રેલવે મંત્રાલય

કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે કીમ રેલવે ઓવરબ્રિજના બીજા ફેઝનું લોકાર્પણ


રાજ્ય અને કેન્દ્ર સરકારની ડબલ એન્જિન સરકારના વિકાસકામો તેજગતિથી સાકાર થઈ રહ્યા છે: કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ

Posted On: 02 DEC 2023 4:17PM by PIB Ahmedabad

ઓલપાડ તાલુકાના કીમ ખાતે રૂ.65 કરોડના ખર્ચે નવનિર્મિત રેલવે ઓવરબ્રિજના બીજા ફેઝનું કેન્દ્રીય રેલ્વે અને ટેક્સટાઈલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કીમ ખાતે 72 મીટર સ્પાન ROB ધરાવતો રાજ્યનો પ્રથમ ઓપન વેબ ગર્ડર રેલ્વે ઓવરબ્રિજના બીજી તરફનો ઓવરબ્રિજ પ્રજા માટે ખુલ્લો મૂકાતા અંદાજીત 40 ગામની સવા લાખથી વધુ વસ્તીને ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મળશે. રોજબરોજ આવાગમન કરતા હજારો વાહનચાલકોને રાહત થશે.

આ અવસરે કેન્દ્રીય રેલ્વેમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય અને કેન્દ્ર સરકાર એમ ડબલ એન્જિનના સુશાસનથી વિકાસકામો તેજગતિથી સાકાર થઈ રહ્યા છે. પ્રધાનમંત્રીશ્રીએ શહેરોને સુવિધા અને સુખાકારીસભર બનાવવાની દિશા આપી છે, ત્યારે આ ડબલ એન્જિનથી આપણા શહેરોનું વેલપ્લાન્ડ ડેવલપમેન્ટ અને વિકાસની હરોળમાં વૈશ્વિક શહેરોની સમકક્ષ ઉભા રહે તેવું સુગ્રથિત આયોજન થઈ રહ્યું છે.એક જવાબદાર જનપ્રતિનિધિ તરીકે અમે સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો લોકો માટે કરેલી કામગીરી, સુખાકારીના કાર્યો, પ્રયાસો અને પરિણામોનો હિસાબ લઈને જનતા પાસે જવાના છીએ. પ્રજાભિમુખ અભિગમને ઉજાગર કરીને રાજ્ય અને કેન્દ્ર સરકાર જનતા માટે જ કાર્યરત છે એવો વિશ્વાસ આપીશું એમ તેમણે ઉમેર્યુ હતું.

વધુમાં તેમણે જણાવ્યું કે, કેન્દ્ર તથા રાજ્ય સરકારના પારદર્શક વિકાસલક્ષી આયામોથી કીમ સહિત આવશ્યક રેલવે સ્ટેશનો ખાતે ઈન્ફ્રાસ્ટ્રકચરના કાર્યોને વેગ મળ્યો છે. આવનાર સમયમાં તમામ રેલવે લાઈનને ક્રોસ કરતા રસ્તાઓ પર ઓવરબ્રિજોનું નિર્માણ કરી 'ફાટક ફ્રી' ગુજરાત બનાવવાની દિશામાં સરકાર કાર્યરત છે. રાજ્ય સરકારે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સમાન ધોરણે વિકાસકામોને હંમેશા પ્રાથમિકતા આપી છે.

CB/GP/JD



(Release ID: 1981889) Visitor Counter : 79