પશુ સંવર્ધન, ડેરી અને મત્સ્ય ઉછેર મંત્રાલય

ભાવનગરના આંગણે યોજાયો 'વતનના વિસરાયેલા વીરોની વાત અંગેનો અદભૂત કાર્યક્રમ ‘વીરાંજલિ’


વીરાંજલિ એ પાળિયાને પોંખવાનો અને તેને પુનઃ પ્રસ્થાપિત કરવાનો અવસર છેઃ મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી વિભાગના કેન્દ્રીય મંત્રીશ્રી પરશોત્તમભાઈ રૂપાલા

સાંઈરામ દવે તથા રંગમંચના આશરે ૧૦૦થી વધુ કલાકારો દ્વારા ‘મલ્ટી મીડિયા શો’ દ્વારા અદભૂત પ્રસ્તુતિને ભાવનગરવાસીઓએ વધાવી લીધી

Posted On: 26 AUG 2022 9:41AM by PIB Ahmedabad

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજિત 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત ‘મા ભારતી’ના પ્યારા ક્રાંતિવીરોની શહાદતને નમન કરવાનો પૂણ્ય અવસર આપતો એક ભવ્ય મલ્ટીમીડિયા શો ’વીરાંજલિ’ મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના પેડક મેદાનમાં યોજાયો હતો.

મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી વિભાગના કેન્દ્રીય કેબિનેટ મંત્રીશ્રી પરશોત્તમભાઈ રૂપાલા, શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી, પ્રભારી તથા વન અને પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણા, સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી શ્રી આર. સી. મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો.

ઉલ્લેખનીય છે કે, પ્રદિપસિંહ વાઘેલા પ્રેરિત વીરાંજલિ સમિતિ દ્વારા ક્રાંતિવીરોની રક્ત નીતરતી ગાથા એક ભવ્યાતિભવ્ય ’મલ્ટીમીડિયા શો’ દ્વારા ભાવનગર શહેરમાં પ્રથમવાર યોજાઈ હતી.

અદભૂત ડાન્સ એન્ડ ડ્રામા સાથેના દેશભક્તિના ગુજરાતના આ સર્વ પ્રથમ મેગા મ્યુઝિકલ ડ્રામામાં વીર શહીદોના ગુણગાન અને રાષ્ટ્રભક્તિના રંગને ભાવનગરવાસીઓએ તાળીઓના નાદથી વધાવી લીધી હતી.

આ અવસરે મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી વિભાગના કેન્દ્રીય કેબિનેટ મંત્રીશ્રી પરષોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું કે, આ પાળિયાને પોંખવાનો અવસર છે તેને પુનઃ પ્રસ્થાપિત કરવાનો અવસર છે.

અખંડ ભારતના નિર્માણમાં સૌ પ્રથમ પોતાનું રજવાડું આપનાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીને કારણે જ કદાચ ભારતના નામની શરૂઆતના પ્રથમ અક્ષર ભાવનગરને લઈને ભા-રતથી શરૂ થાય છે તેમ જણાવી તેમણે કહ્યું કે, એક સમય એવો પણ આવ્યો કે જ્યારે વીરોને વિસારી દેવામાં આવ્યાં હતાં તેવાં સમયે આ કાર્યક્રમ દ્વારા તેને પુનઃ સજીવન કરવામાં આવી રહ્યો છે. 

આ અવસરે શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે, આ એક એવો કાર્યક્રમ છે જે ભાષણનો નહીં પણ જોવાનો, માણવાનો છે. 

ભારત માટે શહીદ થઈ જનારા શહીદોને યાદ કરવાનો અને તેમને અંજલિ આપવાનો અવસર છે તેમ જણાવી તેમણે કહ્યું કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને યુવક, સેવા અને સાંસ્કૃતિક બાબતોના મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ અને સમગ્ર વિશ્વનું ગૌરવ એવાં શ્રી સાંઈરામ દવેએ તેની પટકથા લખી છે તેવો સૌથી મોટો આ મલ્ટી મિડિયા શો છે.

તેમણે વધુમાં કહ્યું કે, આઝાદીનું અમૃત વર્ષ સમગ્ર દેશમાં આપણે ઉત્સાહભેર ઉજવી રહ્યાં છે તેવાં સમયે આ વીરાંજલિનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે જ્યારે આપણે જીવનમાં જે કંઈ કરીએ ત્યારે 'માં' ભારતી સૌ પ્રથમ હોય તેમ સંકલ્પબદ્ધ થઈએ તેવી અપીલ તેમણે કરી હતી.

આ અવસરે ધારાસભ્ય સુશ્રી વિભાવરીબેન દવે, ધારાસભ્યશ્રી કેશુભાઈ નાકરાણી, મેયર શ્રીમતી કીર્તિબાળા દાણીધારીયા, ભા.જ.પા. ઉપાધ્યક્ષશ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, શહેર ભા.જ.પા. પ્રમુખશ્રી ડો. રાજીવભાઇ પંડ્યા, ડે. મેયરશ્રી કૃણાલકુમાર શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી ધીરૂભાઇ ધામેલીયા, મ્યુનિસિપલ કમિશ્નરશ્રી એન.વી.ઉપાધ્યાય, રેન્જ આઈ.જી. શ્રી અશોકકુમાર યાદવ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જિલોવા, જિલ્લા પોલીસ વડાશ્રી ડો. રવિન્દ્ર પટેલ, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટી વાઇસ ચાન્સેલરશ્રી ડો.એમ.એમ.ત્રિવેદી,  શહેર અને જિલ્લાના ગણમાન્ય નાગરિકો, પદાધિકારીઓ- અધિકારીઓ અને મોટી સંખ્યામાં ભાવેણાવાસીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1854543) Visitor Counter : 165