહ્યું હતું કે, મરુથલીકરણ રોકવા સમગ્ર દુનિયા પ્રયાસરત છે અને ભારત તેનું નેતૃત્વ કરશે તથા દુનિયાને સકારાત્મક દિશા તરફ દોરશે, જેમાં અન્ય દેશોનો સહકાર પણ મળશે.

196 દેશોનાં પ્રતિનિધિઓમાં રાષ્ટ્રીય અને સ્થાનિક સરકારોનાં પ્રતિનિધિઓ, વૈજ્ઞાનિકો, વૈશ્વિક ઉદ્યોગપતિઓ, બિનસરકારી સંસ્થાઓ, જાતિ-આધારિત સંસ્થાઓ, યુવા જૂથો, પત્રકારો તથા આસ્થા અને સામુદાયિક જૂથો તેમનાં અનુભવો રજૂ કરશે અને એકબીજા સાથે વહેંચશે તેમજ 11 દિવસની કોન્ફરન્સમાં તેમનાં લક્ષ્યાંકો હાંસલ કરવાની સમીક્ષા રજૂ કરશે.

આ સંમેલન ડિસેમ્બર, 1996માં થયું હતું. આ રિયોમાં યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ (યુએનએફસીસી) અને કન્વેન્શન ઓન બાયોલોજિકલ ડાઇવર્સિટી (સીબીડી) સાથે થયેલી ત્રણ સમજૂતીઓ પૈકીની એક છે. ભારતે 14 ઓક્ટોબર, 1994નાં રોજ યુએનસીસીડી સાથે સમજૂતી કરી હતી અને 17 ડિસેમ્બર, 1996નાં રોજ એને મંજૂરી આપી હતી. આ સમજૂતીનો મુખ્ય ઉદ્દેશ મરુથલીકરણ રોકવાનો તથા ગંભીર દુષ્કાળ અને/અથવા મરુથલીકરણનો અનુભવ કરતાં દેશોમાં દુષ્કાળની અસરો ઘટાડવાનો, લાંબા ગાળાની સંપૂર્ણ વ્યૂહરચનાઓ ઘડવાનો છે, જે અસરગ્રસ્ત વિસ્તારોમાં જમીનની ઉત્પાદકતા અને પુનર્વસન એમ બંને પર એકસાથે અસર કરે છે, જમીન અને જળ સંસાધનોનાં રક્ષણ અને સ્થાયી વ્યવસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેનાથી જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે. એનાં પરિણામે ખાસ કરીને સામુદાયિક સ્તરે જીવનની ગુણવત્તા સુધરે છે. આ સમજૂતીમાં 197 પક્ષો શુષ્ક વિસ્તારોમાં રહેતાં લોકો માટે જીવનની ગુણવત્તા સુધારવા માટે સંયુક્તપણે કામ કરે છે, જે જમીન અને ધરતીની ઉત્પાદકતા જાળવે છે અને પુનઃસ્થાપિત કરે છે તેમજ દુષ્કાળની અસરોને ઘટાડે છે. યુએનસીસીડી ખાસ કરીને પાયાથી ટોચનાં સ્તર સુધીનાં અભિગમ પ્રત્યે કટિબદ્ધ છે, જે નિર્જનીકરણ અને જમીનની ગુણવત્તામાં ઘટાડો થતો અટકાવવા સ્થાનિક લોકોની ભાગીદારીને પ્રોત્સાહન આપે છે.

 

RP

 



(Release ID: 1583179) Visitor Counter : 330