પર્યાવરણ અને વન મંત્રાલય
કેન્દ્રીય પર્યાવરણ મંત્રીએ ભુજ ખાતે મેન્ગ્રોવ સંરક્ષણ પરની વર્કશોપની અધ્યક્ષતા કરી; મુખ્ય મેન્ગ્રોવ પ્રકાશનો બહાર પાડ્યા અને મિષ્ટી (MISHTI) પ્રગતિની સમીક્ષા કરી
શ્રી ભૂપેન્દ્ર યાદવે વૈજ્ઞાનિક, સ્થળ-વિશિષ્ટ અને સમુદાય-સંચાલિત મેન્ગ્રોવ પુનઃસ્થાપન પર ભાર મૂક્યો; નિર્ણય સમર્થન માટે મેન્ગ્રોવ જીઆઈએસ (MGIS) પોર્ટલ લોન્ચ કર્યું
પોસ્ટેડ ઓન:
13 SEP 2026 8:00PM by PIB Ahmedabad
કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવે આજે ભુજ, કચ્છ (ગુજરાત) ખાતે યોજાયેલી મેન્ગ્રોવ સંરક્ષણ, પુનઃસ્થાપન અને સતત વ્યવસ્થાપન પરની વર્કશોપને સંબોધિત કરી હતી. વર્કશોપને સંબોધતા, મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે દરિયાકાંઠાની જૈવવિવિધતા, મત્સ્યોદ્યોગ, દરિયાકાંઠાના રક્ષણ, આબોહવા સ્થિતિસ્થાપકતા અને આજીવિકા માટે તેના મહત્વને ધ્યાનમાં રાખીને મેન્ગ્રોવ્સનું જીવંત ઇકોસિસ્ટમ તરીકે સંરક્ષણ કરવું જોઈએ.

આ વર્કશોપમાં ગુજરાત સરકારના વન અને પર્યાવરણ, આબોહવા પરિવર્તન અને વિજ્ઞાન અને ટેકનોલોજી કેબિનેટ મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયા અને ગુજરાત સરકારના ઉચ્ચ અને તકનીકી શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાએ પણ હાજરી આપી હતી અને સંબોધન કર્યું હતું, જેમણે મિષ્ટી (MISHTI) હેઠળ મેન્ગ્રોવ સંરક્ષણ અને દરિયાકાંઠાના ઇકોસિસ્ટમ પુનઃસ્થાપન માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાનો પુનઃરોચ્ચાર કર્યો હતો.

મિષ્ટી (મેન્ગ્રોવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેબિટેટ્સ એન્ડ ટેન્જિબલ ઇનકમ્સે) કાર્યક્રમ હેઠળ ગુજરાતના મેન્ગ્રોવ સંરક્ષણ પ્રયાસોની સમીક્ષા કરતા, શ્રી યાદવે પુનઃસ્થાપન, વૈજ્ઞાનિક વ્યવસ્થાપન, સમુદાયની ભાગીદારી અને ટેકનોલોજી-સક્ષમ દેખરેખ પરના ભારની નોંધ લીધી હતી. તેમણે માહિતી આપી હતી કે મિષ્ટી હેઠળ, ગુજરાતે મેન્ગ્રોવ પુનઃસ્થાપનમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે, જેમાં 2023-27 ના 29,250 હેક્ટરના લક્ષ્યાંક સામે 27,652 હેક્ટર આવરી લેવામાં આવ્યા છે, જેમાં પર્યાવરણીય રીતે પડકારરૂપ કોરી ક્રીક વિસ્તારમાં 12,450 હેક્ટરનો સમાવેશ થાય છે. તેમણે ઉમેર્યું હતું કે કચ્છની પરિસ્થિતિઓને અનુકૂળ સ્થળ-વિશિષ્ટ પુનઃસ્થાપન તકનીકો અપનાવવામાં આવી છે, સાથે જ જૈવવિવિધતા વૃદ્ધિ, સીવીડ (દરિયાઈ વનસ્પતિ) ની ખેતી અને સતત આજીવિકા માટેના પગલાં પણ લેવામાં આવ્યા છે.

આ પ્રસંગે, મંત્રીએ 'કોફી ટેબલ બુક ઓન કચ્છ મેન્ગ્રોવ્સ' અને 'મેન્ગ્રોવ્સ એટલાસ ઓફ ગુજરાત' બહાર પાડ્યા હતા, અને મેન્ગ્રોવ જીઆઈએસ (MGIS) પોર્ટલ લોન્ચ કર્યું હતું, અને જણાવ્યું હતું કે આનાથી સમગ્ર રાજ્યમાં વિજ્ઞાન-આધારિત નિર્ણય લેવાની પ્રક્રિયા અને મેન્ગ્રોવ આવાસની દેખરેખ મજબૂત થશે. શ્રી યાદવે ગુણેરી ઇનલેન્ડ મેન્ગ્રોવ વિલેજ બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ કમિટીનું સન્માન પણ કર્યું હતું, જેણે ગુણેરીના આંતરદેશીય (ઇનલેન્ડ) મેન્ગ્રોવ્સ – દરિયાકાંઠાથી દૂર સમૃદ્ધ થતી એક વિરલ ઇકોસિસ્ટમ – ના સતત સમુદાય-સંચાલિત સંરક્ષણની સરાહના કરી હતી. તેમણે નોંધ્યું હતું કે તેને જાન્યુઆરી 2025માં ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરીટેજ સાઇટ તરીકે ઘોષિત કરવામાં આવી હતી.

વર્કશોપમાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય અને ગુજરાત વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ તેમજ કચ્છમાં મેન્ગ્રોવ પુનઃસ્થાપન અને દરિયાકાંઠાની આજીવિકા પહેલોમાં રોકાયેલા વૈજ્ઞાનિકો, સંરક્ષણવાદીઓ અને સ્થાનિક સમુદાયોના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.
SM/IJ/JD
(રીલીઝ આઈડી: 2309878)
મુલાકાતી સંખ્યા : 49