સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કતારગામ આંબા તલાવડી ખાતે કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખભાઈ માંડવિયાએ 'સુરતના સ્વાસ્થ્ય રક્ષકો સાથે સંવાદ' કર્યો


ભારત માટે હેલ્થ સેકટર એ ક્યારેય વ્યવસાય રહ્યો નથીઃ કેન્દ્રીય આરોગ્યમંત્રી શ્રી

સ્વસ્થ અને સમૃધ્ધ ભારતના નિર્માણમાં કટિબધ્ધ થવાનો અનુરોધ કરતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી

મેડિકલ એજ્યુકેશન માટે વર્તમાન વર્ષમાં સમગ્ર દેશમાં 54 નવી મેડિકલ કોલેજોને મંજૂરી આપી છેઃ શ્રી માંડવિયા

Posted On: 02 SEP 2023 8:30PM by PIB Ahmedabad

વિદ્યાદીપ યુનિવર્સિટી તથા લાઈફ મોલ્ડિંગ એકેડમી દ્વારા સુરત શહેરના કતારગામ આંબાતલાવડી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયાએ 'સુરતના સ્વાસ્થ્ય રક્ષકો સાથે સંવાદ' કરતા તબીબોને સ્વસ્થ અને સમૃધ્ધ ભારતના નિર્માણમાં કટિબધ્ધ થવાનો અનુરોધ કર્યો હતો. 

આ અવસરે કેન્દ્રીય આરોગ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કોરોના પછી સમગ્ર વિશ્વ માટે હેલ્થ ચર્ચાનો વિષય બન્યો છે. કોરોના દરમિયાન વિવિધ દેશોના આરોગ્ય અધિકારીઓ સાથેની ચર્ચા મુજબ ધ્યાને આવ્યું કે, ભારત જેવું આરોગ્ય મોડેલ દુનિયાના કોઈ પણ દેશમાં નથી. દેશની વિરાસતમાંથી હંમેશા પ્રેરણા લઈને દેશની ઉન્નતિ થતી હોઈ છે. ભારતને રામાયણ, મહાભારત અને ગીતા જેવા ગ્રંથો વિરાસતમાં મળ્યા છે.

ભારતના વૈજ્ઞાનિકોએ કોરો વાયરસ સામે રક્ષણ આપતી સ્વદેશી વેક્સિન બનાવી હતી. ભારત માટે હેલ્થ સેકટરએ વ્યવસાય રહ્યો નથી પણ સ્વાસ્થ્ય સેવા રહી છે. સેવા કરવી એ ભારતીય લોકોનો સ્વભાવ છે. કોરોનામાં ભારતના તબીબો અને નર્સિંગ સ્ટાફ સહિત પેરામેડિકલ સ્ટાફે પોતાના પ્રાણની આહુતિ આપીને દર્દીઓની સેવા કરી છે જે બદલ આરોગ્ય મંત્રીશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા.

'કર્મના સિધ્ધાંત'ની વાત કહેતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, મહેનત સાથે કરેલું કર્મ ક્યારેય નિષ્ફળ નથી જતું. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. વિશ્વમાં કોઈ પણ રોગોની વેક્સિનનું રિસર્ચ થયા પછી ભારત દેશમાં 10 વર્ષથી લઈને 40 વર્ષે વેક્સિન મળતી હતી. પરંતુ ભારતના વૈજ્ઞાનિકોની મહેનતે ખૂબ ટુંકા સમયમાં સમગ્ર દુનિયાને વેક્સિન આપવામાં સફળતા મેળવી છે. વિશ્વના 74 દેશોને ભારતે કોરોનાની સ્વદેશી વેક્સિન આપીને આરોગ્ય ક્ષેત્રે મોટી સિધ્ધિ મેળવી છે. કોરોના બાદ બદલાયેલી પરિસ્થિતિમાં વિશ્વ ભારતના હેલ્થ સેક્ટરને લઈને આંકાક્ષા-અપેક્ષાથી જોવા લાગ્યું છે. વિશ્વએ અનૂભુતિ કરી કે, મુશ્કેલ કટોકટીમાં ભારત એક માત્ર દેશ હતો જે મદદે આવ્યો હતો. 2047ના વર્ષમાં જયારે ભારત તેના 100મા વર્ષની ઉઝવણી કરી રહ્યો હશે ત્યારે આરોગ્યક્ષેત્રે દેશનું ફાર્મા, ડિફેન્સ, ઈન્ડસ્ટ્રીઝ સેક્ટર, રેલ્વે, આઈટી સેક્ટર કેવું હશે તેવા વિઝન સાથે ભારત વિકાસ કરી રહ્યો છે. આત્મનિર્ભરતાના આધારે દેશનો નાગરિક કર્તવ્યનિષ્ઠા સાથે આગળ વધી રહ્યો છે હોવાનું તેમણે કહ્યું હતું.

વધુમાં કેન્દ્રીય આરોગ્યમંત્રીએ વિશેષ પ્રકાશ પાડતા કહ્યું હતું કે, મેડિકલ એજ્યુકેશન માટે વર્તમાન વર્ષ સમગ્ર દેશમાં 54 નવી મેડિકલ કોલેજોને મંજૂરી આપી છે. આર્ટિફિશ્યિલ ઈન્ટેલિઝન્સના આધારે રોગોનું નિરીક્ષણ કરવામાં આવશે તેવી વ્યવસ્થા ઉભી થવા જઈ રહી છે. જી-20 હેલ્થ સમિટની અંદર હિલ ઈન ઇન્ડિયા અંતર્ગત એક પોર્ટલ લોન્ચ કર્યું છે. મેડિકલ વેલ્યુ ટ્રાયલ પ્લેટફોર્મ પર લાવી રહ્યા છે. વિશ્વના દેશો અફોડેબલ હેલ્થકેર માટે ઈન્ડિયા એક ડેસ્ટિનેશનના રૂમમાં ઉભરી રહ્યું હોવાનું મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

હેલ્થ સેક્ટરમાં નવા નવા આયામ જોડી રહ્યા છીએ તેમાં સોશિયલ ઈક્વાલિટી અંતર્ગત ભારતમાં આયુષ્યમાન યોજના હેઠળ ગરીબ દર્દી પણ મોટી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. દુનિયાએ માન્યું છે કે, વર્તમાન સમયમાં ડિજિટલ ટેક્નોલોજી જ ઉપયોગી પુરવાર થઈ છે. ટેલિમેડિસીન, કોવિન જેવા પ્લેટફોર્મ ઉત્તમ ઉદાહરણ છે. સમૃધ્ધ રાષ્ટ્રના પાયામાં હેલ્થ સેકટર મહત્વનો ભાગ ભજવે છે. સ્વસ્થ નાગરિક સ્વસ્થ સમાજનું નિર્માણ કરતો હોય છે તેના થકી સમૃધ્ધ રાષ્ટ્રનું નિર્માણ થતુ હોવાનું તેમણે કહ્યું હતું.

આ પ્રસંગે પૂર્વ મેયર ડો.જગદીશભાઈ પટેલ, ડો.જયંતીભાઈ પટેલ, ડો.સંજયભાઈ ડુંગરાણી, ડો.રાજેશભાઈ ગોંડલિયા, ડો.પરેશભાઈ કાતરીયા, સુરતના વિવિધ એસોસિયેશનના પ્રમુખશ્રીઓ, વરિષ્ઠ તબીબો, હોસ્પિટલના ચેરમેનશ્રીઓ, સુરતના વિવિધ વિસ્તારના મેડિકલ એસોસિયેશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

CB/GP/JD

 



(Release ID: 1954420) Visitor Counter : 112