નાગરિક ઉડ્ડયન મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીશ્રી કે. રામમોહન નાયડુના હસ્તે ભાવનગર--નવી મુંબઈ ફ્લાઇટનું ફ્લેગ ઓફ કરાયું


આ ફ્લાઈટ કનેક્ટિવિટીથી હવાઈ માર્ગે દેશ અને દુનિયા સાથે જોડાશે ભાવનગર: કેન્દ્રીય મંત્રીશ્રી કે રામમોહન નાયડુ

ભાવનગર માટે ઐતિહાસિક અને ગૌરવવંતી ક્ષણ: કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા

વોટર સેલ્યુટ દ્વારા ભાવનગર-નવી મુંબઈ ફ્લાઇટનું કરાયું અભિવાદન

પ્રથમ ફ્લાઈટમાં અન્ય મુસાફરો સાથે દિવ્યાંગ મુસાફરોનો ઉત્સાહ જોવા મળ્યો

પોસ્ટેડ ઓન: 29 MAR 2026 1:09PM by PIB Ahmedabad

ભાવનગર એરપોર્ટ ખાતેથી તારીખ 29 માર્ચ 2026થી ભાવનગર અને નવી મુંબઈ વચ્ચે સીધી ફ્લાઇટ સેવાનો શુભારંભ કરાવતાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીશ્રી કે. રામમોહન નાયડુએ ભાવનગર એરપોર્ટ ખાતે ઉપસ્થિત રહીને આ પ્રથમ ફ્લાઈટને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

ભાવનગર-નવી મુંબઈ ફ્લાઇટનું વોટર સેલ્યુટ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું ત્યારબાદ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીશ્રી કે. રામમોહન નાયડુ તથા કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા, કેબિનેટ રાજ્ય કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય શ્રી સેજલબેન પંડ્યા, ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણની ઉપસ્થિતિમાં ભાવનગર--નવી મુંબઈ ફ્લાઇટનું ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું.

આ તકે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીશ્રી કે રામ મોહન નાયડુએ જણાવ્યું હતું કે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને વખતોવખત ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બામણીયા દ્વારા ભાવનગરને એર કનેક્ટિવિટી ફાળવવા માટેની દરખાસ્તો મળતી રહી હતી. જેના અનુસંધાને આજરોજ ભાવનગરથી નવી મુંબઈ વિમાની સેવાનો શુભારંભ થઈ રહ્યો છે જે બદલ ભાવનગરની જનતાને અભિનંદન. વધુમાં તેમણે કહ્યું કે ભાવનગરથી નવી મુંબઈની કનેક્ટિવિટી એ માત્ર લોકલ કનેક્ટિવિટી નથી પરંતુ આ એર કનેક્ટિવિટીથી ભાવનગર દેશ અને દુનિયા સાથે જોડાઈ રહ્યું છે.

ભાવનગર અને ભાવનગરની જનતા માટે આજનો દિવસ એ ગૌરવવંતો દિવસ અને આજની આ ક્ષણ ઐતિહાસિક ક્ષણ છે તેવું કહેતા કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાએ ભાવનગરથી નવી મુંબઈ શરૂ થયેલી નવી વિમાની સેવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભારત સરકારનો આભાર વ્યક્ત કરવાની સાથે ભાવનગરની જનતાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા આ રૂટ પર દરરોજ સવાર અને સાંજ એમ બે ફ્લાઇટ સંચાલિત કરવામાં આવશે જેમાં સવારે 8:35 કલાકે અને રાત્રે 8.50 વાગ્યે એમ બે ફ્લાઇટ નવી મુંબઈ માટે ઉડાન ભરશે. આ નવી હવાઈ સુવિધા ઉપલબ્ધ થવાથી ભાવનગરના વિવિધ ઉદ્યોગ, વ્યાપાર અને પ્રવાસન ક્ષેત્રને મોટો ફાયદો થશે તેમજ નવી મુંબઈ મારફતે અન્ય મહાનગરો સાથેની કનેક્ટિવિટી પણ સરળ બનશે.

પ્રથમ ફ્લાઇટમાં અન્ય મુસાફરો સાથે 30 દિવ્યાંગ મુસાફરોએ ઉત્સાહભેર મુસાફરી કરી હતી.

આ તકે ભાવનગર જિલ્લા કલેકટર શ્રી ડો. મનીષ કુમાર બંસલ, કમિશનર શ્રી નરેન્દ્રકુમાર મીના, પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજેન્દ્ર વી. અસારી, નગરપાલિકાના પ્રાદેશિક કમિશ્નર શ્રી ધવલ પંડ્યા, આગેવાન શ્રી દિગ્વિજય સિંહ ગોહિલ, આગેવાન શ્રી કુમાર ભાઈ શાહ, સિવિલ એવિયેશન સેક્રેટરી શ્રી સમીર સિંહા, એરપોર્ટ ઓર્થોરીટી ઓફ ઈન્ડિયાનાં ચેરમેનશ્રી વિપીનકુમાર,એરપોર્ટ ડાયરેક્ટરશ્રી તપનકુમાર નાયક, એરપોર્ટ ઓથોરીટીના વરિષ્ઠ અધિકારીઓ શ્રી મનિષકુમાર અગ્રવાલ અને શ્રી પ્રશાંત નિખાર સહિતના આગેવાનો, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

SM/IJ/GP/JT


(રીલીઝ આઈડી: 2246630) મુલાકાતી સંખ્યા : 32