સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

વડોદરામાં રાષ્ટ્રીય રેલ એકેડમી અને દક્ષિણ ગુજરાત પોસ્ટલ રિજન દ્વારા સંયુક્ત આયોજિત સમારોહમાં કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ દ્વારા નિમણૂક પત્રો આપવામાં આવ્યા


પ્રધાનમંત્રી શ્રીના વિઝનને સાકાર કરતા તમામ મંત્રાલયો અને વિભાગો "મિશન મોડ" પર હાલની ખાલી જગ્યાઓ ભરવા માટે કામ કરી રહ્યા છેઃ શ્રી દેવુસિંહ ચૌહાણ

વડોદરામાં કુલ 147 ઉમેદવારોને નિમણૂંક પત્રો અપાયા

Posted On: 22 OCT 2022 3:28PM by PIB Ahmedabad

ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આજે મિશન એમ્પ્લોયમેન્ટ પ્લાન અંતર્ગત દેશભરમાં સરકારી વિવિધ વિભાગોમાં 10 લાખ ઉમેદવારોની ભરતી કરીને રોજગારી પત્રો એનાયત કર્યા હતા.દેશભરમાં વિવિધ મંત્રાલયો અને વિભાગો દ્વારા 50 કેન્દ્રો પર "રોજગાર મેળા"નું આયોજન કરાયુ હતું. જેમાં 75000 જેટલા નવા નિયુકત યુવાઓને મહાનુભાવોના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

આ અંતર્ગત વડોદરા સ્થિત રાષ્ટ્રીય રેલ એકેડમી અને દક્ષિણ ગુજરાત પોસ્ટલ રિજન દ્વારા સંયુક્ત રીતે સરદાર પટેલ સભાગૃહ ખાતે આયોજિત સમારોહમા ભારત સરકારના સંચાર રાજ્ય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી દ્વારા વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરાયેલા સંબોધનને નિહાળવામાં આવ્યુ હતું. ત્યારબાદ, પોસ્ટ વિભાગના 50 સહિત વિવિધ વિભાગના ૧૦૦થી વધુ નવા નિયુક્ત યુવાનોને માનનીય સંચાર રાજ્ય મંત્રી દ્વારા નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા.

આ પ્રસંગેવડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ, વડોદરાના મેયર કેયુર રોકડિયા, ડિવિઝનલ રેલ્વે મેનેજર અમિત ગુપ્તા, દક્ષિણ ગુજરાતના પોસ્ટ માસ્ટર જનરલ પ્રીતિ અગ્રવાલ, રેલ્વે તેમજ પોસ્ટ વિભાગના અધિકારીઓ તથા મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા.

સમારોહમાં ઉપસ્થિત સરકારના વિવિધ વિભાગોમા નવ નિયુક્ત યુવાનોને સંબોધન કરતા સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે યુવાનો માટે નોકરીની તકો પૂરી પાડવા અને નાગરિકોનું કલ્યાણ સુનિશ્ચિત કરવા માટે પ્રધાનમંત્રીની સતત પ્રતિબદ્ધતાને પરિપૂર્ણ કરવા તરફ આ એક મહત્વપૂર્ણ પગલું હશે. તમામ મંત્રાલયો અને વિભાગો "મિશન મોડ" પર હાલની ખાલી જગ્યાઓ ભરવા માટે કામ કરી રહ્યા છે.નવી ટેક્નોલોજીના ઉપયોગથી યુવાનોને તેમની પસંદગી થઈ છે તેની પહેલા જાણ થાય છે  અને નોકરી મેળવનાર યુવાન સામેથી સરકારી ઓફિસમાં જઈ અધિકારીને જાણ કરે છે. આ પૂર્વે સરકારી ઓફિસમાંથી ફોન કરે ત્યારે યુવાનોને જાણ થતી કે તેમનું સિલેક્શન થયું છે. આ બધું  પ્રધાનમંત્રીના શાસનમાં ડિજિટલ ટેકનોલોજીના વ્યાપથી શક્ય બન્યું છે. આ સિવાય ઘણા બધા લોકોપયોગી બદલાવ પ્રધાનમંત્રીના શાસનમાં થયા છે. અત્યારે જમાનો એવો છે કે સક્ષમ બનો અને નોકરી મેળવો.

વડોદરામાં કુલ 147 ઉમેદવારોને નિમણૂંક પત્રો અપાયા, જેની વિગતો આ પ્રમાણે છે.

1) ભારતીય રેલવે -64

2) સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા-04

3) બેન્ક ઓફ મહારાષ્ટ્ર-02

4) પોસ્ટ વિભાગ-57

5) જીએસટી-12

6) ઈએસઆઈસી-08

YP/GP'JD

 



(Release ID: 1870240) Visitor Counter : 166