પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીની મન કી બાતનાં 47માં સંસ્કરણનો મૂળપાઠ, 26.08.2018

પોસ્ટેડ ઓન: 26 AUG 2018 11:34AM by PIB Ahmedabad

મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર, આજે પૂરો દેશ રક્ષાબંધનનું પર્વ ઉજવી રહ્યું છે. બધા દેશવાસીઓને આ પાવન પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. રક્ષાબંધનનું પર્વ બેન અને ભાઇ વચ્ચેના પ્રેમ અને વિશ્વાસનું પ્રતિક માનવામાં આવે છે. સદીઓથી આ તહેવાર સામાજિક સૌહાર્દનું પણ એક મોટું ઉદાહરણ રહ્યું છે. દેશના ઇતિહાસમાં એવી અનેક કથાઓ છે. જેમાં એક રાખડીએ બે અલગઅલગ રાજય અથવા ધર્મથી જોડાયેલા લોકોને વિશ્વાસના તાંતણે જોડી દીધા હતા. હમણાં થોડા દિવસ પછી જન્માષ્ટમીનું પર્વ પણ આવી રહ્યું છે. સમગ્ર વાતાવરણ હાથી, ઘોડા, પાલખી.. જય કનૈયા લાલ કી, ગોવિંદા ગોવિંદાના જયઘોષથી ગુંજી ઉઠશે. ભગવાન કૃષ્ણના રંગમાં રંગાઇને ઝૂમવાનો સહજ આનંદ કંઇક અલગ જ હોય છે. દેશના કેટલાય ભાગોમાં ખાસ કરીને મહારાષ્ટ્રમાં દહીં હાંડીની તૈયારીઓ પણ આપણા યુવાનો કરી રહ્યા છે. સૌ દેશવાસીઓને રક્ષાબંધન અને જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છાઓ.

પ્રધાનમંત્રી મહોદય – નમસ્કારઃ. અહં ચિન્મયી, બૈંગલુરૂ નગરે વિજયભારતી-વિદ્યાલયે દશમ-કક્ષ્યાયાં પઠામિ. મહોદય અદ્ય સંસકૃત દિનમ અસ્તિ. સંસ્કૃતમ ભાષાં સરલા ઇતિ સર્વે વદન્તિ. સંસ્કૃતમ ભાષા વયં અત્ર વહઃ વહઃ અત્ર સમ્ભાષણમઅપિ કુર્મઃ. અતઃ સંસ્કૃત્ય મહ્તવઃ વિષયે ભવતઃ ગહઃ અભિપ્રાયઃ ઇતિ રૂપયાવદતુ.

માનનીય વડાપ્રધાનશ્રી, પ્રણામ, હું ચિન્મયી બેંગલોરમાં વિજયભારતી વિદ્યાલયમાં ધોરણ-10માં અભ્યાસ કરું છું. આજે સંસ્કૃત દિવસ છે. બધા કહે છે કે, સંસ્કૃત ભાષા ખૂબ સરળ છે. અમે લોકો અહીંયા વારંવાર સંસ્કૃત ભાષામાં વાતચીત કરીએ છીએ. આથી સંસ્કૃત વિષેના મહત્વ વિષે આપનો અભિપ્રાય અભિવ્યક્ત કરવા નમ્ર નિવેદન છે.

 

ભગિની ! ચિન્મયિ ! !

ભવતી સંસ્કૃત – પ્રશ્નં પૃષ્ટવતી.

બહૂત્તમમ્ ! - બહૂત્તમમ્ ! !

અહં ભવત્યાઃ અભિનન્દનં કરોમિ.

સંસ્કૃત – સપ્તાહ – નિમિતમ દેશવાસિનાં

સર્વેષાં કૃતે મમ હાર્દિક – શુભકામનાઃ

બહેન ચિન્મયી, આજે સંસ્કૃત વિષે કરેલો પ્રશ્ન ખૂબ ખૂબ ઉત્તમ છે. હું આપને તે માટે અભિનંદન પાઠવું છું. સંસ્કૃત સપ્તાહ નિમિત્તે સૌ દેશવાસીઓને મારી હાર્દિક શુભેચ્છાઓ.

હું દિકરી ચિન્મયીનો ખૂબ ખૂભ આભારી છું કે જેણે આ વિષય ઉઠાવ્યો. સાથીઓ, રક્ષાબંધન ઉપરાંત શ્રાવણી પૂર્ણિમાના દિવસે સંસ્કૃત દિવસ પણ મનાવવામાં આવે છે. જેઓ આ મહાન વારસાને રક્ષવા, પોષવા અને આમ જનતા સુધી પહોંચાડવામાં લાગેલા રહ્યા છે. તે તમામ લોકોને હું અભિનંદન આપું છું. દરેક ભાષાનું પોતાનું એક મહાત્મય હોય છે. ભારતને એ વાતનો ગર્વ છે કે, તમિળ ભાષા વિશ્વની સૌથી પ્રાચીન ભાષા છે. અને આપણે બધા ભારતીયો એ વાત બાબતે પણ ગર્વ કરીએ છીએ કે, વેદકાળથી વર્તમાન સુધી સંસ્કૃત ભાષા એ પણ જ્ઞાનના પ્રચાર પ્રસારમાં બહુ મોટી ભૂમિકા નિભાવી છે.

જીવનના દરેક ક્ષેત્ર સાથે જોડાયેલો જ્ઞાનનો ભંડાર સંસ્કૃત ભાષા અને તેના સાહિત્યમાં છે. પછી તે વિજ્ઞાન હોય કે, તંત્ર જ્ઞાન હોય. કૃષિ હોય કે આરોગ્ય હોય. જયોતિષ હોય કે, આર્કિટેકચર હોય. ગણિત હોય કે, પ્રબંધન હોય. અર્થશાસ્ત્રની વાત હોય કે, પર્યાવરણની વાત હોય, કહે છે કે, ગ્લોબલ વોર્મિંગના પડકારને પહોંચી વળવાના મંત્રો આપણા વેદોમાં વિસ્તારપૂર્વક ઉલ્લેખ છે. આપ સૌને જાણીને ખુશી થશે કે, કર્ણાટક રાજયના શિવમોગા જિલ્લાના મટ્ટુર ગામના રહેવાસીઓ આજે પણ વાતચીત માટે સંસ્કૃત ભાષાનો જ ઉપયોગ કરે છે.

તમને એક વાત જાણીને આશ્ચર્ય થશે કે, સંસ્કૃત એક એવી ભાષા છે જેમાં અનંત શબ્દોનો નિર્માણ સંભવ છે. 2000 ધાતુ, 200 પ્રત્યય એટલે કે Suffix, 22 ઉપર્સગ એટલે કે prefix, અને સમાસ દ્વારા અગણિત શબ્દોની રચના સંભવ છે. અને એટલા માટે કોઇપણ સુક્ષ્મમાં સુક્ષ્મ ભાવ અથવા વિષયને એકદમ ચોક્કસપણે વ્યક્ત કરી શકાય છે. અને સંસ્કૃત ભાષાની આ એક વિશેષતા રહી છે કે, આજે પણ આપણે કોઇવાર પોતાની વાતને અસરકારક બનાવવા માટે અંગ્રેજી સુવાક્યનો ઉપયોગ કરીએ છીએ. કોઇવાર શેર શાયરીનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ જે લોકો સંસ્કૃત સુભાષિતોથી પરિચીત છે, તેમને ખબર છે કે, ઓછામાં ઓછા શબ્દોમાં એટલું ચોક્કસ વર્ણન સંસ્કૃત સુભાષિતોથી થઇ શકે છે. અને બીજું તે આપણી ધરતી સાથે, આપણી પંરપરા સાથે જોડાયેલા હોવાના કારણે, સમજવાનું પણ બહુ સરળ હોય છે. જેમ કે, જીવનમાં ગુરૂનું મહત્વ સમજાવવા માટે કહેવાયું છે કે,

એકમપિ અક્ષરમસ્તુ, ગુરૂઃ શિષ્યં પ્રબોધયેત.

પૃથિવ્યાં નાસ્તિ તદ્-દ્રવ્યં, યદ્-દત્વાં હયનૃણિ ભવેત.

અર્થાત્ કોઇ ગુરૂ પોતાના શિષ્યને એક અક્ષરનું પણ જ્ઞાન આપે છે તો, આખી પૃથ્વીમાં એવી કોઇ વસ્તુ કે ધન નથી જેનાથી શિષ્ય પોતાના ગુરૂનું તે ઋણ ઉતારી શકે. આવી રહેલો શિક્ષક દિવસ આપણે બધા આ ભાવથી ઉજવીએ. જ્ઞાન અને ગુરૂ અતુલ્ય છે, અમૂલ્ય છે, અણમોલ છે. મા સિવાય શિક્ષક જ હોય છે. જે બાળકના વિચારોને યોગ્ય દિશા આપવાની ફરજ બજાવે છે. અને જેની સૌથી વધુ અસર પણ જીવનભર જોવા મળે છે. શિક્ષક દિવસ નિમિત્તે આપણે મહાન ચિંતક અને દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ભારત રત્ન ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણજીને હંમેશા યાદ કરીએ છીએ. તેમની જન્મજયંતિને પણ પૂરો દેશ શિક્ષક દિવસના રૂપમાં ઉજવે છે. હું દેશના બધા જ શિક્ષકોને આગામી શિક્ષક દિવસની શુભેચ્છાઓ પાઠવું છું. સાથોસાથ વિજ્ઞાન, શિક્ષણ અને વિદ્યાર્થીઓ પ્રત્યે આપના સમર્પણ ભાવને ધન્યવાદ આપું છું.

મારા વ્હાલા દેશવાસીઓ, કઠોર પરિશ્રમ કરનારા આ આપણા ખેડૂતો માટે ચોમાસું નવી આશાઓ લઇને આવે છે. બળબળતા તાપમાં સૂકાતા ઝાડ-છોડ અને સૂકા જળાશયોને ચોમાસું રાહત આપે છે. પરંતુ કોઇકોઇવાર તે અતિવૃષ્ટિ અને વિનાશક પૂર પણ લાવે છે. કુદરતની એવી સ્થિતિ ઉભી થઇ છે કે, કેટલાક સ્થળોએ બીજા સ્થળો કરતાં વધારે વરસાદ થયો. હજી હમણાં જ આપણે બધા લોકોએ જોયું કે, કેરળમાં ભયંકર પૂરે જનજીવન ઉપર બહુ માઠી અસર કરી છે. આજે આ મુશ્કેલ સંજોગોમાં પૂરો દેશ કેરળની સાથે ઉભો છે. આપણી સહાનુભૂતિ તે પરિવારોની સાથે છે. જે પરિવારોએ પોતાના સ્વજનોને ખોયા છે, જીવનની જે ક્ષતિ થઇ છે તેની ભરપાઇ તો કરી શકાય તેમ નથી. પરંતુ શોકસંત્પત પરિવારોને હું ભરોસો આપવા માંગું છું કે, દુઃખની આ ઘડીમાં સવાસો કરોડ ભારતીયો આપણી સાથે ખભેખભો મેળવીને ઉભા છે. હું પ્રાર્થના કરૂં છું કે, જે લોકો આ કુદરતી આફતમાં ઘાયલ થયા છે. તે બધા જલ્દીમાં જલ્દી સાજા થઇ જાય. મને પૂરો વિશ્વાસ છે કે, રાજયના લોકોની હિંમત અને અદમ્ય સાહસના જોરે કેરળ બહુ જલદી ફરીથી બેઠું થઇ જશે.

આપત્તિઓ પોતાની પાછળ જે પ્રકારની બરબાદી છોડીને જાય છે. તે કમનસીબ છે. પરંતુ આપત્તિઓ વખતે આપણને માનવતાના પણ દર્શન થાય છે. જયાં પણ આફત આવી હોય, પછી એ કેરળ હોય કે, હિંદુસ્તાનના બીજા કોઇ જીલ્લા હોય, અથવા વિસ્તારો હોય. જનજીવન ફરીથી સામાન્ય થઇ શકે તે માટે કચ્છથી કામરૂપ અને કાશ્મીરથી કન્યાકુમારી સુધી દરેક પોતપોતાના સ્થળે કંઇકને કંઇક કરી રહ્યું છે. બધા વયજૂથના અને દરેક કાર્યક્ષેત્ર સાથે જોડાયેલા લોકો પોતાનું યોગદાન આપી રહ્યા છે. કેરળના લોકોની મુસીબત ઓછામાં ઓછી કરી શકાય તેમના દુઃખમાં ભાગીદાર બની શકાય. તે સુનિશ્ચિત કરવા હર કોઇ લાગેલું છે. આપણે બધા જાણીએ છીએ કે, સશસ્ત્ર સેનાના જવાનો કેરળમાં ચાલી રહેલા બચાવકાર્યના સૂકાની છે. તેમણે પૂરમાં ફસાયેસા લોકોને બચાવવામાં કોઇ કસર નથી છોડી. પછી તે હવાઇદળ હોય, નૌકાદળ હોય, ભૂમિદળ હોય કે પછી બીએસએફ, સીઆઇએસએફ, આરએએફ હોય, સૌ કોઇએ બચાવ અને રાહત અભિયાનમાં બહુ મોટી ભૂમિકા ભજવી છે. એનડીઆરએફના બહાદુર જવાનોના કઠોર પરિશ્રમનો પણ હું વિશેષ ઉલ્લેખ કરવા માંગું છું. સંકટના આ સમયમાં તેમણે ખૂબ જ ઉત્તમ કાર્ય કર્યું છે. એનડીઆરએફની ક્ષમતા તેમની કટિબદ્ધતા અને ત્વરિત નિર્ણય લઇને પરિસ્થિતિને સંભાળી લેવાનો પ્રયાસ દરેક હિંદુસ્તાની માટે શ્રદ્ધાનું એક નવું કેન્દ્ર બની ગયો છે. ગઇકાલે જ ઓણમનો તહેવાર હતો. આપણે પ્રાર્થના કરીએ કે, ઓણમનું પર્વ દેશને અને ખાસ કરીને કેરળને એવી શક્તિ આપે જેથી તે આ આફતમાંથી જલ્દીમાં જલ્દી બહાર આવે અને કેરળની વિકાસયાત્રાને અધિક ગતિ મળે. ફરી એકવાર હું તમામ દેશવાસીઓ તરફથી કેરળના લોકોને અને દેશભરના અન્ય વિસ્તારોમાં જયાંજયાં આફત આવી છે. તેમને ભરોસો આપવા માંગું છું કે, સંકટની આ ઘડીમાં પૂરો દેશ તેમની સાથે છે.

મારા વ્હાલા દેશવાસીઓ, આ વખતે હું મન કી બાત માટે આવેલા સૂચનોને જોઇ રહ્યો હતો. તેમાં સમગ્ર દેશમાંથી લોકોએ જે વિષય પર સૌથી વધારે લખ્યું છે તે વિષય છે, આપણા સૌના પ્રિય શ્રી અટલ બિહારી વાજપેયી. ગાઝિયાબાદથી કીર્તી, સોનિપતથી સ્વાતી વત્સ, કેરળથી ભાઇ પ્રવિણ, પશ્ચિમ બંગાળથી ડૉ.સ્વપ્ન બેનરજી, બિહારના કટિહારથી અખિલ પાંડે, કોણ જાણે કેટલાય અગણિત લોકોએ નરેન્દ્ર મોદી મોબાઇલ એપ પર અને માય ગોવ પર લખીને મને અટલજીના જીવનના જુદાજુદા પાસાઓ વિશે વાત કરવાનો આગ્રહ કર્યો છે. 16મી ઓગષ્ટના દિવસે દેશ અને દુનિયાએ જેવા અટલજીના નિધનના સમાચાર સાંભળ્યા, હરકોઇ શોકમાં ગરકાવ થઇ ગયું. એવા રાષ્ટ્રનેતા જેમણે 14 વર્ષ પહેલા પ્રધાનમંત્રીપદ છોડી દીધું હતું. એક રીતે જોઇએ તો, છેલ્લા 10 વર્ષથી તેઓ સક્રિય રાજકારણથી ઘણા દૂર ચાલ્યા ગયા હતા. સમાચારોમાં પણ કયાંય દેખાતા નહોતા, જાહેર જીવનમાં પણ નજરે પડતા નહોતા. 10 વર્ષનો સમયગાળો બહુ મોટો હોય છે. પરંતુ 16 ઓગષ્ટ પછી દેશ અને દુનિયાએ જોયું કે, હિંદુસ્તાનના અદના માનવીના મનમાં આ 10 વર્ષના સમયગાળાએ એક ક્ષણનો પણ વિરામ રહેવા નહોતો દીધો. અટલજી માટે જે પ્રકારની સ્નેહ, શ્રદ્ધા અને શોકની ભાવના પૂરા દેશમાં ઉભરાઇ આવી તે તેમના વિશાળ વ્યક્તિત્વને પ્રદર્શિત કરે છે. છેલ્લા કેટલાય દિવસોથી અટલજીના સર્વોત્તમ પાસા દેશની સામે આવી જ ગયા છે. લોકોએ એમને ઉત્તમ સાંસદ, સંવેદનશીલ લેખક, શ્રેષ્ઠ વકતા અને લોકપ્રિય પ્રધાનમંત્રીના રૂપમાં યાદ કર્યા છે. અને કરી રહ્યા છે. સુશાસન એટલે કે, ગુડ ગવર્નન્સને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે આ દેશ હંમેશા અટલજીનો આભારી રહેશે. પરંતુ આજે હું અટલજીના વિશાળ વ્યક્તિત્વના વધુ એક પાસાને માત્ર સ્પર્શ કરવા માંગું છું. અને તે છે અટલજીએ ભારતને જે રાજનૈતિક સંસ્કૃતિ આપી અને રાજનૈતિક સંસ્કૃતિમાં પરિવર્તન લાવવાનો કરેલો પ્રયાસ છે. આ સંસ્કૃતિને વ્યવસ્થાના બીબામાં ઢાળવાનો પ્રયાસ કર્યો. અને તેને કારણે ભારતને ખુબ લાભ થયો છે. અને આવનારા દિવસોમાં પણ ઘણો લાભ થવાનો છે. એ પણ નક્કી છે. ભારત હંમેશા 19મો સુધારા અધિનિયમ 2003, માટે અટલજીનું ઋણી રહેશે. આ પરિવર્તનના લીધે ભારતના રાજકારણમાં બે મહત્વના પરિવર્તન આવ્યા.   

પહેલું એ કે રાજયોમાં મંત્રીમંડળનું કદ ફુલ વિધાનસભા બેઠકોના 15 ટકા સુધી મર્યાદિત કરવામાં આવ્યું.

બીજું એ કે, પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ નિર્ધારિત મર્યાદા એક તૃતિયાંશથી વધારીને બે તૃતિયાંશ કરવામાં આવી. તેની સાથોસાથ પક્ષપલટો કરનારાને અયોગ્ય જાહેર કરવા માટે સ્પષ્ટ દિશાનિર્દેશ પણ નક્કી કરવામાં આવ્યા.

કેટલાય વર્ષો સુધી ભારતમાં મોટામોટા મંત્રીમંડળો બનાવવાની રાજનૈતિક સંસ્કૃતિએ ઘર કર્યું હતું. આ મોટામોટા મંત્રીમંડળો કામની વહેંચણી માટે નહીં પરંતુ રાજનેતાઓને ખુશ કરવા માટે બનાવવામાં આવતા હતા. અટલજીએ આ સંસ્કૃતિ બદલી નાંખી. તેમના આ પગલાંથી પૈસા અને સંસાધનોની બચત થઇ. તેના સાથોસાથ કાર્યક્ષમતામાં પણ વધારો થયો. અટલજી જ એવા દીર્ઘદ્રષ્ટા હતા જેમણે સ્થિતિને બદલી અને આપણી રાજનૈતિક સંસ્કૃતિમાં સ્વસ્થ પરંપરા અમલમાં આવી. અટલજી એક સાચા દેશભક્ત હતા. તેમના કાર્યકાળમાં જ અંદાજપત્ર રજૂ કરવાના સમયમાં ફેરફાર થયો. પહેલાં અંગ્રેજોની પરંપરા અનુસાર સાંજે પાંચ વાગ્યે અંદાજપત્ર રજૂ કરવામાં આવતું હતું. કારણ તે સમયે લંડનમાં સંસદ શરૂ થવાનો સમય હતો. વર્ષ 2001માં અટલજીએ અંદાજપત્ર રજૂ કરવાનો સમય સાંજના પાંચ વાગ્યાથી બદલીને સવારના 11 વાગ્યાનો કરી નાંખ્યો. વધુ એક આઝાદી અટલજીના કાર્યકાળમાં જ મળી. અને ભારતીય ધ્વજસંહિતા બનાવવામાં આવી. અને 2002માં તેને અધિકૃત કરી દેવામાં આવી. આ સંહિતામાં કેટલાય એવા નિયમો બનાવવામાં આવ્યા છે. જેનાથી જાહેર સ્થળો પર ત્રિરંગો લહેરાવવાનું શક્ય બન્યું છે. તેના કારણે જ વધુને વધુ ભારતીયોને પોતાનો રાષ્ટ્રધ્વજ લહેરાવવાની તક મળી શકી છે. આ રીતે તેમણે આપણા પ્રાણપ્રિય તિરંગાને આમ જનતાની નજીક લાવી દીધો. તમે જોયું. કેવી રીતે અટલજીએ દેશમાં સાહસિક પગલાં લઇને પાયાના સુધારા કર્યા હતા. પછી તે ચૂંટણીપ્રક્રિયા હોય અને લોકપ્રતિનિધિઓને લગતી ખામીઓ દૂર કરવાની હોય, એ જ રીતે આજકાલ આપ જોઇ રહ્યા છો કે, દેશમાં કેન્દ્ર અને રાજયોની ચૂંટણીઓ એકસાથે કરાવવાની બાબતમાં ચર્ચા આગળ વધી રહી છે. આ વિષેની તરફેણ અને વિરૂદ્ધ એમ બંને તરફ લોકો પોતપોતાના મત વ્યક્ત કરી રહ્યા છે. આ એક સારી બાબત છે. અને લોકશાહી માટે એક શુભ સંકેત પણ છે. હું ચોક્કસ કહીશ કે, સ્વસ્થ લોકશાહી માટે, ઉત્તમ લોકશાહી માટે, સારી પરંપરાઓ વિકસિત થાય, લોકશાહીને મજબૂત બનાવવા માટે સતત પ્રયાસો થાય, ખુલ્લા મનથી ચર્ચાઓ આગળ વધારાય તે પણ અટલજીને એક ઉત્તમ શ્રદ્ધાંજલિ આપી ગણાશે. સમૃદ્ધ અને વિકસિત ભારતનું સપનું પૂરૂં કરવાનો સંકલ્પ દોહરાવતાં હું આપ સૌના વતી અટલજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરૂં છું.

મારા વ્હાલા દેશવાસીઓ, આજકાલ જયારે પણ સંસદની ચર્ચા થાય છે તો મોટાભાગે તેમાં અડચણ, શોરબકોર અને અવરોધોની બાબતમાં જ ચર્ચા થાય છે. પરંતુ જે કાંઇ સારૂં થાય છે. તેની ચર્ચા જોઇએ તેટલી થતી નથી. હજુ થોડા દિવસ પહેલાં જ સંસદનું ચોમાસું સત્ર પૂરૂં થયું છે. તમને એ જાણીને આનંદ થશે કે, લોકસભાની ઉત્પાદકતા 118 ટકા રહી અને રાજયસભાની 74 ટકા રહી. બધા સાંસદોએ પક્ષના હિતથી ઉપર ઉઠીને ચોમાસું સત્રને વધુમાં વધુ ઉપયોગી બનાવવાનો પ્રયાસ કર્યો. અને તેનું જ પરિણામ છે કે, લોકસભાએ 21 વિધેયક અને રાજયસભાએ 14 વિધેયક આ સત્રમાં પસાર કર્યા. સંસદનું આ ચોમાસુંસત્ર સામાજિક ન્યાય અને યુવાનોના કલ્યાણના સત્રના રૂપમાં હંમેશા યાદ કરવામાં આવશે. આ સત્રમાં યુવાનો અને પછાત વર્ગોને ફાયદો કરનારા કેટલાય મહત્વના વિધેયકોને પસાર કરવામાં આવ્યા. આપ સૌ જાણો છો કે, દાયકાઓથી અનુસૂચિત જાતિ - જનજાતિપંચની જેમ જ અન્ય પછાત વર્ગ – ઓબીસી પંચ બનાવવાની માંગ થઇ રહી હતી. પછાત વર્ગના અધિકારોને સુનિશ્ચિત કરવા માટે દેશે આ વખતે ઓબીસી પંચ બનાવવાનો સંકલ્પ પૂરો કર્યો. અને તેને એક બંધારણીય અધિકાર પણ આપ્યો. આ પગલું સામાજિક ન્યાયના ઉદ્દેશને આગળ ધપાવનારૂં સાબિત થશે. અનુસૂચિત જાતિ અને અનુસુચિત જનજાતિના અધિકારોના રક્ષણ માટે સુધારાવિધેયકને પણ પસાર કરવાનું કામ આ સત્રમાં થયું છે. આ કાયદો અનુસુચિત જાતિ અને અનુસુચિતજનજાતિ સમુદાયના હિતોનું વધુ સારૂં રક્ષણ કરશે. સાથોસાથ તે અપરાધીઓને આ વર્ગના લોકો પર અત્યાચાર કરવાથી રોકશે અને દલિત સમુદાયોમાં વિશ્વાસનું સિંચન કરશે.

દેશની નારી શક્તિ વિરૂદ્ધ કોઇપણ પ્રકારના અન્યાયને કોઇપણ સભ્ય સમાજ સહન ન કરી શકે. બળાત્કારના દોષીઓને સહન કરવા માટે દેશ તૈયાર નથી. એટલા માટે જ સંસદે આપરાધિક કાનૂન સુધારા વિધેયક પસાર કરીને આવા ગુનેગારોને કઠોરમાં કઠોર સજાની જોગવાઇ કરી છે. દુષ્કર્મના દોષીઓને ઓછામાં ઓછી 10 વર્ષની સજા થશે. જયારે 12 વર્ષથી ઓછી ઉંમરની બાળકીઓ પર બળાત્કાર કરનારાઓને ફાંસીની સજા થશે. આપે થોડા દિવસ પહેલાં છાપાઓમાં વાંચ્યું હશે કે, મધ્યપ્રદેશના મંદસૌરમાં એક અદાલતે કેવળ બે મહિનામાં સુનાવણી પૂરી કરીને એક સગીર પર કુકર્મના બે ગુનેગારોને ફાંસીની સજા ફરમાવી છે. તેની પહેલાં મઘ્યપ્રદેશના કટનીમાં એક અદાલતે માત્ર પાંચ દિવસની સુનાવણી પછી ગુનેગારોને ફાંસીની સજા કરી હતી. રાજસ્થાનમાં પણ ત્યાંની અદાલતોએ આવા જ ઝડપી ચૂકાદા આપ્યા છે. આ કાયદો મહિલાઓ અને બાળકીઓ વિરૂદ્ધ અપરાધના કિસ્સા રોકવામાં અસરકારક ભૂમિકા ભજવશે. સામાજિક પરિવર્તન વિના આર્થિક પ્રગતિ અધૂરી છે. લોકસભામાં 3 તલાક વિધેયકને પસાર કરી દેવામાં આવ્યું છે. જો કે, રાજયસભામાં આ સત્રમાં તેને પસાર કરવાનું શક્ય નથી બની શક્યું. પરંતુ હું મુસ્લિમ મહિલાઓને ખાત્રી આપું છું કે, પૂરો દેશ તેમને ન્યાય અપાવવા માટે પૂરી તાકાતની સાથે ઉભો છે. આપણે જયારે દેશહિતમાં આગળ વધીએ છીએ. ત્યારે ગરીબો, પછાતવર્ગના લોકો, શોષિતો અને વંચિતોના જીવનમાં પરિવર્તન લાવી શકાય છે. ચોસામું સત્રમાં આ વખતે સૌએ સાથે મળીને એક આદર્શ પ્રસ્તુત કરી બતાવ્યો છે. દેશના તમામ સાંસદોનો આજે હું જાહેર હાર્દિક આભાર માનું છું.

મારા વ્હાલા દેશવાસીઓ, હાલ કરોડો દેશવાસીઓનું ધ્યાન જાકાર્તામાં રમાઇ રહેલી એશિયાઇ રમતો પર લાગેલું છે. દરરોજ સવારે ઉઠીને લોકો સૌથી પહેલાં છાપાઓમાં, ટીવીમાં, સમાચારો પર, સોશિયલ મીડીયા પર, નજર નાંખે છે. અને જુએ છે કે, કોઇ ભારતીય ખેલાડીએ ચંદ્રક જીત્યો છે ખરો. એશિયાઇ રમતો હજી પણ ચાલી રહી છે. હું દેશ માટે ચંદ્રક જીતનારા બધા ખેલાડીઓને અભિનંદન આપવા માંગું છું. જેમની સ્પર્ધાઓ હજી બાકી છે તે ખેલાડીઓને પણ મારી ખૂબખૂબ શુભેચ્છા છે. ભારતના ખેલાડીઓ ખાસ કરીને નિશાનેબાજી અને કુસ્તીમાં તો ઉત્કૃષ્ટ દેખાવ કરી જ રહ્યા છે પરંતુ આપણા ખેલાડીઓ એવી રમતોમાં પણ ચંદ્રક લાવી રહ્યા છે જેમાં અગાઉ આપણો દેખાવ એટલો સારો નથી રહ્યો. જેમ કે, વુશુ અને નૌકાયન જેવી રમતો. આ માત્ર ચંદ્રક નથી, પરંતુ પુરાવો છે ભારતીય રમત અને ખેલાડીઓના આકાશ આંબતા જૂસ્સા અને સપનાનો. દેશ માટે ચંદ્રક જીતનારાની વધી રહેલી સંખ્યામાં આપણી દિકરીઓ સામેલ છે. તે એક ખૂબ જ સકારાત્મક સંકેત છે. તે જ રીતે ચંદ્રક જીતનારા યુવા ખેલાડીઓમાં 15-16 વર્ષની ઉંમરના આપણા ઉગતા યુવાનો પણ છે. આ પણ એક ખૂબ જ સારો સંકેત છે કે, જે ખેલાડીઓએ ચંદ્રક જીત્યા છે તેમાંથી મોટાભાગના નાના શહેરો અને ગામડાઓમાં રહેનારા છે. અને આ ખેલાડીઓએ કઠોર પરિશ્રમ દ્વારા આ સફળતા હાંસલ કરી છે.

29મી ઓગષ્ટે આપણે રાષ્ટ્રીય ખેલ દિવસ ઉજવીશું. એ નિમિત્તે હું તમામ ખેલપ્રેમીઓને શુભેચ્છાઓ પાઠવું છું. સાથે હોકીના જાદુગર મહાન ખેલાડી શ્રી ધ્યાનચંદજીને પણ મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરૂં છું.

દેશના બધા નાગરિકોને હું અનુરોધ કરૂં છું કે, તેઓ જરૂર રમત રમે અને પોતાની ચુસ્તતાનું ધ્યાન રાખે. કેમ કે, સ્વસ્થ ભારત જ સંપન્ન અને સમૃદ્ધ ભારતનું નિર્માણ કરશે. જો ભારત તંદુરસ્ત હશે તો જ ભારતના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ થશે. ફરીએક વાર હું એશિયન રમતોમાં ચંદ્રક જીતનારાઓને અભિનંદન પાઠવું છું. અને બાકી ખેલાડીઓને સારા દેખાવની શુભેચ્છાઓ પાઠવું છું. સૌને રાષ્ટ્રીય ખેલ દિવસની પણ ખૂબ ખૂબ શુભચ્છાઓ.

પ્રધાનમંત્રીજી, નમસ્કાર, હું કાનપુરથી ભાવના ત્રિપાઠી એક એન્જિનિયરીંગની વિદ્યાર્થીની વાત કરી રહી છું. પ્રધાનમંત્રીજી ગઇ મન કી બાતમાં આપે કોલેજમાં ભણતા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ સાથે વાત કરી હતી અને તેના પહેલા પણ આપે ડોકટરો સાથે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો સાથે વાત કરી હતી. મારી આપને એક વિનંતી છે કે, આગામી 15મી સપ્ટેમ્બરે એન્જિનીયર્સ ડે મનાવવામાં આવશે. તે નિમિત્તે જો આપ, અમારા જેવા એન્જિનિયરીંગના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ સાથે કંઇક વાતો કરો. જેનાથી અમારા બધાનું મનોબળ વધશે અને અમને ખૂબ આનંદ થશે. તેમજ આગામી દિવસોમાં અમને પોતાના દેશ માટે કંઇક કરી છુટવાનું પ્રોત્સાહન મળશે. ધન્યવાદ..

નમસ્તે ભાવનાજી, હું આપની ભાવનાનું સન્માન કરૂં છું. આપણે સૌએ ઇંટ-પત્થરોથી ઘરો અને ઇમારતોને બનતી જોઇ છે. પરંતુ શું તમે કલ્પના કરી શકો છો કે, લગભગ 1200 વર્ષ પહેલાં એક વિશાળ પહાડ જે એક આખી શીલા હતો તેને એક ઉત્કૃષ્ઠ વિશાળ અને અદભૂત મંદિરનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું. કદાચ કલ્પના કરવાનું પણ મુશ્કેલ છે પરંતુ એવું બન્યું હતું. અને તે મંદિર છે – મહારાષ્ટ્રના ઇલોરામાં આવેલું કૈલાસનાથ મંદિર. તમને જો કોઇ જણાવે કે લગભગ હજાર વર્ષ પહેલાં ગ્રેનાઇટનો 60 મીટરથી પણ લાંબો એક સ્તંભ બનાવામાં આવ્યો. અને તેના શિખર પર ગ્રેનાઇટનો લગભગ 80 ટન વજનનો શિલાખંડ રાખવામાં આવ્યો. તો શું તમે સાચું માનશો ખરા. પરંતુ તામિલનાડુના તંજાવુરનું બૃહદેશ્વર મંદિર એવું સ્થાન છે, જયાં સ્થાપત્ય કલા અને એન્જિનિયરીંગનો આ અવિશ્વસનીય મેળ જોઇ શકાય છે. ગુજરાતના પાટણમાં 11મી સદીની રાણીની વાવ જોઇને હરકોઇ આશ્ચર્યચકિત રહી જાય છે. ભારતની ભુમિ એન્જિનિયરીંગની પ્રયોગશાળા રહી છે. ભારતમાં કેટલાય એવા એન્જિનિયરો થયા જેમણે અકલ્પનીયને કલ્પનીય બનાવ્યું. અને એન્જિનિયરીંગની દુનિયામાં ચમત્કાર કહી શકાય તેવા ઉદાહરણ પ્રસ્તુત કર્યા છે. મહાન એન્જિનિયરોના આપણા વારસામાં એક એવું રત્ન પણ આપણને મળ્યું જેમના કાર્યો આજે પણ લોકોને અચંબિત કરી રહયા છે. અને તે હતા. ભારતરત્ન ડૉ.એમ.વિશ્વેશ્વરય્યા. કાવેરી નદી પર તેમણે બાંધેલા કૃષ્ણરાજ સાગર બંધથી આજે પણ લાખોની સંખ્યામાં ખેડૂતો અને સામાન્ય નાગરિકો, લાભાન્વિત થઇ રહ્યા છે. દેશના તે ભાગમાં તો તેઓ પૂજનીય છે જ. પરંતુ બાકીનો પૂરો દેશ પણ તેમને ખૂબ સન્માન અને આત્મિયતા સાથે યાદ કરે છે. તેમની યાદમાં જ 15 સપ્ટેમ્બરને એન્જિનિયર્સ દિવસના રૂપમાં મનાવવામાં આવે છે. તેમના પદચિન્હો પર ચાલીને આપણા દેશના એન્જિનિયરો પૂરી દુનિયામાં પોતાની અલગ ઓળખ બનાવી ચૂક્યા છે. હું જયારે એન્જિનિયરીંગની દુનિયામાં ચમત્કારોની વાત કરૂં છું ત્યારે મને 2001માં ગુજરાતમાં કચ્છમાં જે ભયંકર ભૂકંપ આવ્યો હતો ત્યારની એક ઘટના યાદ આવે છે. તે સમયે હું એક સ્વયંસેવકના રૂપમાં ત્યાં કામ કરતો હતો. તો મને એક ગામમાં જવાની તક મળી. અને ત્યાં મને 100 વર્ષથી પણ વધારે ઉંમરના એક માજીને મળવાનો મોકો મળ્યો. તેઓ મારી તરફ જોઇને અમારી મજાક ઉડાવી રહ્યા હતા અને કહી રહ્યા હતા. જુઓ આ મારૂં મકાન છે. કચ્છમાં તેને ભૂંગો કહે છે. પછી બોલેલા આ મારા મકાને 3-3 ભૂકંપ જોયા છે. મે પોતે પણ 3 ભૂકંપ જોયા છે. આ જ ઘરમાં જોયા છે. પરંતુ કયાંય પણ તમને કોઇ નુકસાન જોવા નહીં મળે. આ ઘર અમારા પૂર્વજોએ અહીંની કુદરતી સ્થિતિ મુજબ, અહીંના વાતાવરણ મુજબ બનાવ્યું હતું. અને આ વાત તે એટલા ગર્વથી કહી રહ્યા હતા કે, મને એ જ વિચાર આવ્યો કે, સદીઓ પહેલા પણ તે સમયગાળાના એન્જિનીયરોએ સ્થાનિક પરિસ્થિતિ મુજબ કેવું સર્જન કર્યું હતું કે, જેને કારણે સામાન્ય માણસો સુરક્ષિત રહેતા હતા. હવે જયારે આપણે એન્જિનિયર્સ દિવસ મનાવીએ છીએ તો, આપણે ભવિષ્ય માટે પણ વિચારવું જોઇએ. જુદાજુદા સ્થળોએ કાર્યશાળાઓ કરવી જોઇએ. બદલાયેલા યુગમાં આપણે કઇકઇ નવી ચીજો શીખવી પડશે ? શીખવવી પડશે ? જોડવી પડશે ? આજકાલ આપત્તિ વ્યવસ્થાપન એક બહુ મોટું કામ બની ગયું છે. કુદરતી આફતો સામે વિશ્વ લડી રહ્યું છે. એવામાં સ્ટ્રકચરલ એન્જીનિયરીંગનું નવૂં રૂપ કેવું હોય ? તેના અભ્યાસક્રમો શું હોય ? વિદ્યાર્થીઓને શું શીખવવામાં આવે ? બાંધકામ પર્યાવરણને અનુકૂળ કેવી રીતે બને ? સ્થાનિક માલસામગ્રીનું મૂલ્યવર્ધન કરીને બાંધકામને કેવી રીતે આગળ વધારી શકાય ? ઝીરો વેસ્ટ એ આપણી પ્રાથમિકતા કેવી રીતે બને ? એવી અનેક બાબતો આપણે જયારે એન્જિનિયર્સ દિવસ મનાવીએ છીએ તો આપણે જરૂર વિચારવી જોઇએ.

મારા વ્હાલા દેશવાસીઓ, ઉત્સવોનું વાતાવરણ છે. અને તેની સાથે જ દિવાળીની તૈયારીઓ પણ શરૂ થઇ જાય છે. મન કી બાતમાં મળતા રહીશું. મનની વાતો કરતા રહીશું. અને અને આપણા મનથી દેશને આગળ વધારવામાં પણ એક થતા રહીશું. આવી જ એક ભાવનાની સાથે બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ધન્યવાદ, ફરી મળીશું.

 

 

J.Khunt/RP


(રીલીઝ આઈડી: 1543958) મુલાકાતી સંખ્યા : 442
આ રીલીઝ વાંચો: Assamese , English , Marathi , Bengali , Kannada , Malayalam