યુવા બાબતો અને રમત મંત્રાલય
રાજ્યોના રમત ગમત મંત્રીઓની કોન્ફરન્સ ગુજરાતના કેવડીયામાં યોજવાનું આયોજન : કેન્દ્રીય રમતગમત મંત્રી શ્રી કિરેન રિજીજુ
ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અને શ્રી કિરેન રિજીજુએ અમદાવાદ ખાતે સંસ્કારધામ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનું ઉદ્દઘાટન અને ખેલ મહાકુંભ 2019 નો શુભારંભ કરાવ્યો.
Posted On:
08 SEP 2019 9:10PM by PIB Ahmedabad
કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) તથા લઘુમતી બાબતોના રાજ્ય મંત્રી શ્રી કિરેન રિજીજુએ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલની હાજરીમાં અમદાવાદ ખાતે સંસ્કારધામ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનું ઉદ્દઘાટન કર્યું હતું અને ગુજરાત ખેલ મહાકુંભ 2019 નો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા રમતવીરોને ખેલ પ્રતિભા પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સંબોધન કરતા શ્રી કિરેન રિજીજુએ જણાવ્યું હતું કે ‘ન્યુ ઇન્ડિયા’ આંતરરાષ્ટ્રીય રમતોમાં એક-બે મેડલથી સંતુષ્ટ નહીં થાય. ભારત વિશ્વમાં પરચમ લહેરાવવા સજ્જ બની રહ્યું છે. ન્યુ ઇન્ડિયાને આવનારા સમયમાં રમતગમત ક્ષેત્રે ‘મહાશક્તિ’ બનતું હું જોઉં છું.
રમતગમત ક્ષેત્રે ગુજરાત સરકારે કરેલા કામોની પ્રશંસા કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં રમતગમત ક્ષેત્રે જે પ્રકારની માળખાગત સુવિધાઓ વિકસાવાઈ છે, આ પ્રકારની વ્યવસ્થા તેમણે અન્ય કોઈ રાજ્યમાં નથી જોઈ. તેમણે કહ્યું હતું કે સંસ્કારધામ સ્પોર્ટ્સ યુનિવર્સિટી અને ગુજરાત અન્ય રાજ્યો માટે આદર્શ બની શકે તેમ છે. કેન્દ્ર સરકાર પણ ગુજરાત સરકારની પહેલોમાંથી બોધપાઠ લેશે એમ તેમણે ઉમેર્યું હતું. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર રાજ્યોના રમતગમત મંત્રીઓની કોન્ફરન્સ કેવડીયા ખાતે યોજવા માટે આયોજન કરી રહી છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા ફિટ ઇન્ડિયા અભિયાનમાં સૌને જોડાવાની અપીલ કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ફિટ ઇન્ડિયા એ માત્ર રમતગમત મંત્રાલયનું અભિયાન નથી. આપણે ફિટ રહેવું એ કોઈ અન્યની જરૂરિયાત નથી, એ આપણી પોતાની જરૂરિયાત છે. ફિટ શરીર ફિટ મન માટે ખૂબ જરૂરી છે અને ફિટ નાગરિકો દ્વારા જ ફિટ ભારતનું નિર્માણ શક્ય બને, એમ તેમણે ઉમેર્યું હતું. મંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે રમતો દેશને એકજૂથ થવાની તાકાત આપે છે, દેશને એક સાથે જોડે છે આથી દરેક વ્યક્તિએ કોઈને કોઈ રમત રમવી જોઈએ.
.jpeg)
ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે ખેલાડીઓને યોગ્ય માર્ગદર્શન સાથે આંતરરાષ્ટ્રીય કક્ષાની તાલીમ મળવી જ જોઈએ. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને શ્રી કિરેન રિજિજુ આ દિશામાં પ્રત્નશીલ છે. તેમણે જણાવ્યું હતું કે રમતગમત ક્ષેત્રે ગુજરાત પછાત છે, એ કલંકને ગુજરાતે દૂર કરી બતાવ્યું છે.
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ ગુજરાતના રમતવીરોને ઉચ્ચ કક્ષાની તાલીમ મળે એ માટે ગુજરાત સરકારે સ્થાપેલી સંસ્થાઓ અને પહેલો વિશે માહિતી આપી હતી. ફિટ ઇન્ડિયા અભિયાનમાં જોડાવાની અપીલ કરતા તેમણે જણાવ્યું હતુ કે ફિટનેસ માત્ર શબ્દ ન બની રહેતાં તે જીવનનો એક ભાગ બનવો જોઇએ. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ગુજરાત પ્રધાનમંત્રીશ્રીએ શરૂ કરેલા ઈન ફીટ ઇન્ડિયાના સંકલ્પમાં અગ્રેસર રહેશે.
બોક્સિંગ ક્ષેત્રે ભારતનું નામ રોશન કરનાર શ્રીમતી મેરી કોમે જણાવ્યું હતું કે ફિટ રહેવા માટે રમતો ખૂબ જરૂરી છે. જો આપણે ફિટ હોઈએ તો આપોઆપ આત્મવિશ્વાસ વધી જાય છે.
ઉદ્ઘાટન બાદ 'નવા ભારતના નિર્માણમાં ફિટનેસનું યોગદાન' વિષય પર પેનલ ચર્ચાનું આયોજન કરાયું હતું. જેમાં બોક્સર એમ. સી. મેરીકોમ, ચેસ ગ્રાન્ડ માસ્ટર શ્રી વિશ્વનાથ આનંદ, બેડમિન્ટન નેશનલ ચીફ કોચ શ્રી પુલ્લેલા ગોપીચંદ, પેરા ઓલિમ્પિયન સુશ્રી દીપા મલીક, શુટિંગ ચેમ્પિયન શ્રી ગગન નારંગ અને રાયફલ શૂટર કુ. એલાવેનીલ વલારીવને સંસ્કારધામના વિદ્યાર્થીઓ સાથે પોતાની ફિટનેસના અનુભવો વહેંચ્યા હતા.
તંદુરસ્તી અંગે પોતાના મંત્ર વિશે પૂછતાં શ્રી રિજિજુએ કહ્યું કે જો કોઈ વ્યક્તિ જીવનમાં નિયમિત શિસ્ત પાળે તો કોઈપણ વ્યક્તિ તંદુરસ્ત રહી શકે છે. મંત્રીશ્રીએ શારીરિક તંદુરસ્તી પર ભાર મૂક્યો હતો અને દરેકને ફિટ ઇન્ડિયા આંદોલનમાં જોડાવા જણાવ્યું હતું.
સુશ્રી દીપા મલિકે કહ્યું કે તંદુરસ્તીથી તેની ઓળખ બદલાઈ ગઈ છે અને તેમની અપંગતામાંથી ક્ષમતાની શોધ કરવામાં તેમને મદદ મળી છે.
શ્રીમતી મેરી કોમે કહ્યું કે મહિલા બોક્સર હોવાથી તેની યાત્રા પડકારોથી ભરેલી હતી. તેણે કહ્યું કે જો તે આ અવરોધોનો સામનો કરી શક્યા, તો કોઈ પણ કરી શકે છે. તેણે યુવાઓને સખત મહેનત કરી ભારતનું નામ રોશન કરવા પડકાર આપ્યો.
પી. ગોપીચંદે જણાવ્યું હતું કે, શૈક્ષણિક સાક્ષરતામાં ભારત આગળ વધ્યું છે, પરંતુ શારીરિક સાક્ષરતાની વાત આવે ત્યારે તે પાછળ રહી ગયું છે. શારીરિક તંદુરસ્તીની જરૂરિયાત પર ભાર મુકતા તેમણે કહ્યું કે આપણા દેશમાં દરેક બાળક પોતાની શારીરિક ક્ષમતાને પૂરી રીતે ઓળખી શકે એ ખુબ જ જરૂરી છે.
ચેસ જેવી રમતમાં તંદુરસ્તીના મહત્વ વિશેના પ્રશ્નના જવાબમાં શ્રી વિશ્વનાથન આનંદે કહ્યું હતું કે ચેસમાં શારીરિક તંદુરસ્તીની જરૂર નથી, પરંતુ માનસિક તાણમાં રાહત માટે તે ખૂબ મહત્વનું છે.
શૂટર શ્રી ગગન નારંગ અને કુ. ઇલાવેનિલ વલારીવાને જણાવ્યું હતું કે શૂટિંગ જેવી રમતો માટે માનસિક તંદુરસ્તી ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તે શારીરિક રીતે ફીટ થયા વિના પ્રાપ્ત કરી શકાતી નથી.
DK/J.Khunt
(Release ID: 1584504)
Visitor Counter : 1197