સંસ્કૃતિ મંત્રાલય
એનએસડીનો 25મો ભારત રંગ મહોત્સવ, અમદાવાદમાં ‘સીતા નો વેશ’ સાથે પૂર્ણ
પોસ્ટેડ ઓન:
18 FEB 2026 10:27AM by PIB Ahmedabad
નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (એનએસડી) દ્વારા આયોજિત વિશ્વનો સૌથી મોટો આંતરરાષ્ટ્રીય રંગમંચ મહોત્સવ ભારત રંગ મહોત્સવ (બીઆરએમ) 2026 નો અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી કેમ્પસના ઉપાસના ઑડિટોરિયમમાં સમાપન સમારોહ સાથે પૂર્ણ થયો હતો. ત્રિ-દિવસીય આ રંગમંચ મહોત્સવ 14 ફેબ્રુઆરીથી શરૂ થયો હતો, જેમાં જાણીતા અને વખાણાયેલા નાટકોનું પ્રદર્શન થયું હતું.
સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે કવિ તુષાર શુક્લ, જેઓ પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત પ્રખ્યાત કવિ અને લેખક છે, ઉપસ્થિત રહ્યા હતા. વિશેષ અતિથિ તરીકે જાણીતા સાહિત્યકાર અને ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ ઝા ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની અધ્યક્ષતા એનએસડીના નિર્દેશક શ્રી ચિત્તરંજન ત્રિપાઠીએ કરી હતી. સ્વાગત સંબોધન ઉપાસના સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, ગુજરાત યુનિવર્સિટીના ડિરેક્ટર ડૉ. વિરાજ અમરે આપ્યું અને આભાર વિધિ ડૉ. ચવ્હાણ પ્રમોદ આર. એ સંભાળી હતી, જે અમદાવાદમાં બીઆરએમ 2026ના સંકલનકર્તા પણ હતા.
સમાપન દિવસે “સીતા નો વેશ” નામનું સશક્ત ગુજરાતી નાટક રજૂ થયું હતું, જે મહાકવિ ભવભૂતિના ઉત્તરરામચારિત ગ્રંથથી પ્રેરિત છે. આ નાટકનું દિગ્દર્શન ડૉ. ચવ્હાણ પ્રમોદ આર. એ કર્યું હતું અને ઉપાસના સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, ગુજરાત યુનિવર્સિટીના કલાકારોએ તેને રજૂ કર્યું હતું. આ નાટકે પ્રાચીન સાહિત્યને આધુનિક ભાવના સાથે જીવંત બનાવ્યું અને મહોત્સવનો હૃદયસ્પર્શી અંત આપ્યો હતો.

"સીતા નો વેશ" રામાયણની વાર્તા પર એક નવો દ્રષ્ટિકોણ રજૂ કરે છે. આ નાટક મહિલાઓની ઓળખ, અધિકારો અને સમાજમાં ભૂમિકા પર પ્રશ્ન ઉઠાવે છે, સાથે સાથે સંદેશ આપે છે કે ફક્ત સાચું ચિંતન જ સંસ્કારી, જવાબદાર અને નૈતિક સમાજનું નિર્માણ કરી શકે છે.
આ મહોત્સવ દરમિયાન “ડેઝર્ટ બ્લૂમ – એ મ્યુઝિકલ ટેલ” (લેખક અને દિગ્દર્શક: મહાદેવસિંહ લાખાવત) અને “એવેલાંચ” (લેખક: તુન્સર કૂસેનોગ્લૂ, રૂપાંતર અને દિગ્દર્શન: ગંધર્વ દેવન, શાર્દુલ ભારદ્વાજ અને રાજેશ નિર્મળ; પ્રસ્તુતિ: ધ ગેથર્ડ, મુંબઈ) જેવા નાટકોનું પણ પ્રદર્શન થયું હતું.

ભારત રંગ મહોત્સવ 2026નું આ 25મું સંસ્કરણ 27 જાન્યુઆરીથી 20 ફેબ્રુઆરી સુધી 25 દિવસ ચાલે છે, જેમાં 277થી વધુ નાટકો 228 ભારતીય અને આંતરરાષ્ટ્રીય ભાષાઓમાં રજૂ થાય છે, જેમાં ઘણી ઓછી જાણીતી અને પ્રાદેશિક ભાષાઓનો પણ સમાવેશ છે. આ મહોત્સવમાં 9 દેશો અને ભારતના તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાટ્ય સમૂહોએ ભાગ લીધો છે.
રંગમંચની વિવિધતા ઉજવતા આ મહોત્સવમાં બાળકોના જૂથો, આદિવાસી કલાકારો અને વંચિત વર્ગોના કલાકારોની રજૂઆત પણ સામેલ છે, જે એનએસડીની સમાનતા અને રંગમંચના લોકતંત્રીકરણ માટેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે.

એનએસડી સતત નાટ્યકલા અને સાંસ્કૃતિક વિકાસ માટે કાર્યરત છે. તાજેતરમાં તેમણે “રંગ આકાશ” નામનું ઈન્ટરનેટ રેડિયો શરૂ કર્યો છે, જે રંગમંચને પ્રોત્સાહિત કરે છે, અને “નાટ્યમ” નામના પોતાના OTT પ્લેટફોર્મની પણ શરૂઆત કરી છે, જેથી દેશભરના રંગમંચપ્રેમી એનએસડીની પ્રખ્યાત રજૂઆતોને ઑનલાઇન જોઈ શકે છે.
SM/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2229440)
મુલાકાતી સંખ્યા : 72