આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય

નેશનલ સેમ્પલ સર્વે ઑફિસ (NSSO), ફિલ્ડ ઓપરેશન્સ વિભાગ (FOD), અમદાવાદ દ્વારા સફાઈ વિદ્યાલય, ગાંધી આશ્રમ ખાતે સફાઈ અભિયાન

Posted On: 15 JUL 2023 4:44PM by PIB Ahmedabad

આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય સ્વચ્છ ભારત અભિયાન હેઠળ 01 જુલાઈ, 2023 થી 15 જુલાઈ, 2023 દરમિયાન સ્વચ્છતા પખવાડા, 2023ની ઉજવણી કરી રહ્યું છે. આ ઝુંબેશનું મુખ્ય ઉદેશ્ય જન ભાગીદારીને પ્રોત્સાહિત કરવાનો અને સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાનો છે. અમદાવાદ ના નેશનલ સેમ્પલ સર્વે ઑફિસ (NSSO), આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MoSPI)ના ફિલ્ડ ઓપરેશન્સ વિભાગ પણ સ્વચ્છતાને પ્રોત્સાહન આપીને આ પખવાડાની ઉજવણી કરે છે. વિશેષ સ્વચ્છતા જાગૃતિ અભિયાનની શરૂઆત નવા વાડજ સ્થિત ઓફિસ પરિસરથી સફાઈ વિદ્યાલય, ગાંધી આશ્રમ સુધી ટુ-વ્હીલર રેલી સાથે થઈ હતી. આ રેલીમાં 70 જેટલા લોકો જોડાયા હતા.

ટોયલેટ ગાર્ડન અને ટોયલેટ કાફે, સફાઈ વિદ્યાલયમાં સ્વચ્છતા વર્કશોપ:

15મી જુલાઈ 2023ના રોજ પ્રાદેશિક કાર્યાલય દ્વારા સફાઈ વિદ્યાલયના સહયોગથી ગાંધી આશ્રમ સ્થિત ટોયલેટ ગાર્ડન અને ટોયલેટ કાફેમાં સ્વચ્છતા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા અભિયાનનું ઉદ્ઘાટન ઉપ મહાનિદેશક અને પ્રાદેશિક વડા શ્રી એસ કે ભાણાવત,  અને સફાઈ વિદ્યાલયના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જયેશ ભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. શ્રી ભાણાવતે સારા સ્વાસ્થ્ય માટે આરોગ્યપ્રદ વ્યવહારોના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો અને સહભાગીઓને તેના વિશે જાગૃત કર્યા હતા. શ્રી જયેશ ભાઈ કે જેઓ ભારત સરકારના સ્વચ્છ ભારત અભિયાનની ઉચ્ચ-સત્તાવાળી સમિતિના સભ્ય પણ છે, તેમનું કેમ્પસ કે જે સ્વચ્છ ભારત અભિયાનનું મુખ્ય કેન્દ્ર છે તેમાં સ્વચ્છતા પખવાડાનું આયોજન કરવા બદલ નેશનલ સેમ્પલ સર્વે ઑફિસ (NSSO) નો આભાર માન્યો. સફાઈ વિદ્યાલયના ટ્રસ્ટી શ્રી અજીતભાઈ જાદવે સહભાગીઓનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન સફાઈ વિદ્યાલયની કુ. પ્રિયાએ કર્યું હતું.

NSSO એ સાબરમતી કન્યા છાત્રાલયને સેનેટરી નેપકીન વેન્ડિંગ મશીન દાનમાં આપ્યું:

વિનય મંદિરના પ્રિન્સિપાલ શ્રીમતી વર્ષાબેને તેમના પરિસરમાં કાર્યક્રમનું આયોજન કરવા બદલ તેમજ સાબરમતી કન્યા છાત્રાલયને સેનેટરી નેપકીન વેન્ડિંગ મશીન દાનમાં આપવા બદલ તેમજ નેપકિન્સ રિફિલિંગ માટે સ્પોન્સરની વ્યવસ્થા કરવા બદલ નેશનલ સેમ્પલ સર્વે ઑફિસ (NSSO)નો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે નેશનલ સેમ્પલ સર્વે ઑફિસ (NSSO)ની આ ઉમદા પહેલ વિદ્યાર્થિનીઓને ચોક્કસ મદદ કરશે. આ પ્રસંગે ટ્રસ્ટી અને નેશનલ સેમ્પલ સર્વે ઑફિસ (NSSO)ના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા કન્યા છાત્રાલય કેમ્પસમાં પાંચ વૃક્ષો પણ વાવવામાં આવ્યા હતા. કન્યા છાત્રાલયના રેક્ટર શ્રીમતી ભાવનાબેન પણ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રાદેશિક કચેરીના અધિકારીઓ દ્વારા સ્ટાફ અને વિદ્યાર્થિનીઓના સહયોગથી વિનય મંદિરના પરિસરમાં પણ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. લગભગ 150 સહભાગીઓ જેમાં ફિલ્ડ ઓપરેશન્સ વિભાગ(FOD) અને શાળાના અધિકારીઓનો સમાવેશ થાય છે અને વિદ્યાર્થીઓએ સંપૂર્ણ જોશ અને ઉત્સાહ સાથે અભિયાનમાં ભાગ લીધો હતો. સોરાબજી કમ્પાઉન્ડ વિસ્તારમાં પણ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે નેશનલ સેમ્પલ સર્વે ઑફિસ (NSSO) માટે વિશેષ મહત્વ ધરાવે છે કારણ કે તે CPI(U) ના સંકલન માટે પસંદ કરાયેલ બજાર છે. આ દિવસે ભાવનગર, જામનગર, રાજકોટ અને સુરેન્દ્રનગર ખાતે આવેલી ઉપ-પ્રાદેશિક કચેરીઓ દ્વારા પણ સ્વચ્છતા પખવાડા અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. આ પ્રવૃત્તિઓ અમદાવાદની પ્રાદેશિક કચેરી નેશનલ સેમ્પલ સર્વે ઑફિસ (NSSO), ફિલ્ડ ઓપરેશન્સ વિભાગ (FOD) ના ઉપ મહાનિદેશક અને પ્રાદેશિક વડા શ્રી એસ. કે. ભાણાવત અને સહાયક નિદેશક શ્રી એ. જે. પરમારના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી.

YP/GP/JD



(Release ID: 1939771) Visitor Counter : 121


Read this release in: English