પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતી પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

प्रविष्टि तिथि: 06 JUL 2026 8:43PM by PIB Ahmedabad

કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સહયોગી અમિતભાઈ શાહ, ગજેન્દ્ર સિંહ શેખાવત, પશ્ચિમ બંગાળના ઊર્જાવાન મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી, ભાજપના વરિષ્ઠ સભ્ય, આપણા જેવા લાખો કાર્યકર્તાઓની પ્રેરણા, શ્રીમાન માખનલાલજી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ, શ્રી શૌમિક ભટ્ટાચાર્ય, ઉપસ્થિત જનપ્રતિનિધિગણ, અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો!

આપ સૌને મારા નમસ્કાર!

હું મારા પૂર્વ નિર્ધારિત કાર્યક્રમને કારણે, આ સમયે પ્રવાસ પર છું. પરંતુ ટેકનોલોજીની મદદથી આ ઐતિહાસિક કાર્યક્રમમાં આપ સૌની સાથે જોડાઈ રહ્યો છું.

સાથીઓ, આજે દેશની ધરતી, પશ્ચિમ બંગાળની ધરતી, પોતાના એક મહાન સપૂત, એક મહાન દેશભક્ત, ભારતના અખંડિતતા માટે સમર્પિત એક યુગદ્રષ્ટાને શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરી રહી છે. આજે આપણે એ વિચારબીજના ગુણગાન ગાઈ રહ્યા છીએ, જે વર્તમાન સમયમાં ચારેય તરફ ફલીભૂત થઈ રહ્યું છે. જે, આધુનિક ભારતને દિશા આપવામાં મોટી ભૂમિકા ભજવી રહ્યું છે.

સાથીઓ, જ્યાં જમીન સાથે જોડાયેલી વૈચારિક શક્તિ હોય, સાથે-સાથે ઈરાદા મજબૂત હોય અને દાનત સાફ હોય અને જ્યારે નવા સંકલ્પ સાથે સંપૂર્ણ સમર્પણ હોય અને આ બધી કડીઓ જ્યારે આપસમાં જોડાઈ જાય છે, ત્યારે સંકલ્પની સિદ્ધિ થાય જ થાય છે. અને ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીએ આવું જ જીવન જીવીને બતાવ્યું છે. હું ડૉક્ટર મુખર્જીની 125મી જન્મજયંતીના અવસર પર તેમને નમન કરું છું, પોતાની શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું.

સાથીઓ, આજનો આ કાર્યક્રમ એ વાતનો પણ સાક્ષી છે કે જ્યારે રાષ્ટ્ર પ્રથમના સંકલ્પ વાળી સરકાર હોય છે, ત્યારે રાષ્ટ્ર નાયકોને સન્માન પણ મળે છે અને તેમના વિઝન (દૂરંદેશી) પર ચાલવાનો પ્રયાસ પણ થાય છે. ડૉક્ટર મુખર્જીની 125મી જન્મજયંતીને, આપણી સરકાર બે વર્ષના રાષ્ટ્રીય ઉત્સવ તરીકે ઉજવી રહી છે. આ ગત વર્ષે 6 જુલાઈના રોજ શરૂ થયો હતો અને આગામી વર્ષે 6 જુલાઈ સુધી ચાલશે. અને હવે તો બંગાળમાં ભાજપ સરકાર બન્યા પછી આ રાષ્ટ્રીય સન્માનને, એક પ્રેરણા પુરુષને યાદ કરવામાં બંગાળે પોતાની રીતે રોનક વધારી દીધી છે. થોડા દિવસ પહેલા જ 20 જૂનના રોજ ભવ્ય રીતે પશ્ચિમ બંગ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બંગાળની ધરતી, બંગાળના વારસાને પ્રણામ હતા. આજનો આ કાર્યક્રમ પોતાના વારસા પ્રત્યેના એ જ સન્માનનો એક ભાગ છે. હું પશ્ચિમ બંગાળ સરકારને આટલા ભવ્ય કાર્યક્રમ માટે ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.

સાથીઓ, ડૉક્ટર મુખર્જીનું જીવન, એક વિચારથી જન-આંદોલન સુધી પ્રેરિત થઈ શકે તેનું પ્રેરણાદાયી ઉદાહરણ છે. તેમણે ભારતમાં એક વૈચારિક આંદોલનને જન્મ આપ્યો. આપ જુઓ, જે સમયે જનસંઘની સ્થાપના થઈ હતી, ત્યારે બધી તરફ કોંગ્રેસનો જ દબદબો હતો, કોંગ્રેસનું જ વર્ચસ્વ દેખાતું હતું. એક એવા દોરમાં, જ્યારે અલગ વિચાર માટે કોઈ જગ્યા જ નહોતી, પગ રાખવા માટે પણ જગ્યા મળી જવી બહુ મુશ્કેલ હતી, ત્યારે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીએ એ બધી પરિસ્થિતિઓને પડકારતા એક નવા વિચારનો સાહસ કર્યો. આ માત્ર એક સંગઠન બનાવવાનો નિર્ણય નહોતો, એક રાજકીય પક્ષને જન્મ આપવાનું કામ નહોતું. આ લોકશાહીમાં વૈચારિક વિવિધતા, રાષ્ટ્રીય ચિંતન અને જનભાગીદારી પર તેમના અતૂટ વિશ્વાસની અભિવ્યક્તિ હતી. આ જ વિશ્વાસથી ભારતીય જનસંઘનો જન્મ થયો. અને સાથીઓ, કોઈ પણ વિચાર માત્ર સ્થાપનાથી અમર નથી થતો. વિચાર ત્યારે અમર થાય છે, જ્યારે પેઢીઓ તેને પોતાના જીવનથી સિંચે છે. ભારતીય જનસંઘના એ નાના એવા દીવાને પ્રજ્વલિત રાખવા માટે લાખો કાર્યકર્તાઓએ પોતાનું જીવન ખપાવી દીધું. પળેપળ, ક્ષણે-ક્ષણ, લાખો કાર્યકર્તાઓના તપ, ત્યાગ અને સમર્પણે, એ દીવાની જ્યોતને ક્યારેય બુઝાવા ન દીધી. આજે એ દીવો પોતાના મૂળ સ્વરૂપમાં ભલે ન દેખાતો હોય, ભારતીય જનસંઘ આજે એ જ સ્વરૂપમાં ભલે ન હોય, પરંતુ એ દીવાનો જે પ્રકાશ-પુંજ હતો, તે આજે કરોડો દેશવાસીઓના વિશ્વાસનો પ્રકાશ બનીને ફેલાઈ રહ્યો છે. એ જ પ્રકાશનો વિસ્તાર આજે સમગ્ર દેશમાં ખીલેલા કરોડો કમળના સ્વરૂપમાં દેખાઈ રહ્યો છે. ક્યારેક જે ભારતીય જનસંઘ હતો, તે જ આજે ભારતીય જનતા પાર્ટીના સ્વરૂપમાં વિશ્વની સૌથી મોટી લોકશાહી શક્તિ બનીને જનસેવા કરી રહ્યો છે.

સાથીઓ, મોટેભાગે આપણે જોઈએ છીએ કે સમયની સાથે કેટલાક વિચારોનું આકર્ષણ ફીકું પડતું જાય છે. પરંતુ આપ વિચારો, આ કેટલું સશક્ત વિચાર-બીજ ડૉક્ટર મુખર્જીએ રોપ્યું છે કે આજે આટલા વર્ષો પછી પણ તેનો આટલી ઝડપથી વિસ્તાર થઈ રહ્યો છે. મને પૂરો વિશ્વાસ છે, જ્યારે આવનારી પેઢીઓ ભારતીય જનતા પાર્ટીની આ યાત્રાનો ઇતિહાસ લખશે, આનો અભ્યાસ કરશે, ત્યારે તેઓ ચોક્કસપણે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના વિચારો, તેમના સાહસ અને તેમની દૂરદ્રષ્ટિનો ઉલ્લેખ કરશે. અને હું ફરીથી કહીશ, બંગાળ માટે તો આ બમણી ખુશીની વાત છે. એક તો ડૉક્ટર મુખર્જીની 125મી જન્મજયંતી અને બીજું, બંગાળમાં આ આયોજન, તેમના વિચાર પુંજમાંથી નીકળેલી ભાજપ સરકારમાં આ ભવ્ય ઉત્સવ થઈ રહ્યો છે. પશ્ચિમ બંગાળની જનતા તરફથી પોતાના મહાન સપૂતને આ બહુ જ આત્મીય શ્રદ્ધાંજલિ છે.

સાથીઓ, સંસદમાં પોતાના એક ભાષણમાં ડૉક્ટર મુખર્જીએ કહ્યું હતું અને ડૉક્ટર મુખર્જીનું આ વાક્ય આજે પણ આપણને પ્રેરણા આપે છે. ડૉક્ટર મુખર્જીએ પાર્લામેન્ટમાં કહ્યું હતું- રાષ્ટ્રીય એકતાના ધરાતલ પર જ સોનેરી ભવિષ્યનો પાયો રાખી શકાય છે. અને જુઓ, આજે દેશ ગર્વથી કહી શકે છે કે ડૉક્ટર મુખર્જી અંતિમ શ્વાસ સુધી આ જ વિશ્વાસને જીવ્યા હતા, તેમણે આને જીવ્યો હતો. 1947માં જ્યારે દેશનું વિભાજન થયું, લગભગ નક્કી થઈ ચૂક્યું હતું, ત્યારે એક બીજું સંકટ સામે હતું. આખેઆખા બંગાળને જ ભારતથી અલગ કરવાનું ષડયંત્ર રચાઈ રહ્યું હતું. ત્યારે ડૉક્ટર મુખર્જી આ ષડયંત્રોની સામે ચટ્ટાન બનીને ઊભા રહી ગયા. તેમણે જનમત તૈયાર કર્યો, રાજકીય સંઘર્ષ કર્યો અને એ સુનિશ્ચિત કર્યું કે પશ્ચિમ બંગાળ ભારતનો અભિન્ન ભાગ બની રહે અને ત્યારે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીએ હુંકાર ભરી હતી. તેમના શબ્દો હતા- કોંગ્રેસ દેશ ભાગ કોરેછે, આમી પાકિસ્તાન કે ભાગ કોરેછી. એટલે કે કોંગ્રેસે દેશના ભાગલા કર્યા, અને મેં પાકિસ્તાનના જ ભાગલા કરી દીધા.

સાથીઓ, આ જે હુંકાર છે, આની જે તાકાત છે, આમાં જે મોટી રાજકીય ઇચ્છાશક્તિના દર્શન થાય છે, તેનો અહેસાસ આપણને ત્યારે પણ થાય છે, જ્યારે આપણે આજની પરિસ્થિતિઓને જોઈએ છીએ.

સાથીઓ, ડૉક્ટર મુખર્જી, એક ભારત શ્રેષ્ઠ ભારત માટે પૂરી રીતે સમર્પિત હતા. અને એટલા માટે, જ્યારે દેશમાં બે વિધાન, બે પ્રધાન, બે નિશાનની વાત થઈ, તો ડૉક્ટર મુખર્જીએ આનો પણ જોરદાર વિરોધ કર્યો. તેમણે દેશને મંત્ર આપ્યો- એક દેશે દુઈ બિધાન, દુઈ પ્રોધાન એબોન્ગ દુઈ નિશાન, આમરા કોખોનો મેને નેબો ના એટલે કે "એક દેશમાં બે વિધાન, બે પ્રધાન અને બે નિશાન— નહીં ચાલે, નહીં ચાલે." આ માત્ર એક નારો નહોતો. આ સમાન અધિકાર, સમાન બંધારણ અને સમાન રાષ્ટ્રીય ચેતનાનું આહ્વાન હતું. તેમણે પોતાના સિદ્ધાંતો માટે સંઘર્ષ કર્યો, જેલમાં ગયા અને અંતે કાશ્મીર માટે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું. આજે આપણી સરકારને એ વાતનો ગર્વ છે કે આર્ટિકલ 370 (અનુચ્છેદ 370) ની દીવાલ પાડીને આપણે ડૉક્ટર મુખર્જીનું સપનું પૂરું કર્યું છે.

સાથીઓ, આજે જ્યારે આપણે એક ભારત, શ્રેષ્ઠ ભારતની વાત કરીએ છીએ, તો આ એ જ રાષ્ટ્રીય દ્રષ્ટિનો વિસ્તાર છે, જેને ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીએ પોતાના જીવનથી વ્યાખ્યાયિત કર્યો. એક એવું ભારત-જ્યાં ઉત્તર અને દક્ષિણ વચ્ચે કોઈ અંતર ન હોય, જ્યાં પૂર્વ અને પશ્ચિમ, સમાન તકોના સહભાગી હોય, જ્યાં દરેક રાજ્ય પોતાની વિશિષ્ટ ઓળખ સાથે ભારતની સામૂહિક શક્તિ બને. જ્યાં દરેક નાગરિક એક જ બંધારણ, એક જ રાષ્ટ્રીય ભાવના અને એક જ ભવિષ્યના સંકલ્પથી જોડાયેલો હોય. મને ખુશી છે કે ડૉક્ટર મુખર્જીની પ્રેરણાથી આજે ભારતનું બંધારણ સમગ્ર દેશમાં આન-બાન-શાન સાથે લાગુ છે અને કોટિ-કોટિ દેશવાસીઓને પ્રેરણા આપી રહ્યું છે.

સાથીઓ, ડૉક્ટર મુખર્જી, આ વાતને સારી રીતે સમજતા હતા કે સંસ્થાઓના નિર્માણમાં જ રાષ્ટ્ર નિર્માણનું તત્વ છુપાયેલું છે. માત્ર 33 વર્ષની ઉંમરે ડૉ. મુખર્જી, કલકત્તા યુનિવર્સિટીના સૌથી યુવા કુલપતિ બન્યા. પરંતુ તેમણે એ પદને માત્ર વહીવટી જવાબદારી ન માની. તેમણે યુનિવર્સિટીને ભારતના ભવિષ્યનું નિર્માણ કરનારી સંસ્થા તરીકે જોઈ. તેમણે શિક્ષણને ગુલામીની વિચારસરણીના દાયરામાંથી બહાર લાવવાનો પ્રયાસ કર્યો. તેમણે કહ્યું હતું- બોન્ગો-જાતિર આત્તોશોમ્માન પુનોર-ઉદ્ધાર, એબોન્ગ માતૃ-ભાષાર માધ્યોમે શિખ્ખાર પ્રોશાર એઈ આમાદેર પ્રોધાન લોક્ખો હોવા ઉચિત! એટલે કે બંગાળના લોકોનું આત્મસન્માન પરત લાવવું અને માતૃભાષામાં અભ્યાસ, આ આપણો પ્રથમ ઉદ્દેશ્ય છે. તેમનો વિશ્વાસ હતો કે જો ભારતને આત્મવિશ્વાસુ રાષ્ટ્ર બનવું હોય, તો તેનું શિક્ષણ પણ ભારતીય આત્મા સાથે જોડાયેલું હોવું જોઈએ. આ જ વિચાર સાથે તેમણે ભારતીય ભાષાઓને સન્માન આપ્યું. આજે આપણને એ વાતનો પણ ગર્વ છે કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ સ્થાનિક ભાષામાં અભ્યાસ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. જે સપનું ડૉક્ટર મુખર્જીએ જોયું હતું, તે આપણી સરકારે પૂરું કર્યું છે.

સાથીઓ, સ્વતંત્ર ભારતના પ્રથમ ઉદ્યોગ મંત્રી તરીકે તેમણે ઔદ્યોગિક વિકાસનું બહુ મોટું વિઝન (દૂરંદેશી) રાખ્યું હતું. તેમણે એવી રાષ્ટ્રીય સંસ્થાઓનો પાયો નાખ્યો, જે આવનારા દાયકાઓ સુધી ભારતની આર્થિક શક્તિ બને. ચિત્તરંજન લોકોમોટિવ વર્ક્સ એ ભારતની રેલવે વ્યવસ્થાને નવી ગતિ આપી. સિંદરી ફર્ટિલાઈઝર પ્લાન્ટ એ કૃષિ આત્મનિર્ભરતાની દિશામાં મોટું પગલું ભર્યું. દામોદર વેલી કોર્પોરેશન એ ઊર્જા અને સિંચાઈનો નવો અધ્યાય લખ્યો. ઇન્ડસ્ટ્રિયલ ફાઇનાન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (Industrial Finance Corporation of India - IFCI) એ ભારતીય ઉદ્યોગોને નાણાકીય આધાર આપ્યો.

સાથીઓ, તેમના માટે ઉદ્યોગો, ફેક્ટરીઓ, આ માત્ર કેટલીક મીલો કે કારખાના નહોતા. યુનિવર્સિટીઓ, માત્ર ડિગ્રી આપનારી સંસ્થાઓ નહોતી. રિસર્ચ ઇન્સ્ટિટ્યૂશન્સ (સંશોધન સંસ્થાઓ), માત્ર વૈજ્ઞાનિક પ્રયોગોની જગ્યા નહોતી. તેમના માટે આ બધી, રાષ્ટ્ર નિર્માણના સાધના કેન્દ્રો હતા. ડૉક્ટર મુખર્જી, એવી સંસ્થાઓના પક્ષધર હતા, જે ટેલેન્ટ (પ્રતિભા) ને તક આપે. એવું શિક્ષણ, જે ઇનોવેશન (નવીનતા) ને પ્રોત્સાહન આપે. એવા ઉદ્યોગો, જે આત્મનિર્ભરતાનો આધાર બને. અને એવી વ્યવસ્થા, જે આવનારી પેઢીઓને વધુ સશક્ત ભારત સોંપી શકે. અને આ જ સ્પિરિટ (ભાવના), આજે વિકસિત ભારતની પણ પ્રેરણા છે.

સાથીઓ, આજના આ અવસર પર હું, બંગાળના, સમગ્ર દેશના મારા યુવા સાથીઓને કહીશ, ડૉક્ટર મુખર્જીએ એક ભારત માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. આપણે બધાએ શ્રેષ્ઠ ભારત માટે જીવવાનું છે, આપણે મળીને વિકસિત ભારતનો સંકલ્પ સિદ્ધ કરવાનો છે. આપણે દેશને આત્મનિર્ભર બનાવવાનો છે. આ જ આહ્વાનની સાથે, એકવાર ફરીથી હું ડૉક્ટર મુખર્જીને નમન કરું છું. હું તેમના જ શબ્દોમાં મારી વાત સમાપ્ત કરીશ. આ ડૉક્ટર મુખર્જીના શબ્દો છે, આ તેમની ભાવના છે- જે કાજ એઈ હાતે નાઓ ના કેનો, તા અત્યોંતો ગુરુત્તો શહોકારે કોરતે હોબે એટલે કે જે પણ કામ હાથમાં લો, તેને પૂરી ગંભીરતાથી કરો, તન્મયતાથી કરો, પૂરી નિષ્ઠાથી કરો, કોઈ પણ કામ અધૂરું ના છોડો, તેને જરૂર પૂરું કરો. ડૉક્ટર મુખર્જીના શબ્દોમાં વહેતી આ ભાવનાની સાથે, તેમના જ આ શબ્દો સાથે આપ સૌને પણ ખૂબ-ખૂબ શુભેચ્છાઓ!

ખૂબ-ખૂબ ધન્યવાદ!

SM/BS/JD


(रिलीज़ आईडी: 2281844) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी