કાયદો અને ન્યાય મંત્રાલય

નર્મદા જિલ્લાના એકતાનગર ટેન્ટસીટી નં-2 ખાતે દેશના કાયદા મંત્રીશ્રીઓ-સચિવશ્રીઓની અખિલ ભારતીય કોન્ફરન્સ યોજાઈ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એકતાનગર ખાતે આયોજિત દેશના કાયદા મંત્રી અને સચિવોની પરિષદને વિડિયો સંદેશના માધ્યમથી સંબોધન કર્યું

ભારત સરકારના કાયદા અને ન્યાય મંત્રીશ્રી કિરણ રિજજુએ દેશના કાયદા મંત્રી અને સચિવોની પરિષદને દીપ પ્રાગટ્ય કરી ખુલ્લી મૂકી

પરિષદનો આશય એક મજબૂત ન્યાયિક પર્યાવરણના વિકાસમાં ઉત્પ્રેરક બનીને પ્રધાનમંત્રીશ્રીના તંત્ર વિષયક વિઝન 2047ને સાકાર કરવામાં યોગદાન આપવાનોઃ શ્રી રિજિજુ

રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વર્ચ્યુઅલી આ પરિષદમાં જોડાયા

Posted On: 15 OCT 2022 3:29PM by PIB Ahmedabad

ભારત સરકારના કાયદા અને ન્યાય મંત્રીશ્રી કિરણ રિજજુએ આ પરિષદ યોજવા માટે સરદાર સાહેબની જીવંત પ્રેરણાના કેન્દ્ર જેવા આ સ્થળનું સૂચન કરવા અને ઉમદા સુવિધાઓના સૌજન્ય માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને બિરદાવ્યા હતા. પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ લાંબા સમયના વિરામ પછી આ પરિષદ યોજી શકાઈ એનો આનંદ વ્યક્ત કરતા કેન્દ્રીય કાયદામંત્રી શ્રીએ જણાવ્યું કે આ પરિષદનો વિમર્શ ન્યાય તંત્ર અને વ્યવસ્થાઓને મજબૂત કરવાંમાં નિર્ણાયક બની રહેશે.રાજ્યના મુખ્યમંત્રીશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ ખૂબ પ્રોત્સાહક છે.

તેમણે કહ્યું કે ભારત વિશ્વમાં ઝડપી ગતિથી વિકસી રહેલું અર્થતંત્ર છે.આ પરિષદનો આશય એક મજબૂત ન્યાયિક પર્યાવરણના વિકાસમાં ઉત્પ્રેરક બનીને પ્રધાનમંત્રીશ્રીના, ન્યાય તંત્ર વિષયક વિઝન 2047ને સાકાર કરવામાં યોગદાન આપવાનો છે.

તેમણે જણાવ્યું કે ન્યાયતંત્ર પર પડતર કેસોનું ભારણ વધી રહ્યું છે ત્યારે આપણે સાથે મળીને સરળ અને ઝડપી ન્યાય પ્રણાલીના વિકાસ માટે કાર્યરત બનીએ. ઝડપી ન્યાય માટે મિડિયેશન બિલ સંસદમાં ઝડપથી રજૂ કરવા અને અમલી બનાવવા અમે પ્રયત્નશીલ છે એવો સંકેત તેમણે આપ્યો હતો. દરેકને ઝડપી ન્યાય સુલભ બને તેવી વ્યવસ્થાઓ વિચારવા અને કાર્યાન્વિત કરવા પર તેમણે ભાર મૂક્યો હતો.

તેમણે કહ્યું કે અદાલત બહાર સરળતાથી વિવાદોનું નિરાકરણ વધે તેવી સુચારુ વ્યવસ્થાઓ વિકસાવવા થી ન્યાય તંત્ર પરનું ભારણ હળવું થશે.ન્યાય તંત્ર અને કાર્યપાલિકા વચ્ચે સુસંક્લન ઉપકારક બની રહેશે એવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી. તેમણે રાજ્યો અને સંઘ પ્રદેશો એ ન્યાય તંત્ર અને ન્યાય વ્યવસ્થાને મજબૂત કરવા માટે કરેલી વિવિધ પહેલો અને વ્યવસ્થાઓને આવકારી હતી.

 

કિરણજીએ ઘર આંગણે ન્યાયની કલ્યાણ પરિકલ્પના સાકાર કરવા આહવાન કર્યું હતું. ઝડપી અને સરળ ન્યાયની ખાત્રી માટે અદ્યતન ટેકનોલોજીના સુચારુ વિનિયોગ ની એમણે હિમાયત કરી હતી.

 

તેમણે ફાસ્ટ ટ્રેક કોર્ટને ઝડપી ન્યાય માટે આશીર્વાદ રૂપ ગણાવતા આયોજન પ્રમાણે આવી અદાલતો ઝડપથી કાર્યાન્વિત કરવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે જરૂરી માળખાકીય સંરચનાઓ ઉપલબ્ધ થવાથી ન્યાયની પ્રક્રિયા વેગવાન બનશે.

 

ઝડપી ન્યાયની ખાતરી માટે નવી ટેકનોલોજીના વિનિયોગનો અનુરોધ કરતાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે ગુજરાત સરકારે ન્યાય તંત્રને જરૂરી અદ્યતન માળખાકીય સુવિધાઓના વિકાસ અને જરૂરી માનવ સંપદાની ઉપલબ્ધિનું આયોજન કર્યું છે.ગયા વર્ષના અંદાજપત્રમાં પણ કાયદા અને ન્યાય વિભાગ માટે રૂ.1700 કરોડની જોગવાઈ કરી હતી.

તેમણે કોરોનાના સમયગાળામાં અદાલતોના વર્ચ્યુઅલ સંચાલનની વિગતો આપવાની સાથે સોશિયલ મીડિયા મંચોના સઘન ઉપયોગની જાણકારી આપી હતી. ઝડપી ન્યાય માટે અદાલતોને ઇન્ટરનેટ અને ડિજિટલ સુવિધાઓથી જોડવામાં આવી રહી છે. ગુજરાત ન્યાય વ્યવસ્થાની બાબતમાં પ્રધાનમંત્રીશ્રી ના વિઝન 2047નો અમલ કરી રહ્યું છે.તેમણે કહ્યું કે વિશ્વની સૌ થી મોટી સરદાર પ્રતિમાના સાનિધ્યે આ પરિષદ યોજાઈ એ આનંદની વાત છે.સરદાર સાહેબે ધિખતી વકીલાત છોડીને પોતાની જાતને રાષ્ટ્ર સેવામાં જોતરી હતી. એ હકીકત ખૂબ પ્રેરણાદાયક બની રહેશે.સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવીને પ્રધાનમંત્રીએ સરદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલિ આપી છે એવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી અને સૌને ગુજરાતના અતિથિ તરીકે હૃદયપૂર્વક આવકાર્યા હતા

એકતા નગર ખાતેની બે દિવસીય નેશનલ કોન્ફરન્સના ઉદ્ઘાટન સત્ર બાદ ગુજરાતના કાયદો અને ન્યાયતંત્ર વિભાગના મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, સમગ્ર ભારત દેશના કાયદા મંત્રીશ્રીઓ અને કાયદા સચિવશ્રીઓની અગત્યની કોન્ફરન્સ ભારત સરકાર દ્વારા એકતાનગર ખાતે બોલાવવામાં આવી છે. જગ્યાની પસંદગી પણ સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં કરવામાં આવી છે. સરદાર સાહેબ પોતે પણ વકીલ હતા. આ તબક્કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું છે કે, 5Gના કારણે કોર્ટમાં ઈ-ફાઈલિંગ સરળતાથી થાય અને કેસોની સુનવણી પણ ઓનલાઈન થઈ શકે. ટેક્નોલોજીના માધ્યમથી ન્યાય પ્રણાલીને કેવી રીતે સરળ બનાવી શકાય અને લોકોને ઘર આંગણે ન્યાય મળે તે માટેનું પ્રધાનમંત્રીશ્રીએ જે સૂચન કર્યું છે તેનું મનોમંથન અહીં થવાનું છે.

YP/GP/JD



(Release ID: 1868045) Visitor Counter : 187