વહાણવટા મંત્રાલય

ગતિ શક્તિ માસ્ટર પ્લાન માળખાકીય સુવિધાઓના વિકાસને વેગવાન બનાવશે: શ્રી સર્બાનંદ સોનોવાલ


વિશ્વ કક્ષાના અવરોધરહિત મલ્ટિમોડલ પરિવહન નેટવર્કના નિર્માણમાં તાલમેલ લાવશે: શ્રી સોનોવાલ

Posted On: 19 OCT 2021 1:35PM by PIB Ahmedabad

આદરણીય કેન્દ્રીય બંદર, જહાજ અને જળમાર્ગ તેમજ આયુષ મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલે સોમવારે દીનદયાળ બંદર ટ્રસ્ટના વેપાર ભાગીદારો સાથે સંવાદ સત્ર દરમિયાન સંબોધન કરતી વખતે બંદરોની આગેવાની હેઠળ વિકાસ અને તાજેતરમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન હેઠળ વધુ માળખાકીય સુવિધાઓના સર્જનના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.

શ્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું કે ગતિ શક્તિ કાર્યક્રમ વિભાગો દ્વારા એકલા કામ કરવાની રૂઢીગત કાર્યશૈલીને તોડવા માટે નિર્ણય લેવાની પ્રક્રિયામાં આમૂલ પરિવર્તનને ચિહ્નિત કરે છે. પ્રસ્તાવિત પ્લાનમાં, હાલમાં અસ્તિત્વમાં રહેલા તેમજ સૂચિત તમામ ઇકોનોમિક ઝોનનું મલ્ટિમોડેલ કનેક્ટિવિટી માળખાકીય સુવિધાઓ સાથે એક પ્લેટફોર્મ પર મેપિંગ કરવામાં આવ્યું છે. વિવિધ મંત્રાલયોની વ્યક્તિગત પરિયોજનાઓનું પરીક્ષણ કરવામાં આવશે અને એકંદરે પ્લાન દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા માપદંડોમાં રહીને ભવિષ્યમાં તેને મંજૂરી આપવામાં આવશે, જેના કારણે પ્રયાસો વચ્ચે તાલમેલ બેસાડી શકાશે. ભારતમાં વિશ્વ કક્ષાનું, અવરોધરહિત મલ્ટિમોડલ પરિવહન નેટવર્કનું નિર્માણ કરવામાં ગતિ શક્તિ માસ્ટર પ્લાન તાલમેલ લાવશે. રાષ્ટ્રીય માસ્ટર પ્લાન માળખાકીય સુવિધાઓના સંકલિત આયોજન માટે આધુનિક ટેકનોલોજી અને અદ્યતન IT સાધનોને અમલમાં મૂકશે. પૂરાવા આધારિત નિર્ણયો લેવા માટે 200 કરતાં વધારે સ્તરો સાથેની GIS આધારિત ઉદ્યોગ સંસાધન આયોજન પ્રણાલી આનું એક ઉદાહરણ છે. દેખરેખ રાખવા માટે ઉપગ્રહોની તસવીરોનો ઉપયોગ અન્ય એક ઉદાહરણ પૂરું પાડે છે. સમયસર મંજૂરીઓ અને સંભવિત સમસ્યાઓના ફ્લેગિંગની ખાતરી કરવામાં તેમજ પરિયોજના પર દેખરેખ રાખવામાં ડિજિટાઇઝેશન ખૂબ મોટી ભૂમિકા નિભાવશે.

કાર્યદક્ષ લોજિસ્ટિક નેટવર્ક એક આવશ્યક સ્થિતિ છે. અન્ય એક જરૂરી સ્થિતિ, વિનિર્માણ ક્ષેત્રમાં આર્થિક વ્યાપકતા પ્રાપ્ત કરવાની છે. ઔદ્યોગિક પાર્કો અને લોજિસ્ટિક પાર્કોનું કદ વૈશ્વિક સ્પર્ધાત્મકતાના સ્તર સુધી વધારવાની જરૂર છે. રાષ્ટ્રીય ઔદ્યોગિક કોરિડોર વિકાસ સંગઠન (NICDC), જે અગાઉ DMIDC તરીકે ઓળખાતું હતું, તે આવા ઔદ્યોગિક કોરિડોર્સનો વિકાસ કરવા માટે રાજ્ય સરકારો સાથે ઘનિષ્ઠ સંકલન સ્થાપિત કરીને કામ કરશે. સૌની સહિયારી દૂરંદેશી સાથે પરિયોજનાઓની ડિઝાઇન અને અમલીકરણ કરવામાં આવશે અને વિવિધ મંત્રાલયો તેમજ રાજ્ય સરકારોની માળખાકીય સુવિધા યોજનાઓ જેમકે, ભારતમાલા માર્ગ પરિયોજના, સાગરમાલા જળમાર્ગ યોજના, બંદરો અને ઉડાન યોજના વગેરેને સામેલ કરવામાં આવશે.

શ્રી સોનોવાલે વધુમાં વેપારજગત દ્વારા રજૂ કરવામાં આવેલા વિવિધ મુદ્દાઓ ધ્યાનમાં લીધા હતા અને બંદરોની કામગીરી તેમજ લોજિસ્ટિક યોજનાઓની અન્ય લિંક્સમાં સામેલ વિવિધ એજન્સીઓ વચ્ચે અસરકારક ભાગીદારી પર વિશેષ ભાર મૂક્યો હતો. આદરણીય મંત્રીશ્રીએ દીનદયાળ બંદર ટ્રસ્ટ દ્વારા જહાજોના ટર્ન અરાઉન્ડ ટાઇમ (TAT)માં ઘટાડો કરવા માટે MoSPWના માર્ગદર્શન હેઠળ માળખાકીય સુવિધાઓનું સર્જન કરવા માટે હાથ ધરવામાં આવેલા વિવિધ સાહસો પર પણ પ્રકાશ પાડ્યો હતો અને -દૃષ્ટિ, RFID આધારિત ઍક્સેસ નિયંત્રણ પ્રણાલી, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ (EoDB)નું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે DPT દ્વારા અમલમાં મૂકમાં આવેલી ક્લાઉડ આધારિત ERPના અમલીકરણ જેવી વિવિધ પરિયોજનાઓનો પણ વિશેષ ઉલ્લેખ કર્યો હતો.

 



(Release ID: 1764888) Visitor Counter : 169


Read this release in: English