કૃષિ મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારતની સૌપ્રથમ સોઈલ કાર્બન પેમેન્ટ્સ વડે ખેડૂતો પુનરુત્પાદક કૃષિના કેન્દ્રસ્થાને આવ્યા


પંજાબ અને હરિયાણાના 2,500થી વધુ ખેડૂતોને ₹2.9 કરોડથી વધુની ચૂકવણી કરવામાં આવશે

પોસ્ટેડ ઓન: 17 SEP 2026 12:09PM by PIB Ahmedabad

ભારતનું એગ્રીકલ્ચરલ કાર્બન માર્કેટ નીતિઓમાંથી નીકળીને ખેતરના સ્તર સુધી પહોંચ્યું છે, જેમાં પંજાબ અને હરિયાણાના 2,500 થી વધુ નાના અને સીમાંત ખેડૂતો પુનરુત્પાદક ખેતીની પદ્ધતિઓ અપનાવવા બદલ ડિજિટલ ચૂકવણી મેળવવા માટે તૈયાર છે. પ્રથમ ચૂકવણીઓ લુધિયાણાની પંજાબ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી (PAU) ખાતે આયોજિત એક કાર્યક્રમમાં રિલીઝ કરવામાં આવી હતી, જે ટકાઉ કૃષિ પદ્ધતિઓ અને ખેડૂતો માટે વધારાની આવક વચ્ચેની નવી કડી દર્શાવે છે. કૃષિ સંશોધન અને શિક્ષણ વિભાગ (DARE)ના સચિવ તથા ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR)ના મહાનિર્દેશક ડૉ. એમ. એલ. જાટે પંજાબ અને હરિયાણાના 2,550 ખેડૂતોને સીધા લાભ હસ્તાંતરણ (DBT) દ્વારા ચુકવણીની શરૂઆત કરી.

આ ચૂકવણીઓ 'આદિ' (Aadi) નો એક ભાગ છે, જે ICAR ના તકનીકી માર્ગદર્શન હેઠળ 2019માં શરૂ કરાયેલ ગ્રો ઈન્ડિગો (Grow Indigo) ખેડૂત કાર્બન પ્રોગ્રામ છે. આ પ્રોગ્રામ હેઠળ, ખેડૂતોએ 2019 અને 2022ની વચ્ચે ડાયરેક્ટ સીડેડ રાઈસ (DSR), ઓછી ખેડ (reduced tillage), અને પાકના અવશેષોના વ્યવસ્થાપન જેવી પદ્ધતિઓ અપનાવી હતી. કાર્બન ક્રેડિટ્સ ઇશ્યૂ કરવામાં આવે તે પહેલાં ગ્રીનહાઉસ-ગેસમાં થયેલો ઘટાડો અને જમીનમાં કાર્બનમાં થયેલા વધારાનું માપન અને સ્વતંત્ર રીતે ચકાસણી કરવામાં આવી હતી. આ પ્રોગ્રામ સાત રાજ્યોમાં બે મિલિયન એકરથી વધુ જમીન અને 100,000 થી વધુ ખેડૂતોને આવરી લે છે અને તેણે Verra VM0042 પદ્ધતિ હેઠળ કૃષિ કાર્બન ક્રેડિટ્સ ઇશ્યૂ કરી છે.

આ પ્રોગ્રામ પંજાબ અને હરિયાણામાં પુનરુત્પાદક કૃષિ તરફના વ્યાપક પરિવર્તન પર આધારિત છે, જેમાં પાકના અવશેષોનું વ્યવસ્થાપન, જળ સંચય અને જમીનની ગુણવત્તા તથા આબોહવા પરિવર્તન સામે ટકી રહેવાની ક્ષમતામાં સુધારો કરવાના હેતુથી બનેલી ખેતી પ્રણાલીઓનો સમાવેશ થાય છે. ICAR સંસ્થાઓએ ગ્રીનહાઉસ-ગેસ એકાઉન્ટિંગ, ક્રોપ-સિમ્યુલેશન મોડેલિંગ, સોઈલ-સેમ્પલિંગ પ્રોટોકોલ્સ, ઉપકરણોની ચકાસણી, ફીલ્ડ-ટીમ ટ્રેનિંગ અને સેટેલાઇટ તથા રિમોટ-સેન્સિંગ અભિગમ જેવા ક્ષેત્રોમાં વૈજ્ઞાનિક અને ક્ષેત્રીય નિષ્ણાતતાનું યોગદાન આપ્યું છે. ICAR-ઇન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (IARI), નવી દિલ્હીએ આ પ્રક્રિયાઓમાં યોગદાન આપ્યું છે, જ્યારે ગ્રો ઇન્ડિગો પણ પુનરુત્પાદક કૃષિને પ્રોત્સાહન આપવા માટે ICAR-એગ્રીકલ્ચરલ ટેકનોલોજી એપ્લિકેશન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (ATARI), ઝોન 1 સાથે કામ કરી રહ્યું છે.

વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન હેઠળ તેમની પંજાબ મુલાકાતો અને ખેડૂતો તથા કૃષિ સંસ્થાઓ સાથેની તેમની વાર્તાલાપ દરમિયાન, કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે ખેડૂત-કેન્દ્રી કૃષિ સંશોધન અને ટકાઉ તકનીકોના ક્ષેત્ર-સ્તરે અપનાવવા પર ભાર મૂક્યો છે. તેમણે સીધા વાવેતર વાળા ડાંગર અને અવશેષ-વ્યવસ્થાપન પદ્ધતિઓના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. જૂન 2025 ની તેમની પંજાબ મુલાકાત દરમિયાન, તેમણે આ અભિયાનના ભાગરૂપે ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો હતો અને ખેતી પદ્ધતિઓની સમીક્ષા કરી હતી.

ડૉ. એમ. એલ. જાટ, સચિવ, DARE અને ડાયરેક્ટર જનરલ, ICAR એ જણાવ્યું હતું કે આ પહેલ દર્શાવે છે કે વૈજ્ઞાનિક મૂલ્યાંકન અને કડક ચકાસણી દ્વારા સમર્થિત ક્લાઇમેટ-સ્માર્ટ ખેતી પદ્ધતિઓ, જળ સંચય અને હવાની ગુણવત્તામાં સુધારામાં યોગદાન આપવાની સાથે નાના અને સીમાંત ખેડૂતો માટે આવકની વધારાની તકો કેવી રીતે ઊભી કરી શકે છે. તેમણે ભાગ લેનારા ખેડૂતોને અભિનંદન પાઠવ્યા હતા અને આ પહેલને સમર્થન આપતી વૈજ્ઞાનિક વ્યવસ્થામાં ICAR સંસ્થાઓના યોગદાનનો સ્વીકાર કર્યો હતો.

કાર્બન પેમેન્ટ્સ એવી પદ્ધતિઓ માટે આર્થિક પ્રોત્સાહન પૂરું પાડે છે જે પર્યાવરણીય લાભો પણ પેદા કરી શકે છે. ડાયરેક્ટ સીડેડ રાઈસ પરંપરાગત રોપણીની સરખામણીમાં સિંચાઈની જરૂરિયાતો ઘટાડી શકે છે, જ્યારે પાકના અવશેષોનું સુધારેલું વ્યવસ્થાપન પરાળ બાળવાની પ્રવૃત્તિ અને તેનાથી થતા વાયુ પ્રદૂષણને ઘટાડવામાં મદદ કરી શકે છે. 2019-2022 દરમિયાન નોંધાયેલા ખેતરો માટે, આ પ્રોગ્રામ 45 બિલિયન લિટર પાણીની બચત અને બે લાખ ટનથી વધુ પાકના અવશેષોને આગમાં બળતા અટકાવવાનો અંદાજ લગાવે છે, જેનાથી અંદાજે 1,000 ટન PM2.5 ઉત્સર્જન ટાળી શકાયું છે.

ખેડૂતોને તેમના ખેતરોમાંથી ઉત્પાદિત કાર્બન ક્રેડિટના તેમના હિસ્સા અનુસાર ચૂકવણી કરવામાં આવી હતી. ગ્રો ઇન્ડિગોએ કાર્બન ક્રેડિટ સંપૂર્ણપણે વેચાય તે પહેલાં ખેડૂતોને વેચાણની ઉપજની રાહ જોયા વગર ચૂકવણી મેળવવા માટે સક્ષમ બનાવીને પોતાના ફંડમાંથી ડિજિટલી આ રકમ રિલીઝ કરી હતી. ખેડૂતો નિશ્ચિત અગાઉથી ચૂકવણી અને ક્રેડિટ્સ વેચાયા પછી ચોખ્ખી કાર્બન આવકના 75 ટકા વચ્ચે પસંદગી કરી શકતા હતા. પ્રથમ વિતરણમાં આશરે 30,000 એકર અને 50,000 થી વધુ કાર્બન ક્રેડિટ્સ આવરી લેવામાં આવી હતી, જેમાં ભાગ લેનારા ખેડૂતોને આશરે ₹3,000–₹15,000 પ્રાપ્ત થયા હતા.

આ ચૂકવણીઓ માપન અને સ્વતંત્ર ચકાસણીની બહુ-વર્ષીય પ્રક્રિયા પછી કરવામાં આવી હતી. જે ખેડૂતો 2022 પછી આ પ્રોગ્રામમાં જોડાયા છે તેઓ આગામી મોનિટરિંગ સાયકલનો ભાગ છે અને જેમ જેમ તેમની કાર્બન ક્રેડિટ્સ ઇશ્યૂ થશે તેમ તેમ તેઓ ચૂકવણી મેળવશે.

ગ્રો ઇન્ડિગોના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડૉ. ઉષા બારવાલે ઝેહરે આ ચૂકવણીને ભારતમાં પ્રથમ એવા કિસ્સા તરીકે વર્ણવ્યો હતો જેમાં ખેડૂતોને તેમની જમીનમાં સંગ્રહિત કાર્બન માટે ચૂકવણી કરવામાં આવી રહી છે અને વૈજ્ઞાનિક મૂલ્યાંકન અને ચકાસણી પ્રક્રિયા દરમિયાન ભાગ લેનારા ખેડૂતોના વિશ્વાસ અને ધીરજ બદલ આભાર માન્યો હતો. નૂરપુર બેટ, લુધિયાણાના ખેડૂત હરિંદરજીત ગિલ અને સંગરુરના અમનદીપ કૌરે પણ તેમના અનુભવો શેર કર્યા હતા, જેમાં પુનરુત્પાદક પદ્ધતિઓ ચાલુ રાખવા અને પાકના અવશેષો બાળવાનું ટાળવા સાથે સંકળાયેલા આર્થિક અને પર્યાવરણીય લાભો પર પ્રકાશ પાડ્યો હતો.

આ પહેલ ICAR, કૃષિ યુનિવર્સિટીઓ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (KVKs) અને રાજ્ય સંસ્થાઓ દ્વારા સમર્થિત વ્યાપક કૃષિ પરિવર્તનનો એક ભાગ છે. ક્ષેત્ર-સ્તરના અનુભવો, ખેતી પ્રણાલીઓમાં ટકાઉપણું અને ઉત્પાદકતાને સાંકળવાના ઉદ્દેશ્ય સાથે અવશેષ જાળવણી, ન્યૂનતમ જમીન વિક્ષેપ, DSR, વિવિધ પાક પદ્ધતિ, સુધારેલી સોઈલ બાયોલોજી અને કાર્યક્ષમ જળ ઉપયોગ જેવી પદ્ધતિઓને વ્યાપકપણે અપનાવવા માટેનો પાયો પૂરો પાડી રહ્યા છે.

પંજાબમાં ખેતરોમાં આગ લગાડવાની ઘટનાઓમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. સરકારના આંકડા અનુસાર, 2025ની ડાંગરની લણણીની મોસમ દરમિયાન પંજાબમાં ખેતરમાં આગ લગાડવાની 5,114 ઘટનાઓ નોંધાઈ હતી, જે વર્તમાન માળખા હેઠળ દેખરેખ શરૂ થયા બાદની સૌથી ઓછી સંખ્યા છે. 2021ની સરખામણીએ તેમાં 93 ટકા અને 2022ની સરખામણીએ 90 ટકાનો ઘટાડો નોંધાયો છે. મોગાનું રણસિંહ કલાં મોડેલ પણ સતત પાક અવશેષ વ્યવસ્થાપનના પ્રયાસોની સંભાવના દર્શાવે છે. આ ગામે સતત છ વર્ષ સુધી 1,310 એકર વિસ્તારમાં પાક અવશેષો સળગાવ્યા વિના 100 ટકા સ્થિતિ જાળવી રાખી છે.

આ વિકાસનું મહત્વ આંતરરાષ્ટ્રીય કૃષિ સહયોગ સુધી પણ વિસ્તરે છે. ભારતની અધ્યક્ષતા હેઠળ જૂન 2026માં ઇન્દોરમાં યોજાયેલી 16મી BRICS કૃષિ મંત્રીઓની બેઠકમાં, આબોહવા પરિવર્તન સામે ટકી રહેવાની ક્ષમતા અને ઉત્પાદકતા માટે એગ્રોઈકોલોજી અને રિજનરેટિવ એગ્રીકલ્ચર પર BRICS નેટવર્ક ઓફ સેન્ટર્સ ઓફ એક્સેલન્સ સ્થાપવા સંમતિ વ્યક્ત કરવામાં આવી હતી, જેમાં પ્રથમ સમન્વય ICAR-ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મિંગ સિસ્ટમ રિસર્ચ (IIFSR), મોદીપુરમ દ્વારા કરવામાં આવશે. સપ્ટેમ્બર 2026માં અપનાવવામાં આવેલા BRICS નવી દિલ્હી ઘોષણાપત્રમાં આ નેટવર્ક દ્વારા સહયોગ મજબૂત કરવાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

લુધિયાણા પહેલ ભારતના કૃષિ પરિવર્તનના ત્રણ પરસ્પર જોડાયેલા પાસાંને એકસાથે લાવે છે: ખેડૂત-કેન્દ્રિત, ખેતર-આધારિત કૃષિ સંશોધન; તેની સંશોધન સંસ્થાઓ, ATARIs અને KVKs દ્વારા ICARનો ‘લેબ-ટુ-લેન્ડ’ અભિગમ; અને ટકાઉ કૃષિ પદ્ધતિઓને વહેંચવા તથા વ્યાપક સ્તરે અપનાવવા માટેનું આંતરરાષ્ટ્રીય સહયોગ. જમીનના કાર્બન માટે કરવામાં આવેલી પ્રથમ ચૂકવણીઓ દર્શાવે છે કે વૈજ્ઞાનિક રીતે માપવામાં આવેલા પર્યાવરણીય પરિણામોને ખેડૂતો માટેના આર્થિક પ્રોત્સાહનો સાથે કેવી રીતે જોડાઈ શકાય છે, જેની સાથે સંસાધનોના સંરક્ષણ, આબોહવા પરિવર્તન સામેની સ્થિતિસ્થાપકતા અને ટકાઉ કૃષિ ઉત્પાદનને પણ પ્રોત્સાહન મળે છે.

 

SM/BS/GP/JT


(રીલીઝ આઈડી: 2311248) મુલાકાતી સંખ્યા : 13
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी