સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
પહેલી ICMR વાર્ષિક ક્લિનિકલ ટ્રાયલ મીટ 2026 ઇન્ટિગ્રેટિવ મેડિસિન (સંકલિત ચિકિત્સા) સંશોધનમાં ભારતના ઉભરતા નેતૃત્વ પર પ્રકાશ પાડ્યો
ICMR એ ભારતમાં ફર્સ્ટ-ઇન-હ્યુમન ફેઝ 1 ક્લિનિકલ ટ્રાયલ્સને મજબૂત કરવા માટેનો અહેવાલ લોન્ચ કર્યો
બહુકેન્દ્રીય (મલ્ટિસેન્ટર) સંશોધનની સિંગલ એથિક્સ રિવ્યુ (એકલ નૈતિક સમીક્ષા) માટેની ઓપરેશનલ માર્ગદર્શિકા રજૂ કરવામાં આવી
ભારતની ક્લિનિકલ સંશોધન અને નિયમનકારી ઇકોસિસ્ટમને મજબૂત કરવા પર નિષ્ણાતોએ ચર્ચા-વિચારણા કરી
પોસ્ટેડ ઓન:
21 MAY 2026 11:35AM by PIB Ahmedabad
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા 20 મે, 2026 ના રોજ “આંતરરાષ્ટ્રીય ક્લિનિકલ ટ્રાયલ્સ દિવસ: ઇન્ટિગ્રેટિવ મેડિસિન ક્લિનિકલ ટ્રાયલ્સ પર ધ્યાન કેન્દ્રિત કરો” થીમ હેઠળ સફળતાપૂર્વક “પહેલી ICMR વાર્ષિક ક્લિનિકલ ટ્રાયલ મીટ 2026” નું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય સ્તરની ઇવેન્ટે દેશમાં ક્લિનિકલ ટ્રાયલ ઇકોસિસ્ટમને મજબૂત કરવા અને પુરાવા-આધારિત સંકલિત ચિકિત્સા (ઇન્ટિગ્રેટિવ મેડિસિન) સંશોધનને આગળ વધારવા અંગેની ચર્ચા-વિચારણા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે સેવા આપી હતી.
આ બેઠકે નીતિ ઘડવૈયાઓ, વૈજ્ઞાનિકો, ચિકિત્સકો, સંશોધકો, નિયમનકારી સત્તાવાળાઓ અને વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોને ક્લિનિકલ સંશોધનમાં ઉભરતી તકો, નૈતિક માળખાં, નિયમનકારી માર્ગો અને નવીનતાઓ પર ચર્ચા કરવા માટે એકસાથે લાવ્યા હતા.
આ કાર્યક્રમમાં પ્રોફેસર (ડૉ.) વી. કે. પૌલ, ડૉ. રાજીવ બહલ અને વૈદ્ય રાજેશ કોટેચા સહિત આરોગ્ય સંભાળ અને વૈજ્ઞાનિક સમુદાયના પ્રતિષ્ઠિત નિષ્ણાતો અને હિતધારકો ઉપસ્થિત રહ્યા હતા.
મેળાવડાને સંબોધતા, મહાનુભાવોએ દેશમાં ઉભરતા જાહેર આરોગ્ય પડકારોને પહોંચી વળવા અને આરોગ્ય સંભાળ વિતરણ પ્રણાલીને મજબૂત કરવા માટે મજબૂત ક્લિનિકલ સંશોધન પ્રણાલીઓ, નૈતિક શાસન અને સંકલિત આરોગ્ય સંભાળ પદ્ધતિઓના વૈજ્ઞાનિક પ્રમાણીકરણની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
આ ઇવેન્ટના મુખ્ય આકર્ષણોમાંનું એક આયર્નની ઉણપથી થતા એનિમિયા (પાંડુરોગ) પર ICMR-CCRAS બહુકેન્દ્રીય ફેઝ III રેન્ડમાઇઝ્ડ કંટ્રોલ્ડ ટ્રાયલ (RCT) ના પરિણામોની પ્રસ્તુતિ હતી. આ અભ્યાસે ભારતમાં જાહેર આરોગ્યની એક મોટી ચિંતા સમાન એનિમિયાના સંચાલન માટેના સંકલિત અભિગમોનું મૂલ્યાંકન કર્યું હતું.
આ ક્લિનિકલ ટ્રાયલમાં, ફક્ત પુનર્નવદી મંડુરની અસરકારકતા અને દ્રાક્ષવલેહ સાથે તેના સંયોજનની તુલના પ્રમાણભૂત આયર્ન-ફોલિક એસિડ પૂરક સાથે કરવામાં આવી હતી. મધ્યમ એનિમિયા ધરાવતી 18-49 વર્ષની વયની લગભગ 4,000 બિન-ગર્ભવતી મહિલાઓમાં હાથ ધરવામાં આવેલા આ અભ્યાસમાં 90 દિવસના સમયગાળા દરમિયાન હિમોગ્લોબિનના સ્તરો અને તબીબી પરિણામોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. પરિણામો દર્શાવે છે કે બંને આયુર્વેદિક ફોર્મ્યુલેશન ઉપચારાત્મક રીતે પ્રમાણભૂત આયર્ન-ફોલિક એસિડ થેરાપી સમાન જ ગુણકારી હતા.
આ પ્રસંગે “એડવાન્સિંગ ફર્સ્ટ-ઇન-હ્યુમન ફેઝ 1 ક્લિનિકલ ટ્રાયલ્સ ઇન ઇન્ડિયા: એ ડેલ્હી સ્ટડી ઓન રેગ્યુલેટરી પાથવેઝ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ” શીર્ષક ધરાવતો અહેવાલ પણ લોન્ચ કરવામાં આવ્યો હતો. આ અહેવાલ ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ, કોન્ટ્રેક્ટ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન્સ (CROs), શૈક્ષણિક સંસ્થાઓ અને રાષ્ટ્રીય નિયમનકારી એજન્સીઓના 37 નિષ્ણાતોના બે રાઉન્ડના પરામર્શ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો.
આ અભ્યાસે ભારતમાં પ્રારંભિક તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ્સની પ્રગતિને અસર કરતી મુખ્ય અડચણોને ઓળખી કાઢી છે અને દેશમાં નવીનતા-સંચાલિત ક્લિનિકલ સંશોધનને ટેકો આપવા માટે નિયમનકારી ક્ષમતાને મજબૂત કરવા, મંજૂરી પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવા અને એજન્સીઓ વચ્ચે સંકલન વધારવા સહિતના પગલાંની ભલામણ કરી છે.
આ ઇવેન્ટ દરમિયાન અન્ય એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ બાબત “ઓપરેશનલ ગાઇડલાઇન્સ ફોર સિંગલ એથિક્સ રિવ્યુ ઓફ મલ્ટિસેન્ટર રિસર્ચ ઇન ઇન્ડિયા” ની રજૂઆત હતી, જેનો ઉદ્દેશ્ય દેશભરમાં બહુકેન્દ્રીય સંશોધન અભ્યાસો માટે નૈતિક સમીક્ષા પદ્ધતિઓને મજબૂત અને સુમેળભરી બનાવવાનો છે.
આ કાર્યક્રમ દરમિયાન “પોલિસી અપટેક ઓફ ઇન્ટિગ્રેટિવ રિસર્ચ એવિડન્સ” (સંકલિત સંશોધન પુરાવાઓનો નીતિગત સ્વીકાર) વિષય પર એક પેનલ ચર્ચા પણ યોજવામાં આવી હતી. આ ચર્ચાએ વૈજ્ઞાનિક પુરાવાઓને જાહેર આરોગ્ય નીતિ અને આરોગ્ય સંભાળ પદ્ધતિઓમાં રૂપાંતરિત કરવા અંગે સાર્થક ચર્ચા-વિચારણાની સુવિધા પૂરી પાડી હતી.
આ વાર્ષિક ક્લિનિકલ ટ્રાયલ મીટે સહયોગ વધારવા, નૈતિક અને નિયમનકારી માળખાને મજબૂત કરવા અને ભારતના ક્લિનિકલ સંશોધન ઇકોસિસ્ટમમાં નવીનતા તેમજ વૈજ્ઞાનિક ઉત્કૃષ્ટતાને પ્રોત્સાહન આપવા તરફની ICMR ની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.





IJ/DK/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2263594)
મુલાકાતી સંખ્યા : 16