માહિતી અને પ્રસારણ મંત્રાલય

મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી ઇ-ફ્લેગિંગ દ્વારા કોવિડ વિજય રથનો કરાવશે પ્રારંભ

Posted On: 06 SEP 2020 6:24PM by PIB Ahmedabad

વિશ્વભરને હચમચાવી દેનાર ભીષણ મહામારી કોવિડ-19 સામે યુદ્ધ ભારત દેશમાં હવે નિર્ણાયક તબક્કે પહોંચી ગયું છે. ગુજરાતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સમયસર લેવાયેલા કદમોથી કોરોનાની ભીષણતા સામે પ્રજાને મહદ્ અંશે રાહત મળી છે, પરંતુ યુદ્ધ લાંબુ ચાલે તેમ લાગે છે. સાવચેતીના ભાગરૂપે મહામારીનો મુકાબલો મક્કમ મનોબળ સાથે થાય તે અર્થે લોકોનો જુસ્સો વધુ બુલંદ બનાવવાની આવશ્યકતા અનુભવાઇ રહી છે.

અદ્રશ્ય એવા દુશ્મન સામે વિજયને પંથે અગ્રેસર થવા, લોકોના આત્મવિશ્વાસમાં વધારો થાય તેવા ઇરાદાથી ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રાદેશિક લોકસંપર્ક બ્યૂરોના ઉપક્રમે રાજ્યવ્યાપી કોવિડ વિજય યાત્રા આવતીકાલથી શરૂ થનાર છે.

માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી રાજ્યના 5 પાંચ શહેરોમાંથી પાંચ કોવિડ વિજય રથને - ફ્લેગિંગના માધ્યમથી પ્રસ્થાન કરાવશે જે આવનારા  44 દિવસોમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં કોવિડગ્રસ્ત વિસ્તારોમાં જાગૃતિ ફેલાવવાનું કામ કરશે.

5 જિલ્લામાં સ્થાનિક સાંસદશ્રી મુખ્યમંત્રીશ્રી સાથે વિડિયો કોન્ફ્રન્સથી જોડાઈને પરંતુ રથની સામે પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને લીલી ઝંડી દેખાડી યાત્રાને શરૂ કરાવશે. અમદાવાદમાં રીવરફ્રન્ટ, વલ્લભ સદન સામે તથા અન્ય જિલ્લાઓમાં કલેક્ટર કચેરીથી સવારે 9.55 વાગ્યે કોવિડ પ્રોટોકોલ મુજબ કાર્યક્રમમાં રથોનું પ્રસ્થાન કરાશે.

* કોવિડ વિજય રથ અભિયાનનો હેતુ

કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારો સાથે સતત પરામર્શ કરી તંત્રને એટલું બધું વેગવાન બનાવી દીધું છે કે તાબડતોબ હોસ્પિટલો તૈયાર થઈ, અનેક સુવિધાઓ જેમકે માસ્ક, PPE કિટ્સ, વેન્ટિલેટર વગેરેનું ઉત્પાદન તત્કાલ કરી દેવાયું. વિજયનો વિશ્વાસ બળવત્તર બને અને લડાઈના છેલ્લા ચરણમાં પણ જનતા તરફથી કોઈ ગફલત રહે એવા હેતુથી ગુજરાતભરમાં કોવિડ વિજયરથ જનજાગૃતિ અભિયાન ચાલુ કરવામાં આવશે.

*શુ છે અભિયાન ?

અભિયાન ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળ કામ કરતા પ્રાદેશિક લોક સંપર્ક બ્યુરો, યુનિસેફ અને પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના સંયુક્ત પ્રયાસોથી શરૂ કરવામાં આવ્યું છે. અભિયાનમાં પાંચ જુદા-જુદા ઝોન સુરત ,જુનાગઢ, ભુજ, પાલનપુર અને અમદાવાદ શહેરોમાંથી રથનું પ્રસ્થાન આવતીકાલે શરૂ થશે. રથ દરરોજના 60 કિલોમીટર ધીમી ગતિએ ચાલશે અને સામાજિક અંતર તેમજ માસ્કની અનિવાર્યતા અંગે જન જાગૃતિ કરશે.

વાસ્તવમાં હાલ કોઈ પણ પ્રકારના મેળાવડા કે જનસમૂહ એકઠા કરવાનો સમય નથી. કોરોનાની અસરને કારણે લોકોએ અતિજરૂરી હોય તો ઘરની બહાર નીકળવું એવું આપણે સતત માર્ગદર્શન આપીએ છીએ એટલે રથયાત્રા દરમિયાન આવા તમામ નિયમોનું પાલન કરાશે. જનજાગૃતિ અર્થે અભિયાનમાં લોક સમૂહ એકઠો કરી સભા સ્વરૂપે સંબોધવાની વાત નથી, માત્ર માઉથ પબ્લિસિટી અને લોકકલાના માધ્યમથી જનજાગૃતિ અર્થે રથ ઉત્તમ કામ કરશે એવું આયોજન કરાયું છે.

*લોકકલાનો ઉપયોગ કરાશે.

ભારત સરકારમાં ગુજરાતના લગભગ 440 જેટલા કલાકારો જેમાં ભવાઈ, ડાયરો, ડ્રામા, જાદુ વગેરે કલાના કલાકારો નોંધાયેલા છે. આજ કલાકારોમાંથી પસંદ કરવામાં આવેલા કલાકારોને દરેક રથ સાથે સામાજિક અંતર જાળવી રાખવાના નિયમ સાથે  પોતાની કલાના માધ્યમથી જનજાગૃતિ અને વિજયનો વિશ્વાસ પ્રસ્થાપિત કરવા તક મળી છે. વાસ્તવમાં ભારત સરકારને અભિયાનમાં યુનિસેફના ગુજરાત એકમનો સહકાર સાંપડ્યો હોવાથી અભિયાન વધુ અસરકારક રીતે હાથ ધરી શકાશે.

*44 દિવસ અભિયાન ચાલશે

અભિયાન 7 સપ્ટેમ્બરથી 44 દિવસ સુધી ચલાવવામાં આવનાર છે. આગળ જણાવ્યા મુજબના પાંચ વિસ્તારોમાં રથ ફરશે ત્યારે માત્ર કોવિડ પૂરતી વાત નહીં, પરંતુ રસ્તામાં વિવિધ સરકારી યોજનાઓની માહિતી પણ જનતા સુધી પહોંચાડવામાં આવશે.

*કોવિડની સાથે પાંચ સરકારી યોજનાઓની માહિતી અપાશે

કોવિડ રથ ઉપર સવાર થયેલા કલાકારો કોવિડ ઉપર વિજય મેળવવા જરૂરી તકેદારીઓ બાબતે તો વાત કરશે પરંતુ સાથે-સાથે છેલ્લા મહિનાઓમાં કેન્દ્ર સરકારે લીધેલા અદભુત ક્રાંતિકારી નિર્ણયો જનતા સમક્ષ જણાવશે અને તમામનો લાભ લોકો લઇ શકે અંગે જાગૃતિ લાવશે. યોજનાઓમાં નેશનલ ડિજિટલ હેલ્થ મિશન, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, માનવસંપર્ક રહિત આવક વેરા આકારણી પદ્ધતિ, પ્રધાનમંત્રી કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડની રચના, આત્મનિર્ભર ભારતની સંકલ્પના, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના તથા એવી બીજી યોજનાઓ વિશે કલાના માધ્યમથી જાણકારી આપવામાં આવશે.

* સમગ્ર અભિયાનનું ટાઈમિંગ

અત્યારે કોરોના મહામારી સામેની લડાઈમાં આપણે વિજયના નિર્ણાયક તબક્કે પહોંચવાનું છે. દેશભરમાં કોરોનાનો મૃત્યુદર ખૂબ ઘટી રહ્યો છે. સાજા થનાર દર્દીઓની સંખ્યા દિન-પ્રતિદિન ટકાવારીમાં ખૂબ વધતી જાય છે. લોકોમાં મહામારીની અસરો અંગે તેમજ લક્ષણો અંગે સભાનતા આવતા જાગૃતિ સાથે તુરંત સારવાર કરવાથી રોગ ઉપર કાબૂ મેળવી શકાય તેવા ચિન્હો દેખાવા લાગ્યા છે. વિજયરથ દરમિયાન કોરોના વિનરને પણ માધ્યમ બનાવી લોકોના વિશ્વાસમાં વધારો કરી શકીશું. કલાકારો કહેશે કે સરકાર તરફથી તમામ પગલા લેવાઈ રહ્યા છે, જરૂર છે જનતાના મજબૂત સહયોગની. જો "જનતા જાગશે તો કોરોના ભાગશે". "સાવચેતીને સંગ, જીતીશું જંગ" ટેગલાઇન પણ ઉદ્દેશથી બનાવવામાં આવી છે.

*કોવિડ વિજયરથ દરમિયાન મુખ્યત્વે સંદેશા પદ્ધતિ

કોવિડ વિજય રથયાત્રા દરમિયાન સામાજિક અંતરની જાળવણી, માસ્ક ફરજિયાત પહેરવાની આવશ્યકતા, અફવાઓથી દૂર રહેવા દેવાની, સાવધાની રાખવાની તેમજ જો કોરોનાના પ્રાથમિક લક્ષણો પણ દેખાય તો તરત સારવાર લેવાની વાત મુખ્ય હશે. સામાજિક અંતર જાળવી રાખી લોકોને કલાકારો વાત કરશે.

લોકકલા સંદેશા વ્યવહારનું એક ઉત્તમ અને પ્રબળ માધ્યમ છે. લોકો સાથે ટ્રેડિશનલ મીડિયા દ્વારા સરળતાથી વાત કરી શકાય છે અને સંદેશો આપી શકાય છે. જેમકે ભવાઈમાં ગીતના માધ્યમથી, ડાયરામાં દોહાના માધ્યમથી, નાટકમાં સંવાદના માધ્યમથી અને જાદુમાં જાદુના ખેલથી લોકોને કોરોનાની સામે લડવાના ઉપાયો સરળતાથી સમજાવી શકાશે અને સરકારી યોજનાઓ બાબતે જાગૃતિ લાવી શકાશે. સિવાય રસ્તામાં તમામ જગ્યાએ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચવાનો પણ પ્રયત્ન કરવામાં આવશે. સ્થાનિક સ્તરે લોકપ્રિય ટીવી ચેનલો, અખબારો તેમજ અન્ય પ્રચાર-પ્રસારના માધ્યમોનો રથયાત્રા દરમિયાન ભરપૂર ઉપયોગ કરવાનું પણ આયોજન છે.



(Release ID: 1651822) Visitor Counter : 127