માનવ સંસાધન વિકાસ મંત્રાલય
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો 9મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયો
મેળવેલા શિક્ષણનો પરિવાર, સમાજ અને રાષ્ટ્રના ભલા માટે ઉપયોગ કરીએ; આવનારી પેઢી તમારામાંથી પ્રેરણા મેળવે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા, વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં તમારું યોગદાન ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે: કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા
રાજ્યપાલશ્રીના હસ્તે 90 વિદ્યાર્થીઓને 88 મેડલ એનાયત: 12 વિદ્યાશાખાના 13965 વિદ્યાર્થીઓને ડીજી લોકર એપ્લિકેશનના માધ્યમથી ડિગ્રી સર્ટિફિકેટ અપાયા
Posted On:
29 APR 2025 5:13PM by PIB Ahmedabad
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો 9મો વાર્ષિક પદવીદાન સમારોહ અટલ ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો. કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા અને શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ આ પદવીદાન સમારોહમાં રાજ્યપાલશ્રીન હસ્તે 44 ગોલ્ડ મેડલ, 12 સિલ્વર મેડલ અને 34 ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ મળીને કુલ-90 વિદ્યાર્થીઓને 88 મેડલ એનાયત તથા 12 વિદ્યાશાખાના 13965 વિદ્યાર્થીઓને ડીજી લોકર એપ્લિકેશનના માધ્યમથી ડિગ્રી સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ દીક્ષાંત સમારોહમાં પદવી મેળવનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, તમારા માતા-પિતા અને ગુરુજનોએ તમને સારુ શિક્ષણ અપાવ્યું છે ત્યારે સુશિક્ષિત હોવું પૂરતું નથી, ગુણવાન અને સુસંસ્કૃત હોવું જરૂરી છે. તમે જે વિષયનું શિક્ષણ મેળવ્યું છે એ શિક્ષણનો પરિવાર, સમાજ અને રાષ્ટ્રના ભલા માટે ઉપયોગ કરીએ. આપણે મૂલ્યનિષ્ઠ, સભ્ય અને સમાજ પ્રત્યે જવાબદેહ રહેવું જરૂરી છે. પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ દેશની ઉન્નતિ અને ભવિષ્ય નિર્માણમાં પોતાનું બહુમૂલ્ય યોગદાન આપવું જરૂરી છે.

રાજ્યપાલશ્રીએ વધુમાં જણાવ્યું કે, ભારતની પ્રાચીન ગુરૂકુલ પરંપરામાં પણ ઋષિમુનિઓ પોતાના શિષ્યોને શિક્ષા-દીક્ષા અર્પણ કરી અંતમાં સત્ય બોલવા, ધર્મનું આચરણ કરવા અને અભ્યાસમાં આળસ ન કરવાનો ઉપદેશ આપતાં હતા. તેમણે પદવી ધારણ કરતા વિદ્યાર્થીઓને સ્વાધ્યાયમાં- જ્ઞાન ઉપાર્જનમાં કયારેય આળસ નહીં કરવા જણાવ્યું હતું.

વિદ્યાર્થીઓને પ્રાપ્ત કરેલી શિક્ષા અને સિદ્ધિઓ પોતાના પૂરતી સીમિત ન રાખતા લોકઉપયોગી થાય જેમાં લોકોનું કલ્યાણ થાય એ દિશામાં ઉપયોગ કરવા સૂચન કર્યું હતું. તેમજ ‘માતૃદેવો ભવ: પિતૃ દેવો ભવ:, આચાર્ય દેવો ભવ: અને અતિથિ દેવો ભવ:’ ના આપણા સંસ્કૃતિભાવને હ્રદયમાં ઉતારવા જણાવ્યું હતું. જ્ઞાન મેળવ્યા બાદ હવે એવું જીવન ઘડતર કરવાથી આવનારી પેઢી તમારામાંથી પ્રેરણા મેળવે તેવું જીવન જીવવા જણાવ્યું હતું.

રાજ્યપાલશ્રીએ શિક્ષણ અને ધર્મનો સાચો મર્મ સમજાવતા કહ્યું કે, જેને ધારણ કરીએ તે ધર્મ, સત્ય અને અસત્યમાંથી જે ટકી શકે એ જ ધર્મ. પ્રાણી માત્રને દુ:ખ આપવું એ અધર્મ છે. વેદોમાં પણ કહ્યું છે કે, આપણા આત્માને બીજાના આત્મામાં જુઓ અને પ્રાણી માત્રના કલ્યાણ માટે કાર્ય કરવું એ જ ધર્મ હોવાનું તેમણે જણાવ્યું હતું. ભણેલા અને અભણ વચ્ચે ભેદ ન હોય તો ડિગ્રી શું કામની? એમ કહી તેમણે માતા- પિતાની સેવા કરવા તથા ગુરુજનોને ન ભૂલવા અને જીવનના દરેક ક્ષેત્રમાં બીજાને ઉપયોગી બનવા શીખ આપી હતી.

કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું કે, આજનો દિવસ શૈક્ષણિક ઉત્સવનો છે તેમ કહી તેમણે નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ કરેલા પ્રજા કલ્યાણ કાર્યોને બિરદાવ્યા હતાં.
તેમણે કહ્યું કે, આજના પદવીદાન સમારોહમાં 88 પૈકી 62 જેટલાં મેડલ્સ તો માત્ર બહેનોએ મેળવ્યાં છે. જે દર્શાવે છે કે, આજના સમયમાં મહિલાઓએ દરેક ક્ષેત્રમાં આગળ વધીને સફળતા હાંસલ કરી રહી છે. તેમણે કહ્યું કે, આજે પદવી મેળવ્યાં બાદ તમારી જવાબદારી વધે છે એટલે રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા, વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં તમારું યોગદાન ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે. આજના સમયમાં ખૂબ જ ઝડપથી બદલાવ આવી રહ્યો છે ત્યારે બદલાતા સમયમાં નવી તકોને ઓળખવાની આવશ્યકતા છે. તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય એ અનેક નવા કિર્તીમાન સ્થાપ્યાં છે ત્યારે આપણે પણ રાજ્ય અને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપીએ.
આ અવસરે શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ પદવી મેળવનાર સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે, ત્યાગીને ભોગવી જાણે તેનું ઉત્તમ ઉદાહરણ એટલે મહારાજા કૃષ્ણકુમારસિંહજી. જેમના નામ સાથે જે યુનિવર્સિટીનું નામ જોડાયેલું છે એવા મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ આઝાદીના સમયે 562 રજવાડાઓમાંથી સૌથી પહેલું રાજ્ય દેશને અર્પણ કર્યું હતું એ યુનિવર્સિટીના વિદ્યાર્થી હોવાનું ગૌરવ હોવું જોઈએ.
મંત્રીશ્રીએ પદવી ધારણ કરનાર વિદ્યાર્થીઓને કહ્યું કે, અહીંથી જ્ઞાન પ્રાપ્ત કરીને વિનય, વિવેક, સત્ય પ્રાપ્તિ, નિષ્ઠાના ગુણો સાથે તમે બહાર જઈ રહ્યાં છો ત્યારે ભારતની સાંસ્કૃતિક ધરોહરની વિરાસતને ઉજાગર કરવાનું કામ કરીએ. જીવનમાં ભણવું, ગણવું તો જરૂરી છે જ પરંતુ અહીંથી જ્ઞાન મેળવીને તમે જઈ રહ્યાં છો ત્યારે તમારી યુનિવર્સિટીની લાયબ્રેરી જો યાદ આવે તો માનજો કે તમે મેળવેલી પદવી શ્રેષ્ઠ છે.
તેમણે ઉમેર્યું કે, ભાવનગર શહેરમાં કલા- સંસ્કૃતિ અને સાહિત્યનું માન-સન્માન થાય છે ત્યારે વ્યસનોની બદીથી દૂર રહેવા અને દ્રઢ સંકલ્પ સાથે રાષ્ટ્ર નિર્માણમાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.
આ સમારંભમાં શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ (નવી દિલ્લી)ના રાષ્ટ્રીય સચિવશ્રી ડૉ. અતુલ કોઠારીએ દીક્ષાંત પ્રવચન કરતાં જણાવ્યું કે, પ્રાચીન ભારતમાં ગુરુકુળ શિક્ષણ પ્રણાલી હતી એ પ્રમાણે ભારતીય મૂલ્યો પર આગળ વધવા તેમણે વિદ્યાર્થીઓને અપીલ કરી હતી.
તેમણે સ્વામી વિવેકાનંદને યાદ કરી કહ્યું છે કે, ચરિત્ર નિર્માણથી જ વ્યક્તિ નિર્માણ થાય છે અને શિક્ષણનું મુખ્ય ધ્યેય ચરિત્ર નિર્માણ કરવાનું છે. ભૌતિકતાની સાથે આધ્યાત્મિકતાનો સમન્વય જરૂરી હોવાનું જણાવી તેમણે કહ્યું કે, સ્કૂલોમાં લખવું જોઈએ કે, શિક્ષા મેળવવા માટે આવો અને સેવા માટે સમાજમાં જાઓ. દરેક વિદ્યાર્થીને સેવા માટે તૈયાર કરવા જોઈએ. સંઘર્ષ એ જ જીવન છે, સંઘર્ષથી જીવનમાં આગળ વધી શકાય છે.
આ તકે રાજ્યપાલશ્રીના હસ્તે ડીજી લોકર એપ્લિકેશન પર યુનિવર્સિટીનો ડેટા લોન્ચ કરવામાં આવ્યો હતો. જેમાં વર્ષ-2016થી જૂન-2024 સુધીની કુલ- 762788 માર્કશીટનો ડેટા ઉપલબ્ધ બનશે. વિદ્યાર્થીઓ ડિગ્રી તેમજ માર્કશીટ 'ડિજિટલ લોકર' એપ્લિકેશનના માધ્યમથી ડાઉનલોડ કરી શકશે.
આ પ્રસંગે મેયર શ્રી ભરતભાઇ બારડ, ધારાસભ્યો સર્વશ્રી જીતુભાઇ વાઘાણી, શ્રીમતી સેજલબેન પંડયા, જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી, પોલીસ અધીક્ષક શ્રી ડૉ. હર્ષદ પટેલ, યુવરાજસાહેબ શ્રી જયવીરરાજસિંહ ગોહિલ સહિત શિક્ષણ જગતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
AP/IJ/GP/JD
(Release ID: 2125201)
Visitor Counter : 35