રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

50 કિલોમીટર, અસંખ્ય લાભાર્થીઓ: મિઝોરમની રેલવે લાઈફલાઈને સફળતાનું 1 વર્ષ પૂર્ણ કર્યું


માત્ર 1 વર્ષની અંદર, બૈરાબી-સાઈરાંગ રેલવે લાઈને મિઝોરમમાં પ્રવાસ, પ્રવાસન અને લોજિસ્ટિક્સમાં પરિવર્તન આવ્યું, પહાડી રાજ્યના વિકાસને પ્રોત્સાહન મળ્યું 

પોસ્ટેડ ઓન: 13 SEP 2026 11:27AM by PIB Ahmedabad

13 સપ્ટેમ્બર 2025ના રોજ, ભારતના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 51.38 કિમી લાંબી બૈરાબી-સાઈરાંગ રેલવે લાઈન અને સાઈરાંગ રેલવે સ્ટેશનના ઉદ્ઘાટને મિઝોરમ માટે પ્રગતિ અને વિકાસના એક નવા પ્રકરણની શરૂઆત કરી. માત્ર 1 વર્ષની અંદર, રેલવે લાઈને આ દૂરના પહાડી રાજ્યમાં પરિવર્તનકારી વિકાસ આવ્યો છે, અને રેલવે નકશા પરની માત્ર એક લાઈનમાંથી સુધારેલી ગતિશીલતા, બજારો સુધી મોટી પહોંચ, ઉન્નત પ્રવાસન અને નવી તકો તરફના પ્રવેશદ્વારમાં પરિવર્તિત થઈ છે.

મહત્વનો તબક્કો: જ્યારે રેલ પહાડો સુધી પહોંચી 

પેઢીઓથી, મિઝોરમનો મુશ્કેલ ભૂપૃષ્ઠ દૂર-અંતરની અવરજવર માટે રસ્તાઓ પર ભારે નિર્ભર બનાવતો હતો, જેનાથી મુસાફરી ખૂબ સમય લેનારી, અસ્વસ્થતાભરી અને અવિશ્વસનીય બની જતી હતી. બૈરાબી-સાઈરાંગ નવી રેલવે લાઈન ચાલુ થવાથી પરિદ્રશ્ય સંપૂર્ણપણે બદલાઈ ગયું.

(બૈરાબી-સાઈરાંગ લાઈન મિઝોરમના પડકારરૂપ પહાડી ભૂપૃષ્ઠ પર રાષ્ટ્રીય રેલવે નેટવર્ક પહોંચાડે છે)

બૈરાબી સાઈરાંગ રેલવે લાઈન એન્જિનિયરિંગની એક અજાયબી છે, જે મિઝોરમના સીધા ઢોળાવવાળા પહાડો, ઊંડી ખીણો અને કોતરોમાંથી પસાર થાય છે. આ પ્રોજેક્ટમાં 153 પુલોનો સમાવેશ થાય છે, જેમાં 55 મોટા પુલો, 88 નાના પુલો અને 10 રોડ ઓવર બ્રિજ/રોડ અંડર બ્રિજનો સમાવેશ થાય છે. 6 જેટલા પુલો 70 મીટરથી વધુ ઊંચાઈ ધરાવે છે, જેમાં સૌથી ઊંચો પુલ 114 મીટર સુધી ઊંચો છે, જે દિલ્હીના કુતૂબ મિનાર કરતાં 42 મીટર વધુ ઊંચો છે. આ અલાઈનમેન્ટ લગભગ 16 કિલોમીટર સુધી ફેલાયેલી 45 ટનલમાંથી પણ પસાર થાય છે. રેલ કોરિડોર રાષ્ટ્રીય રેલવે નેટવર્કને બૈરાબીથી આગળ હોર્ટોકી, કવન્પુઈ, મુઆલખાંગ અને અંતે સાઈરાંગ રેલવે સ્ટેશનના નવા વિકસિત ચાર સ્ટેશનો સાથે જોડે છે, જેથી મિઝોરમની રાજધાની આઈઝોલના આંગણા સુધી રેલ કનેક્ટિવિટી પૂર્ણ થાય છે.

આમ, 13 સપ્ટેમ્બર 2025ના રોજ બૈરાબી સાઈરાંગ રેલવે લાઈનના ઉદ્ઘાટને મિઝોરમના લોકોના લાંબા સમયના સ્વપ્નને પૂર્ણ કર્યું, અને રાજ્યના વસ્તી, વહીવટ, શિક્ષણ અને વાણિજ્યના સૌથી મોટા કેન્દ્રની નજીક વિશ્વસનીય રેલવે મુસાફર અને માલવાહક સેવાઓ લાવી.

(સાઈરાંગ સ્ટેશન રાષ્ટ્રીય રેલવે નેટવર્ક માટે મિઝોરમનું નવું પેસેન્જર અને લોજિસ્ટિક્સ ગેટવે બન્યું)

પેસેન્જર ગતિશીલતા: આંકડા વિશ્વાસની વાર્તા કહે છે

ત્રણ મહત્વપૂર્ણ લાંબા અંતરની ટ્રેન સેવાઓ હવે મિઝોરમની રાજધાનીને ગુવાહાટી, કોલકાતા અને દિલ્હીના શહેરો સાથે જોડે છે. સાઈરાંગ – આનંદ વિહાર રાજધાની એક્સપ્રેસે મિઝોરમને રાષ્ટ્રીય રાજધાની સાથે તેનું પ્રથમ સીધું પ્રીમિયમ રેલવે કનેક્શન આપ્યું, જ્યારે ગુવાહાટી અને કોલકાતા સેવાઓએ દેશના પૂર્વ અને ઉત્તર ભાગોમાં મુખ્ય શૈક્ષણિક, વ્યાપારી અને તબીબી કેન્દ્રો સાથે ભરોસાપાત્ર લિંક્સ બનાવી. વધુમાં, સાઈરાંગ – સિલચર પેસેન્જર ટ્રેન સેવા, જેનું જાન્યુઆરી 2026માં આદરણીય કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, તેણે સાઈરાંગને અસમના બરાક વેલી સાથે જોડતી નિયમિત અને વિશ્વસનીય પેસેન્જર ટ્રેન સેવા પૂરી પાડી.

છેલ્લા 1 વર્ષના સમયગાળા દરમિયાન, આ ટ્રેન સેવાઓએ 1100થી વધુ ટ્રિપ્સ પૂર્ણ કરી છે, જે મિઝોરમના લોકોના જીવનનો એક અભિન્ન ભાગ બની ગઈ છે. આ ટ્રેન સેવાઓના મહત્વનું સૌથી મજબૂત સમર્થન ખુદ મુસાફરો તરફથી મળ્યું છે, જેને 15 લાખથી વધુ મુસાફરોનો સાથ-સહકાર મળ્યો છે. આ ટ્રેનો માટે મુસાફરોની માંગ સતત ખૂબ જ ઊંચી રહી છે, તમામ ટ્રેનો દરેક ટ્રિપ પર 100% થી વધુ ક્ષમતા પર દોડી રહી છે.

સાઈરાંગથી કોલકાતા સુધીની ત્રિ-સાપ્તાહિક ટ્રેન સેવામાં સરેરાશ 140% થી વધુ ઓક્યુપન્સી લેવલ નોંધાયું છે, જ્યારે સાઈરાંગથી ગુવાહાટી સુધીની દૈનિક ટ્રેન સેવામાં ઓક્યુપન્સી સતત 110% થી ઉપર રહી છે. સાઈરાંગ આનંદ વિહાર રાજધાની એક્સપ્રેસે પણ સમાન રીતે 145% થી વધુની સરેરાશ ઓક્યુપન્સી પ્રાપ્ત કરી છે. આ ટ્રેન સેવાઓએ ભારતીય રેલવે માટે કુલ ₹54 કરોડનું ટિકિટ વેચાણ પણ જનરેટ કર્યું છે.

આ છેલ્લા 1 વર્ષ દરમિયાન, સાઈરાંગ રેલવે સ્ટેશને 5.54 લાખથી વધુ મુસાફરોની અવરજવરને સફળતાપૂર્વક પૂરી કરી છે, જેમાં દરરોજ સરેરાશ 3300 મુસાફરો સ્ટેશનની મુલાકાત લે છે. રેલવે સ્ટેશન માત્ર મુસાફરોની મુસાફરી માટે એક મહત્વપૂર્ણ હબ તરીકે જ નહીં, પરંતુ આસપાસના વિસ્તારમાં સામુદાયિક જીવનના એક અભિન્ન અંગ તરીકે પણ ઉભરી આવ્યું છે, જેમાં સ્થાનિક રહેવાસીઓ સ્ટેશન પરિસરની આસપાસ વૃક્ષારોપણ અને અન્ય પર્યાવરણીય પહેલો કરી રહ્યા છે.

માલવાહક પરિવર્તન: આઈઝોલ સુધી રેલ કાર્ગો

બૈરાબી સાઈરાંગ રેલવે લાઈને મિઝોરમમાં માલસામાનના પરિવહનમાં પણ પરિવર્તનકારી ફેરફાર આણ્યો છે, જેનાથી આવશ્યક ચીજવસ્તુઓ, ઓટોમોબાઈલ્સ અને બાંધકામ સામગ્રી સહિતનો માલસામાન સુરક્ષિત, સમયબદ્ધ અને ખર્ચ-અસરકારક રીતે આઈઝોલ પહોંચી શક્યો છે.

પ્રથમ રેલવે કાર્ગો ટ્રેન નવી લાઈનના ઉદ્ઘાટનના માત્ર 1 દિવસ પછી, 14 સપ્ટેમ્બર 2025ના રોજ ગુવાહાટી નજીક ટેટેલિયા ખાતે સ્ટાર સિમેન્ટ સિડિંગ પરથી 26000 થી વધુ સિમેન્ટની ગુણોનો કન્સાઈનમેન્ટ લઈને સાઈરાંગ પહોંચી હતી. આ કાર્ગો ટ્રેનની આઈઝોલમાં સિમેન્ટના ભાવ પર તાત્કાલિક અસર પડી હતી, જેણે સ્પષ્ટપણે દર્શાવ્યું હતું કે રેલવે કેવી રીતે લોજિસ્ટિક્સ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરી શકે છે અને સમગ્ર પ્રદેશના આર્થિક વિકાસમાં યોગદાન આપી શકે છે. તદુપરાંત, સીધી માલવાહક ટ્રેન સેવાઓ ઓટોમોબાઈલ્સ મેળવવામાં રહેલા તફાવતને પૂરે છે, આથી લેન્ડિંગ કોસ્ટ ઘટાડે છે, જે અંતિમ ગ્રાહકો માટે વધુ પોસાય તેવી (પોકેટ ફ્રેન્ડલી) બને છે. અન્ય એક નોંધપાત્ર સીમાચિહ્નમાં, ગુવાહાટી નજીકના ચાંગસારીથી 119 મારુતિ કાર સમાવતું પ્રથમ ઓટોમોબાઈલ કન્સાઈનમેન્ટ ડિસેમ્બર 2025માં રેલ દ્વારા સાઈરાંગ પહોંચ્યું હતું, જેણે આ પ્રદેશમાં ઓટોમોબાઈલ લોજિસ્ટિક્સમાં પરિવર્તન આવ્યું હતું.

છેલ્લા 1 વર્ષમાં, 2500 થી વધુ રેલવે માલવાહક વેગન સાઈરાંગ ખાતે પહોંચાડવામાં આવ્યા છે. આમાંથી, લગભગ 70% કાર્ગોમાં સિમેન્ટ, પથ્થર અને રેતી જેવી બાંધકામ સામગ્રીનો સમાવેશ થતો હતો, આ ચીજવસ્તુઓએ મિઝોરમમાં હાઉસિંગ અને જાહેર કામોને ટેકો આપ્યો છે, જે રાજ્યમાં ઓછા ખર્ચે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને પ્રોત્સાહન આપે છે તેમજ સામગ્રીને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માટે જરૂરી સમય ઘટાડે છે.

સાઈરાંગ ખાતેના અન્ય રેલવે કાર્ગોમાં ચોખા અને ખાતર સહિતની આવશ્યક ચીજવસ્તુઓ તેમજ ઓટોમોબાઈલ્સ ધરાવતા 156 વેગનનો સમાવેશ થાય છે. ઓટોમોબાઈલ રેક્સે વાહનો માટે વધુ સુરક્ષિત અને ઉચ્ચ ક્ષમતા ધરાવતી સપ્લાય ચેન બનાવી છે, જ્યારે ખાતર અને અનાજે રાજ્યમાં કૃષિ અને સ્થાનિક PDS વિતરણમાં મદદ કરી છે, જેનાથી મોટા જથ્થાની અવરજવર લાંબા રોડ ટ્રાન્સપોર્ટથી કાર્યક્ષમ રેલવે પરિવહનમાં શિફ્ટ થઈ છે.

(ઉદ્ઘાટન કક્ષાના સિમેન્ટ રેકે સાઈરાંગને ફ્રેટ-હેન્ડલિંગ પોઈન્ટ તરીકે સ્થાપિત કર્યું)

(મિઝોરમ ખાતે હેન્ડલ કરવામાં આવેલ ફર્સ્ટ ઓટોમોબાઈલ ફ્રેટ રેક)

રેલવે મિઝોરમના લોકો માટે શૈક્ષણિક અને પ્રવાસનની તકો વધારે છે

દિલ્હી, કોલકાતા, ગુવાહાટી અને સિલચરથી ઉપડતી સીધી ટ્રેનોએ સ્થાનિક મુસાફરો માટે મિઝોરમ પહોંચવું સરળ બનાવ્યું છે. રેલવેએ એવા મુલાકાતીઓ માટે પરવડે તેવું પ્રવેશદ્વાર પૂરું પાડ્યું છે જેઓ અગાઉ સંપૂર્ણપણે હવાઈ અથવા લાંબી રોડ મુસાફરી પર નિર્ભર હતા. રેલવેની શરૂઆત પછી મિઝોરમમાં પ્રવાસનમાં 86% થી વધુનો એકંદરે ગ્રોથ થયો છે. 

આ લાભો માત્ર ટિકિટવાળી મુસાફરી પૂરતા સીમિત રહ્યા નથી. વધુ મુલાકાતીઓની અવરજવર હોટેલો, હોમસ્ટે, રેસ્ટોરન્ટ્સ, ટેક્સીઓ, ગાઈડ્સ, સાંસ્કૃતિક સાહસો અને સ્થાનિક બજારોને ટેકો આપી રહી છે. અવિરત રેલ એક્સેસ મિઝોરમની વ્યાપક રાષ્ટ્રીય ભાગીદારી સાથે શૈક્ષણિક, રમતગમત, સાંસ્કૃતિક અને સત્તાવાર કાર્યક્રમો યોજવાની ક્ષમતાને પણ મજબૂત બનાવી રહી છે. 

મિઝોરમના વિદ્યાર્થીઓ માટે, રેલવે કનેક્ટિવિટીએ મિઝોરમ બહારની યુનિવર્સિટીઓ, વ્યાવસાયિક સંસ્થાઓ, કોચિંગ સેન્ટરો, પરીક્ષાઓ અને શૈક્ષણિક કાર્યક્રમો સુધીની વ્યવહારુ પહોંચનો વિસ્તાર કર્યો છે. 

સ્થાનિક સાહસ: મિઝોના હાથથી રાષ્ટ્રીય બજારો સુધી 

વિશાળ બજારોમાં મિઝોરમના હાથશાળ, વાંસ, કેન અને હસ્તકળાની પરંપરાઓને લોકપ્રિય બનાવવા માટે રેલવે પણ એક સશક્તિકરણની ભૂમિકા ભજવી રહી છે. સાઈરાંગથી પ્રથમ પાર્સલ કન્સાઈનમેન્ટ 19 સપ્ટેમ્બર 2025 ના રોજ બુક કરવામાં આવ્યું હતું, જે સાઈરાંગ આનંદ વિહાર રાજધાની એક્સપ્રેસની પાર્સલ વેન દ્વારા દિલ્હી સુધી એન્થુરિયમના ફૂલો લઈ ગયું હતું. તે નાના કન્સાઈનમેન્ટે એક મોટો સંદેશ આપ્યો: ઉચ્ચ મૂલ્ય ધરાવતી સ્થાનિક પેદાશ મિઝોરમની અંદરથી જ તેની રાષ્ટ્રીય યાત્રા શરૂ કરી શકે છે.

(એન્થુરિયમ ફૂલોનું પ્રથમ પાર્સલ કન્સાઈનમેન્ટ સાઈરાંગથી દિલ્હી માટે બુક કરવામાં આવ્યું હતું)

(પાર્સલ સ્પેસે નાજુક અને સમય-સંવેદનશીલ સ્થાનિક પેદાશો માટે સીધી ચેન બનાવી)

એક વર્ષ અને આગળ: વિગટતાથી નવી શક્યતાઓ તરફ
 
1 વર્ષમાં, બૈરાબી સાઈરાંગ રેલવે લાઈને વિઝનના વાસ્તવિકતામાં સફળ રૂપાંતરણની દૂરગામી અસરો દર્શાવી છે. અસર એક સાથે અનેક દિશાઓમાં દ્રશ્યમાન થાય છે. મુસાફરોને મુખ્ય શહેરો સુધી સીધી પહોંચ મળી છે; વિદ્યાર્થીઓ પાસે સંસ્થાઓ અને પરીક્ષાઓ માટે વધુ વ્યવહારુ માર્ગ છે; પ્રવાસીઓ પાસે પરવડે તેવું ગેટવે છે; વેપારીઓ બજારની નજીક મોટો જથ્થો મેળવે છે; બાંધકામ અને ખાદ્ય પુરવઠો વધુ ક્ષમતા સાથે વહન થાય છે; અને ફૂલો, ક્રાફ્ટ્સ અને અન્ય સ્થાનિક ઉત્પાદનો રાષ્ટ્રીય ગ્રાહકો તરફનો માર્ગ પ્રાપ્ત કરે છે. સાઈરાંગનું વધુ ઊંડું મહત્વ તેણે જે શક્ય બનાવ્યું છે તેમાં રહેલું છે. મુશ્કેલ પહાડોમાંથી બનેલી રેલવે લાઈને અંતર ઘટાડ્યું છે, પસંદગીઓને વિસ્તારી છે અને મિઝોરમને એક નવી લોજિસ્ટિક્સ ઓળખ આપી છે. તેણે ગતિશીલતાને ગૌરવ સાથે, ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સાહસ સાથે અને કનેક્ટિવિટીને તકો સાથે જોડી છે.

(સાઈરાંગ-આનંદ વિહાર ટર્મિનલ રાજધાની એક્સપ્રેસે મિઝોરમને રાષ્ટ્રીય રાજધાની સાથે સીધું પ્રીમિયમ કનેક્શન આપ્યું)

(સાઈરાંગ રેલવે બ્રિજ 114 મીટર ઊંચાઈનો પિલર ધરાવે છે, જે દિલ્હીના કુતુબ મિનાર કરતાં 42 મીટર વધુ ઊંચો છે)

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  


(રીલીઝ આઈડી: 2309675) મુલાકાતી સંખ્યા : 9