માહિતી અને પ્રસારણ મંત્રાલય
વિકસિત ભારત સંકલ્પ રથ યાત્રાનું સ્વાગત કરતા કારેલીના ગ્રામજનો
ગરુડેશ્વરમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી માગતાભાઇ વસાવાની અઘ્યક્ષતામાં સંકલ્પ યાત્રાના વિવિધ કાર્યક્રમો યોજાયા
“ધરતી કહે પુકાર” અંતર્ગત કારેલી પ્રાથમિક શાળાના વિધાર્થીઓએ નુક્કડ નાટક રજૂ કર્યું
Posted On:
15 DEC 2023 12:41PM by PIB Ahmedabad
![](https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/ગરુડેશ્વરમાંતાલુકાપંચાયતપ્રમુખશ્રીમાગતાભાઇવસાવાનીઅઘ્યક્ષતામાંસંકલ્પયાત્રાનાવિવિધકાર્યક્રમોયોજાયા(4)XS38.jpeg)
“વિકસિત ભારત સંકલ્પ રથ યાત્રા” ગરુડેશ્વર તાલુકાનાં કારેલી ગ્રામ પંચાયત ખાતે આવી પહોંચતા તાલુકા પંચાયત પ્રમુખશ્રી માગતાભાઇ વસાવાના અધ્યક્ષતામાં ગ્રામજનોએ ઉષ્માપૂર્વક આવકાર કર્યો હતો. આ પ્રસંગે કારેલી ગામની શારદા ધામ પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા મહેમાનોને સ્વાગત ગીત દ્વારા આવકાર્યા હતાં.
રથ યાત્રા કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો સહિત વિધાર્થીઓ, ગ્રામજનોએ ૨૦૪૭ સુધી વિકસિત ભારતને સાકાર કરવા અંગેના શપથ લીધા હતાં. પ્રધાનમંત્રીશ્રીનો વિકસિત ભારત સંકલ્પ સંદેશ સાંભળવાની સાથે વિકાસલક્ષી શોર્ટ ફિલ્મ નિહાળી હતી.
![](https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/ગરુડેશ્વરમાંતાલુકાપંચાયતપ્રમુખશ્રીમાગતાભાઇવસાવાનીઅઘ્યક્ષતામાંસંકલ્પયાત્રાનાવિવિધકાર્યક્રમોયોજાયા(2)3AXJ.jpeg)
'મેરી કહાની, મેરી જુબાની' અંતર્ગત આયુષમાન કાર્ડ, આવાસ યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, પૂર્ણાશકિત યોજના સહિતની વિવિધ યોજનાના લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કરી પાત્રતા ધરાવતા નાગરિકોને યોજનાનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા હતા. ઉપરાંત ધરતી કહે પુકાર અંતર્ગત કારેલી પ્રાથમિક શાળાના શિક્ષકોના માર્ગદર્શનથી વિધાર્થીઓએ ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે કઈ-કઇ તકેદારીઓ રાખવી જોઈએ તે અંગેનું નુક્કડ નાટક રજુ કર્યું હતું. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવ્યા હતાં. તેમજ ગામની પ્રાથમિક શાળાના ધો. ૧ થી ૭ માં પ્રથમ આવનાર અને ગામના ઉજજ્વળ ભવિષ્યના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહક ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતાં.
આ પ્રસંગે માહિતી વિભાગ દ્વારા પાક્ષિક વિતરણ, આરોગ્ય વિભાગ દ્વારા વિના મૂલ્યે આરોગ્ય તપાસણી કામગીરી, આઇ.સી.ડી.એસ. વિભાગ દ્વારા ટેક હોમ ફોર રેશનમાંથી વિવિધ પૌષ્ટીક અને સ્વાદિષ્ટ વાનગીઓનું નિદર્શન અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (આવાસની નોંધણી) કરાઇ હતી. કાર્યક્રમના અંતે વિવિધ વિભાગો દ્વારા ઊભા કરાયેલા સ્ટોલનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તાલુકા પંચાયત સદસ્યો, માજી સરપંચશ્રી, આગેવાનશ્રીઓ, નાયબ જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. અનિલ વસવા, મામલતદારશ્રી મનીષ ભોય, અધિકારી-કર્મચારીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1986593)
Visitor Counter : 83