પર્યાવરણ અને વન મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારતે મંગોલિયાના ઉલાનબાટારમાં UNCCD CoP17 ખાતે  સમુદાય સંચાલિત ગૌચર પુનઃસ્થાપન માટે આહ્વાન કર્યું


ભારતનો અભિગમ સમુદાયની ભાગીદારીને કેન્દ્રમાં રાખીને લેન્ડસ્કેપ મેનેજમેન્ટ અને આજીવિકા સહાયને સાંકળે છે: શ્રી ભૂપેન્દ્ર યાદવ

સફળ પુનઃસંચયની શરૂઆત પશુપાલકોને માત્ર લાભાર્થી તરીકે જ નહીં પરંતુ સંરક્ષક તરીકે ગણવાથી થાય છે: કેન્દ્રીય પર્યાવરણ મંત્રી

પોસ્ટેડ ઓન: 26 AUG 2026 8:51AM by PIB Ahmedabad

ભારતે પશુપાલન સમુદાયોને ટકાવી રાખવા, જૈવવિવિધતાનું સંરક્ષણ કરવા અને પાણી અને કાર્બન ચક્રનું નિયમન કરવામાં ઘાસના મેદાનોની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો છે. ભારતે વિજ્ઞાન, સુરક્ષિત અધિકારો અને સમુદાય સંચાલન પર આધારિત પુનઃસ્થાપન અભિગમો અપનાવવા માટે પણ હાકલ કરી છે. UNCCD (યુનાઈટેડ નેશન્સ કન્વેન્શન ટુ કોમ્બેટ ડેઝર્ટિફિકેશન)ના 17મા કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ (CoP17) ખાતે "ગૌચર ભૂમિ પુનઃસ્થાપન અને પશુપાલન સમુદાયોની સુખાકારી" વિષય પર મંત્રી સ્તરીય સંવાદને સંબોધતા, કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી, શ્રી ભૂપેન્દ્ર યાદવે વૈજ્ઞાનિક આયોજન અને સમુદાય ભાગીદારીના સંયોજન દ્વારા ઘાસના મેદાનો અને ગૌચરને પુનઃસ્થાપિત કરવામાં ભારતના અનુભવ પર પ્રકાશ પાડ્યો.

પશુપાલકોની મધ્યસ્થ ભૂમિકા પર ભાર મૂકતાં શ્રી યાદવે જણાવ્યું હતું કે, "સફળ પુનઃસંચયની શરૂઆત પશુપાલકોને માત્ર લાભાર્થી તરીકે જ નહીં પરંતુ સંરક્ષક તરીકે ગણવાથી થાય છે". તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પરંપરાગત જ્ઞાનને આધુનિક વિજ્ઞાન સાથે જોડવાથી એવું પુનઃસંચય થઈ શકે છે જે પર્યાવરણીય રીતે યોગ્ય, આર્થિક રીતે સક્ષમ અને સામાજિક રીતે સમાવેશી હોય. તેમણે ઉપસ્થિત લોકોને માહિતી આપી હતી કે ભારતના ઘાસના મેદાનોની હિમાલયના ગૌચરો અને મધ્ય ભારતીય સવાનાથી લઈને શુષ્ક થાર, કચ્છ ક્ષેત્રો અને દક્ષિણના શોલા સુધીના વિવિધ પરિદ્રશ્યોમાં ફેલાયેલી છે—અને તે દેશના વિશાળ પશુધન અને માનવ વસ્તીને ટકાવી રાખે છે. મંત્રીએ વધુમાં નોંધ્યું હતું કે સેટેલાઇટ આધારિત ડેઝર્ટિફિકેશન એન્ડ લેન્ડ ડિગ્રેડેશન એટલાસ ઘાસના મેદાનોના મેપિંગ અને પુનઃસંચયના આયોજન માટે વૈજ્ઞાનિક આધાર પૂરો પાડે છે, જ્યારે ચરાઈના અધિકારો અને સામુદાયિક વન સંસાધન અધિકારોની મંજૂરી ટકાઉ સંચાલનમાં સ્થાનિક સમુદાયોની ભૂમિકાને મજબૂત કરે છે.

સમુદાય સંરક્ષણની ભારતની પરંપરાગત પ્રણાલીઓને રેખાંકિત કરતા શ્રી યાદવે રાજસ્થાનના ઓરણ (Orans) નું ઉદાહરણ આપ્યું હતું, જે સ્થાનિક સમુદાયો દ્વારા તેમના સાંસ્કૃતિક અને પર્યાવરણીય મહત્વ માટે પૂજનીય અને સંરક્ષિત પવિત્ર ઉપવનો (Sacred Groves) છે. તેમણે માહિતી આપી હતી કે દેશભરમાં લગભગ 0.6 મિલિયન હેક્ટર વિસ્તારને આવરી લેતા આશરે 25,000 સમાન સમુદાય-સંરક્ષિત પવિત્ર ઉપવનો સમુદાયની દેખરેખનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે જ્યારે પશુપાલન જમીનના અધિકારોને સુરક્ષિત કરે છે અને ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ (ઘોરાડ) સહિતના જટિલ આવાસ સ્થાનોનું જતન કરે છે. શ્રી યાદવે ઉમેર્યું હતું કે આમાંના ઘણા પવિત્ર ઉપવનો વૈધાનિક જોગવાઈઓ હેઠળ સંરક્ષિત છે. મંત્રીએ ખુલ્લા વન અને ઘાસના મેદાનની નિવસનતંત્ર (ecosystem) ને પુનઃસ્થાપિત કરવાના ભારતના પ્રયાસોને પણ રેખાંકિત કર્યા હતા, જેમાં ચિત્તાનું પુનઃપ્રવેશ અને ગુજરાતમાં બન્ની જેવા ઘાસના મેદાનોમાં તેનો સૂચિત વિસ્તાર સમાવિષ્ટ છે. તેમણે નોંધ્યું હતું કે ઊંડા મૂળ ધરાવતું ઘાસ જમીનમાં કાર્બન સંગ્રહમાં ફાળો આપે છે, પાણીના શોષણને વધારે છે અને ભારતના આશરે 10 મિલિયન હેક્ટર કાયમી ગોચર અને ચરાણભૂમિમાં ભૂગર્ભજળ રીચાર્જને સપોર્ટ કરે છે.

શ્રી યાદવે પોતાના સંબોધનના સમાપનમાં જણાવ્યું હતું કે ભારતનો અભિગમ સમુદાયની ભાગીદારીને કેન્દ્રમાં રાખીને લેન્ડસ્કેપ મેનેજમેન્ટ, વોટરશેડ વિકાસ, ટકાઉ ચરાઈ, ચારા વિકાસ અને આજીવિકા સહાયને સાંકળે છે. જેમ જેમ વિકસતા દેશો જમીનના ધોવાણની તટસ્થતા (Land Degradation Neutrality) તરફ આગળ વધી રહ્યા છે, તેમ તેમણે ફાઇનાન્સ, ટેકનોલોજી અને જ્ઞાન સુધી સુધારેલી પહોંચ માટે આહ્વાન કર્યું હતું અને ઉમેર્યું હતું કે "ભારત ચરાણભૂમિના પુનઃસંચય માટે સમર્પિત, સુલભ ધિરાણનું સ્વાગત કરે છે, અને સાઉથ-સાઉથ કોર્પોરેશન દ્વારા પોતાના અનુભવો અને ઉકેલો શેર કરવા માટે તૈયાર છે."

 

SM/DK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  


(રીલીઝ આઈડી: 2303462) મુલાકાતી સંખ્યા : 8