વેપાર અને ઉદ્યોગ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલે ભારતની IP મંજૂરી પ્રણાલીને ગતિ, પારદર્શિતા અને કાર્યક્ષમતામાં વૈશ્વિક સ્તરે ટોચના પાંચમાં સ્થાન આપવા હાકલ કરી


શ્રી પિયુષ ગોયલે નવીનતા સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે સહયોગી પ્રયાસો કરવા આહ્વાન કર્યુ; શાળાઓમાં 50,000 નવી નવીનતા પ્રયોગશાળાઓ માટે હાકલ કરી

ભારતે એક દાયકામાં પેટન્ટ ફાઇલિંગમાં 215% વૃદ્ધિ નોંધાવી; GII રેન્કિંગ 81 થી સુધરીને 38 થયું: શ્રી ગોયલ

સરકાર IP મંજૂરીઓને વેગ આપવા માટે કર્મચારીઓની ભરતી કરી રહી છે; શ્રી ગોયલે પારદર્શિતા અને પ્રામાણિકતા પર ભાર મૂક્યો

પોસ્ટેડ ઓન: 09 MAR 2026 9:13PM by PIB Ahmedabad

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલે આજે ભારતની ઇન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી (IP) મંજૂરી પ્રણાલીને ગતિ, પારદર્શિતા અને કાર્યક્ષમતાની દ્રષ્ટિએ વિશ્વમાં ટોચના પાંચમાં સ્થાન આપવા હાકલ કરી હતી, સાથે જ દેશની ઇનોવેશન ઇકોસિસ્ટમને મજબૂત કરવાની અને ઇનોવેટર્સ, સ્ટાર્ટઅપ્સ, MSME, મહિલાઓ અને યુવાનો તરફથી વ્યાપક ભાગીદારીને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

આજે નવી દિલ્હીમાં નેશનલ IP એવોર્ડ્સ અને IP કોન્ફરન્સને સંબોધતા, શ્રી ગોયલે જણાવ્યું હતું કે ટ્રેડમાર્ક, પેટન્ટ, કોપીરાઇટ, ડિઝાઈન અને જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન્સ (GI) સંબંધિત અરજીઓનો ઝડપી અને વધુ કાર્યક્ષમ નિકાલ ઇનોવેશનની મજબૂત સંસ્કૃતિને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે અને ઇનોવેટર્સને તેમના વિચારો બજારમાં વધુ ઝડપથી લાવવા સક્ષમ બનાવશે.

પુરસ્કાર વિજેતાઓને તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિઓ બદલ અભિનંદન આપતા, મંત્રીએ જણાવ્યું હતું કે આ પુરસ્કારો વૈજ્ઞાનિકો, ઇનોવેટર્સ, ટેકનોક્રેટ્સ, MSME, ઉદ્યોગસાહસિકો, કૃષિ સંસ્થાઓ અને IITs ના મૂલ્યવાન યોગદાનને માન્યતા આપે છે, જે ભારતની ઇનોવેશન-સંચાલિત વૃદ્ધિને આકાર આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. તેમણે કહ્યું કે પુરસ્કાર વિજેતાઓ નવા ભારતની ભાવના—એવું ભારત જે ટેકનોલોજીને અપનાવે છે અને વૈશ્વિક ઇનોવેશનમાં મોખરે રહેવા માંગે છેનું પ્રતિનિધિત્વ કરે છે.

શ્રી ગોયલે કહ્યું કે આવી સિદ્ધિઓને માન્યતા આપવી એ વ્યાપક IP ઇકોસિસ્ટમને સમાન પડકારો સ્વીકારવા અને સીમાચિહ્નરૂપ વિચારો વિકસાવવા માટે એક શક્તિશાળી સંદેશ મોકલે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ પુરસ્કારો વિજેતાઓને ભવિષ્યમાં વધુ સફળતા પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કરશે, જ્યારે અન્ય લોકોને સમાન માન્યતા માટે પ્રયત્નશીલ રહેવા પ્રેરણા આપશે.

મંત્રીએ બાળકોમાં નાની ઉંમરથી જ જિજ્ઞાસા, ઉત્સુકતા અને પૂછપરછની ભાવના કેળવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે યુવા મનને નવા વિચારો શોધવા અને પરંપરાગત સીમાઓથી આગળ વિચારવા માટે પ્રોત્સાહિત કરવું, ઇનોવેશનની સંસ્કૃતિ બનાવવા માટે આવશ્યક છે.

કેન્દ્રીય બજેટમાં જાહેર કરાયેલી શાળાઓમાં 50,000 નવી ઇનોવેશન લેબ્સ સ્થાપવાની સરકારની પહેલનો ઉલ્લેખ કરતા, શ્રી ગોયલે જણાવ્યું હતું કે આ પહેલોનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, પ્રયોગો અને સમસ્યા નિવારણને પ્રોત્સાહન આપવાનો છે.

તેમણે વ્યાવસાયિકો, ઇનોવેટર્સ અને ઉદ્યોગના હિતધારકોને તેમની શાળાઓ અને કોલેજો સાથે ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે જોડાઈને, વેબિનાર અથવા વીડિયો કોન્ફરન્સ દ્વારા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીને અને તેમને ઇનોવેશન, સાહસિકતા અને સમસ્યા નિવારણના મૂલ્યને સમજવા પ્રોત્સાહિત કરીને આ પ્રયાસમાં યોગદાન આપવા વિનંતી કરી હતી.

તાજેતરમાં ઉજવાયેલા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો ઉલ્લેખ કરતા, મંત્રીએ મહિલાઓને ઇનોવેશન અને IP ઇકોસિસ્ટમમાં વધુ ઊંડાણપૂર્વક સંકલિત કરવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે વધુ મહિલાઓ વિજ્ઞાન અને ટેકનોલોજીને તેમના કેન્દ્રિય ક્ષેત્ર તરીકે રાખીને સંશોધન ક્ષેત્રમાં પ્રવેશ કરી રહી છે, અને ભારપૂર્વક જણાવ્યું હતું કે તકનીકી પ્રગતિ સુનિશ્ચિત કરવા અને નાગરિકો માટે જીવનની ગુણવત્તા સુધારવા માટે યુવાનો અને મહિલાઓની ભાગીદારી મહત્વપૂર્ણ છે.

મંત્રીએ કહ્યું કે ભારતનું ટેલેન્ટ પૂલ, મજબૂત કૌશલ્ય આધાર અને દર વર્ષે ઉત્પન્ન થતા STEM ગ્રેજ્યુએટ્સની મોટી સંખ્યા દેશની ઇનોવેશન અને ઇન્ટેલેક્ટ્યુઅલ પ્રોપર્ટી ઇકોસિસ્ટમને વિશ્વમાં શ્રેષ્ઠ બનાવવામાં નોંધપાત્ર યોગદાન આપશે.

શ્રી ગોયલે ભારતની IP ઇકોસિસ્ટમમાં વૈશ્વિક શ્રેષ્ઠ પદ્ધતિઓ લાવવા અને તેને વિકસિત અર્થતંત્રો તેમજ વર્લ્ડ ઇન્ટેલેક્ટ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઈઝેશન (WIPO) પાસેથી શીખેલ બાબતો સહિત આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે સંરેખિત કરવા માટે અવિરતપણે કામ કરવા બદલ કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ, ડિઝાઇન્સ એન્ડ ટ્રેડ માર્ક્સ (CGPDTM) ના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે નોંધ્યું કે કચેરીએ સ્ટાફની અછત, જૂની ટેકનોલોજી અને અરજીઓના મોટા બેકલોગ સહિતના અનેક પડકારો સાથે તેની સફર શરૂ કરી હતી, પરંતુ મોટાભાગના બેકલોગને દૂર કરવા માટે નોંધપાત્ર પ્રયાસો કરવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે જ્યારે કેટલાક ક્ષેત્રોમાં ચોક્કસ પડકારો હજુ પણ બાકી છે, ત્યારે સરકાર નવી પ્રતિભાની ભરતી કરી રહી છે, ક્ષમતા મજબૂત કરી રહી છે અને પેન્ડિંગ કેસો સાથે વ્યવહાર કરવા અને કાર્યક્ષમતામાં સુધારો કરવા માટે કૌશલ્યો વધારી રહી છે.

કેટલીક પુરસ્કાર વિજેતા સંસ્થાઓ પર પ્રકાશ પાડતા, શ્રી ગોયલે IIT મદ્રાસના માર્ગદર્શક કાર્ય અને તેના સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેશન હબની પ્રશંસા કરી, જેને તેમણે ખરેખર અસાધારણ ગણાવ્યું હતું. સુવિધાની તેમની મુલાકાતને યાદ કરતા, તેમણે કહ્યું કે ત્યાં બનાવવામાં આવેલી ઇન્ક્યુબેશન ઇકોસિસ્ટમ દેશભરના અન્ય ઇન્ક્યુબેશન કેન્દ્રોને અપગ્રેડ કરવા માટે એક મોડેલ તરીકે ખાસ કરીને ટાયર-2 અને ટાયર-3 શહેરોમાં અને સિક્કિમ તથા ભારતના ઉત્તરીય ભાગો જેવા અંતરિયાળ વિસ્તારોમાં સેવા આપી શકે છે.

મંત્રીએ નવી ડિઝાઈનના લાયસન્સિંગમાં મહિલાઓની વધતી જતી ભૂમિકાની પણ નોંધ લીધી અને ઇનોવેટર્સને નવી ડિઝાઈન અને પરંપરાગત ઉત્પાદનોને જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન્સ (GI) રજિસ્ટ્રી હેઠળ નોંધણી કરવા પ્રોત્સાહિત કર્યા. ભારતની વિશાળ વિવિધતા અને સમૃદ્ધ વારસાને જોતા, તેમણે કહ્યું કે સમગ્ર દેશમાં GI નોંધણી વધારવાની નોંધપાત્ર ક્ષમતા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ટાંકીને શ્રી ગોયલે કહ્યું કે ભારતમાં પેટન્ટ અરજીઓમાં વધારો એ દેશના યુવાનોના વધતા ઇનોવેટિવ ઉત્સાહને પ્રતિબિંબિત કરે છે, જે ભવિષ્ય માટે ખૂબ જ સકારાત્મક સંકેત છે. તેમણે કહ્યું કે ઇનોવેટર્સમાં આ વધતો ઉત્સાહ વૈશ્વિક સ્તરે એક મજબૂત સંદેશ મોકલી રહ્યો છે કે ભારત ઇનોવેશન અને ટેકનોલોજી વિકાસના મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે.

ઇનોવેશન સૂચકાંકોમાં ભારતની પ્રગતિ પર પ્રકાશ પાડતા, શ્રી ગોયલે નોંધ્યું કે દેશે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ (GII) માં તેનું સ્થાન 2015 માં 81 માંથી હાલમાં 38 પર સુધર્યું છે. તેમણે એ પણ ધ્યાન દોર્યું કે ભારતમાં પેટન્ટ ફાઇલિંગ છેલ્લા એક દાયકામાં લગભગ 215 ટકા વધ્યું છે, જેમાં ભારતનું વૈશ્વિક રેન્કિંગ 14 થી સુધરીને 6 થયું છે.

શ્રી ગોયલે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઇનોવેશનની તકો રોજિંદા જીવનમાં રહેલી છે અને આવા પડકારોને ઓળખવા અને ઉકેલવા માટે ખુલ્લા મન અને સર્જનાત્મક વિચારસરણીની જરૂર છે.

રાષ્ટ્રીય સૂત્ર “જય જવાન, જય કિસાન”ની ઉત્ક્રાંતિને યાદ કરતા, જેને પાછળથી પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ “જય વિજ્ઞાન” સાથે વિસ્તૃત કર્યું હતું, મંત્રીએ નોંધ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમાં “જય અનુસંધાન” ઉમેર્યું, જે ભારતની વિકાસ યાત્રામાં ઇનોવેશન અને સંશોધનની કેન્દ્રીય ભૂમિકા પર પ્રકાશ પાડે છે.

તેમણે કહ્યું કે ભારત 30 વર્ષથી ઓછી સરેરાશ ઉંમર ધરાવતી યુવા વસ્તી, સંતુલિત લિંગ ગુણોત્તર અને વિવિધ ક્ષેત્રોમાં ઔપચારિક કાર્યબળમાં મહિલાઓની વધતી જતી ભાગીદારી સહિત અનેક વસ્તી વિષયક લાભો માણે છે.

મહિલા-આગેવાની હેઠળના ઇનોવેશનમાં નોંધપાત્ર ઉછાળા પર પ્રકાશ પાડતા, શ્રી ગોયલે કહ્યું કે મહિલાઓ દ્વારા પેટન્ટ ફાઇલિંગ છેલ્લા 12 વર્ષમાં 345 ગણું વધ્યું છે, જે ઇનોવેશન લેન્ડસ્કેપમાં પરિવર્તનકારી ફેરફાર દર્શાવે છે.

મંત્રીએ કહ્યું કે ભારત એક IP ક્રાંતિ જોઈ રહ્યું છે જેમાં ઇનોવેટર્સ માટે પ્રચંડ તકો છે. પ્રધાનમંત્રીના વિઝનને દોહરાવતા, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આગળનો માર્ગ “ઇનોવેટ, પેટન્ટ, પ્રોડ્યુસ એન્ડ પ્રોસ્પર” (ઇનોવેટ કરો, પેટન્ટ કરાવો, ઉત્પાદન કરો અને સમૃદ્ધ બનો) માં રહેલો છે.

સ્ટાર્ટઅપ્સ, મહિલા સાહસિકો અને સૂક્ષ્મ તથા નાના ઉદ્યોગોને ટેકો આપવા માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરતા, શ્રી ગોયલે કહ્યું કે સરકારે પહેલેથી જ IP-સંબંધિત ફીમાં લગભગ 50 થી 80 ટકાનો ઘટાડો કર્યો છે. તેમણે સૂચન કર્યું કે સિસ્ટમને વધુ સસ્તું અને સુલભ બનાવવા માટે મહિલા સાહસિકો, સ્ટાર્ટઅપ ઇનોવેટર્સ અને સૂક્ષ્મ તથા નાના ઉદ્યોગો માટે ફાઇલિંગમાં 80 ટકા ફી ઘટાડો લંબાવવો જોઈએ.

તેમણે આ અરજદારોને ટેકો આપવા અને IP ઇકોસિસ્ટમમાં વધુ ભાગીદારીને પ્રોત્સાહિત કરવા માટે ફાસ્ટ-ટ્રેક મિકેનિઝમ્સની શોધ કરવાનો પણ પ્રસ્તાવ મૂક્યો હતો.

ભારતના વૈશ્વિક આર્થિક જોડાણ વિશે વાત કરતા, શ્રી ગોયલે કહ્યું કે આત્મનિર્ભર ભારતનું વિઝન વિશ્વ માટે દરવાજા બંધ કરવાનો નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય ભાગીદારીને મજબૂત કરવાનો છે.

તેમણે નોંધ્યું કે ભારતે છેલ્લા સાડા ત્રણ વર્ષમાં નવ મુક્ત વ્યાપાર કરારો (FTAs) પર હસ્તાક્ષર કર્યા છે, જેમાં 38 સમૃદ્ધ અને મોટાભાગે વિકસિત દેશો આવરી લેવામાં આવ્યા છે, જે ભારતને વૈશ્વિક વેપારના લગભગ બે-તૃતીયાંશ ભાગ સુધી પ્રાધાન્યપૂર્ણ બજાર સુલભતા આપે છે.

તેમણે ઇનોવેટર્સ અને ઉદ્યોગસાહસિકોને નવા ઉત્પાદનો, સેવાઓ અને નિકાસ બજારો વિકસાવીને આ તકોનો લાભ લેવા વિનંતી કરી હતી.

શ્રી ગોયલે હિતધારકોને ખાતરી આપી હતી કે સરકાર IP મંજૂરીઓને વેગ આપવા માટે મોટી સંખ્યામાં કર્મચારીઓની ભરતી કરી રહી છે અને ભારતની IP પ્રણાલીને ક્લિયરન્સ ગતિની દ્રષ્ટિએ વૈશ્વિક સ્તરે ટોચના પાંચમાં સ્થાન આપવાના તેમના લક્ષ્યનો પુનરોચ્ચાર કર્યો હતો.

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સિસ્ટમ પારદર્શક, ન્યાયી અને કાર્યક્ષમ રહેવી જોઈએ, અને હિતધારકોને પ્રોત્સાહિત કર્યા કે જો તેમને કોઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે તો તેઓ સીધા ચીફ કંટ્રોલર અથવા સંબંધિત વિભાગ સાથે તેમની ચિંતાઓ વ્યક્ત કરે. તેમણે નાગરિકોને સરકારી પ્રક્રિયાઓમાં કોઈપણ અનિયમિત પદ્ધતિઓની જાણ કરવા પણ આગ્રહ કર્યો, અને ખાતરી આપી કે સરકાર ઉચ્ચ અખંડિતતા અને ઇનોવેટર્સ તથા સરકારી સંસ્થાઓ વચ્ચે સીમલેસ (નિર્વિઘ્ન) ક્રિયાપ્રતિક્રિયા જાળવવા માટે પ્રતિબદ્ધ છે.

શ્રી ગોયલે વિશ્વાસ વ્યક્ત કરતા તેમના સંબોધનનું સમાપન કર્યું હતું કે ઇનોવેટર્સ, સંસ્થાઓ અને સરકારના સામૂહિક પ્રયાસો વિચારોને પ્રભાવશાળી સર્જનોમાં રૂપાંતરિત કરવામાં અને ભારતની વિકસિત અને સમૃદ્ધ રાષ્ટ્ર બનવાની યાત્રાને વેગ આપવામાં મદદ કરશે.

SM/IJ/JD


(રીલીઝ આઈડી: 2237261) મુલાકાતી સંખ્યા : 14
આ રીલીઝ વાંચો: English