પ્રધાનમંત્રીનું કાર્યાલય

રાજ્યસભામાં ઉપ રાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુના સ્વાગત પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 11 AUG 2017 2:49PM by PIB Ahmedabad

આદરણીય સભાપતિજી, સદન તરફથી, દેશવાસીઓ તરફથી આપને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભકામનાઓ.

 

આજે 11 ઓગસ્ટ ઈતિહાસ માટે એક મહત્વપૂર્ણ તારીખ સાથે જોડાયેલ છે. આજના જ દિવસે 18 વર્ષની નાની ઉમરના ખુદીરામ બોઝને ફાંસીના માંચડે ચડાવવામાં આવ્યા હતા. દેશની આઝાદી માટે સંઘર્ષ કેવો થયો, બલિદાન કેટલા અપાયા અને તેના પરિપ્રેક્ષ્યમાં આપણા સૌની જવાબદારી કેટલી મોટી છે, તેની આ ઘટના યાદ અપાવે છે.

 

આપણા સૌનું એ બાબત પ્રત્યે ધ્યાન જરૂરથી જશે કે આદરણીય શ્રી વેંકૈયાજી નાયડુ દેશના પ્રથમ એવા ઉપ રાષ્ટ્રપતિ બન્યા છે કે જેઓ સ્વતંત્ર ભારતમાં જન્મ્યા હતા. શ્રીમાન વેંકૈયા નાયડુજી આ પહેલા એવા ઉપરાષ્ટ્રપતિ બન્યા છે, હું સમજુ છું કે કદાચ તેઓ એકલા જ એવા છે જેઓ આટલા વર્ષો સુધી આ પરિસરમાં, આ બધાની વચ્ચે ઉછર્યા છે, મોટા થયા છે, કદાચ આ દેશને પહેલા એવા રાષ્ટ્રપતિ મળ્યા છે, જેઓ આ સદનની પ્રત્યેક ઝીણવટતાઓથી પરિચિત છે. સદસ્યોથી લઈને સમિતિઓ સુધી, સમિતિઓથી લઈને સદન સુધીની કાર્યવાહીઓ સુધી, પોતે તે પ્રક્રિયાઓમાંથી પસાર થયેલા આ પ્રથમ ઉપરાષ્ટ્રપતિ દેશને પ્રાપ્ત થઇ રહ્યા છે.

 

સાર્વજનિક જીવનમાં જે પી આંદોલનથી તેઓ ઘડાયેલા છે. વિદ્યાર્થી કાળમાં જયપ્રકાશ નારાયણના આહ્વાન ને લઈને, શુચિતાને લઈને, સુશાસન માટે જે રાષ્ટ્રવ્યાપી આંદોલન ચાલ્યું, આંધ્રપ્રદેશમાં એક વિદ્યાર્થી નેતાના રૂપમાં તેમણે પોતાની જાતને ઝોંકી દીધી હતી, અને ત્યારથી લઈને વિધાનસભા હોય કે રાજ્યસભા, તેમણે પોતાના વ્યક્તિત્વનો પણ વિકાસ કર્યો છે અને કાર્યક્ષેત્રનો પણ વિસ્તાર કર્યો છે. અને આજે તેના કારણે આપણે સૌએ તેમને પસંદ કર્યા છે અને આ પદ માટે એક ગૌરવપૂર્ણ જવાબદારી તેમને આપી છે.

 

વેંકૈયાજી ખેડૂતના પુત્ર છે. અનેક વર્ષો સુધી મને તેમની સાથે કામ કરવાનું સૌભાગ્ય મળ્યું છે. ગામડું હોય, ગરીબ હોય, ખેડૂત હોય, આ વિષયો ઉપર તેઓ ખૂબ ઝીણવટતાથી અધ્યયન કરતા કરતા, દરેક વખતે તેઓ પોતાનો પ્રતિભાવ આપતા રહ્યા છે. કેબીનેટમાં પણ તેઓ શહેરી વિકાસ મંત્રી હતા પરંતુ મને હમેશા એવું લાગતું હતું કે કેબિનેટની અંદર ચર્ચાઓમાં તેઓ જેટલો સમય શહેરી વિષયો ઉપર ચર્ચા કરતા હતા, તેના કરતા વધારે રૂચી સાથે તેઓ ગ્રામ્ય અને ખેડૂતના વિષયો પર ચર્ચા કરતા રહેતા હતા. તે હંમેશા તેમના દિલની નજીક રહ્યા છે અને કદાચ તેમના બાળપણના તેમના પરિવારની પૃષ્ઠભૂમિના કારણે આમ રહ્યું હશે.

 

વેંકૈયાજી ઉપરાષ્ટ્રપતિ પદે બેઠા છે ત્યારે, સમગ્ર દુનિયાને એ વાતથી આપણે પરિચિત કરાવવી પડશે અને હું માનું છું કે આપણા સૌની જવાબદારી છે રાજનૈતિક દીવાલોની પેલે પારનું પણ આ કર્તવ્ય છે. અને એ કર્તવ્ય એ છે કે ભારતનું લોકતંત્ર કેટલું પરિપક્વ છે. ભારતના બંધારણની બારીકાઈઓની કેટલી મોટી તાકાત છે. આપણા તે મહાપુરુષોએ જે બંધારણ આપ્યું તે બંધારણનું સામર્થ્ય શું છે કે આજે હિન્દુસ્તાનના બંધારણીય પદો ઉપર તે લોકો બેઠા છે, જેમની પૃષ્ઠભૂમિ ગરીબીની રહી છે, ગામડાની રહી છે, સામાન્ય પરિવારમાંથી આવે છે, તેઓ કોઈ અમીર કુટુંબમાંથી નથી આવતા. સૌ પ્રથમ વાર દેશના તમામ સર્વોચ્ચ પદો ઉપર આ પૃષ્ઠ્ભૂમિની વ્યક્તિઓનું હોવું એ પોતાનામાં જ બંધારણની ગરિમા અને ભારતના લોકતંત્રની પરિપક્વતાને દર્શાવે છે અને જે હિન્દુસ્તાનના સવા સો કરોડ દેશવાસીઓનું ગૌરવ છે. આપણા પૂર્વજોએ આપણને જે વિરાસત આપી છે, તે પૂર્વજોનું સન્માન આ ઘટના સાથે હું જોઈ રહ્યો છું. હું ફરી એકવાર તે બંધારણના ઘડવૈયાઓને પણ નમન કરવા માગીશ.

 

વેંકૈયાજી, તેમનું વ્યક્તિત્વ પણ છે, કર્તૃત્વ પણ છે, વકતૃત્વ પણ છે. આ સૌના તેઓ ધની છે અને તેમની તાર્કિકતાથી તો સૌ સારી રીતે પરિચિત છે. અને ક્યારેક ક્યારેક જ્યારે તેઓ પ્રવચન આપે છે અને જ્યારે તેઓ તેલુગુમાં આપે છે તો તો એવું લાગે છે કે જાણે સુપર ફાસ્ટ ચલાવી રહ્યા છે. પરંતુ તેના માટે આ ત્યારે શક્ય બને છે જ્યારે વિચારોમાં સ્પષ્ટતા હોય, પ્રેક્ષકો સાથે સંલગ્નતા હોય, તે શબ્દોની રમત નથી હોતી, જેઓ વકતૃત્વની દુનિયા સાથે જોડાયેલા છે તેમને ખબર છે કે શબ્દોના ખેલ કોઈના મનમંદિરને સ્પર્શ નથી કરી શકતા. પરંતુ શ્રદ્ધાભાવ સાથે પોષાયેલી વિચારધારાઓના આધાર પર પોતાની માન્યતાઓ અને દ્રષ્ટિકોણની સાથે વસ્તુઓ નીકળે છે તો જન હૃદયને પોતાની મેળે જ સ્પર્શ કરી જાય છે અને તે વેંકૈયાજીના જીવનમાં જોવામાં આવ્યું છે, પ્રાપ્ત થયું છે.

 

એ પણ સાચું છે, ગ્રામીણ વિકાસની અંદર આજે કોઈ પણ એવો સાંસદ નથી કે જે એક જ વિષય પર સરકારને વારંવાર આગ્રહ ના કરતો હોય. ભલે સરકાર ડૉક્ટર મનમોહન સિંહજીના નેતૃત્વની હોય, કે પછી તે સરકાર મારા નેતૃત્વની હોય. સાંસદોની એક એક માગ સતત રહ્યા કરે છે અને તે પોતાના ક્ષેત્રમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના માટે કાર્ય કરવાની છે. આપણે બધા સાંસદો માટે ગર્વની વાત છે કે દેશને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાની કલ્પના, તેની યોજના, આ ભેટ જો કોઈએ આપી છે તો તે આપણા ઉપરાષ્ટ્રપતિજીએ આપી છે, આદરણીય વેંકૈયાજીએ આપી છે. જે આજે...અને આ વસ્તુઓ ત્યારે નીકળે છે કે ગામડા પ્રત્યે, ગરીબ પ્રત્યે, ખેડૂત પ્રત્યે, દલિત પ્રત્યે, પીડિત શોષિત પ્રત્યે પોતાનાપણું હોય, તેમને મુશ્કેલીઓમાંથી બહાર કાઢવાનો સંકલ્પ હોય, ત્યારે આ થાય છે.

 

આજે જ્યારે ઉપરાષ્ટ્રપતિ પદના રૂપમાં વેંકૈયાજી આપણા સૌની વચ્ચે છે, આ સદનમાં આપણા સૌની એક મુશ્કેલી રહેશે, કેટલીક ક્ષણો, કારણકે બાર કાઉન્સિલમાંથી કોઈ વકીલ, જ્યારે ન્યાયાધીશ બની જાય છે તો શરુ શરૂમાં અદાલતમાં તેની સાથે જ નીચેના બારના સભ્યો જ્યારે વાતો કરે છે તો જરા અટપટું લાગે છે કે કાલે તો હજી આ મારી સાથે ઊભો રહેતો હતો, મારી સાથે વિવાદ કરતો હતો, અને આજે હું અહીંયા આને કેવી રીતે! તો કેટલીક ક્ષણો આપણા સૌની માટે પણ, ખાસ કરીને આ સદનના સભ્યો માટે જેમણે આટલા વર્ષો તેમની સાથે એક મિત્રતાના રૂપમાં કામ કર્યું છે અને જ્યારે આ પદ પર બેઠા છે તો આપણે પણ...અને આપણા લોકતંત્રની વિશેષતા છે કે વ્યવસ્થાને અનુકુળ આપણે આપણી કાર્યશૈલી બનાવીએ છીએ.

 

અને અમને વિશ્વાસ છે કે ભલે આપણી વચ્ચે આટલા લાંબા સમયથી રાજ્યસભાના સદસ્ય રહીને, તમામ બારીકીઓમાંથી નીકળેલી, એક પરિપક્વ વ્યક્તિ, ઉપરાષ્ટ્રપતિ અને આ સભાગૃહના સભાપતિના રૂપમાં જ્યારે આપણા લોકોનું માર્ગદર્શન કરશે, આપણને દિશા આપશે, તેની ગરીમાને વધારે ઉપર ઉઠાવવામાં તેમનું યોગદાન ઘણું મોટું રહેશે, મને પૂરો વિશ્વાસ છે કે એક ઘણા મોટા પરિવર્તનના સંકેતો હું જોઈ રહ્યો છું. અને તે સારા માટે હશે, સારપો માટે હશે. અને આજે જ્યારે વેંકૈયાજી આ ગરિમાપૂર્ણ પદને ગ્રહણ કરી રહ્યા છે ત્યારે, હું તે જ વાતને યાદ કરવા માગીશ,

‘’अमल करो ऐसा अमन में,

अमल करो ऐसा अमन में,

जहां से गुजरे तुम्‍हारी नज़रें,

उधर से तुम्‍हें सलाम आए।’’

અને આને જ થોડું ઉમેરીને હું કહેવા માગીશ –

‘‘अमल करो ऐसा सदन में,

जहां से गुजरे तुम्‍हारी नज़रें,

उधर से तुम्‍हें सलाम आए।’’

ખૂબ ખૂબ શુભકામનાઓ, ખૂબ ખૂબ આભાર!



(Release ID: 1499317) Visitor Counter : 310


Read this release in: English