પશુ સંવર્ધન, ડેરી અને મત્સ્ય ઉછેર મંત્રાલય
જેનરિક દવાઓ ભારતમાં જ નહિ, વિદેશોમાં પણ ચલણમાં છે: કેન્દ્રીય મંત્રીશ્રી રૂપાલા
પ૧ જેટલા દેશોમાં જેનરિક દવાઓની માંગ વધી છે: શ્રી રૂપાલા
જન ઔષધિ કેન્દ્ર સંચાલકોને જન ઔષધિ સર્વશ્રેષ્ઠ પુરસ્કાર-જન ઔષધિ જ્યોતિ પુરસ્કાર-જન ઔષધિ મિત્ર પુરસ્કારથી સન્માનિત કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
ગાંધીનગર ખાતે સિવિલ હોસ્પિટલમાં જન ઔષધિ દિવસની ઉજવણીમાં કેન્દ્રીય પશુપાલન-ડેરી ઉદ્યોગ મંત્રીશ્રી રૂપાલા-આરોગ્ય મંત્રીશ્રી રૂષિકેશ પટેલની ઉપસ્થિતિ
પોસ્ટેડ ઓન:
07 MAR 2023 4:06PM by PIB Ahmedabad
ગાંધીનગર ખાતે સિવિલ હોસ્પિટલમાં જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના માટે 7 માર્ચનો દિવસ જન ઔષધિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલા, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે કેન્દ્રીય પશુપાલન મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલાએ જણાવ્યું કે, લોકોમાં એવી ગેરમાન્યતા છે કે આવી દવાઓ અસરકારક નથી પણ જેનરિક દવાઓનો ઉપયોગ ખાલી ભારતમાં જ નહિ પરંતુ અમેરિકા અને યુરોપ જેવા દેશોમાં પણ થઇ રહ્યો છે. ૫૧ જેટલા દેશોમાં જેનરિક દવાઓના નિકાસ માટેની માંગ પણ ખુબ જ વધી છે.
તેમણે ઉમેર્યુ કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ભારતમાં આજે એવી ઘણી પ્રગતિશીલ ઘટનાઓ બની રહી છે જે વિશ્વના કોઈ ખૂણે બની નથી. એમાંનો જ એક પ્રયોગ એેટલે “પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના” છે. તેમણે આ વર્ષના જન ઔષધિ દિવસની ઉજવણીની થીમ ‘સસ્તી પણ-સારી પણ’ અંતર્ગત લોકોમાં જેનરિક દવાઓના ઉપયોગનો વ્યાપક પ્રચાર કરવા પણ અનુરોધ કર્યો હતો.

જ્યારે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, નાનામાં નાના, છેવાડાના, વંચિત કે જરૂરતમંદ સૌના આરોગ્ય સુખાકારીની પ્રતિબદ્ધતા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ હોલિસ્ટીક હેલ્થકેરની નવી પરંપરાથી દર્શાવી છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગરીબ માનવીને કે મધ્યમવર્ગીય પરિવારોને પાંચ લાખ રૂપિયા સુધીનું આરોગ્યરક્ષા યોજના આયુષ્યમાન ભારત અંતર્ગત મળે છે. એટલું જ નહિ, જરૂરતમંદ લોકોને સસ્તી અને સારી દવાઓ પણ હવે સરળતાએ પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર દ્વારા મળી રહે છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇના નેતૃત્વમાં આજે દરેક કલ્યાણ યોજના હોય કે આરોગ્ય સુવિધા સહિતના જનહિતલક્ષી કાર્યક્રમો હોય નાના માનવી, ગરીબોને કેન્દ્રસ્થાને રાખીને જ તેનું આયોજન થાય છે.
ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, દેશના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને નજીવા દરે ગુણવત્તાયુક્ત દવાઓ સરળતાથી મળતી થાય તે માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનથી દેશમાં જન ઔષધિ કેન્દ્રોનું સુદ્રઢ માળખું ઉભું થયું છે. તેમણે ઉમેર્યું હતું કે, વર્ષ ૨૦૧૪ સુધીમાં દેશભરમાં જન ઔષધિ કેન્દ્રોની સંખ્યા માત્ર ૯૯ જ હતી, જ્યારે હાલ સમગ્ર દેશમાં ૯૦૦૦થી પણ વધુ કેન્દ્રો કાર્યરત છે. માત્ર ગુજરાતમાં જ ૫૧૮ જેટલા જન ઔષધિ કેન્દ્રો કાર્યરત છે, આ કેન્દ્રો પરથી WHO પ્રમાણિત ૧૭૫૦ જેટલી દવાઓ અને ૨૮૦ જેટલી સર્જીકલ સામગ્રી ઉપલબ્ધ છે.
રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલે શાબ્દિક સ્વાગત કરીને સૌને જન ઔષધિ પરિયોજનાની વિસ્તૃત માહિતી આપી હતી, તેમજ જી.એમ.એસ.સી.એલ.ના નિયામક શ્રી અજય પ્રકાશે આભારવિધિ કરી હતી.
આ ઉપરાંત પીએમબીજેપી યોજનાના લાભાર્થી તેમજ જન ઔષધિ કેન્દ્ર સંચાલકે તેમના પ્રતિભાવો રજૂ કર્યા હતા.
આ પ્રસંગે આરોગ્ય કમિશનર શ્રીમતી શાહમીના હુસૈન, નેશનલ હેલ્થ મિશનના મિશન ડીરેક્ટર શ્રીમતી રેમ્યા મોહન સહિત વિવિધ પદાધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ, ઔષધિ કેન્દ્રો ચલાવતા ઔષધિ મિત્રો અને મોટી સંખ્યામાં પીએમબીજેપી યોજનાના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
YP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1904861)
મુલાકાતી સંખ્યા : 255