કૃષિ મંત્રાલય
azadi ka amrit mahotsav

AIFથી ખેત-ખલિહાન સુધી ક્રાંતિ, ₹1 લાખ કરોડથી વધુનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર - શ્રી શિવરાજ સિંહ ચૌહાણ


MSP, કઠોળ મિશન અને મુખ્ય દાળોની 100% ખરીદીની ગેરંટીથી ખેડૂતોને સુરક્ષા કવચ - શ્રી શિવરાજ સિંહ

પરાલી (પરાળ) પર ખેડૂતોની બદનામી બંધ, અમે ઉકેલ-કેન્દ્રિત મોડલ આગળ ધરી રહ્યા છીએ - શ્રી ચૌહાણ

પંજાબ-હરિયાણા-યુપી-એમપી-તમિલનાડુ, સમગ્ર દેશમાં કૃષિ સુધારાની ગ્રાઉન્ડ રિયાલિટી, રાજ્યસભામાં બોલ્યા શ્રી શિવરાજ સિંહ

“અન્નદાતાથી ઊર્જાદાતા સુધી” – મોદી યુગમાં કૃષિ અને ખેડૂતોનો સર્વગ્રાહી વિકાસ - શ્રી શિવરાજ સિંહ ચૌહાણ

પોસ્ટેડ ઓન: 13 FEB 2026 8:54PM by PIB Ahmedabad

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે રાજ્યસભામાં સાંસદોના સવાલોના જવાબમાં સ્પષ્ટ કર્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની સરકાર સત્તાના સુખ માટે નહીં, પરંતુ ખેડૂત, ગામ અને ગરીબના સર્વાંગી વિકાસ માટે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ખેડૂત માત્ર અન્નદાતા નથી, જીવનદાતા છે – ભગવાન તો નથી, પણ ભગવાનથી ઓછા પણ નથી – અને આ વિચાર સાથે AIF થી લઈને MSP, કઠોળ આત્મનિર્ભરતા મિશન, પીએમ-કુસુમ, પરાલી વ્યવસ્થાપન અને પાક વૈવિધ્યકરણ જેવી નીતિઓ જમીન પર પરિવર્તન લાવી રહી છે.

ખેડૂત જીવનદાતા, કોંગ્રેસની 50 વર્ષની ઉપેક્ષા વિરુદ્ધ મોદી સરકારનું ફોકસ

કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સત્તાના સુવર્ણ સિંહાસન પર આરૂઢ થઈને સત્તા સુખ માટે નહીં, પરંતુ રાષ્ટ્રીય પુનઃનિર્માણ, ખેડૂતોના કલ્યાણ, દરિદ્ર નારાયણની સેવા અને આત્મનિર્ભર-વિકસિત ભારતના નિર્માણ માટે રાજનીતિ કરે છે. તેમણે ખેડૂતને જીવનદાતા ગણાવતા કહ્યું કે તે ભગવાનથી ઓછો નથી, પરંતુ 50 વર્ષ સુધી કોંગ્રેસની સરકારોએ તેમની મૂળભૂત સમસ્યાઓ પર ગંભીર ધ્યાન આપ્યું નથી; ફળ-શાકભાજી અને અનાજ પેદા થતા રહ્યા પણ તેમને સુરક્ષિત રાખવા માટે પૂરતી વ્યવસ્થા પણ બની નહોતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતોની આ સમસ્યાઓને ઓળખી અને આ જ તફાવત આજે ગામેગામ દેખાઈ રહ્યો છે.

AIF થી કોલ્ડ સ્ટોરેજ, વેરહાઉસ અને મશીનોનું નેટવર્ક, નુકસાનમાં 15% સુધીનો ઘટાડો

કૃષિ મંત્રી શ્રી શિવરાજ સિંહે જણાવ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (AIF) હેઠળ ₹1 લાખ કરોડ થી વધુની સંરચનાઓ બનાવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો, જેથી ખેડૂતોના ઉત્પાદનને સુરક્ષિત રાખી શકાય. આ યોજના અંતર્ગત 44,243 કસ્ટમ હાયરિંગ સેન્ટર, 25,854 પ્રાઇમરી પ્રોસેસિંગ સેન્ટર, 25,565 ફાર્મ હાર્વેસ્ટ ઓટોમેશન યુનિટ, 17,779 વેરહાઉસ, 4,201 સોર્ટિંગ અને ગ્રેડિંગ યુનિટ, સ્માર્ટ અને પ્રિસિઝન એગ્રીકલ્ચર માટે 3,549 ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને 2,827 કોલ્ડ સ્ટોરેજ સ્થાપિત કરવામાં આવ્યા છે. આ આધુનિક સંરચનાઓને કારણે પાક, ફળ અને શાકભાજીના નુકસાનમાં 5% થી 15% સુધીનો ઘટાડો થયો છે અને ખેડૂતો હવે પોતાનું ઉત્પાદન સુરક્ષિત રાખીને વધુ સારા ભાવ મેળવી રહ્યા છે.

પંજાબથી તમિલનાડુ સુધી: ભેદભાવ નહીં, વિકાસની ગેરંટી

શ્રી શિવરાજ સિંહ ચૌહાણે સ્પષ્ટપણે કહ્યું કે આપણે સૌ ભારત માતાના લાલ છીએ, ભેદભાવનો સવાલ જ ઊભો થતો નથી અને પંજાબની મહાન જનતાને પ્રણામ કરતા ખાતરી આપી કે મોદી સરકાર પંજાબની પ્રગતિ અને વિકાસમાં કોઈ કસર છોડશે નહીં. તેમણે જણાવ્યું કે પંજાબમાં AIF હેઠળ 32,014 અરજીઓ આવી અને ₹7,425.98 કરોડના પ્રારંભિક લક્ષ્યાંક સામે ₹11,351.54 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર કરવામાં આવ્યા, જેનાથી બહેતર સ્ટોરેજ, પ્રોસેસિંગ અને મિકેનાઈઝેશન દ્વારા 5% થી 15% સુધી નુકસાન ઘટ્યું અને એક-એક પ્રોજેક્ટથી 4 થી 9 લોકોને પ્રત્યક્ષ રોજગારી મળી, જેનાથી લાખો રોજગાર પેદા થયા. તમિલનાડુના સંદર્ભમાં તેમણે કહ્યું કે 'કઠોળ આત્મનિર્ભરતા મિશન' સમગ્ર દેશમાં સમાન રીતે લાગુ છે; સારા બિયારણ, ક્લસ્ટર આધારિત ઉત્પાદન, ડેમોન્સ્ટ્રેશન પ્લોટ, હેક્ટર દીઠ ₹10,000 સુધીની સહાય, ખરીદી અને દાળ મિલો માટે સહાય જેવા તમામ ઘટકો તમિલનાડુમાં પણ મળશે અને રાજ્ય સરકાર સાથે મળીને કઠોળનું ઉત્પાદન વધારવા માટે કેન્દ્ર પ્રતિબદ્ધ છે.

MSP, કઠોળ મિશન અને 100% ખરીદીથી ખેડૂતોને લાભ

MSP ના મુદ્દે શ્રી શિવરાજ સિંહ ચૌહાણે વિપક્ષ પર સીધો હુમલો કર્યો અને કહ્યું કે જ્યારે તેમની સરકાર હતી, ત્યારે સ્વામીનાથન પંચની ભલામણ – ઉત્પાદન ખર્ચ પર 50% નફો ઉમેરીને MSP – ને તેમણે કોર્ટમાં સોગંદનામું આપીને ફગાવી દીધી હતી. તેમણે કહ્યું કે મોદી સરકારે 50% ખર્ચ પર નફો ઉમેરીને MSP જાહેર કરવાનું કામ કર્યું છે અને આ તફાવત ખેડૂતોએ પાયાના સ્તરે અનુભવ્યો છે. કઠોળની ખરીદીના ઉદાહરણમાં તેમણે જણાવ્યું કે UPA સરકારના 10 વર્ષમાં માત્ર 6 લાખ મેટ્રિક ટન કઠોળ ખરીદવામાં આવ્યું હતું, જ્યારે મોદી સરકારે 1 કરોડ 92 લાખ મેટ્રિક ટન કઠોળની ખરીદી કરી છે. તેમણે જાહેરાત કરી કે તુવેર, મસૂર અને અડદની 100% ખરીદી સુનિશ્ચિત કરવામાં આવશે; ખેડૂત જેટલું ઉત્પાદન કરશે અને વેચવા માંગશે, કેન્દ્ર સરકાર પૂરેપૂરો જથ્થો ખરીદશે. આ માટે NAFED અને NCCF ને અધિકૃત કરવામાં આવ્યા છે, સાથે જ રાજ્ય સરકારો પણ પોતાની એજન્સીઓ દ્વારા ખરીદી કરી શકે છે, જ્યારે બાકીના કઠોળની ખરીદી PM-AASHA હેઠળ થશે અને સમયસર ચુકવણી માટે DBT દ્વારા સિંગલ ક્લિકથી પૈસા સીધા ખેડૂતોના ખાતામાં મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

કઠોળ આત્મનિર્ભરતા મિશન, રેકોર્ડ મગ અને દેશવ્યાપી ‘કઠોળ ક્રાંતિ’

કેન્દ્રીય મંત્રી શ્રી ચૌહાણે જણાવ્યું કે કઠોળમાં ભારતનો હિસ્સો 38% હતો, પરંતુ ઉત્પાદન માત્ર 28% જ હતું, એટલે કે ઓછી ઉત્પાદકતા, જૂના બિયારણ, ઓછા બિયારણ રિપ્લેસમેન્ટ અને હવામાનના મારને કારણે ઘણા રાજ્યોમાં ખેડૂતોએ કઠોળની ખેતી છોડીને અન્ય પાકો અપનાવવાનું શરૂ કરી દીધું હતું. 2016 સુધી ભારત કઠોળનો સૌથી મોટો આયાતકાર હતો, પરંતુ ટેકનોલોજી, ઉન્નત જાતો, વૈજ્ઞાનિક સંશોધન, ખેડૂતોને સુવિધાઓ અને નીતિગત સમર્થન દ્વારા ‘કઠોળ ક્રાંતિ’ શરૂ થઈ, જેનાથી 2021-22 માં 27.30 મિલિયન ટનનું અત્યાર સુધીનું સૌથી વધુ ઉત્પાદન નોંધાયું. તેમણે કહ્યું કે 'કઠોળ આત્મનિર્ભરતા મિશન' હેઠળ સારી જાતના બિયારણોનો વિકાસ, બિયારણ રિપ્લેસમેન્ટ દર વધારવો, ખેડૂતોને તાલીમ, ક્લસ્ટર એપ્રોચ, મફત મિની કિટ, પ્રદર્શન પ્લોટ, હેક્ટર દીઠ ₹10,000 સુધીની સબસિડી, પારદર્શક ખરીદી અને પ્રોસેસિંગ માટે દાળ મિલ ખોલવા પર ₹25 લાખ સુધીની સહાય જેવી જોગવાઈઓ કરવામાં આવી છે. મધ્ય પ્રદેશની વાત કરતા તેમણે કહ્યું કે પહેલા જ્યાં માત્ર એક જ પાક થતો હતો, ત્યાં હવે ત્રણ-ત્રણ પાક લેવામાં આવે છે, જેમાં મગનો પણ સમાવેશ થાય છે; સિંચાઈ અને નીતિગત સમર્થનને કારણે ઉનાળાની ઋતુમાં 20 લાખ મેટ્રિક ટન સુધી મગનું ઉત્પાદન થઈ રહ્યું છે, જેના માટે પારદર્શક ખરીદી અને 'ભાવાંતર ભુગતાન' જેવી યોજનાઓ લાગુ છે. તેમને વિશ્વાસ છે કે આ મિશન દ્વારા ભારત 2030-31 સુધીમાં કઠોળમાં સંપૂર્ણ આત્મનિર્ભર બની જશે.

પરાલી પર ખેડૂતને કઠેડામાં નહીં, ઉકેલની રાજનીતિ; CRM, હરિયાણા મોડલ અને પાક વૈવિધ્યકરણ

શ્રી શિવરાજ સિંહ ચૌહાણે સ્પષ્ટપણે કહ્યું કે દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણનું કારણ માત્ર પરાલી અને ખેડૂત નથી, વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે કે શિયાળામાં પણ પરાલીનો ફાળો 5% થી વધુ નથી, જ્યારે મોટો હિસ્સો ઔદ્યોગિક એકમો અને વાહનોમાંથી નીકળતા ધુમાડાનો છે; એવામાં દરેક વખતે માત્ર ખેડૂતને દોષી ઠેરવવા તે ન્યાયસંગત નથી. તેમણે સ્વીકાર્યું કે પરાલી સળગાવવાથી મિત્ર કીટકો, પોષક તત્વો, ઓર્ગેનિક કાર્બન નષ્ટ થાય છે, જમીનની ફળદ્રુપતા ઘટે છે અને પ્રદૂષણ પણ વધે છે, તેથી સરકારે Crop Residue Management (CRM) યોજના હેઠળ ખેડૂતોને પરાલી વ્યવસ્થાપન મશીનો પર 50% સબસિડી અને FPO/સંસ્થાઓને કસ્ટમ હાયરિંગ સેન્ટર ખોલવા પર 80% સબસિડી આપી છે. તેમણે જણાવ્યું કે પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં અત્યાર સુધીમાં 3.5 લાખથી વધુ મશીનો વિતરણ કરવામાં આવ્યા છે – પંજાબમાં 1,60,296, હરિયાણામાં 1,10,550 અને ઉત્તર પ્રદેશમાં 76,135 – જેના કારણે પરાલી સળગાવવાની ઘટનાઓ સતત ઘટી છે. મેરઠ, શામલી, હાપુડ, મુઝફ્ફરનગર, બુલંદશહેર, ગાઝિયાબાદ, બાગપત અને ગૌતમબુદ્ધ નગરમાં 11 પેલેટિંગ ઉત્પાદન પ્લાન્ટ તથા 32.63 હજાર ટન સંગ્રહ ક્ષમતા વિકસાવીને પરાલીને સંસાધનમાં ફેરવવામાં આવી રહી છે. હરિયાણા મોડલની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર In-situ અને Ex-situ વ્યવસ્થાપન માટે એકર દીઠ ₹1,000, ‘મેરા પાની-મેરી વિરાસત’ હેઠળ ડાંગરના સ્થાને અન્ય પાકો માટે એકર દીઠ ₹7,000, DSR માટે એકર દીઠ ₹4,000, પરાલી ન સળગાવવા બદલ રેડ ઝોન પંચાયતોને ₹1,00,000, યલો ઝોન પંચાયતોને ₹50,000 અને ગૌશાળાઓ સુધી પરાલી પહોંચાડવા માટે ટ્રાન્સપોર્ટ દીઠ ₹500 (મહત્તમ ₹15,000) સુધીની સહાય આપી રહી છે. તેમણે ડાંગરની પરાલીને કિંમતી સંસાધન ગણાવતા કહ્યું કે Ex-situ મેનેજમેન્ટ હેઠળ ક્લસ્ટર આધારિત સપ્લાય ચેઈન, બંડલિંગ અને ટ્રાન્સપોર્ટથી તેને પેલેટિંગ, થર્મલ પાવર પ્લાન્ટ, બાયોમાસ ઈન્ડસ્ટ્રી, બાયો-CNG અને ફ્યુઅલ જેવી ઈન્ડસ્ટ્રી માટે ફીડસ્ટોક બનાવવામાં આવી રહ્યો છે.

ચોખા-ઘઉંમાં આત્મનિર્ભર, હવે લક્ષ્ય અન્ન, ઊર્જા અને પાણીની સંતુલિત સુરક્ષા

શ્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે સરકારનું પ્રથમ લક્ષ્ય ઘઉં અને ચોખામાં આત્મનિર્ભરતા હતું, જે હાંસલ કરીને આજે ભારત ચોખા અને ઘઉં બંનેની નિકાસ કરી રહ્યું છે અને ચોખાના ઉત્પાદનમાં 15 કરોડ ટન સાથે ચીનને પાછળ છોડીને વિશ્વમાં નંબર વન બની ગયું છે. તેમણે સ્વીકાર્યું કે ચોખામાં પાણીનો વપરાશ ઘણો વધારે છે, તેથી ઓછા સમય અને ઓછા પાણીવાળી જાતોનો વિકાસ અને ડાયરેક્ટ સીડેડ રાઈસ (DSR) ને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જેમાં ખેતરમાં કાયમી ધોરણે પાણી ભરવાની જરૂર રહેતી નથી. તેની સમાંતર, પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પાક વૈવિધ્યકરણ કાર્યક્રમ હેઠળ કઠોળ, તેલીબિયાં, મોટા અને પોષક અનાજ, મકાઈ, જવ, કપાસ અને કૃષિ-વાનિકી જેવા વૈકલ્પિક પાકોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે અને રાજ્ય સરકારો દ્વારા કઠોળ માટે ₹9,000 પ્રતિ હેક્ટર, મકાઈ અને જવ માટે ₹7,500, હાઇબ્રિડ મકાઈ માટે ₹11,500 અને પોષક અનાજ માટે ₹7,500 પ્રતિ હેક્ટર સુધીની સહાય આપવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે કઠોળની સુનિશ્ચિત ખરીદી, ઈમ્પોર્ટ ડ્યુટી દ્વારા સસ્તી આયાત પર નિયંત્રણ અને ખેડૂતોને ઉચિત ભાવ અપાવવાના સતત પ્રયાસો સાથે AIF, પીએમ-કુસુમ અને ગ્રામીણ વિકાસના મોરચે ચાલી રહેલા પગલાં મળીને ખેડૂતને માત્ર અન્નદાતા નહીં, પરંતુ ઊર્જાદાતા અને આત્મનિર્ભર ભારતના વાસ્તવિક નિર્માતા તરીકે સ્થાપિત કરી રહ્યા છે.

SM/JY/GP/JD


(રીલીઝ આઈડી: 2227856) મુલાકાતી સંખ્યા : 7
આ રીલીઝ વાંચો: हिन्दी , English