સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
ભારતીય ડાક વિભાગ દ્વારા ‘24 સ્પીડ પોસ્ટ’, ‘24 સ્પીડ પોસ્ટ પાર્સલ’ અને ‘48 સ્પીડ પોસ્ટ’ સેવાઓનો કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા દ્વારા શુભારંભ
પ્રથમ તબક્કામાં દેશના 6 મુખ્ય મહાનગરો—દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ અને હૈદરાબાદમાં 24 થી 48 કલાકમાં સ્પીડ પોસ્ટની ખાતરીપૂર્વક વિતરણ સુવિધા ઉપલબ્ધ
ગુજરાતના ચીફ પોસ્ટમાસ્ટર જનરલ ગણેશ વી. સાવલેશ્વરકર અને પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે ગ્રાહકો, કોર્પોરેટ તથા વિભાગીય પ્રતિનિધિઓ સાથે મળીને ‘24 સ્પીડ પોસ્ટ’ના શુભારંભ કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ નિહાળ્યું અને તેમની સાથે કર્યો સંવાદ
પોસ્ટેડ ઓન:
17 MAR 2026 8:08PM by PIB Ahmedabad
ભારતીય ડાક વિભાગ તરફથી ‘24 સ્પીડ પોસ્ટ’, ‘24 સ્પીડ પોસ્ટ પાર્સલ’ અને ‘48 સ્પીડ પોસ્ટ’ સેવાઓનો શુભારંભ કેન્દ્રીય સંચાર અને ઉત્તર-પૂર્વ ક્ષેત્ર વિકાસ મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા દ્વારા સંચાર રાજ્ય મંત્રી ડૉ. ચંદ્રશેખર પેમ્માસાની, સચિવ (ડાક) સુશ્રી વંદિતા કૌલ અને મહાનિદેશક ડાક શ્રી જિતેન્દ્ર ગુપ્તાની ઉપસ્થિતિમાં 17 માર્ચ, 2026 ના રોજ નવી દિલ્હીમાં કરવામાં આવ્યો હતો. આ સેવાઓ પ્રથમ તબક્કામાં દેશના 6 મુખ્ય મહાનગરો—દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ અને હૈદરાબાદ—માં શરૂ કરવામાં આવ્યું, જ્યાં 24 થી 48 કલાકમાં સ્પીડ પોસ્ટની ખાતરીપૂર્વક વિતરણ કરી આપવામાં આવશે. શુભારંભ કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું. ગુજરાત પરિમંડળના ચીફ પોસ્ટમાસ્ટર જનરલ શ્રી ગણેશ વી. સાવલેશ્વરકર, ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ, નિદેશક ડાક સેવાઓ શ્રી સુરેખ રઘુનાથન અને અન્ય અધિકારીઓએ અમદાવાદ સ્થિત ક્ષેત્રીય કાર્યાલય માં આ કાર્યક્રમને સ્પીડ પોસ્ટ અને પાર્સલ સાથે જોડાયેલા ગ્રાહકો, કોર્પોરેટ અને વિભાગીય પ્રતિનિધિઓ સાથે મળીને નિહાળ્યો અને તેમની સાથે સંવાદ પણ કર્યો. આ પ્રસંગે કસ્ટમર મીટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રવર અધિક્ષક, રેલ ડાક સેવા શ્રી પિયૂષ રજક અને પ્રવર અધિક્ષક, અમદાવાદ સિટી વિભાગ શ્રી ચિરાગ મહેતાએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ડાક વિભાગના નવાચાર ની માહિતી આપી.

આ દરમિયાન, ચીફ પોસ્ટમાસ્ટર જનરલ શ્રી ગણેશ વી. સાવલેશ્વરકરે કોર્પોરેટ ગ્રાહકો અને વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ સાથે સંવાદ દરમિયાન જણાવ્યું કે ‘24 સ્પીડ પોસ્ટ’, ‘24 સ્પીડ પોસ્ટ પાર્સલ’ અને ‘48 સ્પીડ પોસ્ટ’ સેવાઓ દ્વારા ગ્રાહકોને ઝડપી, વિશ્વસનીય અને સમયબદ્ધ વિતરણનો લાભ મળશે. ઇન્ડિયા પોસ્ટે અતિ આવશ્યક અને સમય-સંવેદનશીલ પ્રેષણો માટે ત્રણ પ્રીમિયમ, સમયબદ્ધ સ્પીડ પોસ્ટ સેવાઓ શરૂ કરી છે. રવિવાર અને રજાના દિવસોમાં પણ આ સેવાઓનું વિતરણ કરવામાં આવશે. ‘24 સ્પીડ પોસ્ટ’ સેવા હેઠળ તાત્કાલિક અને સમયબદ્ધ શિપમેન્ટ માટે બીજા જ દિવસે વિતરણની ખાતરી આપવામાં આવે છે. ઉપરાંત, 24 અને 48 સ્પીડ પોસ્ટ સેવાઓ સમર્પિત પ્રોસેસિંગ વિન્ડો અને પ્રાથમિકતા આધારિત હવાઈ પરિવહન દ્વારા અનુક્રમે ડી+1 અને ડી+2 સમયમર્યાદામાં વિતરણ સુનિશ્ચિત કરશે. આ પહેલ ડાક વિભાગની પ્રીમિયમ સેવાઓને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ભારતીય ડાક વિભાગે 1 ઓગસ્ટ, 1986ના રોજ પત્રો અને પાર્સલના સમયબદ્ધ, કાર્યક્ષમ અને સુરક્ષિત વિતરણ માટે સ્પીડ પોસ્ટ સેવા શરૂ કરી હતી. ચાર દાયકાના આ સફરમાં આ પ્રીમિયમ સેવા હવે ટેક્નોલોજી આધારિત અને ઝડપી વિતરણ સેવા બની ગઈ છે. માનનીય કેન્દ્રીય સંચાર મંત્રી દ્વારા શરૂ કરાયેલી ‘24 સ્પીડ પોસ્ટ’, ‘24 સ્પીડ પોસ્ટ પાર્સલ’ અને ‘48 સ્પીડ પોસ્ટ’ સેવાઓમાં ઓટીપી આધારિત સુરક્ષિત વિતરણ, એસએમએસ એલર્ટ સાથે એન્ડ-ટુ-એન્ડ ટ્રેકિંગ, વ્યાવસાયિક ગ્રાહકો માટે બીએનપીએલ સુવિધા, બલ્ક બુકિંગ માટે નિ:શુલ્ક પિકઅપ, એપિઆઇ ઇન્ટિગ્રેશન અને કેન્દ્રીકૃત બિલિંગ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. ઉપરાંત, સેવામાં વિલંબ થવા પર મની-બેક ગેરંટીની પણ વ્યવસ્થા છે, જે ઇન્ડિયા પોસ્ટની પ્રીમિયમ એક્સપ્રેસ વિતરણ ક્ષમતાઓને વધુ મજબૂત બનાવે છે. આ સેવાઓ હેઠળ ‘24 સ્પીડ પોસ્ટ’ માટે ઓછામાં ઓછા 50 ગ્રામ અને ‘24 સ્પીડ પોસ્ટ પાર્સલ’ માટે ઓછામાં ઓછા 500 ગ્રામ સુધીના પાર્સલ સ્વીકારવામાં આવશે.

આ પ્રસંગે સહાયક નિદેશક શ્રી અલ્પેશ શાહ, શ્રી વી.એમ. વહોરા, શ્રી રિતુલ ગાંધી, ડેપ્યુટી અધિક્ષક શ્રી દર્શન તપસ્વી, સહાયક અધિક્ષક સુશ્રી કિંજલ શાહ, સુશ્રી પ્રેયલ શાહ, શ્રી જીનેશ પટેલ, શ્રી રમેશ પટેલ, શ્રી રોનક શાહ, શ્રી ભાવિન પ્રજાપતિ, ડાક નિરીક્ષક સુશ્રી પાયલ પટેલ, યોગેન્દ્ર રાઠોડ, માર્કેટિંગ એક્ઝિક્યુટિવ શ્રી દીપલ મહેતા સહિત અન્ય અધિકારીઓ તથા વિવિધ કોર્પોરેટ સંસ્થાઓ અને વિભાગોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
(રીલીઝ આઈડી: 2241461)
મુલાકાતી સંખ્યા : 164