PIB Backgrounder
azadi ka amrit mahotsav

પીએમ સ્વનિધિ: સર્વાઇવલથી સેલ્ફ-રિલાયન્સ તરફ

પોસ્ટેડ ઓન: 30 MAY 2026 12:26PM by PIB Ahmedabad

પીએમ સ્વનિધિ ભારતના અનૌપચારિક શહેરી અર્થતંત્રમાં કામ કરતા ફેરિયાઓને સહયોગ આપતી એક મુખ્ય પહેલ તરીકે ઉભરી આવી છે. ગેરંટી મુક્ત લોન પૂરી પાડવા ઉપરાંત, આ યોજનાએ ડિજિટલ સ્વીકૃતિને પ્રોત્સાહિત કરી છે, સંસ્થાગત ધિરાણ સુધીની પહોંચમાં સુધારો કર્યો છે અને સામાજિક સુરક્ષા કવચનો વિસ્તાર કર્યો છે. વર્ષ 2020માં તેની શરૂઆત થઈ ત્યારથી, 1.12 કરોડથી વધુ લોન પહેલેથી જ વિતરિત કરવામાં આવી ચૂકી છે. આ પહેલથી શહેરો અને નગરોમાં 75 લાખથી વધુ લાભાર્થીઓને લાભ થયો છે. યોજના હેઠળ ₹17,800 કરોડથી વધુની લોન પૂરી પાડવામાં આવી છે. તેની અસર માત્ર સત્તાવાર આંકડાઓમાં જ નહીં પરંતુ વધુ મજબૂત અને વધુ ટકાઉ આજીવિકાનું નિર્માણ કરતા ફેરિયાઓની રોજબરોજની સફરમાં પણ દેખાઈ રહી છે.

ભારતના શેરી ફેરિયાઓ (સ્ટ્રીટ વેન્ડર્સ) ની બદલાતી વાર્તા

ભીડભાડવાળા બજારમાં શાકભાજી વેચનાર અને વ્યસ્ત ઓફિસની બહાર ચા વેચનાર એ ભારતીય શહેરોમાં પરિચિત દ્રશ્યો છે. ગલીઓમાં ફરતા ફળની લારીવાળા અને રોડની બાજુમાં ફૂટપાથ પર પગરખાં સાંધતા મોચી પણ રોજિંદા શહેરી જીવન માટે એટલા જ આવશ્યક છે. સાથે મળીને, આ લાખો શેરી ફેરિયાઓ ભારતના શહેરી અર્થતંત્રને દરરોજ ગતિશીલ રાખે છે. તેઓ સ્થાનિક બજારો અને પડોશની સપ્લાય ચેઇનને ટકાવી રાખવાની સાથે પરવડે તેવી વસ્તુઓ અને આવશ્યક સેવાઓ પૂરી પાડે છે. જો કે, ફોર્મલ ક્રેડિટ સુધી તેમની પહોંચ મર્યાદિત હતી, જેના કારણે ઘણા ફેરિયાઓને ખૂબ જ ઊંચા વ્યાજ દરો પર અનૌપચારિક ધિરાણ પર નિર્ભર રહેવું પડતું હતું. તેમના પડકારોનો સામનો કરવા માટે, પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ (PM SVANidhi) યોજના જૂન 2020માં સરકાર સમર્થિત ક્રેડિટ ગેરંટી સપોર્ટ સાથે શેરી ફેરિયાઓ પર કેન્દ્રિત પોતાની પ્રકારની પ્રથમ માઇક્રો-ક્રેડિટ પહેલ તરીકે શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો હેતુ શેરી ફેરિયાઓને સ્વરોજગાર, સ્વાવલંબન અને સ્વાભિમાનપૂરો પાડવાનો હતો. આજે, પીએમ સ્વનિધિ એક સામાન્ય લોન કાર્યક્રમથી ઘણો આગળ વધીને ભારતના અનૌપચારિક અર્થતંત્રમાં કામ કરતા લાખો લોકો માટે નાણાકીય સશક્તિકરણ, ડિજિટલ સમાવેશીકરણ અને સામાજિક સુરક્ષાને આગળ વધારતા દેશવ્યાપી આંદોલનમાં પરિવર્તિત થઈ ગઈ છે.

છેલ્લા વર્ષોમાં, આ યોજનાએ દેશભરના શહેરો અને નગરોમાં નોંધપાત્ર વૃદ્ધિ જોઈ છે. 75.5 લાખથી વધુ લાભાર્થીઓએ ₹17,800 કરોડથી વધુની રકમની 1.12 કરોડથી વધુ લોન મેળવી છે. આ યોજના હેઠળ 55 લાખથી વધુ લાભાર્થીઓને ડિજિટલ રીતે ઓનબોર્ડ કરવામાં આવ્યા છે. સાથે મળીને, તેઓએ લગભગ ₹8.96 લાખ કરોડની કિંમતના 841 કરોડથી વધુ ડિજિટલ વ્યવહારો કર્યા છે. પીએમ સ્વનિધિ હેઠળના લાભાર્થીઓએ ડિજિટલ કેશબેક પ્રોત્સાહનો અને વ્યાજ સબસિડી દ્વારા લગભગ ₹800 કરોડ પણ મેળવ્યા છે. મજબૂત સિદ્ધિઓ અને માપી શકાય તેવી અસરના આધારે, આ યોજનાને માર્ચ 2030 સુધી લંબાવવામાં આવી છે.

 

પીએમ સ્વનિધિ (PM SVANidhi) યોજનાની મુખ્ય વિશેષતાઓ

  1. વર્કિંગ કેપિટલ લોન: વ્યાજ સબસિડી અને ક્રેડિટ ગેરંટી સપોર્ટ સાથે ત્રણ પ્રગતિશીલ તબક્કાઓ (ટ્રંચ) માં ₹15,000, ₹25,000 અને ₹50,000 ની ગેરંટી મુક્ત લોન પૂરી પાડવામાં આવે છે.
  2. યુપીઆઈ-લિંક્ડ રુપે ક્રેડિટ કાર્ડ્સ: બીજા તબક્કાની લોનની સફળતાપૂર્વક ચુકવણી કરનારા ફેરિયાઓ ₹30,000 સુધીની મર્યાદાવાળા યુપીઆઈ-લિંક્ડ રુપે ક્રેડિટ કાર્ડ્સ માટે પાત્ર બને છે.
  3. ડિજિટલ એડોપ્શન: ડિજિટલ સ્વીકૃતિ અને નાણાકીય સાક્ષરતાને પ્રોત્સાહિત કરવા માટે છૂટક/જથ્થાબંધ ડિજિટલ વ્યવહારો માટે શેરી ફેરિયાઓને ₹1,600 સુધીના કેશબેક પ્રોત્સાહનો આપવામાં આવે છે.
  4. સ્વનિધિ સે સમૃદ્ધિ (SSS): લાભાર્થીઓ અને તેમના પરિવારોના સામાજિક-આર્થિક પ્રોફાઇલિંગની કામગીરી તેમને આઠ પસંદગીની કેન્દ્રીય કલ્યાણ યોજનાઓ સાથે જોડવા અને એક સર્વગ્રાહી સામાજિક સુરક્ષા નેટ બનાવવા માટે કરવામાં આવે છે.
  5. કેપેસિટી બિલ્ડિંગ અને એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ: એફએસએસએઆઈ (FSSAI)ના સહયોગથી ફેરિયાઓને નાણાકીય સાક્ષરતા, ડિજિટલ સાક્ષરતા અને ખાદ્ય સુરક્ષા તેમજ સ્વચ્છતા અંગેની તાલીમ પૂરી પાડવામાં આવે છે.

પીએમ સ્વનિધિ યોજનાની અસર

પીએમ સ્વનિધિના સ્વતંત્ર અસર મૂલ્યાંકન વર્ષ 2023 અને 2025માં કરવામાં આવ્યા હતા. આ અભ્યાસોએ નીચેના નોંધપાત્ર સુધારાઓ પર પ્રકાશ પાડ્યો હતો:

નાણાકીય સશક્તિકરણ

આ યોજનાએ વ્યવસાયની ટકાઉપણું મજબૂત કરી છે અને દેશભરના ફેરિયાઓની કમાણીમાં સુધારો કર્યો છે. લગભગ 95% લાભાર્થીઓએ પીએમ સ્વનિધિ હેઠળ પ્રથમ વખત ઔપચારિક સંસ્થાગત ધિરાણ મેળવ્યું હતું. આશરે 30% લોકોએ પાછળથી સ્વનિધિ લોન ઉપરાંત વધારાનું ધિરાણ મેળવ્યું, જે સુધરેલી ક્રેડિટપાત્રતા અને નાણાકીય સમાવેશીકરણ દર્શાવે છે. લાભાર્થીઓની આવકમાં પણ સરેરાશ વાર્ષિક અંદાજે 20%નો વધારો નોંધાયો હતો.

ઘરગથ્થુ કલ્યાણમાં સુધારો

પીએમ સ્વનિધિ હેઠળના આર્થિક લાભોએ લાભાર્થીઓના જીવનધોરણને સુધારવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. આ યોજનાએ આવાસની વધુ સ્થિરતા અને પૌષ્ટિક ખોરાક, આરોગ્ય સંભાળ અને શિક્ષણ સુધીની બહેતર પહોંચને ટેકો આપ્યો હતો.

પીએમ સ્વનિધિએ સંવેદનશીલ શહેરી સમુદાયો વચ્ચે સામાજિક સમાવેશીકરણને પણ મજબૂત કર્યું છે. આ યોજના હેઠળ લગભગ 46% લાભાર્થીઓ મહિલાઓ છે, જે મજબૂત લિંગ સમાવેશીકરણ દર્શાવે છે. આશરે 70% વંચિત સમુદાયોમાંથી આવે છે, જે યોજનાની સમાવેશી પહોંચ પર પ્રકાશ પાડે છે.

સ્થિતિસ્થાપકતા અને સશક્તિકરણનો અવાજ

આંકડાઓ અને લોન વિતરણની પાછળ દ્રઢતા, હિંમત અને નવી આકાંક્ષાઓની વાર્તાઓ છે. ઘણા ફેરિયાઓ માટે, પીએમ સ્વનિધિએ સ્થિરતા, વૃદ્ધિ અને એક સમયે પહોંચની બહાર માનવામાં આવતી તકોના દરવાજા ખોલ્યા છે. દેશના વિવિધ ભાગોના આ અનુભવો દર્શાવે છે કે કેવી રીતે સમયસરની સુવિધા નાના વ્યવસાયોને પુનઃપ્રાપ્ત થવામાં, અનુકૂલન સાધવામાં અને વધુ આત્મવિશ્વાસ સાથે આગળ વધવામાં મદદ કરી રહી છે.

એક નાની લારીથી દુકાન સુધી

ગાઝિયાબાદના નંદગ્રામના બબિતા શર્મા સ્થાનિક મંદિરની નજીક પૂજાની સામગ્રી વેચતી એક નાની દુકાન ચલાવે છે. દરરોજ, ભક્તો અગરબત્તી, દીવા, ફૂલ, નાળિયેર અને પૂજા માટે જરૂરી અન્ય વસ્તુઓ ખરીદવા માટે તેમની લારી પર આવે છે. આ વ્યવસાયથી તેમના પરિવારને ટેકો મળતો હતો, પરંતુ મર્યાદિત ભંડોળને કારણે તેમના માટે વ્યવસાયનો વિસ્તાર કરવો અને ગ્રાહકોની માંગને પૂરી કરવી ઘણીવાર મુશ્કેલ બનતી હતી. જુલાઈ 2020માં, બબિતાને અર્બન લોકલ બોડી (ULB)ના અધિકારીઓ દ્વારા પીએમ સ્વનિધિ યોજના વિશે જાણવા મળ્યું. તેને પોતાની આજીવિકા સુધારવાની તક તરીકે જોઈને, તેમણે આ યોજના હેઠળ લોન માટે અરજી કરી. પ્રથમ પીએમ સ્વનિધિ લોન મેળવ્યા પછી, બબિતાએ તે નાણાં વધારાનો સ્ટોક ખરીદવામાં અને તેની લારી પર વધુ ઉત્પાદનો લાવવામાં રોક્યા. વ્યાપક વિવિધતાએ વધુ ગ્રાહકોને આકર્ષ્યા અને તેના દૈનિક વેચાણ અને આવકમાં વધારો કરવામાં મદદ કરી. તેના વ્યવસાયમાં થયેલા સુધારાથી પ્રોત્સાહિત થઈને, તેમણે સમયસર લોન પરત કરી અને તે બીજા તબક્કા (ટ્રંચ) માટે પાત્ર બની. તેમણે આ લોનનો ઉપયોગ લારી ખરીદવા અને તેના વેચાણના સેટઅપને સુધારવા માટે કર્યો.

વ્યવસાય દ્વારા ક્ષિતિજોનો વિસ્તાર કરવો

એક દાયકાથી વધુ સમયથી, તિરુવનંતપુરમના શાંથિ આર. તેમના સૂકી માછલીના વ્યવસાય દ્વારા તેમના પરિવારના મુખ્ય કમાનાર વ્યક્તિ રહ્યા છે. પીએમ સ્વનિધિ પહેલા, તેઓ મુશ્કેલ સાપ્તાહિક ચુકવણીઓ વાળી ઊંચા વ્યાજની માઇક્રોફાઇનાન્સ લોન પર નિર્ભર હતા. આ નાણાકીય દબાણોએ તેમના વ્યવસાયની વૃદ્ધિને મર્યાદિત કરી અને દૈનિક કામગીરીને અસર કરી. પીએમ સ્વનિધિએ શાંથિને સુલભ સંસ્થાગત ધિરાણ દ્વારા ધીમે-ધીમે તેમની કામગીરી મજબૂત કરવામાં મદદ કરી. જેમ જેમ તેમનો વ્યવસાય સ્થિર થયો, તેમ તેમણે શેરીમાં વેચાણ કરવાથી આગળ વધીને સૂકી માછલીના પેકિંગ અને સ્થાનિક દુકાનોમાં સપ્લાય સુધી વિસ્તાર કર્યો. શાંથિને ₹10,000નો પ્રથમ તબક્કો મળ્યો અને પાછળથી આ યોજના હેઠળ ₹50,000ના ત્રીજા લોન તબક્કા સુધી પ્રગતિ કરી. આનાથી રોકડ પ્રવાહમાં સુધારો થયો અને તેમને ઇન્વેન્ટરીનું વધુ અસરકારક રીતે સંચાલન કરવામાં મદદ મળી. તેમને જાન્યુઆરી 2026માં સ્વનિધિ ક્રેડિટ કાર્ડ પણ મળ્યું, જેણે તેમની વધતી જતી વ્યવસાયિક કામગીરીને વધુ મજબૂત બનાવી. શાંથિ આર.નો અનુભવ દર્શાવે છે કે કેવી રીતે પીએમ સ્વનિધિ મહિલા ઉદ્યોગસાહસિકોને વ્યવસાયોમાં વિવિધતા લાવવા અને ટકાઉ આજીવિકા બનાવવામાં મદદ કરી રહી છે.

પડકારને તકમાં બદલવો

નૂનમતી, ગુવાહાટીની શેરીઓમાં, સેવાલી કલિતા એક સમયે તેમના ચાર સભ્યોના પરિવારનો ગુજરાન ચલાવવા માટે એક સામાન્ય પાનનો ગલ્લો ચલાવતા હતા. મુશ્કેલ સમય દરમિયાન, તેમણે માત્ર જીવંત રહેવા માટે પડોશીઓ પાસેથી પૈસા પણ ઉછીના લીધા હતા. ગુવાહાટી મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથેની વાતચીતે સેવાલીને પીએમ સ્વનિધિનો પરિચય કરાવ્યો. ₹10,000ની લોન સાથે, સેવાલીએ તેમની ઉદ્યોગસાહસિક ભાવનાનો ઉપયોગ કર્યો. તેમણે રોગચાળા દરમિયાન ઓર્ગેનિક શાકભાજીની વધતી માંગને ઓળખી. તેમણે સ્થાનિક રીતે તાજા ઉત્પાદનો મેળવવાનું અને તેને પોતાના પાનના ગલ્લાની સાથે વેચવાનું શરૂ કર્યું. વ્યવસાયમાં સુધારો થતાં, સેવાલીએ તેના બાળકોને ફરીથી શાળામાં દાખલ કર્યા અને ધીમે-ધીમે તેમના વ્યવસાયનો વિસ્તાર કર્યો. તેમણે અનુક્રમે ₹20,000 અને ₹50,000ની વધારાની લોન મેળવી. નાણાકીય સહાયથી તેમણે દેવા મુક્ત થવા, સ્ટોક વધારવા અને શાકભાજીની એક સમર્પિત દુકાન ખોલવા માટે સક્ષમ બની. આજે, સેવાલી ગુવાહાટીમાં તેમના પતિ સાથે એક સમૃદ્ધ વ્યવસાય ચલાવે છે. તે હવે તેમના વધતા વ્યવસાયમાંથી માસિક નફામાં લગભગ ₹8,000 કમાય છે. તેમની પ્રગતિ દ્રઢતા અને તકના શક્તિશાળી ઉદાહરણ તરીકે ઉભી છે.

નાની લોન, મોટો બદલાવ: એક શેરી ફેરિયાના જીવનનું પરિવર્તન

યોગરાજ માલી, એક 30 વર્ષીય બી.કોમના વિદ્યાર્થી, ગાંધીનગરમાં ચોળાફળી વેચવાનો સ્ટ્રીટ ફૂડનો વ્યવસાય ચલાવતા હતા. કમનસીબે, કોવિડ-19 રોગચાળાએ તેમના વ્યવસાયને ગંભીર રીતે અસર કરી. જો કે, પીએમ સ્વનિધિ યોજના હેઠળની લોનના રૂપમાં આશાનું કિરણ આવ્યું. આ લોને માત્ર તેમના વ્યવસાયને ફરીથી જીવંત જ ન કર્યો પરંતુ તેમનામાં અને તેમના પરિવારમાં અપાર ખુશીઓ પણ લાવી, કારણ કે તેઓ હવે આર્થિક રીતે સંઘર્ષ કરી રહ્યા ન હતા. લોન સાથે, યોગરાજે કેશબેક પુરસ્કારોનો લાભ મેળવીને ડિજિટલ ચૂકવણીઓ અપનાવી. વધુમાં, તેમણે અન્ય સરકારી યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા અને શ્રમયોગી માન ધન યોજનાનો લાભ લીધો. સહયોગ માટે આભારી યોગરાજ સ્વીકારે છે કે મુશ્કેલ સમય દરમિયાન સરકાર સહકારના એક સ્તંભ તરીકે ઉભી રહે છે, ખાસ કરીને એવા લોકો માટે જેઓ અન્યથા ઉપેક્ષિત અનુભવી શકે છે.

ધિરાણથી આગળ: એક બદલાતું શહેરી લેન્ડસ્કેપ

ભીડભાડવાળા બજારોથી લઈને રસ્તાના કિનારે આવેલી સાંકડી ગલીઓ સુધી, પીએમ સ્વનિધિએ દેશભરમાં અસંખ્ય રોજિંદી સફરોને શાંતિથી બદલી નાખી છે. આ યોજનાએ ફેરિયાઓને કામ પર પાછા ફરવા અને નાના વ્યવસાયોનો વિસ્તાર કરવા સક્ષમ બનાવ્યા છે. તેણે ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહિત કર્યા છે અને વધુ સુરક્ષિત, વધુ સંગઠિત વ્યવસાયિક પદ્ધતિઓને પ્રોત્સાહન આપ્યું છે. તેણે વંચિત સમુદાયો માટે સંસ્થાગત સહયોગ સુધીની પહોંચ પણ વિસ્તૃત કરી છે.

યોજનાની વિસ્તરતી પહોંચ વિકાસ અને સમાવેશીકરણમાં એક મોટા બદલાવને પ્રતિબિંબિત કરે છે. અનૌપચારિક અર્થતંત્રમાં કામ કરતા લાખો લોકો માટે, પીએમ સ્વનિધિએ તકોના એવા માર્ગો બનાવ્યા છે જે એક સમયે મેળવવા મુશ્કેલ હતા. ઘણી રીતે, આ પહેલ શહેરી શાસન (અર્બન ગવર્નન્સ) ના બદલાતા વિઝનને પ્રતિબિંબિત કરે છે. નાના ફેરિયાઓને હવે હાંસિયાના ભાગ તરીકે જોવામાં આવતા નથી. તેના બદલે, તેઓ ભારતની આર્થિક વૃદ્ધિની વાર્તામાં યોગદાન આપનારા તરીકે વધુને વધુ ઓળખાઈ રહ્યા છે.

સંદર્ભ

આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય

https://www.pmsvanidhi.mohua.gov.in/Home/PMSDashboard https://www.facebook.com/pmsvanidhi/ https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2225510®=3&lang=1 https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2006580®=3&lang=2 

માહિતી અને પ્રસારણ મંત્રાલય  

https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=1984414®=3&lang=2 

પ્રધાનમંત્રી કાર્યાલય

https://www.pmindia.gov.in/en/news_updates/cabinet-approves-restructuring-extension-of-lending-period-beyond-31-12-2024-of-pm-street-vendors-atmanirbhar-nidhi-pm-svanidhi-scheme 

પીડીએફ જોવા માટે ક્લિક કરો

પીઆઈબી રીસર્ચ

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2266949) મુલાકાતી સંખ્યા : 10
આ રીલીઝ વાંચો: English