અંતરિક્ષ વિભાગ

પીઆરએલના ડિરેક્ટર પ્રો.અનિલ ભારદ્વાજને 2024ના COSPAR વિક્રમ સારાભાઈ મેડલથી નવાજવામાં આવ્યા

Posted On: 17 JUL 2024 4:32PM by PIB Ahmedabad

વર્ષ 2024 માટે COSPAR વિક્રમ સારાભાઈ મેડલ પ્રો. અનિલ ભારદ્વાજ, ડાયરેક્ટર, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL), અમદાવાદને એનાયત કરવામાં આવ્યો છે. 15 જુલાઇ 2024ના રોજ કોરિયાના બુસાનમાં 45મી COSPAR સાયન્ટિફિક એસેમ્બલીમાં COSPAR ના પ્રમુખ પ્રો. પાસ્કેલ એહરનફ્રેન્ડ અને વાઇસ પ્રેસિડન્ટ્સ, પ્રોફેસર કેથરિન સેઝાર્સ્કી અને પીટ્રો ઉબર્ટિની દ્વારા એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.

પુરસ્કાર COSPAR (અવકાશ સંશોધન સમિતિ, આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન પરિષદ અને સંયુક્ત રાષ્ટ્ર સાથે જોડાયેલી આંતરરાષ્ટ્રીય સંસ્થા યુએનકોપસ દ્વારા) અને ઇસરો (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન) દ્વારા સંયુક્તપણે આપવામાં આવે છે, જે ડો. વિક્રમ સારાભાઇના સન્માનમાં છે, જેમણે દેશમાં અવકાશ કાર્યક્રમ શરૂ કર્યો હતો અને "ભારતીય અવકાશ કાર્યક્રમનો પિતા" તરીકે ઓળખાય છે. પ્રા. સારાભાઈએ 1947માં પીઆરએલની સ્થાપના કરીને દેશમાં અવકાશ સંશોધનની શરૂઆત કરી હતી. એટલે પીઆરએલને 'ક્રેડલ ઓફ સ્પેસ રિસર્ચ ઇન ઇન્ડિયા' તરીકે ઓળખવામાં આવે છે.

COSPAR વિક્રમ સારાભાઈ મેડલ વિકાસશીલ દેશોમાં અવકાશ સંશોધનમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે આપવામાં આવે છે. પ્રો. અનિલ ભારદ્વાજને પ્લેનેટરી એક્સપ્લોરેશન પ્રોગ્રામ ઓફ ઇન્ડિયામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે સન્માનિત કરવામાં આવે છે. પ્રો. અનિલ ભારદ્વાજ એક આદરણીય અવકાશ અને ગ્રહોના વિજ્ઞાની છે, જેમણે ભારતીય ગ્રહો અને અવકાશ અભિયાનો માટેનાં સાધનોના વિકાસમાં, સૌરમંડળના પદાર્થોના બહુ-તરંગલંબાઈના અવલોકનોમાં અને ગ્રહોના વાતાવરણીય આયોનોસ્ફેરિક પ્રક્રિયાઓના સૈદ્ધાંતિક અભ્યાસમાં ફાળો આપ્યો છે. તેમને અને તેમની ટીમોના વૈજ્ઞાનિક પ્રયોગોને ચંદ્ર પરના તમામ ભારતીય મિશન જેવા કે ચંદ્રયાન-1, ચંદ્રયાન-2, ચંદ્રયાન-3 લેન્ડર અને રોવર તેમજ મંગળ (મંગળયાન) અને સૌર મિશન આદિત્ય-એલ1 પર મોકલવામાં આવ્યા છે.

માત્ર બીજી વખત છે જ્યારે પ્રતિષ્ઠિત COSPAR વિક્રમ સારાભાઈ મેડલ ઇસરોના કોઈ વૈજ્ઞાનિકને એનાયત કરવામાં આવ્યો છે. પહેલા (સ્વર્ગીય) પ્રોફેસર યુ આર રાવને 1996માં બ્રિટનના બર્મિંઘમમાં કોસ્પર એસેમ્બલીમાં મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અવકાશ વૈજ્ઞાનિકો માટેના સૌથી મોટા મંચોમાંના એક, અવકાશ સંશોધન પરની સમિતિ (COSPAR)ની સ્થાપના 1957માં તત્કાલીન સોવિયેત યુનિયન દ્વારા સૌપ્રથમ ઉપગ્રહના પ્રક્ષેપણ બાદ તરત 1958માં કરવામાં આવી હતી. તે દર બે વર્ષે તેની વૈજ્ઞાનિક એસેમ્બલીનું આયોજન કરે છે, જે વિશ્વભરમાં લગભગ 3,000 વૈજ્ઞાનિકોને આકર્ષે છે.

પ્રો.અનિલ ભારદ્વાજ: Director | Physical Research Laboratory (prl.res.in)

 

 

પ્રો. અનિલ ભારદ્વાજને 15 જુલાઈ 2024 ના રોજ COSPAR ખાતે એવોર્ડ મળ્યો હતો

AP/GP/JD



(Release ID: 2033845) Visitor Counter : 17


Read this release in: English