માનવ સંસાધન વિકાસ મંત્રાલય
પ્રાચીન કચ્છની શંખ ગાથા
હડપ્પા સંસ્કૃતિ પહેલાં પણ માનવ વસાહત હોવાનો પુરાતાત્વિક સંકેત
Posted On:
04 JUN 2025 3:56PM by PIB Ahmedabad
હડપ્પા સંસ્કૃતિના ઉદ્ભવ પહેલાં, ગુજરાતના કચ્છ વિસ્તારના વિશાળ ભૌગોલિક વિસ્તારમાં સમૃદ્ધ પ્રાગ-ઐતિહાસિક શિકારી-સંગ્રાહક સમુદાયો વસતા હતા. ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થા ગાંધીનગર (IITGN)ના સંશોધકો અને ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થા કાનપુર (IITK), ઇન્ટર યુનિવર્સિટી એક્સેલરેટર સેન્ટર (IUAC) દિલ્હી અને ભૌતિક સંશોધન પ્રયોગશાળા (PRL) અમદાવાદના નિષ્ણાતોએ સાથે મળીને તાજેતરમાં આવો પુરાતત્વીય પુરાવો શોધ્યો છે. જે બતાવે છે કે આ વિસ્તારમાં માનવ ઉપસ્થિતિ હડપ્પા યુગથી ઓછામાં ઓછા પાંચ હજાર વર્ષ પહેલાંની છે.
ESQ9.jpeg)
આ પ્રાચીન સમુદાયો મેંગ્રોવોથી ભરેલી જગ્યામાં રહેતા હતા અને ત્યાં મુખ્યત્વે મળતી શંખની જાતિઓ (જેમ કે બન્ને, ઓયસ્ટર જેવા દ્વિકપાટી અને ઘોંઘા જેવા ગેસ્ટ્રોપોડ્સ ) ને મહત્વપૂર્ણ આહાર તરીકે ઉપયોગમાં લેતા હતા. “બ્રિટિશ સર્વેયરોએ અગાઉ આ વિસ્તારમાં શંખના ઢગલા જોયા હતા, પરંતુ તેઓ સમજી શક્યા નહોતા કે આ માનવ ઉપભોગ પછી છોડાયેલા શંખના ઢગલા એટલે કે 'શેલ-મિડન' છે, અમારો અભ્યાસ એ સ્થળોને ઓળખવાનો, તેમનું સાંસ્કૃતિક મહત્વ સમજવાનો અને તેમનો સમયગાળો નક્કી કરવાનો પ્રથમ પ્રયાસ છે.” એમ આ અભ્યાસના મુખ્ય સંશોધક અને IITGNના પૃથ્વી વિજ્ઞાન વિભાગના પુરાતાત્વ વિજ્ઞાન કેન્દ્રના સહ પ્રાધ્યાપક પ્રોફેસર વી. એન. પ્રભાકરે જણાવ્યું હતું.

આ સ્થળોની વય નક્કી કરવા માટે સંશોધકોએ એક્સેલરેટર માસ સ્પેક્ટ્રોમેટ્રી (AMS) ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો હતો. જે એક એવી રીત છે જેમાં શંખના અવશેષોમાં રહેલા કાર્બન-14 (C-14) ના રેડિયોએક્ટિવ આઇસોટોપનું માપ લેવામાં આવે છે. એકવાર જીવ મરી જાય પછી C-14 ઘટી જતું હોય છે – દરેક 5,730 વર્ષમાં તેની માત્રા અડધી થઈ જાય છે. શંખના નમૂનામાં બચેલ C-14 માપીને વૈજ્ઞાનિકો અંદાજ લગાવે છે કે તે જીવ ક્યારે મર્યો હશે. કારણ કે વાયુમંડળીય C-14 સ્તર સમય સાથે બદલાતું રહ્યું છે. માટે આ પરિણામોને વૃક્ષોની વાર્ષિક વલયો (tree rings) ના ડેટા સાથે તપાસ કરવામાં આવી હતી. વૃક્ષ દર વર્ષે એક નવું વલય બનાવે છે અને ગત હજારો વર્ષો સુધી આ વલયોનાં અનુક્રામને મેળવી શકાય છે. જેનાથી વૈજ્ઞાનિક વાયુમંડળીય C-14નાં સ્તરનો એક ચોક્કસ સંદર્ભ સાથે કાળક્રમ બનાવી શકે છે.

પ્રો. પ્રભાકરે ઉલ્લેખ કર્યો કે “ખડીર અને તેની આસપાસના ટાપુઓમાંથી એકત્ર કરાયેલા શંખના નમૂનાનું વિશ્લેષણ PRL અમદાવાદમાં પ્રો. રવિ ભૂષણ અને જે.એસ. રે ના સહયોગથી અને IUAC દિલ્હી ખાતે ડૉ. પંકજ કુમારની સહાયથી કરવામાં આવ્યું હતું.” વિશ્લેષણના પરિણામોએ પુષ્ટિ આપી કે આ શંખ-માટી સ્થળો હડપ્પા યુગ કરતાં ઘણાં પહેલાંના છે અને તેઓ આ વિસ્તારની પ્રાચીન માનવ વસાહતનો દુર્લભ પુરાવો આપે છે.
કચ્છના આ નવા શોધાયેલ સ્થળોને તેવા પ્રથમ સ્થળો તરીકે દસ્તાવેજિત કરવામાં આવ્યા છે, જેમના સાંસ્કૃતિક અને સમયક્રમિક સંદર્ભ સ્પષ્ટ છે. સંશોધકોના મતે, પાકિસ્તાનના લસબેલા અને મકરાન પ્રદેશો તેમજ ઓમાનના દ્વીપકલ્પ તટવર્તી પુરાતત્ત્વીય સ્થળો સાથે સમાનતાઓ જોવા મળે છે, જે સૂચવે છે કે સમગ્ર વિસ્તૃત વિસ્તારના તટીય સમુદાયો ખોરાક એકઠા કરવાનો અને આજીવિકા ચલાવવાનો સમાન વ્યૂહરચના અનુસરી રહ્યા હશે.
શંખના વિખેરાયેલા અને જમા અવશેષો ઉપરાંત, ટીમેને કાપવા, છોલવા અને ચીરવા માટે ઉપયોગમાં લેવાતા વિવિધ પ્રકારના પથ્થરના સાધનો મળ્યા છે. આ સાધનો બનાવવામાં જે મૂળ પથ્થરનાં ટુકડા (કોર) ઉપયોગમાં લેવાયા હતા, તે પણ મળ્યા છે. આ વિશે આ અભ્યાસની સહલેખિકા અને IITGN માં પોસ્ટડોક્ટોરલ સંશોધક ડૉ. શિખા રાયએ જણાવ્યું: “આ સાધનો અને સંબંધિત કાચા માલસામાનની હાજરી દર્શાવે છે કે આ સમુદાયો દૈનિક કાર્યો માટેના સાધનોના વ્યાપક ઉત્પાદનમાં વ્યસ્ત હતા.” તેઓએ ઉમેર્યું કે આ કાચો માલસામાન ખડીર દ્વીપ પરથી મળ્યો હોઈ શકે છે, જે હાલ હડપ્પા યુગના શહેર ધોળાવીરાને કારણે જાણીતું છે, જો કે અન્ય સ્ત્રોતો પણ શક્ય છે.
આ શોધો આ વિસ્તારના સાંસ્કૃતિક વિકાસ પર નવો પ્રકાશ ફેંકે છે. તે સામાન્ય માન્યતાને પડકાર આપે છે કે કચ્છમાં શહેરીકરણ મુખ્યત્વે સિંધ પ્રદેશના પ્રભાવથી થયું હતું. પ્રોફેસર પ્રભાકરે જણાવ્યું હતું કે, “અચાનક થયેલી બાહ્ય અસર નહીં, પણ અહીં આપણે જે જોઈ રહ્યા છીએ તે સ્થાનિક સ્તરે મૂળ ધરાવતી ક્રમશઃ અનુકૂલન અને સાંસ્કૃતિક વિકાસની પ્રક્રિયા છે.” સ્થાનિક ભૂગોળ, જળસ્રોતો અને નાવપરિવહન અંગે સંચિત થયેલું જ્ઞાન શક્ય છે કે બાદમાં હડપ્પન લોકોને તેમની વસાહતો વધુ અસરકારક રીતે આયોજન કરવામાં અને લાંબી અંતરયાત્રા વેપારમાં જોડાવામાં મદદરૂપ બન્યું હોય.
સંશોધકો માને છે કે આ શંખ-માટીઓ અને તેમનો વિખેરાવું ભૂતકાળના પર્યાવરણ (પાલિયોક્લાઈમેટ) વિષેના અભ્યાસોમાં પણ ખૂબ ઉપયોગી બની શકે છે. કારણ કે હવામાનમાં ફેરફાર હજારો વર્ષમાં ધીમી રીતે થાય છે અને ટૂંકાગાળામાં સીધો અનુભવ થતો નથી. તેથી શંખ જેવા કુદરતી પદાર્થોમાં અતિતના વાતાવરણના સંકેતો સંચિત હોય છે. જે પહેલાંના પર્યાવરણીય માહોલ પુનઃનિર્માણ કરવામાં મદદરૂપ બને છે. IIT ગાંધીનગરના અગાઉના અભ્યાસોએ ખડીર ટાપુના છેલ્લા 11,500 વર્ષના પર્યાવરણીય નકશાની રચના કરી છે. હવે મળેલી આ શંખ-માટીઓનું વધુ વિશ્લેષણ એ જલવાયુ પરિપ્રેક્ષ્યમાં વધારે મહત્વની માહિતી આપી શકે છે. જેમાં આરંભિક માનવ વસાહત ચાલી રહી હતી.
ઐતિહાસિક સમજણથી આગળ વધીને, આ અભ્યાસ આજના સમયમાં પણ નોંધપાત્ર સંદર્ભ પ્રદાન કરે છે. “અતિતના માનવો વિવિધ હવામાન વિસ્તારો અને પર્યાવરણીય પડકારો સાથે આધુનિક ટેક્નોલોજીના સહારા વિના અનુકૂળ થઈને જીવવા સક્ષમ હતા,” એમ ડૉ. રાયે જણાવ્યું હતું. “તેઓએ તેમના પર્યાવરણીય મર્યાદાઓને ધ્યાનમાં રાખીને જીવી શકવાની ક્ષમતા દેખાડેલી છે, જે આજના વૈશ્વિક હવામાન પરિવર્તનના સંદર્ભમાં શીખવા જેવી છે.” હવે સંશોધક ટીમનું લક્ષ્ય ગુજરાતમાં પ્રાગૈતિહાસિકથી ઇતિહાસિક યુગ સુધીના સાંસ્કૃતિક વિકાસનો નકશો બનાવવાનું છે, જેથી માનવ અનુકૂલનની પ્રક્રિયા કેવી રીતે વિકસી તે વિસ્તૃત રીતે સમજવામાં મદદ મળે.
વર્ષ 2025માં આયોજિત 17મી વાર્ષિક દક્ષિણ એશીયાઇ પુરાતત્વ કાર્યશાળા (હાર્ટવિક કોલેજ અને શિકાગો વિશ્વવિદ્યાલય), ઇન્ડો-ઈરાની સરહદી ક્ષેત્રની પુરાતત્વ વિષયક સંગોષ્ઠી શ્રેણી (સોરબોન વિશ્વવિદ્યાલય, પેરીસ) અને પ્રાગૈતિહાસિક અને ચતુર્થાંશ અભ્યાસ હેતુ ઇન્ડિયન સોસાયટી (ISPQS)એ 50માં વાર્ષિક સંમેલન (રાયપુર)માં આ અભ્યાસનો નિષ્કર્ષ રજૂ કર્યો હતો.
આ સંશોધન ટીમમાં પ્રો. વિક્રાંત જૈન (પૃથ્વી વિજ્ઞાન વિભાગ, આઈઆઈટી ગાંધીનગર), પ્રો. જાવેદ મલિક અને દેબજ્યોતિ પૉલ (આઈઆઈટી કાનપુર), ડૉ. પંકજ કુમાર (ઈન્ટર યુનિવર્સિટી એસેલેરેટર સેન્ટર, દિલ્હી) અને મહેન્દ્રસિંહ ગઢવી (એલ.ડી. કોલેજ, અમદાવાદ) સામેલ હતા.
(Release ID: 2133811)