પર્યાવરણ અને વન મંત્રાલય
કેન્દ્રીય પર્યાવરણ મંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં વર્લ્ડ સર્ક્યુલર ઈકોનોમી ફોરમ (WCEF) 2026નું ઉદ્ઘાટન કર્યું
WCEF2026એ વિશ્વ માટે વ્યવહારુ સર્ક્યુલર સોલ્યુશન્સ વિકસાવીને વસુધૈવ કુટુમ્બકમની ભાવનાને મૂર્ત સ્વરૂપ આપવું જોઈએ: મુખ્યમંત્રી (ગુજરાત), શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
બદલતા પહેલાં રિપેર કરો, ફેંકી દેતા પહેલાં પુનઃઉપયોગ કરો, કચરો બનતા પહેલાં પુનઃપ્રાપ્ત કરો - ભારતનો સર્ક્યુલારિટીનો વિચાર પરંપરામાં રહેલો છે: શ્રી ભૂપેન્દ્ર યાદવ
સર્ક્યુલારિટી મૂળભૂત રીતે સહયોગી છે - જ્ઞાન, ટેકનોલોજી, નાણાં અને જવાબદારી સરહદો અને ક્ષેત્રોમાં સરકવાની જરૂર છે: કેન્દ્રીય પર્યાવરણ મંત્રી
પોસ્ટેડ ઓન:
15 SEP 2026 12:20PM by PIB Ahmedabad
કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાથે મળીને આજે ગાંધીનગરમાં વર્લ્ડ સર્ક્યુલર ઈકોનોમી ફોરમ 2026 નું ઉદ્ઘાટન કર્યું. આ ફોરમનું આયોજન 15 થી 18 સપ્ટેમ્બર દરમિયાન 'સર્ક્યુલર ઈકોનોમી: ટ્રાન્ઝિશન ફોર પીપલ એન્ડ પ્રોસ્પેરીટી' થીમ હેઠળ કરવામાં આવી રહ્યું છે. ઉદ્ઘાટન સત્રમાં ઉપસ્થિત અન્ય મહાનુભાવોમાં વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રી (ગુજરાત), શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા; વન અને પર્યાવરણ, આબોહવા પરિવર્તન રાજ્ય મંત્રી (ગુજરાત), શ્રી પ્રવીણભાઈ માળી; ભારતમાં ફિનલેન્ડના રાજદૂત, એચ.ઈ. શ્રી મિક્કો કિવિકોસ્કી; નાણાકીય બાબતો અને આબોહવા મંત્રાલય (નેધરલેન્ડ) ના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ (સર્ક્યુલર ઈકોનોમી), સુશ્રી મેરીકે સ્પાઇકરબોઅર; SITRA ના પ્રમુખ, શ્રી અટ્ટે જાસ્કેલાઇનેન, ભારત સરકાર અને ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા.

તેમના વિશેષ સંબોધનમાં શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે દક્ષિણ એશિયામાં WCEF ની પ્રથમ વખતની યજમાની પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ ભારતના વધતા વૈશ્વિક નેતૃત્વને પ્રતિબિંબિત કરે છે. તેમણે કહ્યું કે મિશન LiFE વૈશ્વિક સર્ક્યુલર ઈકોનોમીના પાયા તરીકે ઉભરી રહ્યું છે અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ફોરમ વિશ્વ માટે વ્યવહારુ સર્ક્યુલર ઈકોનોમી પદ્ધતિઓનું પ્રદર્શન કરશે.
મુખ્યમંત્રીએ વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવીને પર્યાવરણ સંરક્ષણ તરફ ગુજરાતની યાત્રા પર પ્રકાશ પાડ્યો હતો. પરંપરાગત સર્ક્યુલર પદ્ધતિઓ પર પ્રકાશ પાડતા, તેમણે સોમનાથ મંદિરમાં ચડાવાતી વસ્તુઓને પુનઃઉપયોગી સંસાધનોમાં રિસાયકલ કરવાનો અને સ્થાનિક સમુદાયો માટે આજીવિકા ઊભી કરવાનો ઉદાહરણ આપ્યો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પુનઃઉપયોગની સંસ્કૃતિ અને કચરાને કંચનમાં પરિવર્તિત કરવાની વિભાવના લાંબા સમયથી ભારતીય પરંપરાઓનો હિસ્સો રહી છે, અને WCEF ને વિશ્વ માટે વ્યવહારુ સર્ક્યુલર સોલ્યુશન્સ વિકસાવીને વસુધૈવ કુટુમ્બકમની ભાવનાને મૂર્ત સ્વરૂપ આપવા આહ્વાન કર્યું હતું.

આ પ્રસંગે તેમના મુખ્ય પ્રવચનમાં શ્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે ભારત માટે સર્ક્યુલર ઈકોનોમી એ "કોઈ નવું ગંતવ્ય નથી; તે એક જૂના જ્ઞાનને જોવાની નવી રીત છે". તેમણે કહ્યું કે પુનઃઉપયોગ, રિપેર અને સંસાધનો પ્રત્યે આદરના સિદ્ધાંતો ભારતના સામાજિક અને સાંસ્કૃતિક તાણાવાણામાં ઊંડે સુધી વણાયેલા છે. "જેને આપણે હવે નીતિગત ભાષામાં સર્ક્યુલારિટી તરીકે વર્ણવીએ છીએ તે એક સમયે રોજિંદા ભારતીય જીવનમાં સાદો સામાન્ય જ્ઞાન હતો - બદલતા પહેલાં રિપેર કરો, ફેંકી દેતા પહેલાં પુનઃઉપયોગ કરો, અને કચરો બનતા પહેલાં પુનઃપ્રાપ્ત કરો", તેમણે જણાવ્યું. મંત્રીએ કહ્યું કે પસંદગી વિકાસ અને પર્યાવરણ વચ્ચેની નથી, પરંતુ વિકાસને વધુ સંસાધન-કાર્યક્ષમ, સ્થિતિસ્થાપક અને ટકાઉ બનાવવાની તક છે. "સર્ક્યુલર ઈકોનોમીનું સાચું માપદંડ એ નહીં હોય કે આપણે કેટલો કચરો રિસાયકલ કરીએ છીએ, પરંતુ એ હશે કે આપણે કેટલા ઓછા મૂલ્યનો બગાડ થવા દઈએ છીએ," તેમણે વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે WCEF 2026 સર્ક્યુલર ભવિષ્ય માટે ભાગીદારી અને સોલ્યુશન્સ ઘડશે.
શ્રી યાદવે એ વાત પર પ્રકાશ પાડ્યો હતો કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, ભારતે નિયમનકારી સુધારા અને ડિજિટલ અનુપાલન પ્રણાલીઓ દ્વારા સર્ક્યુલર ઈકોનોમી તરફ પગલાં ભર્યા છે, જેમાં ક્ષેત્ર-વિશિષ્ટ વેસ્ટ મેનેજમેન્ટ નિયમોને મજબૂત બનાવવા અને એક્સટેન્ડેડ પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટી (EPR) ની રજૂઆત કરવાનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે "કચરાને હવે પ્રોડક્ટની યાત્રાના અંત તરીકે જોવો જોઈએ નહીં, પરંતુ બીજા સંસાધન ચક્રની શરૂઆત તરીકે જોવો જોઈએ." ઓગસ્ટ 2026 સુધીમાં, 83,000 થી વધુ ઉત્પાદકો અને 4,802 રિસાયકલર્સ વિવિધ EPR માળખા હેઠળ નોંધાયેલા હતા, જેમાં નિયંત્રિત કચરાના પ્રવાહોમાં લગભગ 482.24 લાખ મેટ્રિક ટન કચરા પર પ્રક્રિયા કરવામાં આવી હતી, તેમણે માહિતી આપી.

મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે માત્ર નિયમન સર્ક્યુલર ઈકોનોમી બનાવી શકતું નથી અને સર્ક્યુલારિટી લોકો કેવી રીતે વપરાશ કરે છે તેનાથી પણ શરૂ થવી જોઈએ. લાઇફસ્ટાઇલ ફોર એન્વાયર્નમેન્ટ (LiFE) નો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે સર્ક્યુલર ઈકોનોમી માત્ર રિસાયક્લિંગ પ્લાન્ટમાં જ બનાવી શકાતી નથી, જ્યારે તેની શરૂઆત બજારમાં થવી જોઈએ, ઘરોમાં ચાલુ રહેવી જોઈએ અને આખરે દૈનિક જીવનમાં એક આદત બનવી જોઈએ. સર્ક્યુલારિટીને મૂળભૂત રીતે સહયોગી ગણાવતા, મંત્રીએ કહ્યું કે કોઈ દેશ, કંપની કે સમુદાય એકલા ચક્રને પૂરું કરી શકતા નથી, અને જ્ઞાન, ટેકનોલોજી, નાણાં અને જવાબદારી સરહદો અને ક્ષેત્રોમાં સરકવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે ભારતની સર્ક્યુલર ઈકોનોમી પરના આંતરરાષ્ટ્રીય સહયોગ પર પ્રકાશ પાડ્યો, જેમાં ભારતની G20 અધ્યક્ષતા દરમિયાન શરૂ કરાયેલ રિસોર્સ એફિશિયન્સી એન્ડ સર્ક્યુલર ઈકોનોમી ઇન્ડસ્ટ્રી કોએલિશન (RECEIC) નો સમાવેશ થાય છે. મંત્રીએ એ પણ જણાવ્યું કે કેવી રીતે ભારતની BRICS અધ્યક્ષતાએ ટકાઉ જીવનશૈલી, ઇકોસિસ્ટમ પુનઃસ્થાપન અને અનુકૂલનની સાથે સર્ક્યુલર ઈકોનોમીને પરસ્પર જોડાયેલી પ્રાથમિકતાઓ તરીકે રાખી છે.
આ પ્રસંગે સંબોધન કરતા શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ મહાત્મા ગાંધીના એ સંદેશને યાદ કર્યો કે પૃથ્વી પાસે દરેકની જરૂરિયાતો પૂરી કરવા માટે પૂરતું છે, પરંતુ દરેકની લાલચ માટે નહીં. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સર્ક્યુલર ઈકોનોમીનો પાયો નાખ્યો હતો, જે હવે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ આગળ વધારવામાં આવી રહ્યો છે, જે રાજ્યને સર્ક્યુલર ટ્રાન્ઝિશન માટે વૈશ્વિક હબ તરીકે સ્થાપિત કરે છે. તેમણે એક ટકાઉ અને સ્થિતિસ્થાપક ભવિષ્યના નિર્માણ માટે કચરાને સંસાધનોમાં અને સંસાધનોને મૂલ્યમાં ફેરવવા માટે આહ્વાન કર્યું.

એચ.ઈ. શ્રી મિક્કો કિવિકોસ્કીએ જણાવ્યું હતું કે સર્ક્યુલારિટી એ કોઈ અલગ પર્યાવરણીય એજન્ડા નથી પરંતુ વિકાસ વિશે વિચારવાની એક મૂળભૂત રીત છે અને તે ફિનલેન્ડની રાષ્ટ્રીય નીતિનો એક અભિન્ન ભાગ બની ગઈ છે. તેમણે 2035 સુધીમાં સંસાધનનો વપરાશ 2015 ના સ્તરથી નીચે રાખવાની ફિનલેન્ડની આકાંક્ષા પર પ્રકાશ પાડ્યો અને નોંધ્યું કે ભારતમાં કાર્યરત 100 થી વધુ ફિનિશ કંપનીઓ ટકાઉ ટેકનોલોજી અને સર્ક્યુલર સિદ્ધાંતો સાથે કામ કરી રહી છે. તેમણે શું ઉત્પાદન થાય છે અને શક્ય હોય ત્યાં સુધી મૂલ્ય કેવી રીતે જાળવી શકાય તે અંગે પુનઃવિચાર કરીને સર્ક્યુલારિટીને અપસ્ટ્રીમમાં લઈ જવાની જરૂરિયાત પર ભાર મૂક્યો, અને નોંધ્યું કે "સૌથી શ્રેષ્ઠ કચરો એ છે જે ક્યારેય બનાવવામાં આવ્યો જ નથી". તેમણે ડિજિટલાઇઝેશન અને ટકાઉપણું પર ધ્યાન કેન્દ્રિત કરીને ભારત-ફિનલેન્ડ સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીમાં વધારવાનો ઉલ્લેખ કર્યો.

સુશ્રી મેરીકે સ્પાઇકરબોઅરે રેખાંકિત કર્યું કે સર્ક્યુલર ટ્રાન્ઝિશન એ ડચ ઔદ્યોગિક નીતિનો એક અભિન્ન ભાગ છે, જેમાં દેશ 2050 સુધીમાં સંપૂર્ણ સર્ક્યુલર બનવાની આકાંક્ષા ધરાવે છે. તેમણે સામગ્રીના વપરાશને ઘટાડવામાં થયેલી પ્રગતિ, સર્ક્યુલર ઈકોનોમી કાયદા અને EPR પ્રણાલીઓને મજબૂત કરવાના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો, અને ભારપૂર્વક જણાવ્યું કે સર્ક્યુલર વેલ્યુ ચેઇન્સ બનાવવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગ અનિવાર્ય છે. WCEF 2026 માં 20 થી વધુ ડચ કંપનીઓ અને સંસ્થાઓની ભાગીદારી નોંધતા, તેમણે મોટી કંપનીઓ તેમજ સ્ટાર્ટ-અપ્સમાં સર્ક્યુલારિટીને આગળ વધારવામાં ભારતની ઉર્જા અને આકાંક્ષાની પ્રશંસા કરી.

મહાનુભાવોએ સ્થળ પર 135 રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રદર્શનકર્તાઓને દર્શાવતા WCEF2026 પ્રદર્શનનું ઉદ્ઘાટન અને સમીક્ષા કરી, જેમાં વ્યવહારુ સર્ક્યુલર સોલ્યુશન્સ દર્શાવવામાં આવ્યા હતા. આ ફોરમમાં 62 દેશોના 3600 થી વધુ ક્રોસ-સેક્ટરલ સ્ટેકહોલ્ડર્સ ભાગ લઈ રહ્યા છે, જેમાં બિઝનેસ લીડર્સ, સાહસિકો, ઇનોવેટર્સ, સંશોધકો, નીતિ નિર્માતાઓ, શિક્ષણશાસ્ત્રીઓ, ચેન્જમેકર્સ અને અન્ય લોકોનો સમાવેશ થાય છે. મહાનુભાવોએ ઉદ્ઘાટન સત્ર દરમિયાન બે સર્ક્યુલર પ્રકાશનો પણ બહાર પાડ્યા. તેઓ છે 'બેસ્ટ પ્રેક્ટિસીસ ફોર રિયુઝ ઓફ ટ્રીટેડ સીવેજ' અને 'ડ્રાઇવિંગ સસ્ટેનેબિલિટી - એ ગાઇડ ટુ ઇન્ડિયાઝ સર્ક્યુલર ઇકોનોમી એન્ડ ઇપીઆર ઇનિશિયેટિવ્સ'.

આ કાર્યક્રમનું સંયુક્ત રીતે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB), ફિનિશ ઇનોવેશન ફંડ સીત્રા (Sitra), ફિનલેન્ડ સરકાર, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (MoEF&CC), ભારત સરકાર, ગુજરાત સરકાર અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે.
SM/NP/JD
(રીલીઝ આઈડી: 2310369)
મુલાકાતી સંખ્યા : 34