કૃષિ મંત્રાલય
azadi ka amrit mahotsav

શિવરાજ સિંહ ચૌહાણે ICARના 98મા સ્થાપના દિવસ પર વિકસિત ભારત 2047ને સાકાર કરવા માટે વિકસિત કૃષિ અને સમૃદ્ધ ખેડૂતો માટે સાહસિક વિઝન રજૂ કર્યું


ભારતના ખેડૂતોને સશક્ત બનાવવા માટે પાકની 43 નવી જાતો, 17 ટેક્નોલોજી અને 14 પ્રકાશનો બહાર પાડવામાં આવ્યા: શિવરાજ સિંહ ચૌહાણ

કેન્દ્રીય કૃષિ મંત્રીએ 100 ક્લાઇમેટ સ્માર્ટ વિલેજ અને 10 કરોડ ખેડૂતો સુધી ICAR ટેક્નોલોજી પહોંચાડવાનો લક્ષ્યાંક નક્કી કર્યો

'વન ઇન્સ્ટિટ્યૂટ-વન ગ્રાન્ડ ઇનોવેશન' (એક સંસ્થા-એક મહાન નવપ્રવર્તન): શિવરાજ સિંહ ચૌહાણે ICARની દરેક સંસ્થા પાસેથી પરિવર્તનકારી સફળતા માટે આહ્વાન કર્યું

શિવરાજ સિંહ ચૌહાણે નકલી બિયારણો અને જંતુનાશકો સામે કડક કાયદાઓ ઘડવા પર ભાર મૂક્યો, સંશોધનોને ખેતરો સુધી ઝડપથી અંતિમ છેડા સુધી પહોંચાડવા આહ્વાન કર્યું

ICAR ઓપન ડિજિટલ નોલેજ પ્લેટફોર્મ દરેક ખેડૂતના મોબાઈલ પર મફત વૈજ્ઞાનિક સલાહ અને ટેક્નોલોજી લાવશે: શિવરાજ સિંહ ચૌહાણ

નવી રસીઓ, પાકની સુધારેલી જાતો અને અદ્યતન ટેક્નોલોજીઓ કૃષિ ક્ષેત્રે આત્મનિર્ભરતા તરફ ભારતની સફરને મજબૂત બનાવે છે: શિવરાજ સિંહ ચૌહાણ

प्रविष्टि तिथि: 16 JUL 2026 8:37PM by PIB Ahmedabad

ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR)ના 98માં સ્થાપના દિવસની ઉજવણી આજે ભારત રત્ન સી. સુબ્રમણ્યમ ઓડિટોરિયમ, એનએએસસી (NASC) કોમ્પ્લેક્સ, નવી દિલ્હી ખાતે કરવામાં આવી હતી. કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે વિકસિત ભારત 2047ના મુખ્ય સ્તંભ તરીકે 'વિકસિત કૃષિ અને સમૃદ્ધ કિસાન' માટે એક વ્યાપક રોડમેપ રજૂ કર્યો હતો.

મંત્રીશ્રીએ મહત્વાકાંક્ષી લક્ષ્યાંકોની શ્રેણીની જાહેરાત કરી હતી, જેમાં 100 ક્લાઇમેટ સ્માર્ટ વિલેજનો વિકાસ કરવો, આઈસીએઆર (ICAR) ની ટેક્નોલોજી 10 કરોડ ખેડૂતો સુધી પહોંચે તેની ખાતરી કરવી, 'વન ઇન્સ્ટિટ્યૂટ-વન ગ્રાન્ડ ઇનોવેશન' ની રજૂઆત કરવી, આઈસીએઆર (ICAR) ઓપન ડિજિટલ નોલેજ પ્લેટફોર્મની સ્થાપના કરવી, નકલી બિયારણો અને જંતુનાશકો સામેના કાયદા મજબૂત કરવા અને નવપ્રવર્તન તેમજ ટેક્નોલોજીના વ્યાપારીકરણ દ્વારા આઈસીએઆર (ICAR) ને નાણાકીય રીતે આત્મનિર્ભર બનાવવાનો સમાવેશ થાય છે. તેમણે પ્રથમ વખત આઈસીએઆર (ICAR) ના 150 થી વધુ કર્મચારીઓની સેવાઓને કાયમી (નિયમિત) કરવાનો આનંદ પણ વ્યક્ત કર્યો હતો.

ખેડૂતો આત્મા છે, વૈજ્ઞાનિકો મગજ છે

શ્રી ચૌહાણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સ્થાપના દિવસ માત્ર એક સ્મરણોત્સવનો પ્રસંગ નથી પરંતુ વૈજ્ઞાનિકોની પેઢીઓને શ્રદ્ધાંજલિ આપવાની તક છે જેમના સમર્પણે અછતને આત્મનિર્ભરતામાં અને પડકારોને ઉકેલોમાં બદલી નાખ્યા છે.

ખેડૂતો અને વૈજ્ઞાનિકો વચ્ચેની ભાગીદારીનું વર્ણન કરતાં તેમણે ટિપ્પણી કરી હતી કે, "જો ખેડૂતો કૃષિનો આત્મા છે, તો વૈજ્ઞાનિકો તેનું મગજ છે. જ્યારે સરકારી નીતિ, ખેડૂતોની મહેનત અને વૈજ્ઞાનિક પ્રતિભા સાથે મળીને કામ કરે છે ત્યારે જ આપણા ખેતરોમાં ચમત્કારો થાય છે." તેમણે ભારતના મજબૂત કૃષિ પાયાના નિર્માણમાં આપેલા યોગદાનને સ્વીકારતા કેટલાક પ્રખ્યાત કૃષિ વૈજ્ઞાનિકો અને આઈસીએઆર (ICAR) ના ભૂતપૂર્વ વડાઓને આદરપૂર્વક યાદ કર્યા હતા.

150 થી વધુ કર્મચારીઓ માટે નિયમિત નિમણૂક પત્રો

કેન્દ્રીય મંત્રીએ રેખાંકિત કર્યું હતું કે પ્રથમ વખત આઈસીએઆર (ICAR) ના 150 થી વધુ કર્મચારીઓને નિયમિત નિમણૂકો આપવામાં આવી છે. તેને લાંબા સમયથી ચાલી આવતા અન્યાયનું નિવારણ ગણાવતા તેમણે કહ્યું કે આ કર્મચારીઓને આખરે તેમની યોગ્ય ઓળખ મળતા જોઈને સમગ્ર આઈસીએઆર (ICAR) પરિવાર આનંદ અને ભાવનાત્મક સંતોષ અનુભવે છે. તેમણે તમામ નવ નિયુક્ત કાયમી કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા અને તેને સંસ્થા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ગણાવ્યું હતું.

ઉત્પાદનથી આગળ ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય

અન્ન ઉત્પાદન, બાગાયત, દૂધ અને મત્સ્ય ઉત્પાદનમાં ભારતની નોંધપાત્ર વૃદ્ધિ પર સંતોષ વ્યક્ત કરવાની સાથે શ્રી ચૌહાણે આત્મસંતોષ સામે ચેતવણી આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે બહેતર જાહેર આરોગ્ય અને વૈશ્વિક બજારોમાં મજબૂત સ્પર્ધાત્મકતા સુનિશ્ચિત કરવા માટે ભારતના કૃષિ વિકાસના આગામી તબક્કાને "જથ્થા કરતાં ગુણવત્તા" ના સિદ્ધાંત દ્વારા માર્ગદર્શન આપવું આવશ્યક છે. અલ નિનો અને આબોહવા પરિવર્તન (ક્લાઇમેટ ચેન્જ) દ્વારા ઉભા થયેલા પડકારોનો ઉલ્લેખ કરતા તેમણે આબોહવા-સ્થિતિસ્થાપક (ક્લાઇમેટ-રેઝિલિયન્ટ) કૃષિ, જિલ્લા-વિશિષ્ટ આયોજન અને કૃષિ જોખમ સંચાલન પર ઝડપી કામગીરી કરવા હાકલ કરી હતી. તેમણે એ પણ નોંધ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત નવા વૈશ્વિક બજારો અને વેપાર કરારો સુધી પહોંચ મેળવી રહ્યું છે, જે ઉચ્ચ ગુણવત્તાવાળા, નિકાસલક્ષી અને આરોગ્યપ્રદ કૃષિ ઉત્પાદનોનું ઉત્પાદન કરવા માટે અનિવાર્ય બનાવે છે.

કેન્દ્રીય મંત્રી દ્વારા જાહેર કરાયેલા સાત મુખ્ય લક્ષ્યાંકો

1. 100 ક્લાઇમેટ સ્માર્ટ વિલેજનો વિકાસ

શ્રી ચૌહાણે જાહેરાત કરી હતી કે આઈસીએઆર (ICAR) તેનું 100મું વર્ષ પૂર્ણ કરે તે પહેલાં, સંસ્થા અને તેની સંસ્થાઓએ સંયુક્ત રીતે ઓછામાં ઓછા 100 ક્લાઇમેટ સ્માર્ટ વિલેજનો વિકાસ કરવો જોઈએ. આ ગામો આબોહવા-સ્માર્ટ કૃષિ, સંકલિત ખેતી પ્રણાલી, પાણી અને જમીન સંરક્ષણ અને ખેડૂતોને બદલાતી આબોહવાની પરિસ્થિતિઓમાં સફળતાપૂર્વક અનુકૂળ થવામાં મદદ કરવા માટે વ્યવહારુ જોખમ-ઘટાડવાના મોડલનું પ્રદર્શન કરશે.

2. વન ઇન્સ્ટિટ્યૂટ-વન ગ્રાન્ડ ઇનોવેશન

તમામ આઈસીએઆર (ICAR) સંસ્થાઓ માટે સ્પષ્ટ લક્ષ્ય નક્કી કરતા મંત્રીએ જણાવ્યું હતું કે "વન ઇન્સ્ટિટ્યૂટ-વન ગ્રાન્ડ ઇનોવેશન" પહેલ હેઠળ દરેક સંસ્થાએ આગામી બે વર્ષમાં ઓછામાં ઓછું એક પરિવર્તનકારી નવપ્રવર્તન પ્રદાન કરવું જોઈએ. આ નવપ્રવર્તન પાકની નવી જાત, રસી, ડિજિટલ સાધન અથવા આબોહવા-સ્માર્ટ કૃષિ ઉકેલ હોઈ શકે છે જે નોંધપાત્ર રાષ્ટ્રીય પ્રભાવ ઊભો કરવા અને ખેડૂતોના જીવનમાં પ્રત્યક્ષ સુધારો લાવવા સક્ષમ હોય.

3. આઈસીએઆર (ICAR) ટેક્નોલોજી સાથે 10 કરોડ ખેડૂતો સુધી પહોંચવું

શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે આઈસીએઆર (ICAR) ના શતાબ્દી વર્ષ સુધીમાં, સંસ્થાએ તેની વૈજ્ઞાનિક ટેક્નોલોજી, નવપ્રવર્તનો અને આધુનિક કૃષિ ઉકેલો દેશભરના ઓછામાં ઓછા 10 કરોડ ખેડૂતો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાનું લક્ષ્ય રાખવું જોઈએ. તેમણે તેને વિકસિત ભારત 2047 હેઠળ વિકસિત કૃષિ અને સમૃદ્ધ કિસાનના વિઝનને હાંસલ કરવા તરફના સૌથી મહત્વપૂર્ણ સીમાચિહ્નો પૈકીના એક તરીકે ગણાવ્યું હતું.

4. "મિશન આઈસીએઆર-100" (Mission ICAR-100) અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રોની નવી ભૂમિકા

મંત્રીશ્રીએ પ્રસ્તાવ મૂક્યો હતો કે આગામી બે વર્ષ "મિશન આઈસીએઆર-100" તરીકે ઉજવવામાં આવે. આ મિશન હેઠળ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (KVK) માત્ર તાલીમ કેન્દ્રો રહેવાને બદલે નવપ્રવર્તન હબ, ક્લાઇમેટ એડવાઇઝરી કેન્દ્રો, સ્ટાર્ટઅપ સપોર્ટ કેન્દ્રો અને ખેડૂત ટેક્નોલોજી પ્રદર્શન કેન્દ્રો તરીકે વિકસિત થવા જોઈએ. તેમણે ખેડૂતો વચ્ચે આઈસીએઆર (ICAR) સ્થાપના દિવસની ઉજવણી કરવા માટે પખવાડિયાના દેશવ્યાપી આઉટરીચ કાર્યક્રમનો પણ પ્રસ્તાવ મૂક્યો હતો, જે દરમિયાન દરેક કેવીકે (KVK) એ આઈસીએઆર (ICAR) ના સંશોધનો અને ટેક્નોલોજીનું મોટા પાયે પ્રદર્શન કરવા માટે ઓછામાં ઓછા 100 ગામોની મુલાકાત લેવી જોઈએ.

5. આઈસીએઆર (ICAR) ઓપન ડિજિટલ નોલેજ પ્લેટફોર્મ

શ્રી ચૌહાણે આઈસીએઆર (ICAR) ની ટેક્નોલોજી, વૈજ્ઞાનિક સલાહો અને માર્ગદર્શક વીડિયો ખેડૂતોના મોબાઈલ ફોન પર મફતમાં ઉપલબ્ધ કરાવવા માટે 'આઈસીએઆર ઓપન ડિજિટલ નોલેજ પ્લેટફોર્મ' બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ટેક્નોલોજી ટ્રાન્સફર માટે મોબાઈલ-ફર્સ્ટ અભિગમ પર ભાર મૂકતા તેમણે જણાવ્યું હતું કે ખેડૂતો તેમના સ્માર્ટફોન દ્વારા સીધા જ તેમના ખેતરોમાંથી જમીન પરીક્ષણ માર્ગદર્શન, પાક સલાહ, હવામાનની આગાહી અને બજારની માહિતી મેળવવા સક્ષમ હોવા જોઈએ.

6. નકલી બિયારણ અને જંતુનાશકો સામે કડક કાયદા

નકલી અને સબસ્ટાન્ડર્ડ (હલકી ગુણવત્તાના) કૃષિ ઇનપુટ્સ અંગે ખેડૂતોની વ્યાપક ફરિયાદોનો ઉલ્લેખ કરતા, કેન્દ્રીય મંત્રીએ નકલી બિયારણો અને જંતુનાશકો સામે કડક કાનૂની જોગવાઈઓ કરવા હાકલ કરી હતી. તેમણે વૈજ્ઞાનિકોને સરળ ક્ષેત્ર-સ્તરની ટેક્નોલોજી અને નિદાન સાધનો વિકસાવવા વિનંતી કરી જે ખેડૂતોને બિયારણ અને જંતુનાશકોની ગુણવત્તાની ત્વરિત ચકાસણી કરવા સક્ષમ બનાવશે, જેનાથી તેઓ છેતરપિંડીથી બચી શકે અને પાકના નુકસાનને ઘટાડી શકાય.

7. વર્ષ 2029 સુધીમાં ₹10,000 કરોડના આંતરિક સંસાધન નિર્માણનો લક્ષ્યાંક

શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે આઈસીએઆર (ICAR) એ ધીમે ધીમે માત્ર સરકારી ભંડોળ પરની તેની નિર્ભરતા ઘટાડવી જોઈએ અને તેની ટેક્નોલોજીઓ, પાકની જાતો, રસીઓ અને લાયસન્સિંગ પહેલોના વ્યાપારીકરણ દ્વારા નાણાકીય રીતે વધુ મજબૂત બનવું જોઈએ. તેમણે વર્ષ 2029 સુધીમાં ₹10,000 કરોડના આંતરિક સંસાધનો ઉત્પન્ન કરવાનો લક્ષ્યાંક નક્કી કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, સાથે સાથે ખાતરી આપી હતી કે નવપ્રવર્તન દ્વારા સંસ્થાકીય સ્વનિર્ભરતા બનાવવાના પ્રયાસોની સાથે સરકારી સહયોગ પણ ચાલુ રહેશે.

કૃષિ આત્મનિર્ભરતાને મજબૂત કરવા માટે નવી જાતો, રસીઓ અને ટેક્નોલોજીઓ

સ્થાપના દિવસની ઉજવણી દરમિયાન પાકની 43 નવી જાતો, 17 ટેક્નોલોજીઓ/ઉત્પાદનો અને 14 પ્રકાશનો બહાર પાડવામાં આવ્યા હતા જેમાં વધુ ઉપજ આપતી અને રોગ-પ્રતિકારક પાકની જાતો, પોષક તત્વોથી ભરપૂર પાક, પશુધન અને મત્સ્યઉદ્યોગ માટેની રસીઓ અને ડિજિટલ કૃષિ ઉકેલો સામેલ છે. ખરવા-મોવાસા (ફૂટ-એન્ડ-માઉથ ડીસીઝ) અને અન્ય મુખ્ય પ્રાણી જન્ય રોગોને નિયંત્રિત કરવામાં આઈસીએઆર (ICAR) ની કામગીરીની પ્રશંસા કરતા શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે સ્વદેશી રસીઓ, સુધારેલી પાકની જાતો અને અદ્યતન ટેક્નોલોજી દ્વારા બિયારણ, ખાતર અને પ્રાણીઓના સ્વાસ્થ્યમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવામાં આવશે. આ પ્રસંગે ખાનગી ક્ષેત્ર અને સ્ટાર્ટઅપ્સ સાથેના સહયોગ દ્વારા ખેડૂતો સુધી આઈસીએઆર (ICAR)ના નવપ્રવર્તનોના ટ્રાન્સફરને ઝડપી બનાવવાના ઉદ્દેશ્ય સાથે 70 થી વધુ સમજૂતી કરારો (MoUs) અને ટેક્નોલોજી લાયસન્સિંગ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

વૈજ્ઞાનિકો માટે પ્રેરણાદાયી સંદેશ

વૈજ્ઞાનિક સંશોધનને રાષ્ટ્રીય મિશન ગણાવતા શ્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે દરેક વૈજ્ઞાનિકની જવાબદારી માત્ર રોજગારથી ઘણી આગળ છે. ભગવાન કૃષ્ણના ઉપદેશોમાંથી પ્રેરણા લેતા તેમણે કહ્યું કે એક આદર્શ કાર્યકર ઉત્સાહી, અહંકારમુક્ત, ધૈર્યવાન અને અન્ય લોકો સાથે સુમેળમાં કામ કરવા સક્ષમ હોય છે. તેમણે વૈજ્ઞાનિકોને ખેડૂતોની આકાંક્ષાઓને પોતાનું અંગત મિશન બનાવવા અને ભારતની કૃષિને બદલવા માટે તેમની સંપૂર્ણ ક્ષમતા સમર્પિત કરવા વિનંતી કરી હતી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આવા સામૂહિક પ્રયાસો વર્ષ 2047 સુધીમાં વિકસિત કૃષિ અને સમૃદ્ધ કિસાનના વિઝનને હકીકતમાં બદલી નાખશે.

મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી તેમજ પંચાયતી રાજ કેન્દ્રીય મંત્રી શ્રી રાજીવ રંજન સિંહ, કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી શ્રી રામનાથ ઠાકુર અને શ્રી ભાગીરથ ચૌધરી, મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરીંગ તેમજ પંચાયતી રાજ રાજ્ય મંત્રી પ્રો. એસ. પી. સિંહ બઘેલ, ડેયર (DARE)ના સચિવ અને આઈસીએઆર (ICAR) ના મહાનિદેશક ડૉ. એમ. એલ. જાટ અને અતિરિક્ત સચિવ શ્રી જ્ઞાનેન્દ્ર ડી. ત્રિપાઠીએ પણ ઉપસ્થિત સભાને સંબોધન કર્યું હતું.

દેશભરના તમામ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, આઈસીએઆર (ICAR) સંસ્થાઓ અને કૃષિ યુનિવર્સિટીઓના વૈજ્ઞાનિકો, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને કૃષિ સમુદાયના સભ્યો વર્ચ્યુઅલ રીતે આ કાર્યક્રમમાં જોડાયા હતા, જેણે 98મા સ્થાપના દિવસને ભારતના કૃષિ સંશોધન ઇકોસિસ્ટમની સાચી અર્થમાં દેશવ્યાપી ઉજવણી બનાવી દીધી હતી.

SM/DK/JD


(रिलीज़ आईडी: 2285550) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी , Tamil