સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય
azadi ka amrit mahotsav

રાષ્ટ્ર નિર્માણમાં ખાદી અને ગ્રામોદ્યોગ મહત્વની ભૂમિકા ભજવે છે: CEO, KVIC


KVICના મુખ્ય કાર્યકારી અધિકારીએ મુંબઈ સ્થિત KVIC હેડક્વાર્ટર ખાતે 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીને સંબોધિત કરી

ખાદી એ આત્મનિર્ભરતાનું પ્રતીક છે અને સમાજના અંતિમ પગથિયે ઉભેલા લોકોને રોજગારી પૂરી પાડવાનું એક શક્તિશાળી માધ્યમ છે

“નવયુગ ખાદી” એ પરંપરાગત વિરાસત અને આધુનિક નવીનતાના મજબૂત સંગમનું પ્રતિનિધિત્વ કરે છે, જે ખાદીને વૈશ્વિક ઓળખ આપવામાં એક નવો અધ્યાય લખી રહી છે

પોસ્ટેડ ઓન: 26 JAN 2026 4:26PM by PIB Ahmedabad

ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (KVIC), મુંબઈની મધ્યસ્થ કચેરી ખાતે 77મા પ્રજાસત્તાક દિવસની ખૂબ જ દેશભક્તિના ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. KVICના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) શ્રીમતી રૂપ રાશિએ રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો, ત્યારબાદ સામૂહિક રાષ્ટ્રગીત ગાન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત મેદનીને સંબોધતા, મુખ્ય કાર્યકારી અધિકારીએ બંધારણના મહત્વ અને લોકશાહી, એકતા અને આત્મનિર્ભરતાના મૂળભૂત મૂલ્યો પર પ્રકાશ પાડ્યો હતો, જે રાષ્ટ્રની પ્રગતિનું માર્ગદર્શન કરે છે. તેમણે ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવા, ટકાઉ રોજગારી પેદા કરવા અને દેશભરના કારીગરોને સશક્ત બનાવવામાં ખાદી અને ગ્રામોદ્યોગ દ્વારા ભજવવામાં આવેલી મહત્વની ભૂમિકા પર ભાર મૂક્યો હતો.

આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારતના વિઝન પ્રત્યે KVICની પ્રતિબદ્ધતાને દોહરાવતા, શ્રીમતી રૂપ રાશિએ જણાવ્યું હતું કે ખાદી એ માત્ર કાપડ નથી, પરંતુ રાષ્ટ્રીય ગૌરવ, ટકાઉપણું અને સર્વગ્રાહી વિકાસનું પ્રતીક છે. માનનીય પ્રધાનમંત્રીના વિચારોને ટાંકીને તેમણે કહ્યું કે ખાદી આત્મનિર્ભરતાનું પ્રતિનિધિત્વ કરે છે અને છેવાડાના માનવીને રોજગારી પૂરી પાડવા માટે એક શક્તિશાળી માધ્યમ તરીકે કામ કરે છે, જેનાથી આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારતના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મહત્વનું યોગદાન આપે છે.

આ પ્રસંગે શ્રીમતી રૂપ રાશિએ નોંધ્યું હતું કે KVIC સાથે જોડાયેલા લગભગ 90 ટકા કારીગરો મહિલાઓ છે. તેમણે અભિપ્રાય આપ્યો હતો કે “નવયુગ ખાદી” પરંપરાગત વિરાસત અને આધુનિક નવીનતાના મજબૂત સંગમનું પ્રતિનિધિત્વ કરે છે, જે ખાદીને વૈશ્વિક ઓળખ આપવામાં એક નવો અધ્યાય શરૂ કરે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ખાદી એ માત્ર દોરો નથી, પરંતુ માતાથી પુત્રી, દાદીથી પૌત્રી અને એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચાડવામાં આવેલી એક જીવંત વિરાસત છે અને આ વારસાને ભવિષ્યની પેઢીઓ સુધી આગળ લઈ જવી એ આપણી સામૂહિક જવાબદારી છે.

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ખાદી ભારતની સૌથી જૂની અને સૌથી શક્તિશાળી પ્રતિભાઓમાંની એક છે, જે વિશ્વને સર્વસમાવેશક વિકાસમાં ભારતની દ્રઢ શ્રદ્ધાનો સંદેશ પહોંચાડે છે. તેમણે કહ્યું કે, કારીગરો માત્ર કામદારો નથી, પરંતુ વિરાસતના રક્ષકો છે જેઓ પરંપરાને જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે અને તેમની કારીગરી, સર્જનાત્મકતા અને આત્મનિર્ભરતાની ભાવના દ્વારા રાષ્ટ્રને આગળ લઈ જઈ રહ્યા છે.

મુખ્ય કાર્યકારી અધિકારીએ ખાદી અને ગ્રામોદ્યોગને પ્રોત્સાહન આપવામાં KVIC ના અધિકારીઓ અને કર્મચારીઓના સમર્પણ અને પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી અને તેમને રાષ્ટ્ર નિર્માણમાં સંપૂર્ણ નિષ્ઠા અને ઉત્સાહ સાથે કામ કરવા આહવાન કર્યું હતું. તેમણે બંધારણીય મૂલ્યોને જાળવી રાખવા અને ખાદી અને ગ્રામોદ્યોગ દ્વારા દેશના સામાજિક-આર્થિક વિકાસમાં યોગદાન ચાલુ રાખવાના સંકલ્પને પુનઃપુષ્ટ કર્યો હતો.

કાર્યક્રમની શરૂઆત વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ, દેશભક્તિ ગીતો અને ભજનો સાથે થઈ હતી અને રાષ્ટ્રગીત સાથે સમાપન થયું હતું. આ પ્રસંગે આયોગના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

SM/IJ/GP/JD


(રીલીઝ આઈડી: 2218792) મુલાકાતી સંખ્યા : 85
આ રીલીઝ વાંચો: English