ગ્રામીણ વિકાસ મંત્રાલય
azadi ka amrit mahotsav

શિવરાજ સિંહ ચૌહાણે PM મોદીના જન્મદિવસે સરપંચો સાથે વૃક્ષારોપણ કર્યું, દિલ્હી ખાતે યોજાયેલા VB–G RAM G વર્કશોપને પણ સંબોધિત કર્યો


વિકસિત ભારત–G RAM G યોજનામાં દગાખોરી/ગેરરીતિ (ફ્રોડ) કોઈપણ ભોગે સહન કરવામાં આવશે નહીં – શ્રી શિવરાજ સિંહ ચૌહાણ

જો તળાવ પહેલાથી જ ભરેલું હોય અને તેમ છતાં ત્યાં કામદારોને કામે લગાડવામાં આવી રહ્યા હોય, તો તે ચિંતાનો વિષય છે; કામોનું રેન્ડમ નિરીક્ષણ કરો – શ્રી શિવરાજ સિંહ ચૌહાણ

દગાખોરી માટે કોઈ અવકાશ ન રહે તે માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે; કામદારોની ફેસ ઓથેન્ટિકેશન-આધારિત હાજરી ફરજિયાત કરવામાં આવી છે – શિવરાજ સિંહ ચૌહાણ

મનરેગા હેઠળ બોગસ મસ્ટર રોલ બનાવવામાં આવતા હતા; એક કામદાર દિલ્હીમાં બેઠો હોય જ્યારે ગામમાંથી પૈસા ઉપાડી લેવામાં આવતા હતા – શ્રી શિવરાજ સિંહ ચૌહાણ

મનરેગાની ખામીઓને દૂર કરતી વખતે, કામદારોને 100થી 125 દિવસની રોજગારી પૂરી પાડવાની જોગવાઈ કરવામાં આવી છે, પરંતુ કામ ગામના વિકાસમાં યોગદાન આપતું હોવું જોઈએ – શિવરાજ સિંહ ચૌહાણ

60% વેતન અને 40% સામગ્રીના ધોરણનું પાલન કરતી વખતે વિકસિત ગામો બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરો – શ્રી શિવરાજ સિંહ ચૌહાણ

વિકસિત ભારત માટે વિકસિત ગામ બનવા દો; આ યોજનાનો ઉદ્દેશ્ય માત્ર માટી ખોદીને બીજી જગ્યાએ ઠાલવવાનો નથી – શ્રી શિવરાજ સિંહ ચૌહાણ

વિકસિત ભારત–G RAM G હેઠળ મનરેગાની અનિયમિતતાઓ કોઈપણ ભોગે પુનરાવર્તિત થવા દેવામાં આવશે નહીં – શ્રી શિવરાજ સિંહ ચૌહાણ

પોસ્ટેડ ઓન: 17 SEP 2026 4:18PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને કૃષિ તથા ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે નવી દિલ્હીના પૂસા કેમ્પસ ખાતે સરપંચો અને વિભાગીય અધિકારીઓ સાથે છોડ વાવ્યા હતા અને પ્રધાનમંત્રીને તેમના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારબાદ કેન્દ્રીય મંત્રીએ વિકસિત ભારત–G RAM G પર આયોજિત રાષ્ટ્રીય વર્કશોપને સંબોધિત કર્યો હતો. આ વર્કશોપમાં પંચાયતી રાજ સંસ્થાઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના કમિશનરો અને વરિષ્ઠ અધિકારીઓ તથા અન્ય સહભાગીઓએ ભાગ લીધો હતો.

આ અવસરે શ્રી શિવરાજ સિંહ ચૌહાણે અધિકારીઓને યોજના હેઠળ થઈ રહેલા કામોનું રેન્ડમ નિરીક્ષણ કરવા નિર્દેશ આપ્યો હતો. જ્યાં નિર્ધારિત ધોરણો અને પ્રક્રિયાઓ અનુસાર કામો કરવામાં આવી રહ્યા છે, ત્યાં સંબંધિત વ્યક્તિઓની પ્રશંસા થવી જોઈએ. જોકે, જ્યાં પણ કોઈ અનિયમિતતા જણાય, ત્યાં શરૂઆતમાં જ સખત કાર્યવાહી થવી જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ નિયમોનું ઉલ્લંઘન કરવાની હિંમત ન કરે.

ગેરરીતિના કિસ્સામાં કોઈ નરમ વલણ દાખવવામાં આવશે નહીં

કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે વિકસિત ભારત–G RAM G યોજના હેઠળ કોઈપણ પ્રકારની ગેરરીતિ અને અનિયમિતતા અંગે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સખત સંદેશ જારી કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આ યોજનામાં ગેરરીતિ કોઈપણ ભોગે સહન કરવામાં આવશે નહીં.

શ્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું, "યાદ રાખો, અમે આ યોજનામાં કોઈપણ ભોગે કોઈ ગેરરીતિ થવા દઈશું નહીં. હું મંત્રી તરીકે સ્પષ્ટપણે કહી રહ્યો છું કે જો કોઈ ગેરરીતિ થશે, તો કોઈને પણ બક્ષવામાં આવશે નહીં. જે પણ અનિયમિતતામાં સામેલ થશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે." તેમણે કહ્યું કે જો ગામનું કોઈ તળાવ પહેલાથી જ ભરેલું હોય અને તેમ છતાં ત્યાં કામદારોને કામે લગાડવામાં આવી રહ્યા હોય, તો તે એક એવો વિષય છે જેની તપાસ કરવાની જરૂર છે. તેમણે અધિકારીઓને આવા કિસ્સાઓ પર નજીકથી નજર રાખવા નિર્દેશ આપ્યો હતો.

કામોનું રેન્ડમ નિરીક્ષણ કરો; અનિયમિતતાઓ જણાય તો શરૂઆતમાં જ કાર્યવાહી કરો

શ્રી શિવરાજ સિંહ ચૌહાણે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના અધિકારીઓને જણાવ્યું હતું કે આ યોજના શરૂ થયાને માત્ર બે મહિના જ થયા છે અને ત્રીજો મહિનો ચાલી રહ્યો છે. તેથી, શરૂઆતથી જ મોનિટરિંગ અને નિરીક્ષણ પદ્ધતિ મજબૂત રાખવી જરૂરી છે. તેમણે પસંદ કરેલા કામોનું રેન્ડમ નિરીક્ષણ કરવા નિર્દેશ આપ્યો હતો. જ્યાં કામ યોગ્ય રીતે થઈ રહ્યા છે ત્યાં સંબંધિત વ્યક્તિઓની પ્રશંસા થવી જોઈએ, જ્યારે કોઈપણ અનિયમિતતા જણાય તો તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ જેથી પ્રારંભિક તબક્કે જ અનિયમિતતાઓને રોકી શકાય અને ભવિષ્યમાં આવી સ્થિતિ ફરી ઊભી ન થાય.

ટેકનોલોજી ગેરરીતિ અટકાવવામાં મદદ કરશે

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે કામો પર વધુ સારું મોનિટરિંગ સુનિશ્ચિત કરવા અને ગેરરીતિ માટે કોઈ અવકાશ ન રહે તે માટે યોજનામાં ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે કામદારોની હાજરી હવે ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ફરજિયાત કરવામાં આવી છે. તેથી, આ ટેકનોલોજીકલ સિસ્ટમ દ્વારા એ પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે આ મિકેનિઝમમાં કોઈ ત્રુટિ ન રહે.

તેમણે કહ્યું કે જ્યારે કોઈ ફરિયાદ સામે આવે છે, ત્યારે ચિંતા થવી સ્વાભાવિક છે. તેમણે તમામ સંબંધિત અધિકારીઓને વિનંતી કરી હતી કે યોજનાના અમલીકરણમાં કોઈપણ સ્તરે કોઈ ભંગ ન થાય તે સુનિશ્ચિત કરે. તેમણે કહ્યું, "તમામ અધિકારીઓ અહીં બેઠા છે, અને હું તેમને અને કમિશનરોને કહેવા માંગુ છું કે કોઈ પણ કોઈપણ ભોગે આ સિસ્ટમમાં સેંધ ન મારી શકે તે સુનિશ્ચિત કરો."

કામદારો માટે કામ સુનિશ્ચિત કરો; તેઓ એક કલાક માટે પણ કામ વગરના ન રહેવા જોઈએ

કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે આ યોજનાનો સૌથી મહત્વનો ઉદ્દેશ્ય કામદારોને રોજગારી પૂરી પાડવાનો છે. તેમણે કહ્યું કે કામદારોને કામ મળવું જોઈએ અને તેઓ એક કલાક માટે પણ કામ વગરના ન રહેવા જોઈએ. તેમણે સમયસર વેતનની ચુકવણી સુનિશ્ચિત કરવા પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે નિયમો હેઠળ મંજૂર કરાયેલા કામો નિર્ધારિત પ્રક્રિયાઓનું પાલન કર્યા પછી હાથ ધરવામાં આવવા જોઈએ.

તેમણે યોજના હેઠળ વેતન-સામગ્રી (વેજ-મટીરીયલ) ના ગુણોત્તરના પાલન પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે જિલ્લા સ્તરે 60 ટકા ભંડોળ વેતન પર અને 40 ટકા સામગ્રી પર ખર્ચવાનું છે. અધિકારીઓને નિયમો અને નિર્ધારિત પ્રક્રિયાઓનું પાલન કરવા અને ગામડાઓમાં ટકાઉ અને ઉપયોગી સંપત્તિઓનું સર્જન કરતા કામોને પ્રાથમિકતા આપવા નિર્દેશ આપવામાં આવ્યો હતો.

કામનો અર્થ માત્ર એક જગ્યાએથી માટી ખોદીને બીજી જગ્યાએ ઠાલવવાનો નથી

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે કામનો અર્થ માત્ર એક જગ્યાએ માટી ખોદીને બીજી જગ્યાએ ઠાલવવાનો નથી. "વિકસિત ભારત માટે વિકસિત ગામ" ના ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને, વિકસિત ભારત–G RAM G યોજના હેઠળના કામોને એવી રીતે ધ્યાનમાં લેવા જોઈએ જે ગામડાઓમાં વિકાસ માટે મજબૂત પાયો બનાવે અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરે.

તેમણે અધિકારીઓને કહ્યું કે હવે વિકસિત ભારત–G RAM G યોજના વિકસિત ગામના નિર્માણમાં કેવી રીતે યોગદાન આપી શકે છે તે અંગે વિચારવાની જરૂર છે. રોજગારી પૂરી પાડવાની સાથે, યોજનાએ એવી સંપત્તિઓના સર્જનમાં સુવિધા આપવી જોઈએ જે ગ્રામીણ સમુદાયો માટે લાંબા ગાળા સુધી ઉપયોગી રહે અને ગામડાઓને આત્મનિર્ભર અને વિકસિત બનાવવામાં મદદ કરે.

શ્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે યોજનાની સફળતા ત્યારે જ સુનિશ્ચિત થઈ શકે છે જ્યારે કામદારોને પૂરતી રોજગારી મળે, કામોના અમલીકરણમાં પારદર્શિતા જાળવવામાં આવે, ગેરરીતિઓ સંપૂર્ણપણે નાબૂદ થાય, અને યોજના વિકસિત ભારતની સાથે વિકસિત ગામોના નિર્માણમાં પણ યોગદાન આપે.

રાષ્ટ્રસેવા એ PM મોદીના જીવનનો મુખ્ય મંત્ર છે

કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે આજે અત્યંત સુસંગત અને વિશેષ દિવસ છે. દેશભરમાં આનંદ અને ઉત્સવનો માહોલ છે. આજે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. આ અવસરે તેમણે ગ્રામીણ ભારત વતી પ્રધાનમંત્રીને હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવી હતી.

તેમણે કહ્યું, "ઈશ્વરને મારી એક જ પ્રાર્થના છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને દીર્ઘાયુ અને સ્વસ્થ જીવનના આશીર્વાદ મળે અને તેઓ દેશ અને તેના લોકોની આ જ રીતે સેવા કરતા રહે." તેમણે કહ્યું કે રાષ્ટ્રસેવા એ પ્રધાનમંત્રીના જીવનનો મુખ્ય મંત્ર રહ્યો છે.

તેમણે કહ્યું કે સરકારના વડા તરીકે સતત 25 વર્ષ સુધી જાહેર સેવાની તેમની યાત્રા પોતાનામાં જ સાર્થક છે. તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી અને હવે પ્રધાનમંત્રી તરીકે દેશનું નેતૃત્વ કરી રહ્યા છે. સેવાની આ લાંબી અને સતત યાત્રા ભારતીય લોકશાહીના ઇતિહાસમાં એક નોંધપાત્ર પ્રકરણ છે.

તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં એક નવા ભારતનું વિઝન આકાર લઈ રહ્યું છે—એવું ભારત જે સમૃદ્ધ, ગૌરવશાળી, મજબૂત, આત્મનિર્ભર અને વિકસિત હોય.

SM/BS/JD


(રીલીઝ આઈડી: 2311464) મુલાકાતી સંખ્યા : 13
આ રીલીઝ વાંચો: हिन्दी , English , Urdu