સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
ભારતીય ડાક વિભાગે 'પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્સ'ની 141મી વર્ષગાંઠની ઉજવણી કરી, પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે પોલિસી બોન્ડનું વિતરણ કર્યું
ભારતની સૌથી જૂની જીવન વીમા સેવા 'પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્સ' 141 વર્ષ પૂર્ણ કરે છે, જે 01 ફેબ્રુઆરી, 1884ના રોજ શરૂ થઈ હતી
ભારતીય ડાક વિભાગે ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના 637 ગામોને બનાવ્યાં ‘સંપૂર્ણ વીમા ગ્રામ’
હવે માન્ય યુનિવર્સિટી/સંસ્થાના તમામ સ્નાતકો/ડિપ્લોમા ધારકો પણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ મેળવી શકશે - પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ
Posted On:
01 FEB 2025 5:09PM by PIB Ahmedabad
ભારતીય ડાક વિભાગ લાંબા સમયથી પત્રો અને પાર્સલ તેમજ જીવન વીમા ક્ષેત્રે કામ કરી રહ્યું છે. ૧ ફેબ્રુઆરી, 1884ના રોજ શરૂ થયેલી, 'પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ' એ ભારતમાં સરકારી અને અર્ધ-સરકારી કર્મચારીઓ માટે સૌથી જૂની વીમા યોજના છે, જેનો લાભ હવે ખાનગી ક્ષેત્રના વ્યાવસાયિકો અને માન્ય યુનિવર્સિટી/સંસ્થાના તમામ સ્નાતકો/ડિપ્લોમા ધારકો પણ લઈ શકે છે. ઉપરોક્ત ઉદગાર ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે ડાક જીવન વીમાના ગૌરવશાળી 141માં વર્ષમાં પ્રવેશ કરતી વખતે, 1 ફેબ્રુઆરી, 2025ના રોજ અમદાવાદના હાથીજણ સ્થિત સ્વામી નારાયણ મંદિરના પરિસરમાં આયોજિત એક કાર્યક્રમમાં વ્યક્ત કર્યા. આ પ્રસંગે, તેમણે વીમાધારકોને પોસ્ટલ લાઇફ ઇન્સ્યોરન્સ પોલિસી બોન્ડ્સ આપ્યા અને તેમના સુખી ભવિષ્યની શુભેચ્છા પાઠવી.
![](https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/1YZ7X.jpeg)
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે કહ્યું કે આજના સમયમાં જીવન વીમો એ એક અનિવાર્ય જરૂરિયાત છે, સાથે જ તે બચત અને રોકાણ માટેનું એક સુરક્ષિત માધ્યમ છે. ઉત્તર ગુજરાત પરિક્ષેત્રમાં હાલ ડાક જીવન વીમા અને ગ્રામ્ય ડાક જીવન વીમાની કુલ 3.25 લાખથી વધુ પૉલિસીઓ છે. ભારતીય ડાક વિભાગ, વીમા ક્ષેત્રે પણ નવા પરિમાણો સ્થાપિત કરી રહ્યું છે. એક નવીન પહેલમાં, ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના 637 ગામોને 'સંપૂર્ણ વીમા ગ્રામ' બનાવવામાં આવ્યા છે, જેમાં તમામ પાત્ર વ્યક્તિઓનો વીમો લેવામાં આવ્યો છે. ડાકઘરોમાં લોકોની વય અને જરૂરિયાત અનુસાર જીવન વીમાની વિવિધ યોજનાઓ ઉપલબ્ધ છે, જેમાં સુરક્ષા (સંપૂર્ણ જીવન વીમો), સંતોષ (હયાતીનો વીમો), સુવિધા, સુમંગલ, યુગલ સુરક્ષા અને ચિલ્ડ્રન પોલિસીનો સમાવેશ થાય છે.
![](https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/2DATX.jpeg)
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે નવીનતમ ટેકનોલોજી અપનાવીને પોસ્ટલ જીવન વીમા સેવા ઓનલાઈન કરવામાં આવી છે. પૉલિસીધારકો માટે ઈ-પીએલઆઈ બૉન્ડની સુવિધા શરૂ કરવામાં આવી છે, જે ડિજીલોકર પર ઉપલબ્ધ છે. હવે ડાક વિભાગ દ્વારા પૉલિસી બૉન્ડ જારી કર્યા પછી તરત પૉલિસી બૉન્ડ ડાઉનલોડ કરી શકાય છે. નવીનતા લાવતાં હવે જ્યાં પ્રીમિયમ ઓનલાઈન જમા કરાવવાની સુવિધા છે, ત્યારે હવે પ્રીમિયમ IPPB મોબાઈલ એપ દ્વારા પણ જમા કરાવી શકાય છે.
પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ હેઠળના લાભોની ચર્ચા કરતી વખતે, શ્રી વિકાસ પાલ્વે, સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોસ્ટઓફીસ, અમદાવાદ ડિવિઝનએ જણાવ્યું હતું કે રોકાણની સલામતી પર સરકારી ગેરંટી, કલમ 80 હેઠળ આવકવેરા મુક્તિ, ઓછું પ્રીમિયમ અને વધુ બોનસ, પોલિસી પર લોન સુવિધા, પ્રીમિયમ ઓનલાઈન જમા કરાવવાની સુવિધા, દેશની કોઈપણ પોસ્ટ ઓફિસમાં પ્રીમિયમ જમા કરાવવાની સુવિધા અને એડવાન્સ પ્રીમિયમ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. પોલિસી પર બોનસનો દર પ્રતિ હજાર રૂપિયા 52 થી રૂ. 76 પ્રતિ હજાર સુધીનો છે.
સહાયક ડાક અધિક્ષક શ્રી એસ. એન. ઘોરીએ જણાવ્યું હતું કે પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ હેઠળ, દેશભરની પોસ્ટ ઓફિસોમાં 20 હજારથી 50 લાખ રૂપિયા સુધીનો વીમો મેળવવાની સુવિધા ઉપલબ્ધ છે.
આસિસ્ટન્ટ ડિરેક્ટર શ્રી એમ.એમ. શેખે માહિતી આપી હતી કે ઉત્તર ગુજરાત પરિક્ષેત્રમાં વિવિધ સ્થળોએ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ મેળાઓનું આયોજન કરીને 'પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ ડે' ઉજવવામાં આવ્યો હતો, જેમાં લોકોને તેના વિશે જાગૃત કરવામાં આવ્યા હતા અને લોકોનો વીમો પણ લેવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સ્વામી નારાયણ વિદ્યા ધામના આચાર્ય ડૉ. આશિષ વ્યાસ, હાથીજણના કાઉન્સિલર શ્રી મૌલિક દેસાઈ, સહાયક ડાક અધિક્ષક શ્રી એસ.એન. ઘોરી, શ્રી હાર્દિક રાઠોડ, શ્રી હિતેશ પારેખ, શ્રી વિશાલ ચૌહાણ, શ્રી અલ્કેશ પરમાર, શ્રી રોનક શાહ, ઇન્સ્પેક્ટર શ્રી ભાવિન પ્રજાપતિ, બ્રાન્ચ પોસ્ટમાસ્તર શ્રી પ્રકાશભાઈ શાહ સહિત અનેક મહાનુભાવોએ ભાગ લીધો હતો. કાર્યક્રમનું સંચાલન શ્રીમતી પિનલ સોલંકીએ કર્યું હતું.
(Release ID: 2098616)
Visitor Counter : 93