ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે સિલિગુડીમાં SSBના વિવિધ પ્રકલ્પોનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કર્યું તથા જવાનો સાથે સંવાદ સાધ્યો
8 રાજ્યો અને 3 દેશો સાથે જોડાયેલો સિલિગુડી કોરિડોર દેશની સુરક્ષા સાથે સીધી રીતે જોડાયેલો છે, મોદી સરકાર ત્રિકોણીય સુરક્ષા ગ્રીડ દ્વારા તેને અભેદ્ય બનાવી રહી છે
'વન બોર્ડર, વન ફોર્સ' હેઠળ, એસએસબીને સૌથી મુશ્કેલ જવાબદારી સોંપવામાં આવી છે – નેપાળ અને ભૂતાન સાથેની ખુલ્લી સરહદની સુરક્ષા, આ જવાનોની કટિબદ્ધતા અને મિત્ર પાડોશી દેશો સાથેના તેમના સાંસ્કૃતિક જોડાણનું સમગ્ર દેશ સન્માન કરે છે
આઝાદીના 80 વર્ષ પછી, લાલ કિલ્લા પરથી સંપૂર્ણ 'વંદે માતરમ' ગવાયું, આ અમર રચના દ્વારા બંકિમ બાબુએ સંદેશ આપ્યો હતો કે સ્વતંત્ર ભારતે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને અપનાવીને જ આગળ વધવું જોઈએ
મોદી સરકારે સંસદમાં બિલ પસાર કરાવીને, સંપૂર્ણ 'વંદે માતરમ'ને સરકારી કાર્યક્રમોનો ભાગ બનાવ્યું છે, આ બંકિમ બાબુના દેશભક્તિના સંદેશને બાળકો અને યુવાનો સુધી પહોંચાડી રહ્યું છે
ઘૂસણખોરી રોકવી અને પશ્ચિમ બંગાળ તેમજ દેશને સુરક્ષિત કરવો એ અમારો સંકલ્પ છે, અને આ માટે ફેન્સિંગ (બોર્ડર સીલિંગ) એ સૌથી મજબૂત ઉપાય છે, શ્રી સુવેન્દુ જીએ માત્ર 45 દિવસમાં બીએસએફ (BSF) અને એસએસબી માટે 1,129 એકર જમીન ઉપલબ્ધ કરાવી
પશ્ચિમ બંગાળના અગાઉના મુખ્યમંત્રી ક્યારેય એસએસબી અને બીએસએફના કાર્યક્રમોમાં હાજરી આપતા ન હતા, એસએસબી, બીએસએફ અને આઈટીબીપી (ITBP) એ કોઈ રાજકીય પક્ષ કે સરકારની એજન્સીઓ નથી; તેઓ સરહદોનું રક્ષણ કરતા દળો છે, તમામ રાજકીય પક્ષોએ આ જવાનો સાથે ઊભા રહેવું જોઈએ
2026-27ના બજેટમાં મંજૂર કરવામાં આવેલા 7 હાઇ-સ્પીડ રેલ કોરિડોરમાં દિલ્હી-સિલિગુડી કોરિડોરનો પણ સમાવેશ થાય છે, આનાથી 2-3 વર્ષમાં દિલ્હીથી સિલિગુડી સુધીની મુસાફરી માત્ર થોડા કલાકોમાં શક્ય બનશે
અમૃત ભારત યોજના દ્વારા, આપણે સિલિગુડી અને જલપાઈગુડી સ્ટેશનોનો કાયાકલ્પ કરી રહ્યા છીએ, અને વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ હેઠળ સરહદી ગામડાઓને જોડીને, આપણે સુરક્ષિત, સંરક્ષિત અને જીવંત જમીની સરહદની વિભાવનાને આગળ વધારી રહ્યા છીએ
प्रविष्टि तिथि:
21 AUG 2026 6:14PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં સશસ્ત્ર સીમા બલ (SSB)ના વિવિધ પ્રકલ્પોનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કર્યું અને જવાનો સાથે સંવાદ સાધ્યો. આ પ્રસંગે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શ્રી સુવેન્દુ અધિકારી, દાર્જિલિંગના લોકસભા સાંસદ શ્રી રાજુ બિસ્તા, કેન્દ્રીય ગૃહ સચિવ શ્રી ગોવિંદ મોહન, ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)ના ડાયરેક્ટર શ્રી મહેશ દીક્ષિત, સેક્રેટરી (બોર્ડર મેનેજમેન્ટ) ડૉ. રાજેન્દ્ર કુમાર અને એસએસબીના ડાયરેક્ટર જનરલ શ્રી સંજય સિંઘલ સહિત અન્ય કેટલાક વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે દેશના 80મા સ્વતંત્રતા દિવસનો 15મી ઓગસ્ટનો અવસર ખૂબ જ ખાસ હતો. તેમણે કહ્યું કે, રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ'ની રચનાના 150 વર્ષ અને દેશની આઝાદીના 80 વર્ષ પૂર્ણ થયા બાદ પ્રથમ વખત, 'વંદે માતરમ'નું સંપૂર્ણ ગાન દેશના લોકો અને સમગ્ર વિશ્વ દ્વારા લાલ કિલ્લાની પ્રાચીર પરથી સાંભળવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની અમર રચના 'વંદે માતરમ'એ માત્ર આપણી આઝાદીની ચળવળને ગતિ જ આપી ન હતી પરંતુ સ્વતંત્ર ભારત કેવું હોવું જોઈએ તેની દ્રષ્ટિ પણ આપી હતી. શ્રી શાહે જણાવ્યું હતું કે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની રચનાએ સ્પષ્ટ કર્યું હતું કે સ્વતંત્ર ભારતે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને અપનાવીને જ આગળ વધવું પડશે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે આઝાદી સમયે દેશના ભાગલા થયા પછી પણ, મુખ્ય વિપક્ષી પાર્ટી દ્વારા 'વંદે માતરમ'ને ક્યારેય પૂર્ણ હૃદયથી સ્વીકારવામાં આવ્યું ન હતું. જનભાવનાઓને ધ્યાનમાં રાખીને સંસદમાં 'વંદે માતરમ' ગવાતું હતું અને દરેક વ્યક્તિ ઊભા થતા હતા, પરંતુ એ જોઈને દુઃખ થતું હતું કે આખું ગીત ગવાતું ન હતું. તેમણે કહ્યું કે ગૃહ મંત્રાલયે તાજેતરમાં સંસદ દ્વારા એક બિલ પસાર કરાવ્યું અને 'વંદે માતરમ'ના સંપૂર્ણ ગાનને સરકારી કાર્યક્રમોનો ભાગ બનાવવાનો નિર્ણય લીધો, જે એક ઐતિહાસિક પગલું છે. આ સુનિશ્ચિત કરશે કે આપણી આવનારી પેઢીઓ, જેમાં આપણા બાળકો અને યુવાનો સમાવિષ્ટ છે, તેમને બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય જીનો અમર સંદેશ મળે. તેમણે કહ્યું કે જો શાળાઓમાં દરરોજ સંપૂર્ણ 'વંદે માતરમ' ગવાશે તો બાળકો નિશ્ચિતપણે દેશભક્તિની મજબૂત ભાવનાથી સતત પ્રેરિત થશે.
શ્રી અમિત શાહે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 'સપ્તધારા'—શક્તિના સાત પ્રવાહોની જાહેરાત કરી છે જે રાષ્ટ્રને સશક્ત બનાવશે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીએ દેશના યુવાનોને સાત મુખ્ય પ્રવાહો—ઉત્પાદન શક્તિ (મેન્યુફેક્ચરિંગ પાવર), સંરક્ષણ ક્ષમતા, કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ, ગ્રીન અને બ્લુ ઇકોનોમી, ટેકનોલોજી અને ઇનોવેશન, ગતિ શક્તિ (ઇન્ફ્રાસ્ટ્રક્ચર) અને ભારતની સોફ્ટ પાવર સાથે જોડાવા અને રાષ્ટ્ર નિર્માણમાં ભાગ લેવા આહ્વાન કર્યું છે. તેમણે ઉમેર્યું કે પ્રધાનમંત્રી મોદીએ 2047 સુધીમાં 100 ગીગાવોટ ન્યુક્લિયર પાવર ક્ષમતા પ્રાપ્ત કરવાનો અને આગામી ત્રણ વર્ષમાં આઠ નવા સેમિકન્ડક્ટર પ્લાન્ટ શરૂ કરવાનો લક્ષ્યાંક પણ નિર્ધારિત કર્યો છે. તેમણે કહ્યું કે, આ સાત પ્રવાહોના બળ પર, જ્યારે ભારત તેની આઝાદીની શતાબ્દી ઉજવશે, ત્યારે દેશ વિશ્વભરમાં દરેક ક્ષેત્રમાં મોખરે હશે.

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળના અગાઉના મુખ્યમંત્રી ક્યારેય એસએસબી અને બીએસએફના કાર્યક્રમોમાં હાજરી આપતા ન હતા. તેમણે કહ્યું કે એસએસબી, બીએસએફ અને આઈટીબીપી એ કોઈ રાજકીય પક્ષ કે સરકારની એજન્સીઓ નથી, પરંતુ સરહદોનું રક્ષણ કરતા દળો છે, અને તમામ રાજકીય પક્ષોએ આ જવાનો સાથે ઊભા રહેવું જોઈએ. શ્રી શાહે કહ્યું કે ઘૂસણખોરી રોકવી અને પશ્ચિમ બંગાળ તેમજ દેશને સુરક્ષિત રાખવો એ અમારો સંકલ્પ છે, અને આ માટે ફેન્સિંગ એ સૌથી મજબૂત ઉપાય છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શ્રી સુવેન્દુ અધિકારીની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે જ્યારથી તેમણે પદ સંભાળ્યું છે ત્યારથી કેન્દ્રને સરહદ સુરક્ષા માટે રાજ્ય સરકાર તરફથી તાત્કાલિક અને તમામ શક્ય સહયોગ મળ્યો છે. શ્રી શાહે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં સરકારની રચનાના માત્ર 45 દિવસની અંદર જ ભારત સરકારને બીએસએફ અને એસએસબી માટે 1,129 એકર જમીન પ્રાપ્ત થઈ ગઈ. તેમણે કહ્યું કે આ જમીનના એવા ટુકડાઓ હતા જે ભારત સરકાર 2014થી માંગી રહી હતી, પરંતુ બંગાળની અગાઉની સરકારે તે પૂરા પાડ્યા ન હતા. તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળના લોકોએ એવી સરકાર ચૂંટી છે જે રાષ્ટ્રીય સુરક્ષાને પ્રાથમિકતા આપે છે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે સિલિગુડીમાં એસએસબીના ફ્રન્ટિયર હેડક્વાર્ટરના વહીવટી મકાનનો શિલાન્યાસ આજે કરવામાં આવ્યો હતો, જે 80 એકરમાં નિર્માણ પામશે. તેમણે માહિતી આપી હતી કે ઠાકુરગંજમાં 19મી બટાલિયનનો શિલાન્યાસ, કિશનગંજમાં 12મી બટાલિયનનો ઇ-શિલાન્યાસ અને ન્યુ જલપાઈગુડી ખાતે ટ્રાન્ઝિટ કેમ્પનો શિલાન્યાસ પણ આજે કરવામાં આવ્યો હતો. શ્રી શાહે જણાવ્યું હતું કે અહીં એસએસબીના જવાનો માટે વહીવટી અને રહેણાંક સુવિધાઓ પૂરી પાડવા માટે આજે ₹189 કરોડના નવા પ્રકલ્પોની શરૂઆત કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેઓ ગૃહ મંત્રી બન્યા ત્યારથી જ સુરક્ષા દળોની જરૂરિયાતો—પછી તે એસએસબી હોય, બીએસએફ હોય કે આસામ રાઇફલ્સ હોય—ગૃહ મંત્રાલયના એજન્ડામાં ટોચની પ્રાથમિકતાઓમાં રહી છે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે એસએસબીનો ગૌરવશાળી ઇતિહાસ રહ્યો છે. 1965 પછી, એસએસબીએ મણિપુર, જમ્મુ અને કાશ્મીર અને 1975માં ત્રિપુરા, મેઘાલય, 1976માં સિક્કિમ, 1985માં રાજસ્થાન અને ગુજરાત અને 1989માં નાગાલેન્ડ, મિઝોરમ અને દક્ષિણ બંગાળમાં પોતાની હાજરીનો વિસ્તાર કર્યો. તેમણે કહ્યું કે એસએસબી જ્યાં પણ તૈનાત કરવામાં આવી હતી, તેના જવાનોએ પ્રશંસનીય કામગીરી કરી હતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે દિવસ-રાત અથાક પરિશ્રમ કર્યો હતો. તેમણે કહ્યું કે કારગિલ યુદ્ધ પછી, જ્યારે 'વન બોર્ડર, વન ફોર્સ' નીતિ અપનાવવામાં આવી, ત્યારે એસએસબીને નેપાળ અને ભૂતાન જેવા મિત્ર પાડોશી દેશો સાથેની ખુલ્લી સરહદોની પહરેદારી કરવાનું સૌથી પડકારજનક કામ સોંપવામાં આવ્યું હતું. 2001થી એસએસબી 1,751 કિલોમીટર લાંબી ભારત-નેપાળ સરહદ પર અને 2004થી લગભગ 700 કિલોમીટર લાંબી ભારત-ભૂતાન સરહદ પર તૈનાત છે. તેમણે કહ્યું કે જ્યારે સરહદ પર ફેન્સિંગ કરવામાં આવે છે, ત્યારે તેની સુરક્ષા કરતી ફોર્સની જવાબદારી કંઈક અંશે સરળ બની જાય છે. જોકે, એસએસબીને ખુલ્લી સરહદોની દેખરેખ રાખવાનું કામ સોંપવામાં આવ્યું છે, જે સૌથી પડકારજનક કામગીરી છે. તેમણે કહ્યું કે તેઓ અવારનવાર કહે છે કે એસએસબીના જવાનો પાસે સૌથી મુશ્કેલ જવાબદારીઓમાંથી એક છે કારણ કે તેઓ ખુલ્લી સરહદો પર તૈનાત છે. શ્રી શાહે કહ્યું કે સમગ્ર દેશ એસએસબીના જવાનોના સન્વય, રાષ્ટ્રની સુરક્ષા પ્રત્યેના સમર્પણ અને બંને મિત્ર પાડોશી દેશો સાથે ભારતના સાંસ્કૃતિક સંબંધોને મજબૂત કરવામાં તેમના યોગદાન માટે તેમનું સન્માન કરે છે.
શ્રી અમિત શાહે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની સરકારે રાષ્ટ્રીય સુરક્ષાના દ્રષ્ટિકોણથી સિલિગુડી કોરિડોરના વ્યૂહાત્મક મહત્વને પૂર્ણપણે ઓળખ્યું છે. તેમણે કહ્યું કે આ અત્યંત સંવેદનશીલ અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ કોરિડોર આઠ રાજ્યોને જોડે છે. નેપાળ, ભૂતાન અને બાંગ્લાદેશ સાથેની ત્રણ આંતરરાષ્ટ્રીય સરહદો સિલિગુડી કોરિડોર સાથે જોડાયેલી છે, અને તેની સુરક્ષા સીધી રીતે રાષ્ટ્રની સુરક્ષા સાથે જોડાયેલી છે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે મોદી સરકારે સિલિગુડી કોરિડોરને ત્રિકોણીય ગ્રીડ દ્વારા સંરક્ષિત કરીને રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત કરી છે. તેમણે કહ્યું કે આ ગીચ વસ્તી ધરાવતા કોરિડોરમાં સરકારે પોતાની જાગરૂકતા, હાજરી અને વર્ચસ્વ વધાર્યું છે. તેમણે ઉમેર્યું કે સુરક્ષા દળોએ સમયાંતરે વિવિધ કામગીરીઓ અને કવાયતોમાં ભાગ લીધો છે, પરંતુ એક ખામી રહી ગઈ હતી. તેમણે કહ્યું કે સિલિગુડી કોરિડોરને સંપૂર્ણ રીતે મજબૂત અને સુરક્ષિત કરવા માટે ભારત સરકારની એજન્સીઓને 560 એકર જમીનની જરૂર હતી, જે પશ્ચિમ બંગાળની અગાઉની સરકારે પૂરી પાડી ન હતી. તેમણે કહ્યું કે ભારત સરકાર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શ્રી સુવેન્દુ અધિકારીને 560 એકર જમીનની ફાળવણી માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવા બદલ અભિનંદન આપે છે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે માત્ર સુરક્ષા દળો જ કોઈ પ્રદેશની સુરક્ષા સુનિશ્ચિત કરી શકતા નથી. તેમણે કહ્યું કે વિસ્તારમાં વધતી જતી વસ્તી, સ્થળાંતર અને પ્રવાસન ત્યાં આપણી હાજરીને મજબૂત કરવામાં મદદ કરે છે. તેમણે કહ્યું કે 2026-27ના બજેટમાં મંજૂર કરવામાં આવેલા 7 હાઇ-સ્પીડ રેલ કોરિડોરમાં દિલ્હી-સિલિગુડી કોરિડોરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જે 2-3 વર્ષમાં દિલ્હીથી સિલિગુડી સુધીની મુસાફરી માત્ર થોડા કલાકોમાં શક્ય બનાવશે. તેમણે કહ્યું કે અમે અમૃત ભારત યોજના હેઠળ સિલિગુડી અને જલપાઈગુડી સ્ટેશનોનો કાયાકલ્પ કર્યો છે.
શ્રી અમિત શાહે કહ્યું કે વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ દ્વારા, આપણે માત્ર ગામડાઓને જોડી રહ્યા નથી પરંતુ આ ગામડાઓમાં રહેતા ભારતીયો સાથે મજબૂત ભાવનાત્મક જોડાણ સ્થાપિત કરવા માટે પણ કામ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે ₹6,839 કરોડના ખર્ચવાળી આ યોજના બાંગ્લાદેશ અને ભૂતાન સરહદો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે સરકાર સુરક્ષિત, સંરક્ષિત અને જમીની સરહદોની પોતાની વિભાવનાને આગળ ધપાવશે. તેમણે ઉમેર્યું કે આપણા જવાનો માટે સુવિધાઓ સુધારવા અને દેશની સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત કરવા માટે આજે અહીં ₹190 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. આનાથી જવાનોના મન, શરીર અને આત્માને રાહત મળશે અને તેમને કામ કરવાનું વધુ સારું વાતાવરણ મળશે.

તેમના સંબોધન દરમિયાન ગૃહ મંત્રીએ પ્રખ્યાત શરણાઈ વાદક ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે કહ્યું કે ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાને ભારતીય સંગીતને વૈશ્વિક મંચ પર લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે રાગ-રાગિણીઓને પ્રોત્સાહિત કર્યા અને શાસ્ત્રીય સંગીતની ભારતની સમૃદ્ધ પરંપરાને લોકપ્રિય બનાવવાનું કામ કર્યું. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહ વિશે વાત કરતા ગૃહ મંત્રીએ કહ્યું કે મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે રાજ્યનું પ્રથમ વખત વહીવટી પુનર્ગઠન કરવાનો પ્રયાસ કર્યો હતો અને રામ જન્મભૂમિ આંદોલનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
SM/BS/JD
(रिलीज़ आईडी: 2302164)
आगंतुक पटल : 9