રસાયણ અને ખાતર મંત્રાલય

ભાવનગરનાં શામપરા ખાતે આવેલ કન્ટેઇનર નિર્માણ માટેની ફેક્ટરીની મુલાકાત લેતાં કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ મંડવિયા


કન્ટેઇનર નિર્માણમાં લીડ લઇ ભાવનગર આગામી દિવસોમાં કન્ટેઇનર્સ નિર્માણનું મહત્વનું કેન્દ્ર બની રહેશે: શ્રી મનસુખભાઇ માંડવિયા

૨૦ ફૂટ અને ૪૦ જી.પી.નાં કન્ટેઇનરની મુલાકાત લઈ તેની તલસ્પર્શી વિગતો વિશે જાણકારી મેળવી

ભાવનગરમાં આગામી સમયમાં ૧૦ થી વધુ ઉત્પાદકો કન્ટેઇનર ઉત્પાદનમાં જોડાશે

Posted On: 01 OCT 2021 7:34PM by PIB Ahmedabad

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ રસાયણ અને ખાતર મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયાએ આજે બપોર બાદ સિહોર પાસે આવેલ એ.પી.પી.એલ.કન્ટેઇનર્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા નિર્મિત ૨૦ જી.પી. અને ૪૦ જી.પી. કાર્ગો કન્ટેઇનર્સનું નિરીક્ષણ કર્યું હતું. મંત્રીશ્રીએ કન્ટેઇનર્સ નિર્માણની તલસ્પર્શી વિગતો જાણી કન્ટેઇનર્સ નિર્માણ ફેક્ટરીની પણ મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે, વૈશ્વિક સ્તરે કન્ટેઇનર્સની ઉણપ છે. વિશ્વમાં વાર્ષિક ૩ લાખ કન્ટેઇનર્સની જરૂરત પડે છે. ભારતમાં પણ તેની મોટી માંગ છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે, છ મહિના પહેલા ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સમાં તે અંગેની વાત કરી હતી અને માત્ર છ મહિનામાં ભાવનગરની કંપની દ્વારા કન્ટેઇનર્સ નિર્માણનું કામ વિધિવત રીતે શરૂ થઈ ગયું છે તે આનંદની વાત છે.

તેમણે ઉમેર્યું કે, આ કંપનીની શરૂઆત બાદ અન્ય છ કંપનીઓ સાથે ૧૦ ઉત્પાદકો ભાવનગરમાં કન્ટેઇનર્સ  નિર્માણ કરવાની શરૂઆત કરવાનાં છે. આ રીતે કન્ટેઇનર્સ બનાવવાં ભારતનાં અભિયાનમાં ભાવનગર લીડ લેશે.

ભાવનનગરમાં કન્ટેઇનર્સ નિર્માણની શરૂઆત થતાં એક ઇકો સિસ્ટમ બનશે તેનાં આધારે ક્લસ્ટર બનાવાશે અને ભારતમાં જ નિર્મિત કન્ટેઇનર્સ દ્વારા આત્મનિર્ભર ભારતનો મંત્ર સાકાર કરી શકાશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, ભારત સરકાર આવાં કન્ટેઇનર્સ નિર્માતાઓને મદદરૂપ બનવા અંગેની નીતિ પણ ઘડશે.

મંત્રીશ્રીએ એ.પી.પી.એલ. કંપનીનાં ડાયરેક્ટરશ્રી વલ્લભભાઈ વિરડીયા, હસુમુખભાઈ વિરડીયાને પોતાનાં ઇજનને પ્રતિભાવ આપી તુરંત જ કન્ટેઇનર્સ નિર્માણ કરવાં માટે સહયોગ આપવા માટે અભિનંદન આપ્યાં હતાં.

મંત્રીશ્રીએ કંપનીનાં ઉત્પાદન એકમની મુલાકાત લઇ તેની ઉત્પાદન પ્રક્રિયાને પ્રત્યક્ષ નિહાળી હતી.

SD/GP/JD



(Release ID: 1760096) Visitor Counter : 188