કૃષિ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે ભારત-અફઘાનિસ્તાન કૃષિ સહયોગને વધુ ગાઢ બનાવવા માટે અફઘાનિસ્તાનના કૃષિ, સિંચાઈ અને પશુપાલન મંત્રી મહામહિમ મૌલવી અતાઉલ્લા ઓમરી સાથે દ્વિપક્ષીય બેઠક યોજી


ભારત બિયારણ, સંશોધન, સિંચાઈ, ક્ષમતા નિર્માણ અને ટેકનોલોજી દ્વારા અફઘાનિસ્તાનના કૃષિ પરિવર્તનને મજબૂત કરવા માટેની તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે: કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ

"ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે સદીઓ જૂનો સંબંધ છે જે પરસ્પર વિશ્વાસ, મિત્રતા અને પરસ્પર લોકો વચ્ચેના સંબંધો પર આધારિત છે": કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ

"જળ સંરક્ષણ, વૈજ્ઞાનિક ખેતી અને ગુણવત્તાયુક્ત બિયારણ એ ટકાઉ કૃષિનો પાયો છે": કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ

ભારત ક્લાઇમેટ-રેઝિલિયન્ટ કૃષિ, ડિજિટલ ફાર્મિંગ, સોઇલ હેલ્થ, માઇક્રો-ઇરિગેશન, લણણી પછીના વહીવટ અને કૃષિ શિક્ષણમાં સહયોગની ઓફર કરે છે

આઈસીએઆર બિયારણ પ્રણાલી, સંશોધન ભાગીદારી, સંસ્થાકીય સહયોગ અને ક્ષમતા નિર્માણ દ્વારા અફઘાનિસ્તાન સાથેના સહયોગને વધુ મજબૂત કરશે

બંને દેશો લાંબા ગાળાના કૃષિ સહયોગ માટે રોડમેપ તૈયાર કરવા માટે સંયુક્ત કાર્યકારી જૂથની સ્થાપના તરફ કામ કરવા સંમત થયા

प्रविष्टि तिथि: 08 JUL 2026 8:55PM by PIB Ahmedabad

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તેમજ ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે અફઘાનિસ્તાનના માનનીય કૃષિ, સિંચાઈ અને પશુપાલન મંત્રી મહામહિમ મૌલવી અતાઉલ્લા ઓમરી અને તેમની સાથે આવેલા પ્રતિનિધિમંડળ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. આ બેઠકમાં બંને દેશો વચ્ચેના વર્તમાન કૃષિ જોડાણની સમીક્ષા કરવામાં આવી હતી અને કૃષિ, સિંચાઈ, પશુપાલન, કૃષિ સંશોધન, શિક્ષણ, ક્ષમતા નિર્માણ તેમજ કૃષિ-વ્યાપારમાં સહયોગની નવી તકો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચામાં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય અને ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR) ના વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો.

અફઘાન પ્રતિનિધિમંડળનું સ્વાગત કરતાં શ્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે સદીઓ જૂના સભ્યતાના સંબંધો છે જે પરસ્પર વિશ્વાસ, મિત્રતા અને મજબૂત લોકો-લોકો વચ્ચેના સંબંધો પર આધારિત છે. દ્વિપક્ષીય કૃષિ ભાગીદારીને મજબૂત કરવા માટે ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરતા તેમણે કહ્યું કે ભારત અફઘાનિસ્તાનની ખાદ્ય સુરક્ષા, કૃષિ ઉત્પાદકતા અને ખેડૂતોની સમૃદ્ધિને ટેકો આપવા માટે તેની વૈજ્ઞાનિક કુશળતા, તકનીકી ઇનોવેશન્સ અને સંસ્થાકીય અનુભવ શેર કરવા માટે હંમેશા તૈયાર છે.

ખાદ્ય સુરક્ષા, બિયારણ પ્રણાલી અને પાકની ઉત્પાદકતા ચર્ચાના મુખ્ય ક્ષેત્રો તરીકે ઉભરી આવ્યા હતા. અફઘાન પક્ષે તેમની કૃષિ અર્થવ્યવસ્થામાં ઘઉંના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો અને અદ્યતન બિયારણ ટેકનોલોજી તેમજ સંશોધન સહયોગ દ્વારા ઘઉંની ઉત્પાદકતા સુધારવામાં ભારતનો સહયોગ માંગ્યો હતો. શ્રી ચૌહાણે અફઘાનિસ્તાનની બિયારણ પ્રણાલી અને કૃષિ ઉત્પાદનને મજબૂત કરવા માટે ગુણવત્તાયુક્ત ઘઉં, મકાઈ અને બટાકાના બિયારણ, ક્લાઇમેટ-રેઝિલિયન્ટ (હવામાન-અનુકૂળ) અને બાયોફોર્ટિફાઇડ પાકની જાતો તેમજ આઈસીએઆર (ICAR) સંસ્થાઓની વૈજ્ઞાનિક કુશળતા દ્વારા અફઘાનિસ્તાનને ટેકો આપવાની ભારતની તત્પરતા વ્યક્ત કરી હતી.

બેઠક દરમિયાન જળ વ્યવસ્થાપન અને ક્લાઇમેટ-રેઝિલિયન્ટ કૃષિ અગ્રસ્થાને રહ્યા હતા. અફઘાન પ્રતિનિધિમંડળે પાણીની અછત અને આબોહવા પરિવર્તન દ્વારા ઉભા થતા પડકારો પર પ્રકાશ પાડ્યો હતો અને સિંચાઈ, જળ સંચય અને વોટરશેડ વિકાસમાં સહયોગ માંગ્યો હતો. શ્રી ચૌહાણે માઇક્રો-ઇરિગેશન (સૂક્ષ્મ સિંચાઈ), વરસાદી પાણીના સંચય, ખેત તલાવડી, ચેકડેમ અને પાણીના કાર્યક્ષમ ઉપયોગની ટેકનોલોજીમાં ભારતનો અનુભવ શેર કર્યો હતો અને અફઘાનિસ્તાનને ટકાઉ સિંચાઈ પ્રણાલી અને હવામાન-અનુકૂળ ખેતી પદ્ધતિઓ વિકસાવવામાં મદદ કરવાની ભારતની ઈચ્છા દર્શાવી હતી.

બંને મંત્રીઓએ કૃષિ સંશોધન, શિક્ષણ અને ક્ષમતા નિર્માણમાં સહયોગ વધારવા અંગે પણ ચર્ચા કરી હતી. શ્રી ચૌહાણે સંયુક્ત સંશોધન, ફેકલ્ટી અને વિદ્યાર્થીઓના આદાનપ્રદાન, પ્રયોગશાળા સહાય અને વૈજ્ઞાનિકો, વિસ્તરણ કર્મચારીઓ, પશુચિકિત્સકો તેમજ કૃષિ વ્યાવસાયિકો માટે તાલીમ કાર્યક્રમો દ્વારા આઈસીએઆર (ICAR) અને અફઘાનિસ્તાનની કૃષિ સંસ્થાઓ વચ્ચેની ભાગીદારીને મજબૂત કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ચર્ચામાં બાગાયત, ડેરી, પશુપાલન, મરઘા પાલન, મત્સ્યઉદ્યોગ, પશુ આરોગ્ય, લણણી પછીના વહીવટ, ડિજિટલ કૃષિ અને જમીન આરોગ્ય વ્યવસ્થાપનમાં સહયોગનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

મહામહિમ મૌલવી અતાઉલ્લા ઓમરીએ અફઘાનિસ્તાનના કૃષિ ક્ષેત્ર માટે ભારતના સતત સહયોગની પ્રશંસા કરી હતી અને દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત કરવા માટે તેમના દેશની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે અફઘાનિસ્તાનની અગ્રતાઓ પર પ્રકાશ પાડ્યો હતો, જેમાં ગુણવત્તાયુક્ત બિયારણ પ્રણાલી દ્વારા ઘઉંની ઉત્પાદકતામાં સુધારો કરવો, સિંચાઈ અને જળ વ્યવસ્થાપનને મજબૂત કરવું, પશુપાલન વિકાસને પ્રોત્સાહન આપવું, કૃષિ સંશોધન વધારવું અને ક્ષમતા-નિર્માણની પહેલોનો વિસ્તાર કરવો વગેરે સામેલ છે. તેમણે કૃષિ શિક્ષણ, ટેકનોલોજી ટ્રાન્સફર, કૃષિ-વ્યવસાય અને ખાનગી ક્ષેત્રની ભાગીદારીમાં પણ વધુ સહયોગની માંગ કરી હતી.

બંને પક્ષોએ દ્વિપક્ષીય કૃષિ વ્યાપાર અને ખાનગી ક્ષેત્રની ભાગીદારી વિસ્તારવાની નોંધપાત્ર સંભાવનાઓ સ્વીકારી હતી. ચર્ચામાં બિઝનેસ-ટુ-બિઝનેસ સહયોગને પ્રોત્સાહિત કરવાની સાથે કૃષિ ચીજવસ્તુઓ, ગુણવત્તાયુક્ત બિયારણ અને મૂલ્યવર્ધિત (વેલ્યુ-એડેડ) ઉત્પાદનોના વ્યાપારને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. અફઘાન પક્ષે કૃષિ વેલ્યુ ચેઇનને મજબૂત કરવા અને તેની કૃષિ પેદાશો માટે બજાર સુધીની પહોંચ વધારવામાં પણ ભારતનો સહયોગ માંગ્યો હતો.

આઈસીએઆર (ICAR) ના વરિષ્ઠ અધિકારીઓએ બંને દેશો વચ્ચેના લાંબા ગાળાના કૃષિ સહયોગની ઝાંખી રજૂ કરી હતી અને કૃષિ સંશોધન, સિંચાઈ, જર્મપ્લાઝમ વિનિમય, વોટરશેડ મેનેજમેન્ટ અને માનવ સંસાધન વિકાસમાં ચાલી રહેલા સહયોગ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ઘઉંના સંશોધન, બાગાયત, પશુપાલન, ડેરી, મત્સ્યઉદ્યોગ અને કૃષિ ટેકનોલોજીમાં સહયોગને વધુ વિસ્તારવા માટે આઈસીએઆર (ICAR) ની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

બંને પક્ષો કૃષિ અને પશુપાલનમાં લાંબા ગાળાના સહયોગ માટે એક સુવ્યવસ્થિત રોડમેપ તૈયાર કરવા, નિયમિત સંસ્થાકીય જોડાણને સરળ બનાવવા અને પરસ્પર અગ્રતાઓના આધારે સહયોગના નવા ક્ષેત્રોને ઓળખવા માટે એક સંયુક્ત કાર્યકારી જૂથ (જોઇન્ટ વર્કિંગ ગ્રુપ) ની રચના તરફ કામ કરવા સંમત થયા હતા.

બેઠકના સમાપન પર, શ્રી શિવરાજ સિંહ ચૌહાણે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ ચર્ચા ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની લાંબા ગાળાની મિત્રતાને વધુ મજબૂત કરશે અને કૃષિ ક્ષેત્રે પરસ્પર ફાયદાકારક સહયોગના નવા માર્ગો ખોલશે. તેમણે બંને દેશોમાં ટકાઉ કૃષિ, ખાદ્ય સુરક્ષા અને ખેડૂતોની સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે સંશોધન, ઇનોવેશન, ટેકનોલોજી ટ્રાન્સફર અને ક્ષમતા નિર્માણ દ્વારા અફઘાનિસ્તાન સાથે મળીને નજીકથી કામ કરવાની ભારતની પ્રતિબદ્ધતા દોહરાવી હતી.

SM/IJ/JD


(रिलीज़ आईडी: 2282655) आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Marathi