ગૃહ મંત્રાલય
શૌર્ય દિવસ નિમિતે અમદાવાદના વસ્ત્રાલ સ્થિત 100 બટાલિયન RAF કેમ્પ સ્થિત શહીદ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ અપાઈ
Posted On:
09 APR 2025 2:00PM by PIB Ahmedabad
એપ્રિલ 1965માં પાકિસ્તાની સેનાએ તત્કાલીન પશ્ચિમ પાકિસ્તાન સાથેની ભારતીય સરહદ પર પોતાના પ્રાદેશિક દાવાઓ પર ભાર મૂકવાના ઉદ્દેશ્ય સાથે "ઓપરેશન ડેઝર્ટ હોક" શરૂ કર્યું. ગુજરાતના કચ્છના રણમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર સ્થિત સરદાર અને ટાક પોસ્ટ પર બીજી બટાલિયન, CRPFની ચાર કંપનીઓ તૈનાત કરવામાં આવી હતી.

9 એપ્રિલના રોજ સવારે લગભગ 3:30 વાગ્યે, પાકિસ્તાની સેનાના એક પાયદળ બ્રિગેડે સરદાર અને ટાક ભારતીય સરહદી ચોકીઓ પર સંકલિત હુમલો કર્યો હતો. જે સીઆરપીએફ કંપનીઓ દ્વારા સંચાલિત હતી. પ્રચંડ હિંમત બતાવતા, CRPF જવાનોએ બહાદુરીથી આ હુમલાનો પ્રતિકાર કર્યો અને દુશ્મન દળોને સફળતાપૂર્વક ભગાડ્યા હતા. આ હિંમતભરી કાર્યવાહીમાં CRPFએ 34 પાકિસ્તાની સૈનિકોને મારી નાખ્યા અને 4ને જીવતા પકડી લીધા. આ યુદ્ધમાં CRPFના 7 બહાદુર જવાનોએ સર્વોચ્ચ બલિદાન આપ્યું. બીજી બટાલિયનની દૃઢતા અને બહાદુરીએ 12 કલાક સુધી સમગ્ર પાકિસ્તાની પાયદળ બ્રિગેડને રોકી રાખી - એક અસાધારણ અને ઐતિહાસિક લશ્કરી પરાક્રમ બતાવ્યું, જેમાં એક નાના અર્ધલશ્કરી દળે એક મોટા હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો.

શૌર્ય દિવસના અવસરે આજે 9 એપ્રિલ 2025ના રોજ અમદાવાદના વસ્ત્રાલ સ્થિત 100 બટાલિયન રેપિડ એક્શન ફોર્સ કેમ્પ ખાતે શહીદ સ્મારક ખાતે કમાન્ડન્ટ શ્રી સમીર કુમાર રાવ અને અન્ય અધિકારીઓ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે એક સૈનિક સંમેલન (સૈનિક પરિષદ)નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુનિટના કર્મચારીઓ સાથે શૌર્ય દિવસનો સંક્ષિપ્ત ઇતિહાસ શેર કરવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં રહેતા વીર નારીઓ (વીરંગણા)નું પણ કમાન્ડન્ટ શ્રી સમીર કુમાર રાવ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. યુનિટના કર્મચારીઓને તેમની ઉત્કૃષ્ટ સેવા, સમર્પણ અને અનુકરણીય કામગીરી બદલ મેડલ અને પ્રશંસા પ્રમાણપત્રો પણ એનાયત કરવામાં આવ્યા હતા.

AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2120331)
Visitor Counter : 65