સહકાર મંત્રાલય
આઈઝોલે ‘સહકાર સે સમૃદ્ધિ’ના વિઝન સાથે મિઝોરમમાં તેની સૌપ્રથમ પ્રાદેશિક સહકારી સુધારણા પરિષદનું આયોજન કર્યું
સહકારી ચળવળ ભારતના છેવાડા સુધી પહોંચી રહે; સહકાર મંત્રાલયે ઉત્તર-પૂર્વના દૂરના પ્રદેશોમાં સુધારાના વ્યાપનો વિસ્તાર કર્યો
સહકાર મંત્રાલયે ઉત્તર-પૂર્વમાં સહકારી સુધારાઓની પ્રગતિની સમીક્ષા કરી; પેક્સ (PACS), ઓર્ગેનિક વેલ્યુ ચેઈન, બેન્કિંગ, માર્કેટ લિંકેજ અને અનાજ સંગ્રહ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું
“ઉત્તર-પૂર્વમાં ‘વન-સાઈઝ-ફિટ્સ-ઓલ’ અભિગમ કામ કરી શકે નહીં; સહકારી નીતિઓમાં પ્રાદેશિક વાસ્તવિકતાઓ પ્રતિબિંબિત થવી જોઈએ”: સચિવ, સહકાર મંત્રાલય
સહકાર મંત્રાલયે ક્ષમતા નિર્માણ, સહકારી બેન્કિંગ અને માર્કેટ લિંકેજ માટે ઉત્તર-પૂર્વના રાજ્યોને સંપૂર્ણ સહકારની ખાતરી આપી
આઈઝોલ પ્રાદેશિક પરિષદમાં ટેકનોલોજી એકીકરણ, મજબૂત સહકારી ધિરાણ અને આધુનિક વેલ્યુ ચેઈન મુખ્ય ફોકસ ક્ષેત્રો
ઉત્તર-પૂર્વ સહકારી ક્ષેત્ર ઓર્ગેનિક ખેતી, સ્થાનિક વેલ્યુ ચેઈન અને ગ્રામીણ ઉદ્યોગસાહસિકતામાં અપાર સંભાવનાઓ ધરાવે છે
સહકારી સંસ્થાઓ માટે સાયબર સુરક્ષા અને ડિજિટલ સજ્જતા હવે અનિવાર્ય
ગુજરાત મોડેલ પર ઉત્તર-પૂર્વમાં ‘સહકારથી સહકાર’ અભિયાનનો વિસ્તાર કરવામાં આવશે
ઉત્તર-પૂર્વીય રાજ્યોને પેક્સ (PACS) સંચાલિત ક્રેડિટ આઉટરીચ અને સહકારી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને વેગ આપવા જણાવાયું
ઉત્તર-પૂર્વના રાજ્યોમાં મિશન મોડમાં વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના અમલમાં મૂકવામાં આવશે
નેશનલ કોઓપરેટિવ નેટવર્ક્સ ઉત્તર-પૂર્વના ઓર્ગેનિક અને સ્વદેશી ઉત્પાદનોને સ્થાનિક અને વૈશ્વિક બજારો સુધી પહોંચવામાં મદદ કરશે
પોસ્ટેડ ઓન:
08 MAY 2026 7:45PM by PIB Ahmedabad
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના “સહકાર સે સમૃદ્ધિ”ના વિઝનથી પ્રેરિત અને કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિત શાહના નેતૃત્વ હેઠળ હાથ ધરવામાં આવેલા દેશવ્યાપી સહકારી સુધારાની પહેલના ભાગરૂપે, સહકાર મંત્રાલયે આજે મિઝોરમના આઈઝોલમાં સહકારી સુધારાઓ પર બીજી પ્રાદેશિક પરિષદનું આયોજન કર્યું હતું. આ કોન્ફરન્સ પાયાની સહકારી સંસ્થાઓને મજબૂત કરવા અને સહકારી-સંચાલિત વિકાસને વેગ આપવા માટે દેશભરમાં આયોજિત પ્રાદેશિક અને રાષ્ટ્રીય કાર્યશાળાઓની શ્રેણીનો એક ભાગ છે. આ પહેલ હેઠળ પ્રથમ પ્રાદેશિક પરિષદ અગાઉ જયપુરમાં યોજાઈ હતી.
આ કોન્ફરન્સ મિઝોરમમાં આયોજિત સૌપ્રથમ પ્રાદેશિક સહકારી સુધારણા પરિષદ પણ હતી, જે સહકારી ચળવળને દેશના ખૂણેખૂણે લઈ જવા અને ઉત્તર-પૂર્વના દૂરના અને ભૌગોલિક રીતે પડકારરૂપ પ્રદેશોમાં સહકારી સુધારાની પહોંચને વધુ ઊંડી બનાવવા માટે મંત્રાલયના સતત પ્રયત્નોને પ્રતિબિંબિત કરે છે. મંત્રાલયે હાઈલાઈટ કર્યું હતું કે સહકારી વિકાસ હવે પરંપરાગત પ્રદેશોની બહાર વધુને વધુ વિસ્તરી રહ્યો છે અને દૂરના ગ્રામીણ અને સરહદી વિસ્તારોમાં પહોંચી રહ્યો છે, જે સહકારી-સંચાલિત આર્થિક મોડલ દ્વારા સ્થાનિક સમુદાયો માટે નવી તકો લાવી રહ્યો છે.
પ્રાદેશિક કોન્ફરન્સમાં સહકાર મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ, આસામ, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, મેઘાલય, મણિપુર, નાગાલેન્ડ, ત્રિપુરા અને સિક્કિમ સહિતના તમામ ઉત્તર-પૂર્વીય રાજ્યોના પ્રતિનિધિઓ તેમજ નાબાર્ડ (NABARD), એનસીડીસી (NCDC), નાફેડ (NAFED), એનસીસીએફ (NCCF), એનડીડીબી (NDDB), એનએફડીબી (NFDB), એનઈડીએફઆઈ (NEDFi) અને વિવિધ સહકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ એકત્ર થયા હતા. સહભાગી રાજ્યોએ સહકારી ક્ષેત્રમાં થયેલી પ્રગતિ અને ડેરી સહકારી મંડળીઓ, સહકારી બેન્કિંગ, અનાજ સંગ્રહ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પેક્સ (PACS) વિસ્તરણ, મત્સ્યોદ્યોગ અને વેલ્યુ-ચેઈન વિકાસને મજબૂત કરવા માટે તેમના સંબંધિત સહકાર વિભાગો દ્વારા હાથ ધરવામાં આવેલી પહેલોને હાઈલાઈટ કરતા વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કર્યા હતા. રાજ્યોએ ઓર્ગેનિક અને સ્વદેશી ઉત્પાદનો માટે નિકાસ અને માર્કેટ લિંકેજને પ્રોત્સાહન આપવાના તેમના અનુભવો પણ શેર કર્યા હતા, જે ઉત્તર-પૂર્વીય પ્રદેશની મુખ્ય શક્તિઓ અને અનન્ય તકો પૈકી એક છે.
સહકાર મંત્રાલયે રેખાંકિત કર્યું હતું કે ઉત્તર-પૂર્વ સહકારી વિસ્તરણ અને સર્વસમાવેશક આર્થિક વૃદ્ધિ માટે અગ્રતા ધરાવતા પ્રદેશોમાંનું એક છે. ભૌગોલિક પડકારો, છૂટીછવાઈ વસ્તી ગીચતા અને કનેક્ટિવિટી અવરોધો હોવા છતાં, આ પ્રદેશ ઓર્ગેનિક ખેતી, બાગાયત, મસાલા, મત્સ્યોદ્યોગ, વાંસ, જંગલ પેદાશો અને સમુદાય સંચાલિત સાહસોમાં અપાર તકો ધરાવે છે. મંત્રાલયે અવલોકન કર્યું હતું કે સહકારી મોડલ ગ્રામીણ આજીવિકામાં સુધારો કરવા, બજારની પહોંચ વધારવા અને સમગ્ર પ્રદેશમાં સ્થાનિક આર્થિક પ્રણાલીઓને મજબૂત કરવા માટે એક મજબૂત સાધન બની શકે છે.
કોન્ફરન્સમાં નોંધવામાં આવ્યું હતું કે ઘણા ઉત્તર-પૂર્વીય રાજ્યો સહકારી-સંચાલિત વિકાસમાં પહેલેથી જ પ્રોત્સાહક પ્રગતિ કરી રહ્યા છે. મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું હતું કે સહકારી સુધારાઓ સ્થાનિક શક્તિઓ અને સ્વદેશી ઉત્પાદનોને ખેડૂતો, મહિલાઓ અને ગ્રામીણ યુવાનો માટે ટકાઉ આર્થિક તકોમાં બદલવામાં મદદ કરી શકે છે.
સમાપન સત્રને સંબોધતા, ભારત સરકારના સહકાર મંત્રાલયના સચિવ ડૉ. આશિષ કુમાર ભુતાનીએ જણાવ્યું હતું કે આ વર્કશોપ ઉત્તર-પૂર્વીય રાજ્યો દ્વારા સામનો કરવામાં આવતી અનન્ય વાસ્તવિકતાઓ અને અમલીકરણના પડકારોને સમજવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડે છે. તેમણે અવલોકન કર્યું કે મુખ્ય ભૂમિથી ભૌગોલિક અંતર, કનેક્ટિવિટી અવરોધો અને સ્થાનિક સામાજિક-આર્થિક પરિસ્થિતિઓને કારણે આ ક્ષેત્રમાં સહકારી યોજનાઓના સફળ અમલીકરણ માટે કસ્ટમાઈઝ્ડ અને લવચીક અભિગમની જરૂર છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઉત્તર-પૂર્વમાં “વન-સાઈઝ-ફિટ્સ-ઓલ” મોડલ અસરકારક રીતે કામ કરી શકતું નથી અને કાર્યક્રમોના સરળ અમલીકરણની ખાતરી કરવા માટે રાજ્ય-વિશિષ્ટ ઉકેલો અને અનુકૂલનશીલ માર્ગદર્શિકા આવશ્યક છે.
સચિવે જણાવ્યું હતું કે અમલીકરણના પડકારોને વધુ સારી રીતે સમજવા અને સંકલન સુધારવા માટે મંત્રાલય માસિક વીડિયો કોન્ફરન્સ અને સમયાંતરે ઓફલાઇન સમીક્ષા બેઠકો દ્વારા રાજ્યો સાથે નિયમિતપણે જોડાઈ રહ્યું છે. તેમણે કોન્ફરન્સ દરમિયાન રજૂ કરવામાં આવેલા વિગતવાર પ્રેઝન્ટેશનની પ્રશંસા કરી હતી અને નોંધ્યું હતું કે તેઓએ મંત્રાલય સ્તરની કામગીરી અને ઉત્તર-પૂર્વીય પ્રદેશમાં ક્ષેત્ર-સ્તરની વાસ્તવિકતાઓ બંનેમાં મહત્વપૂર્ણ આંતરદૃષ્ટિ પૂરી પાડી છે.
ક્ષમતા નિર્માણના મહત્વ પર ભાર મૂકતા ડૉ. ભુતાનીએ જણાવ્યું હતું કે રાજ્ય સ્તરે આયોજન, કન્સેપ્ટ્યુલાઈઝેશન અને અમલીકરણની ક્ષમતાઓને મજબૂત કરવાની ખાસ જરૂર છે. તેમણે તમામ ઉત્તર-પૂર્વીય રાજ્યોને ખાતરી આપી હતી કે સહકાર મંત્રાલય રાજ્યની સહકારી બેંકોને મજબૂત કરવા અને વિવિધ યોજનાઓ હેઠળ અમલીકરણ ક્ષમતામાં સુધારો કરવા માટે માનવશક્તિ અને નાણાકીય સહાય સહિત સંપૂર્ણ સહયોગ આપવા માટે પ્રતિબદ્ધ છે.
સચિવે માહિતી આપી હતી કે મંત્રાલય અનેક મુખ્ય કાર્યક્રમોને પુનર્જીવિત કરવા અને અપગ્રેડ કરવા તરફ પણ કામ કરી રહ્યું છે અને નવી યોજનાઓને ટૂંક સમયમાં કેન્દ્રીય કેબિનેટ સ્તરે મંજૂરી મળવાની અપેક્ષા છે, જે સહકારી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પાયાના સ્તરે અમલીકરણને વધુ મજબૂત બનાવશે.
સહકારી બેન્કિંગ સુધારાઓને મુખ્ય ફોકસ ક્ષેત્ર તરીકે હાઈલાઈટ કરતા ડૉ. ભુતાનીએ જણાવ્યું હતું કે ડુપ્લિકેશન ઘટાડવા, કાર્યક્ષમતામાં સુધારો કરવા અને ગ્રાહકોને આધુનિક બેન્કિંગ સેવાઓ પૂરી પાડવા માટે શહેરી સહકારી બેંકોમાં ટેકનોલોજી પ્લેટફોર્મનું માનકીકરણ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. તેમણે નોંધ્યું હતું કે લગભગ 1,500 શહેરી સહકારી બેંકો હાલમાં સ્વતંત્ર રીતે ટેકનોલોજી સેવાઓ મેળવે છે, જેના પરિણામે ખર્ચ વધારે આવે છે અને સિસ્ટમ્સ વિખરાયેલી રહે છે. સૂચિત સંકલિત અભિગમ ગ્રાહકોના વિશ્વાસને મજબૂત કરશે અને સહકારી બેન્કિંગ સંસ્થાઓમાં કાર્યકારી કાર્યક્ષમતામાં સુધારો કરશે. તેમણે શહેરી સહકારી બેંકોને આધુનિકીકરણની પહેલમાં સક્રિયપણે ભાગ લેવા વિનંતી કરી અને જણાવ્યું કે રાજ્ય અને કેન્દ્રીય એજન્સીઓના સહયોગથી એનસીડીસી (NCDC) જેવી સંસ્થાઓ દ્વારા નાણાકીય માળખાકીય સહાયની સુવિધા આપવામાં આવી રહી છે.
સચિવે વધુમાં હાઈલાઈટ કર્યું હતું કે મંત્રાલય એફસીઆઈ (FCI) અને અન્ય એજન્સીઓ સાથે મળીને પરિવહનમાં ડુપ્લિકેશન ઘટાડીને અને સ્ટોરેજ તથા વિતરણ પ્રણાલીને સુવ્યવસ્થિત કરીને જાહેર વિતરણ પ્રણાલી (PDS) ની કાર્યક્ષમતા સુધારવા માટે કામ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે આ સુધારાઓ કાર્યકારી ખર્ચ ઘટાડવામાં અને પાયાના સ્તરે ડિલિવરી મિકેનિઝમ સુધારવામાં મદદ કરશે. વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજનાનો ઉલ્લેખ કરતા સચિવે જણાવ્યું હતું કે મંત્રાલયે મહત્વાકાંક્ષી લક્ષ્યાંકો નિર્ધારિત કર્યા છે અને ઉત્તર-પૂર્વ સહિતના રાજ્યોમાં સહકારી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે મિશન મોડમાં કામ કરી રહ્યું છે. તેમણે આ લક્ષ્યોને હાંસલ કરવા અને સહકારી સંસ્થાઓ દ્વારા કૃષિ ધિરાણની પહોંચ સુધારવા માટે સામૂહિક પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
ડૉ. ભુતાનીએ સહકારી સંસ્થાઓ દ્વારા ખેડૂતો માટે નિકાસ અને માર્કેટ લિંકેજને મજબૂત કરવાના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સહકારી ઉત્પાદનોના બ્રાન્ડિંગ, પેકેજિંગ, સર્ટિફિકેશન અને માર્કેટિંગને ટેકો આપવા માટે રાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓ વિકસાવવામાં આવી રહી છે. ખેડૂતોને મોટા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારો સુધી પહોંચવામાં મદદ કરવા માટે “ભારત ઓર્ગેનિક્સ” જેવી પહેલોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે મંત્રાલય આ પ્રવૃત્તિઓ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મશીનરી અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) સાથે રાજ્યોને ટેકો આપવા તૈયાર છે.
એનસીડીસી (NCDC) ની ભૂમિકાને હાઈલાઈટ કરતા સચિવે જણાવ્યું હતું કે આ સંસ્થા સહકારી પહેલના નાણાકીય સહાય પૂરી પાડવા અને વિવિધ ક્ષેત્રોમાં વિકાસલક્ષી પ્રવૃત્તિઓને ટેકો આપવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવવાનું ચાલુ રાખશે. રાજ્ય સરકારોને એનસીડીસી સાથે સક્રિયપણે જોડાવા અને ઉપલબ્ધ સંસ્થાકીય સંસાધનોનો અસરકારક ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવામાં આવી હતી.
મંત્રાલયે એ પણ માહિતી આપી હતી કે ઉત્તર-પૂર્વીય રાજ્યોને મહત્તમ લાભ મળે તે માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સ્કીમ્સનો લાભ લેવા માટે ઉત્તર પૂર્વીય ક્ષેત્રના વિકાસ મંત્રાલય (DoNER) અને અન્ય એજન્સીઓના સંકલનમાં પ્રયાસો ચાલુ છે. કોન્ફરન્સ દરમિયાન એક વિશેષ સત્ર ઉત્તર-પૂર્વમાં સહકારી ક્ષેત્રના પુનરુત્થાન અને મજબૂતીકરણ પર કેન્દ્રિત હતું. મંત્રાલયે માહિતી આપી હતી કે ત્રણ ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં સહકારી ક્ષેત્રના પુનરુત્થાન પર વિગતવાર અભ્યાસ હાથ ધરવા માટે એનઈડીએફઆઈ (NEDFi) ને એક સમર્પિત પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો છે. તારણો, શ્રેષ્ઠ પદ્ધતિઓ અને સફળ અમલીકરણ મોડલ્સના આધારે, ત્યારબાદ પ્રદેશમાં સહકારી-સંચાલિત વિકાસને વેગ આપવા માટે અન્ય ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં મોટા માળખાની નકલ કરવામાં આવશે.
મિઝોરમ સરકારના મુખ્ય સચિવ શ્રી કે.આર. મીના, જેઓ કોન્ફરન્સ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા, તેમણે મિઝોરમમાં તમામ મહાનુભાવો અને સહભાગીઓનું સ્વાગત કર્યું હતું અને મિઝોરમમાં સહકારી વિકાસને સતત સમર્થન અને પ્રોત્સાહન આપવા બદલ ભારત સરકારના સહકાર મંત્રાલયનો આભાર માન્યો હતો. તેમણે ખાતરી આપી હતી કે મિઝોરમ સરકાર રાજ્યમાં સહકારી સંસ્થાઓને મજબૂત કરવા અને વિવિધ ક્ષેત્રોમાં વિકાસના વિસ્તરણ માટે મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલો અને સુધારાઓના અસરકારક અમલીકરણની ખાતરી કરવામાં કોઈ કસર છોડશે નહીં.
કોન્ફરન્સમાં ડેરી અને મત્સ્યોદ્યોગ સહકારી મંડળીઓને મજબૂત કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, ખાસ કરીને આસામ જેવા રાજ્યોમાં જ્યાં સહકારી-સંચાલિત વેલ્યુ ચેઈનના વિસ્તરણ અને ઉત્પાદકતા વધારવા માટે મજબૂત સંભાવનાઓ અસ્તિત્વમાં છે. મંત્રાલયે સંબંધિત મંત્રાલયો સાથે લક્ષિત હસ્તક્ષેપ અને સહયોગી પહેલો દ્વારા આ ક્ષેત્રોને ટેકો આપવા માટે તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
વર્કશોપમાં વેલ્યુ ચેઈન અને માર્કેટ લિંકેજ મજબૂત કરવા, સહકારી બેન્કિંગ સુધારાઓ, સાયબર સુરક્ષા સજ્જતા, વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજનાનો અમલ, એમપેક્સ (MPACS), ડેરી અને મત્સ્યોદ્યોગ સહકારી મંડળીઓની રચના અને મજબૂતીકરણ, નવીન ક્ષેત્ર-સ્તરની સફળતાની વાર્તાઓ અને ઉત્તર-પૂર્વમાં સહકારી મંડળીઓ માટે વિકાસની વ્યૂહરચનાઓ પર વિષયવાર સત્રો યોજાયા હતા. નાબાર્ડ, એનઈડીએફઆઈ, એનસીડીસી, એનડીડીબી, એનએફડીબી અને રાજ્યના સહકાર વિભાગોના પ્રતિનિધિઓ દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા.
કોન્ફરન્સ કેન્દ્ર, રાજ્યો અને સહકારી સંસ્થાઓ દ્વારા ઉત્તર-પૂર્વમાં સહકારી-સંચાલિત વિકાસને મજબૂત કરવા અને સહકારી સુધારાઓ ગ્રામીણ સમૃદ્ધિ, આજીવિકા નિર્માણ અને વિકસિત ભારત 2047 ના વિઝનમાં અર્થપૂર્ણ યોગદાન આપે તે સુનિશ્ચિત કરવા માટે સાથે મળીને કામ કરવાની સામૂહિક પ્રતિબદ્ધતા સાથે પૂર્ણ થઈ હતી.
SM/JY/JD
(રીલીઝ આઈડી: 2259203)
મુલાકાતી સંખ્યા : 6