માહિતી અને પ્રસારણ મંત્રાલય

શામળાજી લોકમેળામાં ભારત સરકારની અનોખી પહેલ, યોજનાઓની માહિતી સાથે અભિયાનો અંગે લોક જાગૃતિ ફેલાવવા લોકસંપર્ક કાર્યક્રમનું આયોજન


શામળાજી મેળામાં ફિલ્ડ આઉટરીચ બ્યુરો,પાલનપુર દ્વારા આયોજીત લોકસંપર્ક કાર્યક્રમનું સાંસદશ્રી દિપસિંહ રાઠોડના હસ્તે ઉદઘાટન, મેળામાં જાણકારી સાથે ફેલાવાશે જાગૃતિનો સંદેશ

Posted On: 15 NOV 2021 5:06PM by PIB Ahmedabad

ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફિલ્ડ આઉટરીચ બ્યુરો,પાલનપુર દ્વારા શામળાજીના લોકમેળામાં આઝાદીના અમૃત મહોત્સવ પ્રદર્શન સાથે લોકસંપર્ક કાર્યક્રમનું  આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદ્દઘાટન સાબરકાંઠા-અરવલ્લીના સાંસદશ્રી દિપસિંહ રાઠોડના હસ્તે કરવામાં આવ્યું. માહિતી અને પ્રસારણ મંત્રાલયના રીજનલ આઉટરીચ બ્યુરો, ગુજરાતના નિદેશક શ્રીમતિ સરિતાબેન દલાલ, રીજનલ આઉટરીચ બ્યુરો અમદાવાદના ફિલ્ડ એક્ઝિબિશન ઓફિસર શ્રીમતી સુમનબેન મછાર, શામળાજી વિષ્ણુમંદિરના વાઇસ ચેરમેન રણવીરસિંહ ડાભી, ભિલોડા તાલુકા વિકાસ અધિકારી શ્રી નવીન પરમાર, જિલ્લા આયુર્વેદ અધિકારી વૈધ જગદીશ કટારા, પશુ ચિકિત્સા અધિકારી ડૉ.જિતેન્દ્ર ભુતડીયા, તેમજ જિલ્લાના અન્ય અધિકારી-પદાધિકારીઓની ઉપસ્થિતિમાં સાંસદશ્રી દિપ પ્રાગટ્ય દ્વારા લોકસંપર્ક કાર્યક્રમને લોકો સમક્ષ ખુલ્લો મુક્યો હતો.

રિજનલ આઉટરીચ બ્યુરો,અમદાવાદના નિદેશક શ્રીમતિ સરિતા દલાલે કાર્યક્રમના હેતુને સ્પષ્ટ કરતા જણાવ્યું કે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરુપે શામળાજીના મેળામાં કેન્દ્ર સરકારના વિભાગ દ્વારા ઇન્ટીગ્રેટેડ કમ્યુનિકેશન એન્ડ આઉટરીચ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. લોકોમાં રાષ્ટ્રભાવનાનો સંચાર થાય તે માટે અહીં વિશાળ પ્રદર્શન સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે. સાથે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ વિશે છેવાડાના માનવી સુધી સચોટ માહિતિ સાથે માર્ગદર્શન પહોંચે તે માટેના પ્રયાસો હાથ ધરાશે.

સાંસદશ્રી દિપસિંહ રાઠોડે શામળાજીના લોકસાંસ્કૃતિક મેળામાં આયોજીત લોકસંપર્ક કાર્યક્રમને બિરદાવતાં તેમના વક્તવ્યમાં જણાવ્યું કે લોકો માટે બનતી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચે તે જરુરી છે અને માટે આવા આયોજન મહત્વના સાબીત થાય છે. વધુમાં તેમણે કહ્યું કે વર્તમાન કેન્દ્ર સરકાર જન-જનના વિકાસ થકી રાષ્ટ્રના વિકાસ માટે કટિબધ્ધ છે. આપણા પ્રધાનમંત્રીશ્રી દેશના પ્રત્યેક નાગરિકની સુખાકારી માટે નીતનવી યોજનાઓનું અમલીકરણ કરાવી રહ્યાં છે સાથે વિભિન્ન અભિયાનો થકી રાષ્ટ્રને ઉન્નત શિખરો સુધી પહોંચાડવા પ્રયત્નશીલ છે ત્યારે આપણે સૌ કોઇએ વિવિધ અભિયાનોમાં સહયોગ આપી રાષ્ટ્રના વિકાસમાં આપણું યોગદાન આપવું જોઇએ.

 

ફિલ્ડ આઉટરીચ બ્યુરો, પાલનપુરના અધિકારી જે.ડી.ચૌધરી તેમજ સૌરાષ્ટ્ર ઝોનના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ કાર્યક્રમનું સંચાલન કરવાની સાથે તેમના વક્તવ્યમાં જણાવ્યું કે જનજન સુધી જાણકારી એજ કાર્યક્રમનો ઉદ્દેશ્ય છે. સાથે સરકારના વિવિધ અભિયાન જેવા કે સ્વચ્છ ભારત અભિયાન, બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન, પોષણ અભિયાન, જલ સંરક્ષણ અભિયાનમાં લોક જાગૃતિ લાવવાનો પણ ઉદ્દેશ્ય રહેશે. જે માટે વિશાળ પ્રદર્શન સાથે સાસ્કૃતિક કાર્યક્રમો, વિવિધ સ્પર્ધાઓનું આયોજન, પત્રિકા વિતરણ તેમજ જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગોના સ્ટોલ્સ કાર્યક્રમનાં મુખ્ય આકર્ષણ  રહેશે.

ઉદઘાટન સમારોહમાં જાગરુતતા સંદેશ આપતા મનોરંજક નાટકની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. તેમજ ચિત્ર સ્પર્ધાના વિજેતાઓને મહાનુભાવોના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિ કરાયા હતા.



(Release ID: 1772005) Visitor Counter : 148