જળશક્તિ મંત્રાલય
કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલે ગુજરાતના જિલ્લા કલેક્ટરો સાથે ‘જળ સંચય જન ભાગીદારી’ અંગે સમીક્ષા બેઠક યોજી
પોસ્ટેડ ઓન:
03 FEB 2026 8:28PM by PIB Ahmedabad
ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માનનીય કેન્દ્રીય જલ શક્તિ મંત્રી સી. આર. પાટીલની સહ-અધ્યક્ષતામાં ગુજરાતના તમામ જિલ્લા કલેક્ટરો સાથે ‘જળ સંચય જન ભાગીદારી’ હેઠળ ગુજરાતના વિવિધ જિલ્લાઓની પ્રગતિની સમીક્ષા કરવા માટે એક વીડિયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી.
આ સમીક્ષા બેઠક ‘જળ સંચય જન ભાગીદારી’ ના સંદર્ભમાં બોલાવવામાં આવી હતી, જેનો શુભારંભ 6 સપ્ટેમ્બર 2024 ના રોજ સુરત, ગુજરાતથી ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. આ અભિયાનનો ઉદ્દેશ્ય પ્રધાનમંત્રીના વિઝન “catch the rain where it falls, when it falls” (વરસાદ જ્યાં પડે અને જ્યારે પડે ત્યારે તેને ઝીલી લો) ને અનુરૂપ જન ભાગીદારી દ્વારા જળ સંચયને એક ‘જન આંદોલન’ માં પરિવર્તિત કરવાનો છે.
બેઠકમાં ઉપસ્થિત વરિષ્ઠ અધિકારીઓમાં જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ વિભાગના સચિવ વી. એલ. કાંતારા રાવ; ગુજરાત સરકારના મુખ્ય સચિવ મનોજ કુમાર દાસ; અને જલ શક્તિ મંત્રાલય તથા ગુજરાત સરકારના અન્ય વરિષ્ઠ અધિકારીઓ સામેલ હતા.
બેઠકને સંબોધતા ગુજરાતના માનનીય મુખ્યમંત્રીએ પુનરોચ્ચાર કર્યો હતો કે ગુજરાત સરકાર ‘જળ સંચય જન ભાગીદારી’ ના સફળ અમલીકરણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને સમગ્ર રાજ્યમાં તેના અમલીકરણમાં પહેલેથી જ સક્રિયપણે જોડાયેલી છે. તેમણે હાઇલાઇટ કર્યું હતું કે રાજ્ય સરકારે સહાયક પગલાં રજૂ કર્યા છે, જેમાં એક યોજના હેઠળ જૂના બોરવેલ રિચાર્જ કરવા માટે 90% નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. તેમણે બનાસકાંઠા જિલ્લાના ઉદાહરણો ટાંક્યા હતા, જ્યાં સાચી જન ભાગીદારી દ્વારા નવીન રિચાર્જ સ્ટ્રક્ચર્સ (માળખાં) બનાવવામાં આવ્યા છે. માનનીય મુખ્યમંત્રીએ એમ પણ જાણ કરી હતી કે ધારાસભ્યોને તેમના ધારાસભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ ફંડમાંથી મતવિસ્તાર દીઠ ₹50 લાખ જળ સંરક્ષણ પ્રવૃત્તિઓ માટે ફાળવવા સલાહ આપવામાં આવી છે, જે જાહેર ભાગીદારીને વધુ મજબૂત બનાવે છે.
બેઠક દરમિયાન બનાસકાંઠા, કચ્છ અને રાજકોટના જિલ્લા કલેક્ટરો દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં ‘જળ સંચય જન ભાગીદારી’ હેઠળ તેમના સંબંધિત જિલ્લાઓમાં કરવામાં આવેલી પાયાની પ્રગતિ અને પહેલો દર્શાવવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટરોને પોતાના સંબોધનમાં, માનનીય કેન્દ્રીય જળ શક્તિ મંત્રીએ ચોમાસાની શરૂઆત પહેલા ગુજરાતના તમામ જિલ્લાઓમાં જળ સંરક્ષણના પ્રયાસોને વેગ આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે જિલ્લા કલેક્ટરોને મનરેગા (MGNREGA) ભંડોળનો સક્રિયપણે ઉપયોગ કરવા, વિવિધ સરકારી યોજનાઓનું સંકલન (convergence) સુનિશ્ચિત કરવા અને મોટા પાયે વરસાદી પાણીના સંગ્રહ અને ભૂગર્ભ જળ રિચાર્જ સ્ટ્રક્ચર્સ બનાવવા માટે CSR પહેલ, NGO ની ભાગીદારી અને વન વિભાગની પ્રવૃત્તિઓનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે જળ શક્તિ મંત્રાલય જિલ્લાઓને જળ સંરક્ષણ કાર્યોના કાર્યક્ષમ આયોજન અને અમલીકરણ માટે ટેકનિકલ સહાય પૂરી પાડી રહ્યું છે.
માનનીય મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘જળ સંચય જન ભાગીદારી’ ને 'હોલ-ઓફ-ગવર્મેન્ટ' (સમગ્ર સરકાર) અને 'હોલ-ઓફ-સોસાયટી' (સમગ્ર સમાજ) ના અભિગમ દ્વારા અમલમાં મૂકવી જોઈએ, જેથી જન ભાગીદારી દ્વારા જળ સંચયને જન આંદોલનમાં ફેરવવાના માનનીય પ્રધાનમંત્રીના વિઝનને સાકાર કરી શકાય.
જિલ્લા કલેક્ટરોને જિલ્લા સ્તરે સતત ગતિ અને સંકલિત કાર્યવાહી સુનિશ્ચિત કરવા માટે સંવેદનશીલ કરવામાં આવ્યા હતા જેથી ગુજરાત જળ સંરક્ષણના પ્રયાસોમાં મોખરે રહેવાનું ચાલુ રાખે.



SM/DK/GP/JD
(રીલીઝ આઈડી: 2222870)
મુલાકાતી સંખ્યા : 24