માહિતી અને પ્રસારણ મંત્રાલય
મહાત્મા ગાંધીના જીવન-કવનની મલ્ટિમીડીયા-ડિઝીટલ પ્રસ્તુતિ કરતા પ્રદર્શનનો મુખ્યમંત્રીશ્રીએ કરાવ્યો પ્રારંભ
ગાંધીજીના સ્વચ્છતા-સ્વાવલંબન-અસ્પૃશ્યતા નિવારણ-ગ્રામીણ વિકાસ જેવા સમાજલક્ષી કાર્યોથી યુવાપેઢી પ્રેરણા લઇ રાષ્ટ્રસેવામાં અગ્રેસર બનશે:- મુખ્યમંત્રીશ્રીનો અનુરોધ
કેન્દ્ર સરકારની ક્ષેત્રીય પ્રદર્શન કચેરી-અમદાવાદ યોજિત પ્રદર્શની તા. 2 ડિસેમ્બર સુધી મહાત્મા મંદિરમાં દાંડી કૂટિરમાં નિહાળી શકશે
Posted On:
27 NOV 2018 4:17PM by PIB Ahmedabad
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ મહાત્મા ગાંધીજીના જીવન-કવન અને શાશ્વત ગાંધી મૂલ્યોની મલ્ટિમિડીયા-ડિઝીટલ પ્રસ્તુતિ કરતા પ્રદર્શનનો મહાત્મા મંદિર પરિસરમાં દાંડી કૂટિરમાં પ્રારંભ કરાવ્યો હતો.
ભારત સરકારના લોકસંપર્ક બ્યૂરોની અમદાવાદ ક્ષેત્રીય પ્રદર્શન કચેરી દ્વારા આ પ્રદર્શનનું તા. 2 ડિસેમ્બર-2018 સુધી આયોજન કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ મહાત્મા ગાંધીના સ્વચ્છતા, સ્વાવલંબન, અસ્પૃશ્યતા નિવારણ, ગ્રામીણ વિકાસ જેવા સમાજલક્ષી કાર્યોમાંથી યુવા પેઢી સદા-સર્વદા પ્રેરણા લઇને રાષ્ટ્રસેવામાં અગ્રેસર રહે તેવો અનુરોધ આ અવસરે કર્યો હતો.
તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારે સ્વચ્છતા અભિયાન, ગ્રામ વિકાસ સહિત પ્રજા કલ્યાણલક્ષી યોજનાઓથી ‘નયા ભારત’ના નિર્માણની જે શરૂઆત કરી છે તેને પણ આ પ્રદર્શનીમાં પ્રસ્તુત કરવામાં આવી છે.
મુખ્યમંત્રીશ્રીએ આ પ્રદર્શનીનો વ્યાપક લાભ લેવા અપિલ કરતાં ઉમેર્યુ કે, ગાંધી આચાર-વિચારના પ્રસાર સાથે નયા ભારતની સંકલ્પના સાકાર થઇ રહી છે તેની પ્રત્યક્ષ અનૂભુતિ આ પ્રદર્શની સૌને કરાવશે.
શ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રદર્શની રસપૂર્વક નિહાળ્યા બાદ દાંડીકૂટિર પરિસરની પણ મૂલાકાત લીધી હતી.
આ અવસરે પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરોના અપર મહા નિદેશક શ્રી આર. પી. સરોજ, લોક સંપર્ક બ્યૂરોના નિદેશક શ્રી મનીષ ગૌતમ સહિત વરિષ્ઠ અધિકારીઓ, રાજ્યના યુવક સેવા રમત-ગમત પ્રવૃત્તિના સચિવ શ્રી વી. પી. પટેલ તેમજ પદાધિકારીઓ અને શાળા-કોલેજના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા.
આ રંગીન તથા શ્વેત શ્યામ તસવીરી પ્રદર્શન દાંડી કુટિર, મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે 27 નવેમ્બર થી 2 ડિસેમ્બર, 2018 સુધી પાંચ દિવસ દરમિયાન જાહેર જનતા માટે ખુલ્લુ રહેશે.
(Release ID: 1553996)
Visitor Counter : 397