કૃષિ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ ચેન્નાઈ ખાતે નાળિયેર પ્રોત્સાહન યોજના પર રાષ્ટ્રીય હિતધારકોની બેઠકનું ઉદ્ઘાટન કરશે

પોસ્ટેડ ઓન: 06 MAR 2026 6:02PM by PIB Ahmedabad

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ 7 માર્ચ 2026ના રોજ ચેન્નાઈમાં ભારતીય ટેકનોલોજી સંસ્થાન (આઈઆઈટી) મદ્રાસ ખાતે નાળિયેર પ્રોત્સાહન યોજના પર રાષ્ટ્રીય હિતધારકોની બેઠકનું ઉદ્ઘાટન કરશે.

કેન્દ્રીય મંત્રી આ યોજનાના અસરકારક અમલીકરણ માટે નીતિગત વિઝન અને માર્ગદર્શન પૂરું પાડશે. તેઓ નાળિયેર પકવતા ખેડૂત નેતાઓ સાથે પણ સંવાદ કરશે. ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના સચિવ અને મુખ્ય નાળિયેર ઉત્પાદક દક્ષિણ રાજ્યોના કૃષિ અને બાગાયત વિભાગના સચિવો સહિતના વરિષ્ઠ નીતિ નિર્ધારકો આ ચર્ચામાં ભાગ લેશે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને નાળિયેર વિકાસ બોર્ડના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે.

આ સંમેલનમાં દેશભરમાંથી 1,000 થી વધુ નાળિયેર ખેડૂતો, ખેડૂત ઉત્પાદક સંગઠનો, સંશોધકો, ઉદ્યોગસાહસિકો અને નીતિ વિષયક હિતધારકો સહભાગી થશે.

કેન્દ્રીય અંદાજપત્ર 2026-27માં નાળિયેર પ્રોત્સાહન યોજનાની જાહેરાત કરવામાં આવી હતી, જેના ભાગરૂપે આ બેઠક બોલાવવામાં આવી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય ભારતના નાળિયેર ક્ષેત્રને પુનર્જીવિત કરવાનો અને તેનો ટકાઉ વિકાસ સુનિશ્ચિત કરવાનો છે. આ ક્ષેત્ર આશરે 3 કરોડ લોકોની આજીવિકાને ટેકો આપે છે, જેમાં અંદાજે 1 કરોડ નાળિયેર પકવતા ખેડૂતોનો સમાવેશ થાય છે.

નાળિયેર પ્રોત્સાહન યોજનામાં આ ક્ષેત્રના મુખ્ય માળખાગત પડકારોનો ઉકેલ લાવવા માટે એક સંકલિત અભિગમ અપનાવવામાં આવ્યો છે. જેમાં ઘટતી જતી ઉત્પાદકતા, જૂના અને બિનઉત્પાદક બગીચા, જીવાત અને રોગનો ઉપદ્રવ, ગુણવત્તાયુક્ત રોપાની અછત અને મર્યાદિત મૂલ્યવર્ધન જેવી સમસ્યાઓ પર ધ્યાન આપવામાં આવશે. યોજના હેઠળ પ્રસ્તાવિત મુખ્ય હસ્તક્ષેપોમાં ગુણવત્તાયુક્ત નાળિયેરના રોપાઓનું મોટા પાયે ઉત્પાદન, સંભવિત વિસ્તારોમાં નાળિયેરની ખેતીનો વિસ્તાર, જૂના અને બિનઉત્પાદક બગીચાઓનું તબક્કાવાર પુનઃરોપણ અને કાયાકલ્પ, પાક સ્વાસ્થ્ય વ્યવસ્થાપન પદ્ધતિઓ અપનાવવી અને મૂલ્યવર્ધન તથા નિકાસને મજબૂત કરવા માટે સંકલિત નાળિયેર પ્રક્રિયા એકમોની સ્થાપનાનો સમાવેશ થાય છે.

હિતધારકોની આ બેઠક દરમિયાન, રાજ્ય સરકારો રાજ્યવાર વ્યૂહરચના રજૂ કરશે. ત્યારબાદ ખેડૂતો, ખેડૂત ઉત્પાદક સંગઠનો, સંશોધકો અને ઉદ્યોગસાહસિકો સાથે સંવાદ સત્ર યોજાશે, જે પાયાના સ્તરે પ્રતિસાદ, અનુભવોની વહેંચણી અને નીતિ સુધારણા માટે એક મંચ પૂરો પાડશે.

આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય સર્વસંમતિ સાધવા, કેન્દ્ર-રાજ્ય વચ્ચે તાલમેલ વધારવા અને નાળિયેર પ્રોત્સાહન યોજનાના સફળ અમલીકરણ માટે હિતધારકોની ભાગીદારી મેળવવાનો છે. આ યોજનાનો વ્યાપક હેતુ 2030ના દાયકા સુધીમાં ભારતને નાળિયેર અને કાથી ઉત્પાદનોની નિકાસમાં વૈશ્વિક નેતા બનાવવાનો છે, સાથે જ નાળિયેર પકવતા ખેડૂતો માટે વધુ આવક, ટકાઉપણું અને મજબૂતી સુનિશ્ચિત કરવાનો છે.

 

SM/GP/JD

`

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2236084) મુલાકાતી સંખ્યા : 18
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Tamil