રેલવે મંત્રાલય
સુરત રેલવે સ્ટેશને કેન્દ્રીય રેલવે અને ટેક્સ્ટાઇલ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશે સૌરાષ્ટ્ર-તમિલ સંગમમ્ વિશેષ ટ્રેનનું સ્વાગત કર્યું
શ્રીમતી જરદોશ 21મીએ તમિલ સંગમમ્માં ઉપસ્થિત રહેશે
પોસ્ટેડ ઓન:
19 APR 2023 5:35PM by PIB Ahmedabad
સૌરાષ્ટ્ર-તમિલ સંગમમ્માં ભાગ લેવા મદુરાઇથી વેરાવળ જઈ રહેલા તમિલ યાત્રીઓનું કેન્દ્રીય રેલવે અને ટેક્સ્ટાઇલ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશે સુરત રેલવે સ્ટેશને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. સૌરાષ્ટ્ર-તમિલ સંગમમ્ વિશેષ ટ્રેન સુરત સ્ટેશને આજે બપોરે આવી પહોંચી ત્યારે સૌ યાત્રીઓને ભાવભીનો આવકાર અપાયો હતો અને શુભેચ્છાઓ પાઠવી ટ્રેનને રવાના કરવામાં આવી હતી.

શ્રીમતી જરદોશે આ પ્રસંગે સુરત સ્ટેશને વન સ્ટેશન વન પ્રોડક્ટ સ્ટૉલની પણ મુલાકાત લીધી હતી. આ સ્ટોલ એક મહિલા કારીગર દ્વારા ચલાવવામાં આવે છે અને તેમાં સુતરાઉ કપડાંથી લઈને દૈનિક પૂજા માટે હાથથી બનાવેલી વસ્તુઓ સુધીની મનોહર વસ્તુઓ છે. તેમણે અહીંથી ખરીદી કરી અને ડિજિટલ મોડ દ્વારા રકમ ચૂકવી હતી. આ પ્રસંગે સુરતના ધારાસભ્ય શ્રી અરવિંદભાઇ રાણા અને અન્ય લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

શ્રીમતી જરદોશ 21મી એપ્રિલ, શુક્રવારના રોજ સવારે 11:30 કલાકે સૌરાષ્ટ્ર તમિલ સંગમમ્માં પ્રતિનિધિઓ અને ત્યારબાદ મીડિયા સાથે વાત કરશે. સાંજે 5:30 કલાકે સંગમમ્માં ચિંતન શિબિર-ટેક્સ્ટાઇલ એન્ક્લેવમાં ઉપસ્થિત રહેશે.
YP/GP/JD
(રીલીઝ આઈડી: 1917970)
મુલાકાતી સંખ્યા : 225