પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ભારતીય વિજ્ઞાન કોંગ્રેસના 106માં સત્રને ઉદઘાટન સંબોધન પ્રસ્તુત કર્યું

Posted On: 03 JAN 2019 2:16PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 106મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસમાં ઉદઘાટન સંબોધન પ્રસ્તુત કર્યું હતું.

આ કોંગ્રેસની થીમ ભાવી ભારતઃ વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતની અસલી તાકાત વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીન અભિગમને લોકો સાથે જોડવામાં છે.

પ્રધાનમંત્રીએ ભૂતકાળનાં મહાન વિજ્ઞાનીઓ જે સી બોઝ, સી વી રમન, મેઘનાદ સાહા અને એસ એમ બોઝ જેવા આચાર્યોનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, આ લોકોએ લઘુતમ સંસાધનઅને મહત્તમ પ્રયાસમારફતે જનતાની સેવા કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “સેંકડો ભારતીય વિજ્ઞાનીઓનું જીવન અને કાર્ય ટેકનોલોજીનાં વિકાસ અને રાષ્ટ્રનિર્માણનાં સંબંધમાં તેમનાં ઊંડા મૂળભૂત દ્રષ્ટિકોણની સંપૂર્ણતાનો પરિચય આપે છે. આપણાં વિજ્ઞાનનાં આધુનિક મંદિરોનાં માધ્યમથી ભારત પોતાનાં વર્તમાનને બદલી રહ્યો છે અને પોતાનાં ભવિષ્યને સુરક્ષિત કરવાનું કામ કરી રહ્યો છે.

પ્રધાનમંત્રીએ આપણાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રીઓ શ્રી લાલબહાદુર શાસ્ત્રી અને શ્રી અટલબિહારી વાજપેયીને યાદ કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે, શાસ્ત્રીજીએ જય જવાન, જય કિસાનનું સૂત્ર આપ્યું હતું, તો અટલજીએ આ સૂત્રમાં જય વિજ્ઞાનને જોડ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આપણે એક કદમ આગળ વધીએ અને હવે એમાં જય અનુસંધાનને જોડવાનો સમય પાકી ગયો છે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે, વિજ્ઞાનનું લક્ષ્યાંક બે ઉદ્દેશોને પ્રાપ્ત કરવાથી પૂર્ણ થાય છે સઘન જ્ઞાનનું સર્જન અને આ જ્ઞાનને સામાજિક-આર્થિક ભલાઈનાં કામમાં લગાવવું.

શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, વિજ્ઞાન ઇકો-સિસ્ટમની શોધને પ્રોત્સાહન આપવાની સાથે આપણે નવીન અભિગમ અને સ્ટાર્ટ-અપ પર પણ ધ્યાન આપવું પડશે. તેમણે જણાવ્યું હતું કે, સરકારે વિજ્ઞાનીઓમાં નવીન અભિગમને પ્રોત્સાહન આપવા માટે અટલ ઇનોવેશન મિશનની શરૂઆત કરી છે. તેમણે કહ્યું હતું કે, 40 વર્ષની સરખામણીમાં છેલ્લાં ચાર વર્ષ દરમિયાન વધારે ટેકનોલોજી બિઝનેસ ઇન્ક્યુબેટર્સ સ્થાપિત કરવામાં આવ્યાં છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આપણાં વિજ્ઞાનીકોને સસ્તી આરોગ્ય સેવા, મકાન, સ્વચ્છ પાણી, જળ અને ઊર્જા, કૃષિ ઉત્પાદકતા અને ખાદ્ય પ્રસંસ્કરમની સમસ્યાઓનું સમાધાન કરવા માટે પોતાને પ્રતિબદ્ધ કરવાં પડશે. વિજ્ઞાન સાર્વભૌમિક છે એટલે ટેકનોલોજીની સ્થાનિક જરૂરિયાતો અને પરિસ્થિતિઓને અનુરૂપ સમાધાન પ્રદાન કરવા માટે સ્થાનિક દ્રષ્ટિકોણ અપનાવવો પડશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, બિગ ડેટા એનાલીસિસ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બ્લોક-ચેન વગેરેનો ઉપયોગ કૃષિ ક્ષેત્ર, ખાસ કરીને ઓછી જમીન ધરાવતાં ખેડૂતોની મદદ માટે કરવો જોઈએ.

પ્રધાનમંત્રીએ વિજ્ઞાનીકોને અપીલ કરી હતી કે તેઓ લોકોનાં જીવનને સુગમ બનાવવા માટે કામ કરે. આ સંદર્ભમાં તેમણે ઓછો વરસાદ ધરાવતાં વિસ્તારોમાં દુષ્કાળનું વ્યવસ્થાપન, આફત પૂર્વે ચેતવણીની વ્યવસ્થા સ્થાપિત કરવા, કુપોષણને દૂર કરવા, એન્સેફેલાઈટીસ (બાળકોમાં મગજનો તાવ) જેવી બિમારીઓને દૂર કરવા, સ્વચ્છ ઊર્જા, પીવાનું સ્વચ્છ પાણી અને સાયબર સુરક્ષા જેવા મુદ્દાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ ક્ષેત્રોમાં સંશોધન મારફતે સમયસર સમાધાન મેળવવું જોઈએ.

પ્રધાનમંત્રીએ વર્ષ 2018માં ભારતીય વિજ્ઞાનની મુખ્ય સફળતાઓનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં નીચેની બાબતો સામેલ છેઃ

  • વિમાનોનાં ઉપયોગ કરવા ઉચિત જૈવઇંધણનું ઉત્પાદન
  • દિવ્ય ચક્ષુ દ્રષ્ટિની ખામીઓ ધરાવતાં માટે મશીન
  • ગ્રીવાનું કેન્સર, ટીબી અને ડેન્ગ્યુનાં નિદાન માટે સસ્તાં ઉપકરણો
  • સિક્કિમ-દાર્જિલિંગ વિસ્તારમાં વાસ્તવિક સમયમાં ભૂસ્ખલનની ચેતવણી આપવાની વ્યવસ્થા

તેમણે કહ્યું હતું કે, ઔદ્યોગિક ઉત્પાદનો મારફતે અમારી સંશોધન અને વિકાસની સફળતાનો લાભ ઉઠાવવા માટે વેપાર અને વાણિજ્ય ક્ષેત્રને મજબૂત કરવા જરૂરી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સંશોધનની કળા અને માનવશાસ્ત્ર, સમાજવિજ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજીને સાથે જોડવા જોઈએ.

પ્રધાનમંત્રીએ આપણી રાષ્ટ્રીય પ્રયોગશાળાઓ, કેન્દ્રીય વિશ્વવિદ્યાલયો, આઈઆઈટી, આઈઆઈએસસી, ટીઆઈએફઆર અને આઈઆઈએસઈઆર પર આધારિત સંશોધન અને વિકાસનાં આધાર પર દેશની શક્તિનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, રાજ્ય વિશ્વવિદ્યાલયો અને કોલેજોમાં પણ મજબૂત સંશોધન ઈ-સિસ્ટમ વિકસિત કરવી જોઈએ.

તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય આંતરવિષયી સાયબર ભૌતિક વ્યવસ્થાઓને મંજૂરી આપી દીધી છે, જેમાં રૂ. 3600 કરોડથી વધારેનું રોકાણ થવાની છે. આ મિશન અંતર્ગત સંશોધન અને વિકાસ, ટેકનોલોજીનો વિકાસ, માનવ સંસાધન અને કૌશલ્ય, નવીન અભિગમ, સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ, મજબૂત ઉદ્યોગ અને આંતરરાષ્ટ્રીય સહયોગને મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે.

અંતરિક્ષમાં પ્રાપ્ત થનારી સફળતાઓ વિશે પ્રધાનમંત્રીએ કોર્ટોસેટ-2 અને અન્ય ઉપગ્રહોની સફળતાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, વર્ષ 2022માં ગગનયાન મારફતે અંતરિક્ષમાં ત્રણ ભારતીયોને મોકલવાની તૈયારી ચાલી રહી છે. તેમણે સિકલ સેલ એનિમિયાનું અસરકારક સમાધાન શોધવા માટે સંશોધન શરૂ થવા પર પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી વિજ્ઞાન અને ટેકનોલોજી તથા નવીન અભિગમ સલાહકાર પરિષદ પાસેથી વિજ્ઞાન અને ટેકનોલોજીનાં ઉચિત ઉપાય કરવામાં મદદ મળશે. તેમણે જણાવ્યું હતું કે, અમે પ્રધાનંમત્રી રિસર્ચ ફેલો યોજના શરૂ કરી છે, જે અંતર્ગત દેશનાં સર્વશ્રેષ્ઠ સંસ્થાઓમાંથી પ્રતિભાશાળીઓને આઈઆઈટી અને આઈઆઈએસસીમાં પીએચડી કાર્યક્રમો માટે સીધો પ્રવેશ આપવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, આ યોજનાથી શ્રેષ્ઠ સંશોધનનો માર્ગ મોકળો થશે અને મુખ્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષકોની ઊણપની સમસ્યા દૂર થશે.

 

 RP



(Release ID: 1558550) Visitor Counter : 387