લોકસભા સચિવાલય
લોકસભા અધ્યક્ષે ધારાસભાઓને 'લોકશાહીની શાળાઓ' તરીકે વ્યાખ્યાયિત કરી જ્યાં કાયદા ઘડનારાઓ સંવાદ, સર્વસંમતિ અને સેવાના મૂલ્યો શીખે છે
સાંભળવું અને તંદુરસ્ત ચર્ચા લોકશાહીને સમૃદ્ધ બનાવે છે અને ઇતિહાસને આકાર આપે છે; વ્યક્તિગત મતભેદો તેને માત્ર ક્ષીણ કરે છે: લોકસભા અધ્યક્ષ
લોકશાહી માત્ર બંધારણીય જોગવાઈઓ દ્વારા જ નહીં પરંતુ જનતાના વિશ્વાસ અને સેવાની ભાવના દ્વારા ટકી રહે છે: લોકસભા અધ્યક્ષ
લોકો આચરણને યાદ રાખે છે, હોદ્દાને નહીં; એક સારી રીતે તૈયાર અને માહિતગાર ધારાસભ્ય અસરકારક રીતે લોકોનું પ્રતિનિધિત્વ કરી શકે છે: લોકસભા અધ્યક્ષ
જોરદાર ચર્ચાઓ લોકશાહીની ઓળખ છે, પરંતુ ગૃહની ગરિમા હંમેશા જળવાઈ રહેવી જોઈએ: લોકસભા અધ્યક્ષ
રાજસ્થાન વિધાનસભાએ 75 વર્ષથી ભારતની લોકતાંત્રિક પરંપરાઓને મજબૂત કરી છે: લોકસભા અધ્યક્ષ
રાજસ્થાન વિધાનસભાની 75મી વર્ષગાંઠ નિમિત્તે ઉજવાઈ રહેલા અમૃત મહોત્સવના ભાગરૂપે આયોજિત 'લેજિસ્લેટિવ પ્રાઇડ જર્ની: એ ગેધરિંગ ઓફ ફોર્મર એન્ડ કરન્ટ મેમ્બર્સ' માં લોકસભા અધ્યક્ષે ઉદ્ઘાટન સંબોધન આપ્યું
प्रविष्टि तिथि:
15 JUL 2026 4:23PM by PIB Ahmedabad
લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ આજે જણાવ્યું હતું કે ધારાસભાઓ માત્ર કાયદા ઘડનારી સંસ્થાઓ નથી, પરંતુ "લોકશાહીની શાળાઓ" છે જ્યાં કાયદા ઘડનારાઓ સંવાદ, શિસ્ત, સર્વસંમતિ અને સેવાના મૂલ્યો શીખે છે. કાયદા ઘડનારાઓની ભૂમિકા અને ફરજો પર પ્રકાશ પાડતાં તેમણે અવલોકન કર્યું કે તેઓએ જનતા પ્રત્યેની તેમની જવાબદારીઓનો સ્પષ્ટ અહેસાસ કરવો જોઈએ, કારણ કે લોકશાહી માત્ર બંધારણીય જોગવાઈઓ દ્વારા જ નહીં, પરંતુ જનતાના વિશ્વાસ, સંવાદ, ગૌરવ અને સેવાની ભાવના દ્વારા ટકી રહે છે.
તેમણે આ ટિપ્પણીઓ રાજસ્થાન વિધાનસભાની 75મી વર્ષગાંઠ નિમિત્તે અમૃત મહોત્સવના ભાગરૂપે આયોજિત 'લેજિસ્લેટિવ પ્રાઇડ જર્ની: એ ગેધરિંગ ઓફ ફોર્મર એન્ડ કરન્ટ મેમ્બર્સ' (વિધાનસભા ગૌરવ યાત્રા: ભૂતપૂર્વ અને વર્તમાન સભ્યોનું સંમેલન) માં ઉદ્ઘાટન પ્રવચન આપતા કરી હતી.
રાજસ્થાન વિધાનસભાને તેમના જાહેર જીવનની "પ્રથમ શાળા" તરીકે વર્ણવતા શ્રી બિરલાએ નોંધ્યું હતું કે આ ગૃહમાં તેમણે આત્મસાત કરેલા લોકતાંત્રિક મૂલ્યો, સંસદીય પરંપરાઓ અને કાયદાકીય આચરણ દ્વારા એક વિદ્યાર્થી કાર્યકર્તામાંથી ધારાસભ્ય, સંસદ સભ્ય અને આખરે લોકસભાના અધ્યક્ષ સુધીની તેમની સફર ઘડાઈ છે. તેમણે વિધાનસભાની અંદર સંસદીય લોકશાહીના સાચા સારને શીખવાનો ઉલ્લેખ કર્યો: કે જ્યારે સાંભળવું અને તંદુરસ્ત ચર્ચા લોકશાહીને સમૃદ્ધ બનાવે છે અને ઇતિહાસને આકાર આપે છે, ત્યારે વ્યક્તિગત મતભેદો તેને માત્ર ક્ષીણ કરે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ગૃહમાં થતી દરેક ચર્ચા અને બોલાયેલો દરેક શબ્દ આખરે લોકશાહીના ઇતિહાસનો એક કાયમી હિસ્સો બની જાય છે.
વિધાનસભાને તેની લોકતાંત્રિક સફરના 75 વર્ષ પૂર્ણ કરવા બદલ અભિનંદન આપતાં શ્રી બિરલાએ અવલોકન કર્યું કે રાજ્યની લોકતાંત્રિક ચેતના ખુદ વિધાનસભાના ઇતિહાસ કરતાં પણ ઘણી આગળ વિસ્તરેલી છે, જે સંવાદ, પરામર્શ અને સહભાગી શાસનની ભારતની પ્રાચીન પરંપરાઓમાં ઊંડુ મૂળ ધરાવે છે. તેમણે નોંધ્યું હતું કે સભા અને સમિતિની પરંપરાઓ, સ્થાનિક સ્વશાસન અને જનભાગીદારી રાજસ્થાનના સામાજિક અને રાજકીય મૂલ્યોના અભિન્ન અંગ રહ્યા છે, જે તેની પંચાયતો અને પ્રતિનિધિ સંસ્થાઓ દ્વારા ટકી રહ્યા છે.
રાજસ્થાન વિધાનસભાના ઇતિહાસ અને યોગદાન વિશે વધુ વાત કરતાં તેમણે સીમાચિહ્નરૂપ કાયદાઓ, સાર્થક ચર્ચાઓ અને દૂરંદેશી નીતિનિર્માણ દ્વારા સામાજિક ન્યાય, જાહેર કલ્યાણ અને સર્વસમાવેશક વિકાસને પ્રોત્સાહન આપવામાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. વિધાનસભા ભવનનો ઉલ્લેખ કરતાં તેમણે તેને લોકતાંત્રિક આત્મવિશ્વાસ અને બંધારણીય મૂલ્યોનું પ્રતીક ગણાવ્યું હતું, અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી ભૈરો સિંહ શેખાવતને શ્રદ્ધાંજલિ અર્પી હતી, જેમની દ્રષ્ટિ અને નેતૃત્વ વર્તમાન વિધાનસભા સંકુલના નિર્માણમાં નિમિત્ત બન્યા હતા.
ભારતની લોકતાંત્રિક શક્તિ પર ભાર મૂકતા શ્રી બિરલાએ અવલોકન કર્યું કે વિશ્વ આજે દેશને માત્ર સૌથી મોટી લોકશાહી તરીકે જ નહીં પરંતુ સૌથી જીવંત લોકશાહી તરીકે પણ ઓળખે છે. તેમણે જણાવ્યું હતું કે સંસદ અને રાજ્યની ધારાસભાઓ સાથે મળીને ભારતના લોકતાંત્રિક માળખાનો પાયો બનાવે છે, અને ઉમેર્યું હતું કે સંસદની શક્તિ સંપૂર્ણપણે જીવંત, સક્રિય અને ગૌરવપૂર્ણ રાજ્ય ધારાસભાઓ પર નિર્ભર છે, જેમ રાષ્ટ્રની શક્તિ તેના રાજ્યો પર નિર્માણ પામે છે.
યુવા ધારાસભ્યો માટે રોડમેપ રજૂ કરતા તેમણે તેમને સતત અભ્યાસ, ધ્યાનપૂર્વક સાંભળવાની અને વૈધાનિક કાર્યવાહીમાં સાર્થક ભાગીદારી કરવાની ટેવ કેળવવાની સલાહ આપી હતી. તેમણે તેમને યાદ અપાવ્યું કે લોકો હોદ્દા કરતાં આચરણને વધુ યાદ રાખે છે, અને માત્ર એક સારી રીતે તૈયાર અને માહિતગાર ધારાસભ્ય જ જનતાની આકાંક્ષાઓનું અસરકારક રીતે પ્રતિનિધિત્વ કરી શકે છે. તેમણે સભ્યોને આડંબરયુક્ત ભાષણના બદલે તથ્યો, તર્ક અને રચનાત્મક ચર્ચા પર આધાર રાખવા વિનંતી કરી અને અવલોકન કર્યું કે જાહેર જીવન વિશ્વસનીયતા, અખંડિતતા અને સમાજ સાથે સતત જોડાણની માંગ કરે છે. તેમણે ધારાસભ્યોને એ પણ યાદ અપાવ્યું કે રાજકારણ આખરે જનસેવા અને રાષ્ટ્રનિર્માણ માટે અસ્તિત્વ ધરાવે છે.
પોતાના ધારાસભ્ય તરીકેના અનુભવમાંથી ઉદાહરણ આપતા શ્રી બિરલાએ અધ્યક્ષ પદની ગરિમા જાળવવા અને સંસદીય પરંપરાઓનો આદર કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. આ સંદર્ભમાં, શ્રી બિરલાએ લોકસભા અધ્યક્ષ તરીકેના તેમના પ્રારંભિક દિવસોના અનુભવને યાદ કર્યો જ્યારે એક વરિષ્ઠ સભ્ય દ્વારા તેમને આસનની ગરિમાની રક્ષા માટે આસન પરથી ઊભા ન થવાની સલાહ આપવામાં આવી હતી. તેમણે અવલોકન કર્યું કે જોરદાર ચર્ચાઓ લોકશાહીની ઓળખ છે, પરંતુ ગૃહની ગરિમા હંમેશા જળવાઈ રહેવી જોઈએ. તેમણે ટિપ્પણી કરી કે દરેક ચર્ચા, વિચારવિમર્શ અને હસ્તક્ષેપ ઇતિહાસનો એક ભાગ બને છે અને ભવિષ્યની પેઢીઓને પ્રેરણા આપતો રહે છે. એક ધારાસભ્ય જેટલો વધુ અભ્યાસ કરે છે અને સાંભળે છે, સંસદીય ચર્ચામાં તેમનું યોગદાન તેટલું જ વધુ સાર્થક અને પ્રભાવશાળી બને છે, તેમ તેમણે જણાવ્યું હતું.
વિધાનિક સંસ્થાઓને આધુનિક બનાવવાની જરૂરિયાત પર પ્રકાશ પાડતાં શ્રી બિરલાએ ચર્ચાઓ અને કાર્યવાહીના ડિજિટલ સંરક્ષણની હિમાયત કરી હતી જેથી ભવિષ્યના કાયદા ઘડનારાઓ તેમના પુરોગામીઓના અનુભવો અને ચર્ચાઓમાંથી શીખી શકે. તેમણે અવલોકન કર્યું કે વિધાનિક રેકોર્ડ્સની સરળ ડિજિટલ પહોચ સંસ્થાકીય સ્મૃતિને મજબૂત કરશે, સંસદીય સંશોધનને સમૃદ્ધ બનાવશે અને વધુ અસરકારક વિધાનકીય કાર્યકાજમાં ફાળો આપશે. તેમણે ધારાસભાઓને તેમની સમૃદ્ધ લોકતાંત્રિક પરંપરાઓને જાળવી રાખીને ટેકનોલોજી અપનાવી બદલાતા સમય સાથે સતત અનુકૂલન સાધવા માટે પણ આહ્વાન કર્યું હતું.
ભારતના અમૃતકાળ દરમિયાન ધારાસભ્યોને સર્વોચ્ચ લોકતાંત્રિક આદર્શો જાળવી રાખવા માટે આહ્વાન કરતા શ્રી બિરલાએ જણાવ્યું હતું કે ધારાસભાઓ સંવાદ, ગૌરવ, સંવેદનશીલતા અને જવાબદારીની સંસ્થાઓ તરીકે સતત બની રહેવી જોઈએ. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે રાજસ્થાન વિધાનસભા લોકતાંત્રિક કામગીરીમાં નવી ઊંચાઈઓ સર કરવાનું ચાલુ રાખશે અને દેશભરની વિધાનિક સંસ્થાઓ માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે.
આ કાર્યક્રમમાં રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી ભજન લાલ શર્મા; રાજસ્થાન વિધાનસભાના અધ્યક્ષ શ્રી વાસુદેવ દેવનાની; નાયબ મુખ્યમંત્રીઓ શ્રીમતી દિયા કુમારી અને શ્રી પ્રેમચંદ બૈરવા; સંસદીય બાબતોના મંત્રી શ્રી જોગારામ પટેલ; અને વિરોધ પક્ષના નેતા શ્રી ટીકારામ જુલી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અનેક સંસદ સભ્યો, ભૂતપૂર્વ સાંસદો, રાજસ્થાન સરકારના મંત્રીઓ, વર્તમાન અને ભૂતપૂર્વ ધારાસભ્યો અને અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવો પણ ઉપસ્થિત હતા.
SM/DK/JD
(रिलीज़ आईडी: 2284994)
आगंतुक पटल : 9