લોકસભા સચિવાલય
લોકસભા સ્પીકરે શ્રી કોવિંદની જીવનયાત્રાને "પેઢીઓ માટે પ્રેરણા" નો અવિરત સ્ત્રોત ગણાવી પ્રશંસા કરી
પ્રધાનમંત્રીએ પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદની આત્મકથાનું વિમોચન કર્યું
શ્રી કોવિંદની આત્મકથા સંઘર્ષ, સંકલ્પ અને સિદ્ધિની એક અસાધારણ યાત્રા રજૂ કરે છે: લોકસભા સ્પીકર
શ્રી કોવિંદે સામાજિક સમરસતા અને સમાવેશી વિકાસ પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતા સાથે બંધારણીય પરંપરાઓ જાળવી રાખી: લોકસભા સ્પીકર
કોવિડ-19 મહામારી દરમિયાન, શ્રી કોવિંદે લોકોમાં હિંમત અને વિશ્વાસ જગાડ્યો તથા રાષ્ટ્રપતિ ભવનને જનતા માટે વધુ સુલભ બનાવ્યું: લોકસભા સ્પીકર
प्रविष्टि तिथि:
12 AUG 2026 9:08PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદની આત્મકથા 'ટ્રાયમ્ફ ઓફ ધ ઇન્ડિયન રિપબ્લિક: માય લાઇફ, માય સ્ટ્રગલ્સ' (Triumph of the Indian Republic: My Life, My Struggles) નું વિમોચન કર્યું. આ પ્રસંગે લોકસભા સ્પીકર શ્રી ઓમ બિરલા ઉપસ્થિત રહ્યા હતા અને પુસ્તકના વિમોચનને મહાન ગૌરવ અને મહત્વનો વિષય ગણાવ્યો હતો.
આ વિશિષ્ટ સભાને સંબોધતા, શ્રી બિરલાએ અવલોકન કર્યું કે ઉચ્ચ બંધારણીય આદર્શોના પ્રતિક સમાન પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદની આત્મકથા દ્રઢ નિશ્ચય, સંઘર્ષ અને સિદ્ધિની એક અસાધારણ યાત્રા રજૂ કરે છે. શ્રી કોવિંદના પ્રારંભિક જીવનના પડકારોને યાદ કરતા, જેમાં તેમના શિક્ષણને આગળ ધપાવવામાં તેમણે સામનો કરેલી મુશ્કેલીઓનો પણ સમાવેશ થાય છે, તેમણે જણાવ્યું હતું કે નમ્ર અને આર્થિક રીતે વંચિત પૃષ્ઠભૂમિમાંથી દેશના સર્વોચ્ચ બંધારણીય પદ સુધીની તેમની સફર તેમના અસાધારણ સંકલ્પને પ્રતિબિંબિત કરે છે અને આવનારી પેઢીઓ માટે પ્રેરણાના અવિરત સ્ત્રોત તરીકે કાર્ય કરે છે.
લોકસભા સ્પીકરે નોંધ્યું હતું કે બંધારણીય મૂલ્યો પ્રત્યેની શ્રી કોવિંદની અડગ પ્રતિબદ્ધતાએ તેમને એક વકીલ તરીકે અમીટ છાપ છોડવા માટે સક્ષમ બનાવ્યા. સંસદસભ્ય તરીકેનો તેમનો કાર્યકાળ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કલ્યાણ, સામાજિક ન્યાય અને જાહેર જીવનમાં પ્રામાણિકતા પ્રત્યેના સમર્પણ દ્વારા ચિહ્નિત થયેલ હતો.
રાજ્યપાલ તરીકેના શ્રી કોવિંદના કાર્યકાળનો ઉલ્લેખ કરતા શ્રી બિરલાએ જણાવ્યું હતું કે તેમણે ઉચ્ચ શિક્ષણમાં પારદર્શિતા, ગુણવત્તા અને તકનીકી નવીનતાને એક નવી દિશા આપી. ભારતના રાષ્ટ્રપતિ તરીકે, તેમણે ભારતીય લોકશાહીની બંધારણીય પરંપરાઓને જાળવી રાખી અને સામાજિક સમરસતા તથા સમાવેશી વિકાસ પ્રત્યે અડગ પ્રતિબદ્ધતા દર્શાવી. વધુમાં, તેમણે વિવિધ દેશોની તેમની મુલાકાતો દ્વારા ભારતના આંતરરાષ્ટ્રીય રાજદ્વારી સંબંધોને મજબૂત કરવામાં પણ યોગદાન આપ્યું હતું, તેમ તેમણે ઉમેર્યું હતું.
શ્રી બિરલાએ એ પણ ઉલ્લેખ કર્યો હતો કે કોવિડ-19 મહામારીના પડકારજનક સમયગાળા દરમિયાન, શ્રી કોવિંદે દેશના લોકોમાં હિંમત, એકતા અને વિશ્વાસ જગાડ્યો અને રાષ્ટ્રપતિ ભવનને જનતા માટે વધુ સુલભ બનાવ્યું. તેમણે તેને શ્રી કોવિંદની મહત્વપૂર્ણ સિદ્ધિઓમાંથી એક ગણાવી હતી.
લોકસભા સ્પીકરે ઉમેર્યું હતું કે રાષ્ટ્રપતિ પદ છોડ્યા પછી પણ શ્રી કોવિંદ તેમના વ્યાપક અનુભવ, જાહેર જીવન પરના વિચારો અને સામાજિક ન્યાય પ્રત્યેની સમર્પિતતા દ્વારા રાષ્ટ્ર, બંધારણ અને સમાજમાં સતત યોગદાન આપી રહ્યા છે. શ્રી બિરલાએ આશા વ્યક્ત કરી હતી કે 'ટ્રાયમ્ફ ઓફ ધ ઇન્ડિયન રિપબ્લિક: માય લાઇફ, માય સ્ટ્રગલ્સ' વાચકો સામે શ્રી કોવિંદના જીવનના મહત્વપૂર્ણ પ્રસંગો લાવશે અને તેમને જાહેર જીવનમાં હેતુપૂર્ણ ભૂમિકા ભજવવા માટે પ્રેરિત કરશે. તેમણે પુસ્તકના પ્રકાશન પર શ્રી રામનાથ કોવિંદને ઉષ્માભરી શુભકામનાઓ અને આભિનંદન પાઠવીને વક્તવ્ય પૂર્ણ કર્યું હતું.
SM/DK/JD
(रिलीज़ आईडी: 2298693)
आगंतुक पटल : 12